• 25 May, 2026 - 8:03 AM

નિફ્ટી 50, અચ્છે દિન આયેંગે

નિફ્ટી 50 ની લાંબાગાળાની સ્થિરતા દર્શાવે છે કે શેરબજારના વેલ્યુએશનમાં સુધારા અને માર્કેટ સાયકલ બદલાયા પછી સારા દિવસો પાછા આવી શકે છે, જો કે તેનો ચોક્કસ સમય હજુ અનિશ્ચિત છે. જ્યારે સમય ખરાબ હોય, ત્યારે વધુ સારું પ્રદર્શન કરનારા દેશો સાથે સરખામણી થાય ત્યારે સ્થિતિ વધુ મુશ્કેલ લાગે છે. ભારતીય બજારો આજે બરાબર આવી જ સ્થિતિમાં છે. મોંઘા વેલ્યુએશન, વૈશ્વિક ભૌગોલિક તણાવની કમાણી પર અસર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સારા વિકલ્પોનો અભાવ અને રૂપિયાનું અવમૂલ્યન જેવા પરિબળોને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની પસંદગીમાં ભારત અત્યારે નીચે આવી ગયું છે.

ડોલરના વળતરની દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા એક વર્ષમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી આશ્ચર્યજનક રીતે 171 ટકા, તાઈવાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ટીડબ્લ્યુએસઈ 81 ટકા, બ્રાઝિલનો ઇબોવેસ્પા 45 ટકા અને અમેરિકાનો સ્ટાન્ડર્ડ એડ પુઅર 500 ઇન્ડેક્સ 27 ટકા વધ્યો છે. આ સરખામણીમાં, છેલ્લા એક વર્ષમાં ડોલરના સંદર્ભમાં નિફ્ટી 50 નું નેગેટિવ (-) 15.3 ટકા વળતર તેને ઘણું નબળું સાબિત કરે છે.

પરંતુ, જો રોકાણકારો ટી 20 મેચ જેવી ટૂંકી મુદત છોડીને ટેસ્ટ મેચ જેવો લાંબાગાળાનો દ્રષ્ટિકોણ અપનાવે તો? તો આખું ચિત્ર બદલાઈ જાય છે. વૈશ્વિક બજારોના પાંચ વર્ષના ડોલર વળતરના વિશ્લેષણથી ખબર પડે છે કે, ભલે અત્યારના પડકારો વાસ્તવિક છે અને આગળ હજુ વધુ મુશ્કેલી આવી શકે છે, તેમ છતાં નિફ્ટી 50 ની લાંબાગાળાની સ્થિરતા દર્શાવે છે કે માર્કેટ સાયકલ બદલાતા જ સારા દિવસો પાછા ફરશે. તેથી જ, ટૂંકા ગાળાની નકારાત્મકતા જોઈને ભારતીય બજારમાંથી પૂરેપૂરો ભરોસો ઉઠાવી લેવો યોગ્ય નથી.

છેલ્લા દાયકામાં પાંચ વર્ષના રોલિંગ રિટર્નના આધારે જોઈએ તો ભારત વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત પ્રદર્શન કરનારા બજારોમાંનું એક રહ્યું છે. નિફ્ટી 50 એ ડોલરના સંદર્ભમાં 10.3 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે, જે મોટાભાગના અન્ય દેશો કરતાં ઘણું સારું છે. ડોલરના મામલામાં માત્ર અમેરિકાનો સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 (12.3 ટકા) અને તાઈવાન (12.1 ટકા) જ ભારત કરતાં આગળ છે. જ્યારે ચીન (1.1 ટકા), જાપાન (3.4 ટકા) અને બ્રાઝિલ (2.3 ટકા) જેવા અગ્રણી બજારો છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કરવા છતાં લાંબા ગાળે ભારતથી ઘણા પાછળ છે.

ક્યારેય નેગેટિવ રિટર્ન નહીં

 આંકડા દર્શાવે છે કે ભારતે પાંચ વર્ષના રોલિંગ રિટર્નમાં ક્યારેય નેગેટિવ (નકારાત્મક) વળતર આપ્યું નથી. આ બાબતમાં ભારત, અમેરિકાના સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 500 અને તાઈવાનના ટીડબ્લ્યુએસઈ જેવા ચુનંદા દેશોની યાદીમાં સામેલ છે. ભારતમાં 53 ટકા કિસ્સાઓમાં રોકાણકારોને 10 થી 20 ટકા વાર્ષિક વળતર મળ્યું છે, જ્યારે 43 ટકા કિસ્સાઓમાં 5 થી 10 ટકા વળતર મળ્યું છે. આ દર્શાવે છે કે ભારતીય બજારમાં વળતરની સ્થિરતા ખૂબ ઊંચી છે અને તેમાં ભારે નુકસાનનું જોખમ ઘણું ઓછું છે.

તેનાથી વિપરીત, બ્રાઝિલ જેવા દેશોમાં 38 ટકા કિસ્સાઓમાં નેગેટિવ વળતર જોવા મળ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયા અને ચીનમાં પણ નબળા વળતરનું પ્રમાણ વધુ રહ્યું છે. જર્મની અને જાપાન જેવા વિકસિત બજારોમાં પણ વળતર ઘણું અસ્થિર રહ્યું છે. આ સરખામણી સાબિત કરે છે કે ભારતીય શેરબજાર ટૂંકા ગાળાના ઉછાળાને બદલે લાંબા ગાળે સતત સંપત્તિનું સર્જન કરવા માટે જાણીતું છે.

અસ્થિરતાનો સવાલ

વાર્ષિક સ્ટાન્ડર્ડ ડેવિએશનના આંકડા વૈશ્વિક બજારોની અસ્થિરતા દર્શાવે છે. ભારતની માર્કેટ અસ્થિરતા 19.1 ટકા રહી છે, જે અમેરિકા અને જાપાન કરતાં વધુ છે, પરંતુ દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને તાઈવાન જેવા ઉભરતા બજારો કરતાં ઘણી ઓછી છે. ભલે વૈશ્વિક આર્થિક સ્થિતિને કારણે ટૂંકા ગાળાની અસ્થિરતા ચાલુ રહે, પરંતુ લાંબાગાળાના આંકડા પુષ્ટિ કરે છે કે ભારત રોકાણકારો માટે એક સ્થિર અને ભરોસાપાત્ર બજાર છે. વિદેશી રોકાણકારો કદાચ આ વાત સારી રીતે સમજે છે, કારણ કે તેઓ વર્ષોથી ભારતીય બજારમાં વારંવાર નાણાં રોકતા અને પાછા ખેંચતા આવ્યા છે.

સ્થાનિક રોકાણકારોએ એ સમજવાની જરૂર છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું બજારમાં પુનરાગમન નિશ્ચિત છે, પરંતુ તેનો સમય બજારની અપેક્ષાઓ મુજબ ન પણ હોય. ભારતના કેટલાક મોટા ફંડ મેનેજરોએ આ અંગે અગાઉ કરેલી ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ ચૂકી છે. ભારતમાં વિદેશી રોકાણનો મોટો પ્રવાહ સતત ચાલુ થાય તે પહેલાં ઘણી પરિસ્થિતિઓ થાળે પડવી જરૂરી છે. તેથી, વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું સમજદારીભર્યું છે, પરંતુ માત્ર એક વર્ષના ખરાબ પ્રદર્શનના આધારે ભારતના વિકાસની ક્ષમતાને નકારી દેવી તે સદંતર ભૂલ ભરેલું ગણાશે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular