• 6 March, 2026 - 8:52 AM

બે સ્મોલકેપ કંપનીઓના શેર્સ પર નજર રાખો, કમાવાની તક મળી શકે

50 ટકા રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ-ROCE અને શૂન્ય દેવું ધરાવતા સ્મોલ કૅપ સેક્ટરની બે મજબૂત કંપનીઓ હવે પછીની મલ્ટિબેગર કંપનીઓ બની શકશે?

નાણાંકીય વર્ષ 202526ના પહેલા ત્રણ ત્રિમાસિકમાં જ બે ઓછી જાણીતી સ્મોલકૅપ કંપનીઓના શેર્સે નાણાંકીય વર્ષ 2024-25ની સાલના નફા જેટલી નજીકની કમાણી કરી લીધી છે. બંને કંપનીઓના ઊંચા ROCE અને મજબૂત ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ છે. હવે આ બંને કંપનીઓ મલ્ટી બેગર બનશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.  આ કંપનીઓ શું વાસ્તવમાં નવી મલ્ટિબેગર બની શકશે?

સ્મોલકૅપ કંપનીઓના શેર્સમાં રોકાણ કરીને ક્યારેક ખૂબ જ આકર્ષક રિટર્ન મળતું હોવાનું જોવા મળે છે. પરંતુ જોખમ પણ તેટલું જ વધુ હોય છે. છતાં બજારની અટકળોથી ભરેલી સપાટી નીચે કેટલાક ઓછા જાણીતા સ્મોલકૅપ એવા હોય છે જે સ્માર્ટ રોકાણકારો માટે સકારાત્મક સંકેત બને છે. આ કંપનીઓ સામાન્ય રીતે દેવું લઈને આગળ વધતી નથી. તેમ જ તે જે સેક્ટરની કંપની છે ત સેક્ટરમાં આવતા ઊછાળા પર આધાર રાખતી નથી. તેની જગ્યાએ તેઓ ખૂબ કાર્યક્ષમ રીતે કામ કરીને મૂડીના દરેક રૂપિયા પરથી મજબૂત નફો કમાય છે અને શેરહોલ્ડરોને ડિવિડન્ડ દ્વારા નિયમિત આવક આપે છે. આ કેટેગરીમાં ફિટ બેસે તેવી બે સ્મોલકૅપ કંપનીઓએ નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ નવ મહિનામાં જ નાણાકીય વર્ષ 2024-25ના નફાથી વધુ નફો નવ જ માસમાં કરી લીધો છે. આ બે કંપનીઓનો ROCE 50 ટકા છે. તેમ જ ડિવિડંડ આપીને શક્તિશાળી કેશ કમ્પાઉન્ડિંગ મશીન બની શકે છે.

આ બે કંપનીઓમાંની એક ક્રિઝાક લિમિટેડ-Crizac Ltd છે. તેનો ROCE 48 ટકા છે. કંપનીએ તેના શેરહોલ્ડર્સને 3.5 ટકા ડિવિડન્ડ પણ આપ્યું છે. 2011માં સ્થાપિત Crizac Ltd એક એજ્યુકેશન પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ દેશોની યુનિવર્સિટીઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં મદદ કરે છે. કંપનીનું બજારમૂડીકરણ-માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ રૂ. 4,046 કરોડનું છે. આ B2B પ્લેટફોર્મ ભરતી એજન્ટોને વૈશ્વિક યુનિવર્સિટીઓ સાથે જોડે છે. ખાસ કરીને બ્રિટન, કેનેડા, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વિદ્યાર્થીઓની ભરતી માટે કાર્ય કરે છે.

ક્રિઝેક લિમિટેડનો છેલ્લા 10 વર્ષનો સરેરાશ ROCE 88 ટકા રહ્યો છે, આ ઉદ્યોગનો સરેરાશ આરઓસીઈ લગભગ 28 ટકા છે. આમ કંપની રૂ.100 મૂડીમાંથી રૂ. 88 નફો મેળવે છે. હાલમાં ROCE લગભગ 48 ટકાનો છે. તેની સામે આ ઉદ્યોગનો આરઓસીઈ 19 ટકા જ છે. કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો લગભગ શૂન્ય જ છે. આમ ક્રિઝેક લિમિટેડ સંપૂર્ણપણે દેવા મુક્ત કંપની છે. છેલ્લા 12 મહિનામાં કંપનીએ શેરદીઠ રૂ.8નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

કંપનીનું નાણાકીય પ્રદર્શન

  • નાણાંકીય વર્ષ 2020-21માં વેચાણ રૂ. 111 કરોડનું હતું, તે 2024-25માં વધીને રૂ. 849 કરોડ થયું હતું. આમ તેમાં 66 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
  • 2025-26ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન વેચાણ રૂ. 651 કરોડ રહ્યું હતું.
  • EBITDA રૂ. 27 કરોડથી વધીને રૂ. 213 કરોડ થઈ છે.
  • 2025-26 ત્રીજા ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં કંપનીનો વેરા પૂર્વેનો નફો-EBITDA રૂ.190 કરોડ હતો.
  • નેટ પ્રોફિટ 2020-21માં રૂ. 21 કરોડ હતો તે 2024-25માં વધીને રૂ. 153 કરોડ થઈ ગયો છે. આ જ રીતે 2025-26ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફો વધીને રૂ. 145 કરોડનો વળોટી ગયો છે.

જુલાઈ 2025માં લિસ્ટિંગ સમયે શેર ભાવ લગભગ રૂ. 305 હતો, જ્યારે 4 માર્ચ 2026ના શેરનો ભાવ ઘટીને રૂ. 231 પર આવી ગયો હતો. આમ સારા પરિણામ પછીય કંપનીના શેરના ભાવમાં લગભગ 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં કંપનીનો શેર બાવન અઠવાડિયાના સર્વોચ્ચ ભાવ રૂ. 388 કરતા લગભગ 40 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.

