કોમ્પ્યુટરમાં બિલ બનાવીને ડિલીટ કરી દેનારા વેપારીઓ હવે ચેતી જાય

- રેસ્ટોરાં માલિકો બિલ બનાવી ડિલીટ કરી દીધા તો પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય સોફ્ટવેરની મદદથી પકડી પાડવામાં આવ્યા
- રેસ્ટોરાંના બિલ ડીલિટ કરી દેવાનૂં કૌભાંડ પકડવામાં સફળતા મળી તે પછી હવે દરેક રિટેઈલ બિઝનેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ચોરી પકડવાનું આયોજન કરાશે
આવકવેરા ખાતાની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરીને દેશભરમાં વપરાતા એક કોમન રેસ્ટોરન્ટ બિલિંગ સોફ્ટવેરમાંથી લગભગ 60 ટેરાબાઇટ ડેટાનું વિશ્લેષણ કરીને 2019-20થી 2025-26ના છ વર્ષના ગાળામાં અંદાજે રૂ. 70,000 કરોડના વેચાણને દબાવી દેવામાં આવ્યા છે. આ સોફ્ટવેરનો ઉપયોગ દેશમાં એક લાખથી વધુ રેસ્ટોરન્ટ કરે છે અને તે રેસ્ટોરન્ટ બિલિંગ સોફ્ટવેર માર્કેટનો આશરે 10 ટકા હિસ્સો જ ધરાવે છે.
રેસ્ટોરન્ટોએ કેવી રીતે ટેક્સ ચોરી કરી?
સામાન્ય રીતે દરેક વેચાણ કાર્ડ, UPI અથવા રોકડ બિલિંગ સોફ્ટવેરમાં નોંધાય છે. પરંતુ તપાસમાં સામે આવ્યું કે કેટલાક રેસ્ટોરન્ટોએ પસંદગીના રોકડના બિલ્સ ડિલીટ કરી દીધા હતા. કેટલાક કેસોમાં રોકડના ટ્રાન્ઝેક્શનો માત્ર એક ભાગ જ સિસ્ટમમાં રાખવામાં આવ્યો હતો. ચોક્કસ તારીખોના બિલ્સ, ક્યારેક 30 દિવસ સુધીમાં જ ડિલીટ કરી દેવાયા હતા. ત્યારબાદ ટેક્સ રિટર્નમાં વાસ્તવિક વેચાણ કરતા ઓછું વેચાણ દર્શાવવામાં આવ્યું હતું. આવકવેરા ખાતાના અધિકારીઓએ કરેલા વિશ્લેષણ બાદ મળેલા ડેટા મુજબ રૂ. 2.43 લાખ કરોડના બિલિંગ રેકોર્ડમાંથી રૂ. 13,317 કરોડના બિલ્સ જનરેટ થયા બાદ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
AI કેવી રીતે મદદગાર બન્યું?
તપાસ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સમગ્ર દેશમાં તપાસને આ જ લાઈન પર આગળ વધારવાનો નિર્ણય લઈ લીધો છે. સોફ્ટવેર કંપનીના મુખ્ય મથક અમદાવાદમાં તપાસ બાદ ડેટાને હૈદરાબાદ સ્થિત ડિજિટલ ફોરેન્સિક અને એનાલિટિક્સ સેન્ટરમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યો હતો.
AI અને Generative AI ટૂલ્સની મદદથી લગભગ 1.77 લાખ રેસ્ટોરન્ટ ID સાથે જોડાયેલા રેકોર્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેના પરથી જાણવા મળ્યું છે કે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જ રૂ. 5,141 કરોડના વેચાણ ડિલીટ કરીને છુપાવવામાં આવ્યા હોવાના સંકેતો મળ્યા છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના 40 રેસ્ટોરન્ટમાં સ્થળ પર તપાસ કરતાં લગભગ રૂ. 400 કરોડના અહેવાલ ન કરાયેલા વેચાણ મળી આવ્યા છે.
પાંચ રાજ્યો પર ખાસ નજર
તપાસમાં પાંચ રાજ્યોને ટેક્સ ચોરીના મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પાંચ રાજ્યમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, તામિલનાડુ અને કર્ણાટકને બિલડીલીટ કરીને ચોરી કરવાના કેન્દ્ર તરીકે ઓળખાવવામાં આવ્યા છે. સૌથી વધુ ડિલીટ ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં લગભગ રૂ. 2,000 કરોડના ટ્રાન્ઝેક્શન ડીલીટ કરાયા હતા. તેલંગાણા રૂ. 1,500 કરોડ અને તમિલનાડુ રૂ. 1,200 કરોડના ટ્રાન્ઝેક્શન ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
કેટલાક કેસોમાં રેસ્ટોરન્ટોએ ડિજિટલ રેકોર્ડ ડિલીટ પણ કર્યા નહોતા, છતાં ટેક્સ રિટર્નમાં ઓછું વેચાણ દર્શાવ્યું હતું. આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવી રહ્યું છે કે કુલ વેચાણમાંથી અંદાજે 27 ટકા વેચાણ છુપાવવામાં આવ્યું હોવાની શક્યતા છે. અધિકારીઓએ સંકેત આપ્યો કે અન્ય બિલિંગ સોફ્ટવેર પ્લેટફોર્મ્સ પણ તપાસ હેઠળ આવી શકે છે.




