મોટર એક્સિડન્ટ ક્લેઈમની ચૂકવાતી રકમ પરનું વ્યાજ ટેક્સ ફ્રી ગણાશે

અમદાવાદઃ સામાન્ય વીમા કંપનીઓ દ્વારા મોટર એક્સિડન્ટના કિસ્સામાં પોલીસી ધારકને ચૂકવવામાં આવતી ક્લેઈમની રકમ પર આપવા પડતા વ્યાજની રકમને હવેથી વેરા પાત્ર ગણવામાં આવશે નહિ, એવી જાહેરાત આજે બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહી છે. આ રકમ પર ટીડીએસ-કરકપાત પણ કરવાની આવશે નહિ.
નાના કરદાતાઓને શૂન્ય ટીડીએસ કપાતની માગણી કરવા માટે આવકવેરા અધિકારીનો સંપર્ક કરવો પડશે નહિ. પરંતુ તેને માટે ઓનલાઈન અરજી કરી દેવાથી નિલ ટીડીએસનું સર્ટિફિકેટ આપોઆપ જ ઇશ્યૂ કરી દેવામાં આવશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિત મહેતાનું કહેવું છે.
આજે રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બરની છે. તેમાં નોમિનલ ફી સાથે રિટર્ન ફાઈલ કરવામાં માટે 31મી માર્ચ સુધીનો સમય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે ફી પેટ કેટલી રકમ લેવામાં આવશે તેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
આવકવેરા કાયદાની જોગવાઈ મુજબ જે કરદાતાને ધંધાની આવક હોય અને તેમણે કોઈપણ કાયદા હેઠળ ઓડિટ કરાવવાની જવાબદારી નિભાવવાની ન હોય તો તેમણે અગાઉ 31મી જુલાઈ રિટર્ન ફાઈલ કરવું પડતુ હતું. આજના બજેટના માધ્યમથી તેમની રિટર્ન ફાઈલ કરવાની તારીખ એક મહિનો લંબાવીને 31મી ઓગસ્ટ કરી આપવામાં આવી છે. ધંધાની આવક સિવાયના નોકરિયાતો સહિતના તમામ કરદાતાઓએ તેમનું રિટર્ન 31મી જુલાઈએ ફાઈલ કરી દેવાનું આવશે.
બીજીતરફ આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાન્સફર પ્રાઈસિંગ માટે ચાર્ટર એકાઉન્ટન્ટનો રિપોર્ટ લેવાનો આવતો હોય તેવા કરદાતાઓને તેમના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી નવેમ્બર કરી આપી છે.
આ જ રીતે ઓડિટને પાત્ર ગણાતા અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સિવાયની કેટેગરીમાં આવતા કરદાતા અને ભાગીદારી પેઢીના ભાગીદાઓએ તેમના આવકવેરાના રિટર્ન 31મી ઓક્ટોબર સુધી ફાઈલ કરી દેવાના રહેશે.