શેર ભાવ કેમ ઘટ્યો?

મુખ્ય કારણ છે ભૌગોલિક જોખમ. કંપનીનો લગભગ 90 ટકા બિઝનેસ બ્રિટનમાંથી આવે છે. બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા નિયમો કડક થતા રોકાણકારો ચિંતિત છે. ઉપરાંત પબ્લિક ઇશ્યૂ ઊંચા મૂલ્યાંકન પર આવ્યું હોવાથી બજારે હવે આ શેરનું નવેસરથી મૂલ્યાંકન કર્યું છે. હાલમાં કંપનીનો PE લગભગ 21 છે, જે ઉદ્યોગના મધ્યમ જેટલો છે.

મલ્ટીબેગર બનવાની ક્ષમતા ધરાવતી બીજી કંપની સ્વરાજ એન્જિન્સ લિમિટેડ-Swaraj Engines Ltd છે. એન્જિન મજબૂત બિઝનેસ કરી રહેલી આ કંપની છે. કંપનીની સ્થાપના 1985માં કરવામાં આવેલી છે. Swaraj Engines ટ્રેક્ટરો માટે 22 HPથી વધુ અને 65 HP સુધીના ડીઝલ એન્જિન બનાવે છે. કંપનીનો માર્કેટ કેપ લગભગ રૂ. 4,221 કરોડ છે. 2007માં Mahindra & Mahindra એ પંજાબ ટ્રેક્ટર્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યા પછી Swaraj બ્રાન્ડને તેની Farm Division સાથે જોડી દીધી હતી. છેલ્લા 10 વર્ષમાં કંપનીનો ROCE લગભગ 47 ટકા રહ્યો છે. તેની સામે ઉદ્યોગનો સરેરાશ આર.ઓ.સી.ઈ. 19 ટકા છે. કંપનીનો હાલનો ROCE લગભગ 57 ટકા છે, જ્યારે ઉદ્યોગનો સરેરાશ લગભગ 26 ટકા છે. કંપની દેવા મુક્ત છે અને હાલ ડિવિડન્ડ યિલ્ડ લગભગ 3 ટકાની છે, જ્યારે ઉદ્યોગનો સરેરાશ માત્ર 0.5 ટકા જ છે.

નાણાકીય પ્રદર્શન

  • નાણાંકીય વર્ષ 2019-20માં વેચાણ રૂ.773 કરોડ હતું, જે 2024-25માં વધીને રૂ.1,682 કરોડ થયું છે.
  • 2025-26ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન વેચાણ રૂ. 1,461 કરોડ રહ્યું છે.
  • EBITDA રૂ. 100 કરોડથી વધીને રૂ. 227 કરોડ થયો છે.
  • 2025-26ના પ્રથમ નવ મહિનામાં EBITDA રૂ.197 કરોડ નોંધાયો છે.
  • કંપનીનો નેટ પ્રોફિટ 2019-20માં રૂ. 71 કરોડ હતો તે વધીને 2024-25માં રૂ. 166 કરોડ થયો છે.
  • એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન કંપનીનો નફો રૂ. 142 કરોડ રહ્યો છે.
  • માર્ચ 2021માં કંપનીના શેરનો ભાવ રૂ. 1,425 હતો. 4 માર્ચ 2026એ તે વધીને રૂ.3,474 થઈ ગયો છે. આમ તેમાં અંદાજે 145 ટકાનો વધારો થયો છે.
  • હાલ કંપનીના શેર બાવન અઠવાડિયાના ઉચ્ચ ભાવ રૂ. 4,726 કરતા લગભગ 27 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • મૂલ્યાંકન મુજબ કંપનીનો PE લગભગ 22 છે જ્યારે ઉદ્યોગનો સરેરાશ 37 છે.

શું બંને શેર્સ મલ્ટિબેગર બની શકે?

Crizac અને Swaraj Engines રોકાણકારો માટે એક રસપ્રદ દુવિધા ઊભી કરી દીધી છે. રોકાણકારો મૂંઝાઈ રહ્યા છે કે માત્ર નાણાકીય આંકડાઓ પર વિશ્વાસ કરવો કે પછી બજારના સમાચાર પર? કાગળ પર બંને કંપનીઓની કાર્યક્ષમતા ખૂબ મજબૂત દેખાય છે. 2025-26ના માત્ર નવ મહિનામાં લગભગ આખા વર્ષ જેટલો નફો કમાઈ લેવો અને દેવું કર્યા વિના જ કાર્ય કરવું એ એક મોટી સિદ્ધિ છે.

પરંતુ સ્મોલકૅપમાં જોખમ હંમેશા રહે છે. નિયમનકારી ફેરફાર, નીતિ બદલાવ અથવા ટેક્સ વિવાદ જેવી બાહ્ય ઘટનાઓ વૃદ્ધિને અસર કરી શકે છે. આથી શિસ્તબદ્ધ રોકાણકાર માટે મુખ્ય પ્રશ્ન એ છે: હાલના ભાવમાં ઘટાડો સારો રોકાણ મોકો છે કે બજાર ભવિષ્યના જોખમોની આગાહી કરી રહ્યું છે? 2025-26 પૂરો થવા સુધીમાં ખબર પડશે કે આ કંપનીઓ આગામી મલ્ટિબેગર બનશે કે સ્મોલકૅપનું સપનું વાસ્તવિકતા સામે ટકરાશે.

 

Read Previous

અમેરિકાની મંજૂરી વિના ઇરાન નવા નેતાને પસંદ કરશે તો તે સમય બગાડ ગણાશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular