• 11 February, 2026 - 5:25 PM

ભારત–અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલમાં ડેરી-ખેતીને સંપૂર્ણપણે સલામત રાખી છેઃ રાજેશઅગ્રવાલ

ભારતે અમેરિકા સાથે થયેલા ટ્રેડ  ડીલમાં દેશ માટે અત્યંત સંવેદનશીલ તમામ ક્ષેત્રોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. બંને દેશોની ટીમો હાલ સંયુક્ત નિવેદનને કાનૂની કરારમાં રૂપાંતરિત કરવા પર કામ કરી રહી છે. માર્ચના અંત પહેલાં આ કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે, એમ ભારતના કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતુ.

તેમણે કહ્યું કે ભારત હંમેશા સ્પષ્ટ દૃષ્ટિકોણ સાથે વેપાર કરારો કરે છે. જ્યાં ખેડૂતો, માછીમારો કે ડેરી ક્ષેત્રને નુકસાન થવાની શક્યતા હોય ત્યાં ભારતે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેવા ક્ષેત્રોમાં બજાર ખુલ્લું મૂકવામાં આવશે જ નહીં.

અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં ભારતે પાંચ વેપાર કરારો કર્યા છે અને દરેકમાં તમામ સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ કરવામાં આવ્યું છે. અમેરિકાની સાથેના કરારમાં પણ કૃષિ અને ડેરી જેવા મહત્વના ક્ષેત્રોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમાંય ખાસ કરીને થોડો સંવેદનશીલ મુદ્દો હતો ત્યાં ટેરિફ રેટ ક્વોટા (TRQ) વ્યવસ્થા અપનાવવામાં આવી છે, જેથી ખેડૂતો પર કોઈ અસર પડશે નહિ.

આ કરાર હેઠળ મકાઈ, ઘઉં, ચોખા, સોયાબીન, પોલ્ટ્રી, દૂધ, ચીઝ, ઇથેનોલ, તમાકુ, કેટલીક શાકભાજી અને માંસ જેવા ઉત્પાદનો પર અમેરિકાને કોઈ આયાત છૂટ આપવામાં આવી નથી. આ તમામ ઉત્પાદનો નાના અને સીમાંત ખેડૂતોની રોજી-રોટી સાથે જોડાયેલા હોવાથી સરકારએ ખાસ સુરક્ષા આપી છે.

ભારતે અન્ય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સમાં પણ સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનો પર આયાત છૂટ આપી નથી. તાજેતરમાં યુરોપિયન યુનિયન, યુકે અને ઓસ્ટ્રેલિયા સાથે પણ વેપાર કરારો અંતિમ તબક્કામાં છે.

ભારતમાં કૃષિ અને પશુપાલન ગ્રામિણ અર્થતંત્રનો આધારસ્તંભ છે, જેમાં 50 કરોડથી વધુ લોકો રોજગાર મેળવે છે. વિકસિત દેશોની જેમ અહીં ખેતી સંપૂર્ણપણે મશીન આધારિત નથી, પરંતુ જીવનનિર્વાહનો વિષય છે. તેથી ભારત પોતાના ખેડૂતોને અયોગ્ય સ્પર્ધાથી બચાવવા માટે આયાત શુલ્ક અને નિયમો લાગુ રાખે છે.

2024માં અમેરિકાની ભારત તરફ કૃષિ નિકાસ $1.6 અબજ રહી હતી, જેમાં બદામ, પિસ્તા, સફરજન અને ઇથેનોલ મુખ્ય છે.

અગ્રવાલ બાયોફાર્મ 2026 પ્રદર્શનમાં હાજર છે, જ્યાં ભારતના 100થી વધુ એક્ઝિબિટર્સ અને લગભગ 20 રાજ્ય તેમના ઓર્ગેનિક ઉત્પાદનો રજૂ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન આ ઉત્પાદનો માટે મોટું બજાર છે.

તેમણે જણાવ્યું કે આ કરારથી ટેક્સટાઇલ, એપેરલ, મેરિન, રત્ન-ઝવેરાત જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોને ખાસ ફાયદો થશે. અમેરિકા તરફથી ભારત પર લાગતા પરસ્પર શુલ્ક હવે 18 ટકા જ રહેશે, જ્યારે ચીન પર 35 ટકા અને વિયેતનામ પર 20 ટકા આયાત શુલ્ક લાગુ કરવામાં આવશે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને અગાઉ લગાવેલા 25 ટકા દંડાત્મક શુલ્ક દૂર કરી દીધા છે અને કુલ ટેરિફ પણ ઘટાડવામાં આવ્યા છે. આ પગલાથી ભારતીય નિકાસકારોને અન્ય દેશોના સપ્લાયર કે નિકાસકારો સામે સ્પર્ધા કરીને લાભ મેળવવામાં અનુકૂળતા રહેશે. તેમ જ  સપ્લાય ચેઇન ફરી મજબૂત બનશે.

00000000

Read Previous

હવે એકવારમાં બેન્ક એકાઉન્ટમાં રોકડેથી રૂ. 50,000થી વધુ જમા કરાવશો તો પાનકાર્ડ નહિ માગે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular