• 11 April, 2026 - 5:34 PM

નવા મજૂર કાયદા હેઠળ લાંબી નોકરી કરનારાઓને 50 ટકા ગ્રેચ્યુઈટી વધુ મળવાની સંભાવના

ફિક્સ્ડ મુદતના કર્માચારીએ એક વર્ષની નોકરી કરી હશે તો પણ તે કર્મચારીને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકશે

નવા મજૂર કાયદાઓને પરિણામે રોજગાર, કાર્યસ્થળની નીતિઓ અને પગારની વ્યવસ્થામાં મોટા ફેરફારો આવી ગયા છે. આ નવા નિયમોના કારણે ગ્રેચ્યુઇટીના નિયમોમાં પણ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે, જે કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંનેને અસર કરશે.

નવા મજૂર કાયદાઓ હેઠળ સૌથી મોટો ફેરફાર પગારની નવી વ્યાખ્યા કરવામાં આવી હોવાથી ગ્રેચ્યુઇટીની ગણતરી પર સીધી અસર પડશે. ગ્રેચ્યુઈટીની ચુકવણીમાં તેનાથી વધારો થઈ શકે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નવા નિયમો 21 નવેમ્બર 2025 પછીથી લાગુ પડશે. તેનાથી પહેલાના સમયગાળા માટે લાગુ પડશે નહિ.

ગ્રેચ્યુઇટી માટેની મૂળ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. નિયમિત કર્મચારીઓને 5 વર્ષ સતત સેવા પછી ગ્રેચ્યુઇટી મળશે. નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ, અશક્તતા જેવા કારણોમાં પાંચ વર્ષ પૂરા ન થયા હોય તો પણ ગ્રેચ્યુઇટી ચૂકવવાનો નિયમ છે. ગ્રેચ્યુઈટીની ગણતરીની પદ્ધતિ પૂર્વવત જ છે. એક વર્ષના 15 દિવસ પ્રમાણે પાંચ વર્ષની નોકરી માટે અઢી પગાર જેટલી ગ્રેચ્યુઈટી ચૂકવવાની થાય છે.

ગ્રેચ્યુઈટી ગણવાની પદ્ધતિની વાત કરીએ તો છેલ્લો પગાર × 15/26 × પૂર્ણ થયેલા સેવા વર્ષોને આધારે ત્રિરાશી માંડવામાં આવે છે. છેલ્લો પગાર, મોંઘવારી ભથ્થા, તથા રિટેઈનિંગ એલાવ્સ મળીને કુલ પગારના 50 ટકા થાય તે રીતે તથા નોકરીના વર્ષને પણ ધ્યાનમાં લઈને ગ્રેચ્યુઈટીની ગણતરી કરવામાં આવશે. ગ્રેચ્યુઈટી ગણવા માટેના પગારમાંથી હાઉસ રેન્ટ અલાઉન્સ, કન્વેયન્સ એલાવન્સ, બોનસ અને કમિશન જેવા ઘટકોને બહાર રાખવામાં આવ્યા છે. છતાં, કાયદામાં એક મહત્વપૂર્ણ જોગવાઈ છે કે જો આ રીતે બહાર રાખેલા ઘટકો કુલ વેતનના 50 ટકા કરતા વધારે હોય તો તેવા સંજોગોમાં વધારાનો ભાગ ફરીથી વેતનમાં ઉમેરવો પડશે. પચાસ-50 ટકાનો આ નિયમ સુધારાનો સૌથી મહત્વપૂર્ણ અને અસરકારક હિસ્સો છે, એમ એડવોકેટ અને લેબર લો કન્સલ્ટન્ટ  શરદ જૈનનું કહેવું છે.

ભથ્થાનો હિસ્સો 50 ટકાથી વધારે હશે તો તે વધારાનો હિસ્સો પગારમાં ઉમેરીને પછી ગ્રેચ્યુઈટી ગણવામાં આવશે. આમ ગ્રેચ્યુઈટીની ગણતરી માટેની મૂળ રકમમાં અને તેને પરિણામે ગ્રેચ્યુઈટીની રકમમાં વધારો થઈ જશે. તેથી દસ વીસ કે પચ્ચીસ વર્ષથી સેવા કરનારા કર્મચારીઓને મળનારી ગ્રેચ્યુઈટીની રકમમાં 20 ટકાથી માંડીને 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

નવી વ્યવસ્થાને કારણે નિશ્ચિત મુદત માટે કામ કરનારા કર્મચારીઓને માટે મોટો લાભ મળી શકે છે. કારણ કે નવા કાયદા અને નિયમ મુજબ હવે ફિક્સ્ડ ટર્મના કર્મચારીઓને પણ ગ્રેચ્યુઇટી માટે પાત્ર ગણવામાં આવશે. જોકે તેમણે ઓછામાં ઓછા એક વર્ષની સેવા પૂરી કરેલી હોવી જરૂરી છે. તેમને ગ્રેચ્યુઈટીની ચૂકવણી તેમની સેવાના કાર્યકાળને આધારે કરવામાં આવશે. ફિક્સ્ડ ટર્મના કર્મચારીઓનો કાર્યકાલ 1 વર્ષથી છો એટલે કે આઠ, દસ કે અગિયાર મહિના હોય તો તેવા સંજોગોમાં તેમને ગ્રેચ્યુઈટી મળી શકશે નહિ.

