• 12 February, 2026 - 4:46 PM

માત્ર કસ્ટમ ડ્યૂટી માફીથી દવાઓ સસ્તી નહીં થાય

  • સરકાર પણ સમજે છે કે હકીકતમાં ડ્યૂટી ઘટાડા પછીય નવી કેન્સર દવાઓના ઊંચા ભાવમાં ખાસ ઘટાડો થયો નથી.

અમદાવાદઃ છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે મોંઘી દવાઓ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી (BCD) માફી ધીમે ધીમે વધારી છે, જેથી દર્દીઓને રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. 2024ના બજેટમાં કેન્સરની ત્રણ દવાઓને છૂટ આપવામાં આવી હતી. 2025માં 36 જીવનરક્ષક દવાઓ (કેન્સરની દવાઓ સહિત)ને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્ત કરવામાં આવી હતી. જ્યારે 2026-27માં વધુ 17 જીવનરક્ષક કેન્સરની દવાઓ આ યાદીમાં ઉમેરાઈ છે.

સરકાર આ રીતે કેન્સર અને દુર્લભ રોગોની દવાઓ માટે BCD માફી આપીને દવાની ઊંચી કિંમત લોકોને નડી રહી હોવાની હકીકતને સ્વીકારી રહી છે, પરંતુ હકીકતમાં નવી કેન્સર દવાઓના ઊંચા ભાવમાં ખાસ ઘટાડો થયો નથી.

ઉદાહરણ તરીકે, 2024માં BCD માફી મળ્યા બાદ પણ આજે સ્તન કેન્સરની ટાર્ગેટેડ થેરાપી trastuzumab deruxtecan ની કિંમત પ્રતિ 100 mg vial રૂ. 1.67 લાખ છે. આ દવા લઈને સારવાર કરવાની નોબત આવે તો સ્તનકેન્સરના દરદીની વાર્ષિક સારવારનો ખર્ચ રૂ. 90 લાખથી વધુ થાય છે. તેવી જ રીતે 2026માં યાદીમાં સામેલ ribociclib નામની દવાની વાર્ષિક કિંમત લગભગ રૂ. 9.5 લાખ છે. તેના ભાવ પરથી સ્પષ્ટ થાય છે કે BCD માફી, જે દવાની કુલ કિંમતનો માત્ર 10–12 ટકા ભાગ છે, તેનાથી વાસ્તવિક રાહત મળતી નથી.

કેન્સરની દવાનો ખર્ચ પરવડે તેવો નથી

ભારતમાં કેન્સરની સારવારનો મોટાભાગનો ખર્ચ લોકો પોતાના ખિસ્સામાંથી જ કરે છે, જેના કારણે પરિવારો દેવા અને આર્થિક સંકટમાં ફસાઈ જાય છે. આમેય કેન્સર સિવાયની બીમારી પરિવારના કોઈ સભ્યને આવે અને ત્રણ મહિના કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવે તો તેવા સંજોગોમાં અપર મિડલ ક્લાસનો પરિવાર બિલો પોવર્ટી લાઈન-બીપીએલની કેટેગરીમાં આવી જાય છે તેવું અવલોકન આરોગ્ય સેક્ટરના નિષ્ણાતો કરી રહ્યા છે.

કેન્સરની દવાઓ મોંઘી હોવાનો મુખ્ય કારણ મોનોપોલી છે. મોટાભાગની કેન્સર દવાઓ પર પ્રાથમિક અને ગૌણ પેટન્ટ લાગુ હોય છે. પેટન્ટ મોનોપોલી કંપનીઓને દેશની આવક અથવા રોગના ભારની પરવા કર્યા વિના ભાવ નક્કી કરવાની છૂટ આપે છે. આ વાત સમજમાં આવતા  ભારતે પેટન્ટના કાયદામાં કલમ 100 (સરકારી ઉપયોગ લાયસન્સ), કલમ 84 (ફરજિયાત લાયસન્સ) અને કલમ 3(d) જેવી જોગવાઈઓ કરી હતી. સરકાર કાયદાકીય સાધનોનો બહુ ઓછો ઉપયોગ કરે છે અને સરકાર મુખ્યત્વે BCD અથવા GST માફી જેવી “નરમ નીતિઓ” પર આધાર રાખે છે.

ઉપરાંત ભાવ પારદર્શકતા ખૂબ જરૂરી છે. જ્યારે સરકાર કોઈ દવા પર BCD છૂટ આપે છે, ત્યારે કંપનીએ છૂટ પહેલાં અને પછીના ભાવ જાહેર કરવા ફરજિયાત હોવા જોઈએ, જેથી સાચો ફાયદો દર્દીઓ સુધી પહોંચી શકે છે. અન્યથા સરકાર તેની વેરાની આવક જતી કરે તે પછીય કંપનીઓના નફામાં બદલાઈ જાય તેવી શક્યતા રહેલી છે. તેમ જ દર્દીઓને દવાના ખર્ચમાં કોઈ જ રાહત મળતી નથી. BCD માફી છતાં દવાઓ મોંઘી રહેવું એ જ સાબિત કરે છે કે જીવનરક્ષક દવાઓ હજી સુધી આમ આદમીઓ સુધી સરળતાથી પહોંચતી જ નથી.

સરકારે તમામ કાયદાકીય અને નીતિગત વિકલ્પોનો ઉપયોગ કરીને દરેક નાગરિકને સસ્તી સારવાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ — આ તેની બંધારણીય જવાબદારી છે.

Read Previous

કાળુપુર બ્રિજ પર ૭૦ વર્ષથી ધંધો કરતાં વેપારીઓને નવા સ્થળે દુકાનો આપો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular