• 9 July, 2026 - 1:37 AM

મોટું કૌભાંડ: રાપરનો બોગસ ખેડૂત દાખલો સાબિત થયો છતાં સાણંદમાં ૧૦૦ વીઘાથી વધુ જમીન ખરીદનારને સાણંદના અધિકારીએ તક પૂરી પાડી 

મોટું કૌભાંડ: રાપરનો બોગસ ખેડૂત દાખલો સાબિત થયો છતાં સાણંદમાં ૧૦૦ વીઘાથી વધુ જમીન ખરીદનારને સાણંદના અધિકારીએ તક પૂરી પાડી 

રાપર મામલતદારે જમીન ‘શ્રી સરકાર’ કરવાનો હુકમ કર્યો, પણ સાણંદના અધિકારીઓ કૌભાંડીઓને છાવરતા હોવાનો ગંભીર આક્ષેપ

ગુજરાતના જમીન મહેસૂલ તંત્રને ચોંકાવી મૂકનારો એક મોટો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણું ગામની જમીનના આધારે ઊભો કરાયેલો ખેડૂત તરીકેનો દાખલો સંપૂર્ણપણે બોગસ સાબિત થયો હોવા છતાં, તેના આધારે અમદાવાદના સાણંદ અને થલતેજ વિસ્તારમાં અઢી લાખ વાર (૧૦૦ વીઘાથી વધુ) કિંમતી જમીન ખરીદી લેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે રાપર મામલતદારે આ અંગે કડક હુકમ કર્યો હોવા છતાં, સાણંદ તાલુકાના કેટલાક સરકારી અધિકારીઓની મિલિભગતને કારણે કૌભાંડીઓ સામે હજુ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી. તેમ જ મનજિત સિંહનો ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર રદ  કરીને તેની માલિકીની જમીન શ્રી સરકાર કરવાના પગલાં લીધા જ નથી.

શું છે સમગ્ર મામલો?

મનજીત સિંહ જગતસિંહ વાસુ નામના વ્યક્તિએ કચ્છના રાપર તાલુકાના વરણું ગામમાં જમીન ધરાવતા હોવાનો એક ખોટો અને કૂટબદ્ધ (બોગસ) દાખલો મેળવ્યો હતો. આ દાખલાના જોરે તેમણે અમદાવાદના પ્રાઇમ લોકેશન ગણાતા સાણંદ અને થલતેજ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનો ખરીદી લીધી હતી. હવે જ્યારે મૂળ ખરીદદાર મનજીત સિંહનું અવસાન થયું છે, ત્યારે તેમના વારસદાર સતવિન્દર સિંહ વાસુએ આ સાણંદની કિંમતી જમીનો પોતાના નામે કરાવવા માટેની વારસાઈ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેની સામે જાગૃત નાગરિક મયૂર વાઘેલાએ સત્તાવાર વાંધો ઉઠાવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.

સરકારી રેકોર્ડ સાથે ચેડાં: રાપર મામલતદારનો સપાટો

રાપરની મામલતદાર અને એગ્રીકલ્ચરલ લેન્ડ્સ ટ્રિબ્યુનલ (ALT) સમક્ષ ચાલેલી કાયદાકીય સુનાવણીના અંતે એ સાબિત થઈ ચૂક્યું છે કે મનજીત સિંહ વાસુએ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે સરકારી રેકોર્ડ સાથે મોટા પાયે ચેડાં કર્યા હતા.

રાપર મામલતદારનો આકરો હુકમ: વારસદાર મનજિતસિંહ વાસુ પોતે ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદાર હોવાના કોઈ પણ માન્ય પુરાવા રજૂ કરી શક્યા નથી. આથી રાપરના મામલતદારે વરણું ગામની સરવે નંબર ૨૫-૨ વાળી વિવાદિત જમીનને તાત્કાલિક અસરથી ‘શ્રી સરકાર’ (સરકાર હસ્તક) કરવાનો આદેશ આપી દીધો છે.

સાણંદ તંત્રની શંકાસ્પદ ભૂમિકા: ‘દાળમાં કંઈક કાળું’

એક તરફ રાપર મામલતદારે ખેડૂત પ્રમાણપત્રને નકારી કાઢીને જમીન સરકારી જાહેર કરી દીધી છે, તો બીજી તરફ સાણંદના તત્કાલીન પ્રાંત અધિકારી જગદીશ જેસંગભાઈ પટેલે ૯મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મનજીત સિંહને ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યું હતું. આ પ્રમાણપત્રના આધારે જ સાણંદ તાલુકાના સરવે/બ્લોક નંબર ૧૭૭૩ની કરોડોની જમીન ખરીદવામાં આવી હતી.

રાપરનો મૂળ દાખલો જ બોગસ ઠર્યો હોવા છતાં, સાણંદ તંત્ર દ્વારા આ જમીનો ખાલસા કરવા માટે કે કૌભાંડીઓ સામે ગુનો નોંધવા માટે કોઈ પણ તત્પરતા દાખવવામાં આવી નથી. કાયદાકીય નિયમ મુજબ જો મૂળ ખેડૂત હોવાનો દાખલો રદ થાય, તો તેના આધારે ખરીદેલી તમામ જમીનો આપોઆપ ખાલસા થઈ જાય. પરંતુ અહીં સરકારી બાબુઓ જ આરોપીઓને છાવરી રહ્યા હોવાની પ્રબળ આશંકા છે.

મુખ્ય સવાલો અને તંત્રની ઉદાસીનતા

  • જ્યારે રાપર તંત્ર દ્વારા ખેડૂત હોવાનો દાવો નકારી દેવાયો, તો સાણંદમાં હજુ સુધી જમીન ખાલસા કેમ કરાઈ નથી?

  • બોગસ દસ્તાવેજો ઊભા કરીને સરકાર અને કાયદા સાથે રમત રમનારા ભૂમાફિયાઓ સામે ફોજદારી ગુનો કેમ દાખલ થયો નથી?

  • શું ઉચ્ચ કક્ષાએથી તપાસ કરીને આ સમગ્ર નેક્સસ (અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગત)નો પર્દાફાશ કરવામાં આવશે?

તંત્રની આ ઢીલી નીતિને કારણે જ બોગસ પ્રમાણપત્રોના આધારે કિંમતી જમીનો પચાવી પાડનારા તત્વોના હોંસલા વધી રહ્યા છે, જે ગુજરાતના મહેસૂલ તંત્ર માટે ચિંતાનો વિષય છે.

Read Previous

મેટ્રો શહેરોમાં હોમ લોનની PSL મર્યાદા વધારીને રૂ. ૧ કરોડ અને એજ્યુકેશન લોનની મર્યાદા રૂ.૫૦ લાખ કરો

Read Next

હાઈકોર્ટનો આદેશ ‘૬ વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટી ન વસૂલાય તો ભૂલી જાવ’, છતાં GIDCના ઉદ્યોગકારોને ૩૦ વર્ષ જૂની નોટિસો ફટકારી કનડગત!

Most Popular