અમેરિકા, યુરોપ સાથેના મુક્ત વેપાર કરારથી ભારતના કૃષિ, ફાર્મા સેક્ટર પર જોખમ?

ભારતીય દવાઓ મોંઘી થઈ જવાની સંભાવનાને કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડવાનું જોખમ ઊભું થવાની સંભાવના
ભારત અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરારો (FTAs) અંગે વેપાર નિષ્ણાતોએ વ્યાપક ચિંતાઓ વ્યક્ત કરી છે. આ કરારો ભારતના કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ અને ડિજિટલ વેપાર જેવા મુખ્ય ક્ષેત્રોને પ્રભાવિત કરી શકે છે. તેની સાથે સાથે જ ભારતની નીતિ તૈયાર કરવાની સ્વતંત્રતાને પણ સીમિત કરી શકે છે.
‘India’s Trade Agreements with EU and the US: Implications for India’s Economy and Society’ વિષયક વેબિનારમાં બોલતા નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે ટેરિફ ઘટાડા સિવાય આ કરારોમાં નિયમન, સાર્વભૌમ સત્તા અને લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા પર ઊંડો ઢાંચાકીય પ્રભાવ હોઈ શકે છે.
ફાર્મા અને પેટન્ટ મુદ્દો
સ્વતંત્ર વેપાર નીતિ વિશ્લેષક અભિજીત દાસ (પૂર્વ વડા, Centre for WTO Studies)એ ચેતવણી આપી કે તાજેતરના અને પ્રસ્તાવિત FTA ભારતને સસ્તી દવાઓ ઉપલબ્ધ રાખવા માટે ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ નીતિ સાધનોને કમજોર કરી શકે છે. ભારત-બ્રિટન વચ્ચેના કરારમાં “વોલન્ટરી લાઇસન્સિંગ”ને પ્રાથમિક માર્ગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં વિદેશી પેટન્ટ ધારક ભારતીય ઉત્પાદકને મર્યાદિત શરતો સાથે લાઇસન્સ આપે છે, જેના કારણે દવાઓ મોંઘી થઈ શકે અથવા ઉપલબ્ધતા ઘટી શકે છે.
તેની સામે, WTOના TRIPS કરાર અને ભારતના પેટન્ટ કાયદા હેઠળ “કમ્પલ્સરી લાઇસન્સિંગ” ભારત માટે મહત્વપૂર્ણ સાધન રહ્યું છે. આ સાધન પેટન્ટ મોનોપોલીનો દુરુપયોગ અટકાવી સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવે છે. નિષ્ણાતોના મત મુજબ જો કે કાયદેસર રીતે આ હક યથાવત રહે, પરંતુ FTAની ભાષા ભવિષ્યમાં તેના ઉપયોગને નિષ્ક્રિય કરી શકે છે.
કૃષિ: સ્પષ્ટતા ગેરહાજર
Jawaharlal Nehru University ભૂતપૂર્વ પ્રોફેસર બિસ્વજીત ધારે ખાસ કરીને ભારત-અમેરિકા વાટાઘાટોમાં કૃષિ ક્ષેત્રને લઈને ચિંતા વ્યક્ત કરી છે. યુરોપિયન યુનિયન સાથેના કરારમાં સંવેદનશીલ કૃષિ ઉત્પાદનો સુરક્ષિત છે, પરંતુ અમેરિકા સાથેના સંયુક્ત નિવેદનમાં તે અંગે સ્પષ્ટતા નથી. અમેરિકાના કૃષિ લોબીના નિવેદનો દર્શાવે છે કે તેઓ ભારતના બજારમાં પ્રવેશ માટે આતુર છે.
ખાસ કરીને જીએમ (Genetically Modified) પાક મુદ્દો મહત્વનો છે. સંયુક્ત નિવેદન મુજબ ભારત નોન-ટેરિફ અવરોધો દૂર કરવા સંમત થયું છે. જો તેમાં જીએમ સંબંધિત પ્રતિબંધો પણ આવરી લેવાયા હોય, તો તે ભારતના કૃષિ નીતિ માટે પડકારરૂપ બની શકે છે. Global Trade Research Initiative (GTRI)ના અજય શ્રીવાસ્તવે પણ દાળ અને DDGS આયાત સંદર્ભે સ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી જ છે.
સસ્ટેનેબિલિટી અધ્યાય અને CBAM
નિષ્ણાતોએ શ્રમ, લિંગ અને પર્યાવરણ સંબંધિત “સસ્ટેનેબિલિટી અધ્યાય” અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે તે ભારતના આંતરિક નિયમન પર ભાગીદાર દેશોને પ્રભાવ પાડવાની તક આપી શકે છે. યુરોપિયન યુનિયનનો Carbon Border Adjustment Mechanism (CBAM) પણ વેબિનારમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે CBAM વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં માત્ર 0.1% ઘટાડો લાવી શકે છે, પરંતુ તે સંરક્ષણવાદી હેતુથી પ્રેરિત જણાય છે. જો EU માલ ભારત ખાતે શૂન્ય ટેરિફે પ્રવેશ કરે અને ભારતીય નિકાસ પર કાર્બન આધારિત વધારાના શુલ્ક લાગુ થાય, તો તે અસમાનતા સર્જી શકે છે.
વ્યૂહાત્મક સ્વતંત્રતા અને “Non-Market Policies”
ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં “તૃતીય દેશોની non-market policies સામે સંકલિત પગલાં” લેવા અંગેની જોગવાઈ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. જો અમેરિકા China અથવા Russia સામે વેપાર પ્રતિબંધો અથવા આર્થિક પગલાં લે, તો શું ભારતને પણ તે અનુસરવું પડશે? આ પરિસ્થિતિમાં, ખાસ કરીને ચીનમાંથી આયાત થતા Active Pharmaceutical Ingredients (API) જેવા ક્ષેત્રોમાં ભારતની સપ્લાય ચેઇન અસરગ્રસ્ત થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ પ્રકારની જોગવાઈ ભારતની ભૂરાજકીય અને આર્થિક સ્વતંત્રતા પર લાંબા ગાળે અસર કરી શકે છે અને અમેરિકા સાથે વધુ બાંધછોડ કરવાની નોબત આવી શકે છે.




