રિઝર્વ બેન્કે વિદેશથી આવેલા પેમેન્ટના નાણાં નિકાસકારના ખાતામાં તત્કાળ જમા આપવા આદેશ કર્યો

વિદેશમાંથી પેમેન્ટ આવે તેના સાત દિવસના ગાળામાં નિકાસકારને યોગ્ય એક્સચેન્જ રેટ મળે ત્યારે નિકાસકાર અમેરિકી ડૉલરનું ભારતીય રૂપિયામાં રૂપાંતર કરીને જમા લઈ લેતા હતા. આ સમગ્ર સિસ્ટમને ક્રિસ્ટલાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થા હવે વિદાય લેશે
અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઓર્ડર કરીને નિકાસકારોને પરદેશથી આવતા નાણાં જે તે દિવસે જ તેમના બેન્કખાતામાં જમા આપી દેવાની સૂચના આપતી નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રિઝર્વ બેન્કે સૂચના આપી છે કે વિદેશથી આવતી રકમ જો ફોરેક્સ માર્કેટ ચાલુ હોય તે સમય દરમિયાન પ્રાપ્ત થાય તો તે જ દિવસે ગ્રાહકના ખાતામાં જમા કરવી ફરજિયાત રહેશે. અન્યથા બીજા દિવસે તે જમા કરાવી દેવાની રહેશે.
આયાતનિકાસ, વિદેશ વેપાર અને ફોરેક્સને લગતા કાયદાના જાણકાર એસ.વી. મોદીનું કહેવું છે કે અત્યાર સુધી વિદેશમાંથી પેમેન્ટ આવે તેના સાત દિવસના ગાળામાં નિકાસકારને યોગ્ય એક્સચેન્જ રેટ મળે ત્યારે નિકાસકાર અમેરિકી ડૉલરનું ભારતીય રૂપિયામાં રૂપાંતર કરીને જમા લઈ લેતા હતા. આ સમગ્ર સિસ્ટમને ક્રિસ્ટલાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ રિઝર્વ બેન્કે નવમી એપ્રિલે પરિપત્ર કરીને વિદેશમાંથી નાણાં આવે તેવા જ નિકાસકારને તેની જાણ કરવાની અને હૂંડિયામણ વિનિમય ચાલુ હોય તો ગાળામાં નાણાં આવ્યા હોય તો તે નાણાં જે તે નિકાસકારના ખાતામાં જમા કરાવી દેવાની સૂચના ભારતની તમામ બેન્કોને આપી દીધી છે.
આ નવી માર્ગદર્શિકા રીઝર્વ બેન્કના પેમેન્ટ વિઝાન 2025 અને જી-20ના રોડમેપના હિસ્સા રૂપે બહાર પાડવામાં આવી છે. આ વ્યવસ્થા પાછળનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય લેવડદેવડને વધુ ઝડપી, સસ્તી, પારદર્શક અને સરળ બનાવવાનો છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-ફેમામાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ નિકાસકારને વિદેશથી પેમેન્ટ આવે તે જ દિવસે તેના બેન્ક એકાઉન્ટમાં તે રકમ જમા આપી દેવાની રહેશે. બેન્કોને રેમિટન્સ મળતાની સાથે જ ખાતેદારોને જાણ કરવી પડશે. જો મેસેજ બેંકિંગ સમય બાદ આવે તો બીજા દિવસે સવારે માહિતી આપવી અને નાણાં તેના ખાતામાં જમા આપવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે વિદેશથી થતાં નાણાંકીય વહેવારોમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકોમાં અનિશ્ચિતતા ઘટશે
વિદેશમાં ઉત્પાદનોની નિકાસ કર્યા બાદ પૈસા જમા લેવા માટે નિકાસકારે નોસ્ટ્રો એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. નોસ્ટ્રો એકાઉન્ટ ખોલાવ્યા વિના વિદેશમાંથી આવતા નાણાં જમા લઈ શકાતા નથી. અત્યારે બેન્કો બેન્કિંગના કામકાજ પૂરા થાય ત્યારે એટલે કે દિવસને અંતે દરેક ખાતાની મેળવણીની કામગીરી કરે છે. તેથી વિલંબ થતો હતો. હવે આ મેળવણી ખાતામાં જમા આવે અને નિકાસકારના ખાતામાં જે તે રકમ જમા આપવામાં આવે તે જ ઘડીએ મેળવણું કરી લેવાનું રહેશે. મેળવણું કરવાની કામગીરી દર એક કલાકે થઈ જવી જરૂરી છે.
રિઝર્વ બેન્કે તેને માટે સ્ટ્રેઈટ થરો પ્રોસેસિંગ-એસટીપીની સિસ્ટમને અનુસરવાની સૂચના આપી છે. આ સિસ્ટમને અનુસરવાને પરિણામે માનવીય હસ્તક્ષેપ વગર ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ શકશે. સમગ્ર પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે અને વિલંબમાં ઘટાડો થશે.
આ વ્યવસ્થા લાગુ કરવા માટે બેન્કોને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમ જ નિકાસકારો કે ખાતેદારો જાણી શકે તે માટે રેમિટન્સ ટ્રેકિંગ સિસ્ટમ ચાલુ કરવા, રિયલ-ટાઈમ સ્ટેટસ અપડેટ કરવા, તેમ જ તેન લગતા ડોક્યુમેન્ટ રજૂ કરવા માટેની ઓનલાઈન સુવિધા આપવી જરૂરી છે.
આ નવા નિયમો જાહેર થયાના 6 મહિનાની અંદર અમલમાં આવશે, જેથી બેંકો પોતાની સિસ્ટમ અપગ્રેડ કરી શકે. આ માર્ગદર્શિકા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007હેઠળ જાહેર કરવામાં આવી છે.
અર્થતંત્ર પર અસર
ભારત માટે વિદેશી રકમ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય પેમેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે. આ સંજોગોમાં રિઝર્વ બેન્કના આ નિર્ણયને પરિણામે નિકાસકારોના ટ્રાન્ઝેક્શન ઝડપ વધાશે. પારદર્શિતા સુધારશે. તેમ જ વિશ્વસનીયતા વધશે. આ વ્યવસ્થાથી લાખો નિકાસકારોને અને તેમના બિઝનેસને ફાયદો પણ થશે.