30 દિવસમાં ગ્રેચ્યુઈટી ચુકવવી ફરજિયાત: કર્મચારીને ગ્રેચ્યુઇટી 30 દિવસની અંદર ચૂકવવી ફરજિયાત કરી દેવામાં આવી છે. આ ચૂકવણી કરવાની જવાબદારી કંપનીના માલિકની છે.

નવા નિયમોનો કર્મચારીઓ અને કંપનીઓ માટે શું અર્થ?

નવા કાયદાને કારણે કર્મચારીઓ માટે વધુ ન્યાયપૂર્ણ પગાર માળખું ઊભું થશે. તેમને વધુ ગ્રેચ્યુઇટી લાભ મળશે. ફિક્સ્ડ ટર્મના કર્મચારીઓની પણ એક વર્ષની સેવા હશે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળશે. નવા મજૂર કાયદાઓને પરિણામે કંપનીઓના ખર્ચમાં વધારો થશે. પગારના માળખાને નવેસરથી તૈયાર કરવાની ફરજ પડશે. કંપનીઓ માટે નિયમોનું પાલન કરવું વધુ કડક બનશે.

એડવોકેટ અને લેબર લો કન્સલ્ટન્ટ  શરદ જૈનનું કહેવું છે કે વેતનની નવી વ્યાખ્યા ઉદ્યોગ માટે ખર્ચના બોજમાં વધારો કરાવશે. ભારતમાં મજૂરો માટેના કાયદા સુધારાઓની વ્યવસ્થા હેઠળ અમલમાં આવેલી પગાર સંહિતા 2019 અને સામાજિક સલામતી માટેની સંહિતા 2020 સરળતા અને એકરૂપતા લાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ વેતનની નવી વ્યાખ્યાએ ઉદ્યોગ જગતમાં નાણાકીય અને પાલન સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો સર્જવાના સંકેતો આપ્યા છે. નવા નિયમોનો મુખ્ય આધાર હવે વિવિધ શ્રમ કાયદાઓ માટે વેતનની એકરૂપ વ્યાખ્યા અપનાવવામાં આવી છે.

જૂની સિસ્ટમમાં ઉદ્યોગો પગારના માળખાને સ્થિતિ સ્થાપક રાખીને મૂળ વેતનને ઓછું રાખવાનો પ્રયાસ કરતા હતા. આ પ્રથા સામાન્ય હતી, તેથી કાયદેસર યોગદાન ઓછું થઈ જતું હતું. હવે આ નવી જોગવાઈએ પગાર માળખાની જૂની આવી પદ્ધતિઓને નિયંત્રિત કરી છે, તેને કારણે વધુ ભાગ વેતન તરીકે ગણવામાં આવશે।

આ ફેરફારની સીધી અસર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ તથા મિસસેલનિયસ પ્રોવિઝન એક્ટ 1952ની જોગવાઈ હેઠળ મળતા પ્રોવિડન્ટ ફંડના લાભોમાં જોવા મળશે. પ્રોવિડન્ટ ફંડ માટેની ગણતરી હવે વધારેલા વેતન પર થશે, જેના કારણે નોકરીદાતાનો ખર્ચ વધશે અને કર્મચારીઓના હાથે મળતા પગારમાં ઘટાડો થઈ શકે છે. આ બદલાવ ન્યાયાલયના તાજેતરના ચુકાદાઓ સાથે પણ સુસંગત છે, જેમાં પગારના કૃત્રિમ વિભાજનને નિરોત્સાહિત કરવામાં આવ્યું છે।

આ જ રીતે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હેઠળ મળતા લાભ પર પણ તેની અસર પડતી જોવા મળશે. વધારેલા વેતનના કારણે વધુ કર્મચારીઓ રૂ. 21,000ની મર્યાદામાં આવી શકે છે, જેના કારણે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ હેઠળ આવરી લેવાતા કર્મચારીઓની સંખ્યા વધશે. આથી કર્મચારીઓને વધુ સામાજિક સુરક્ષા મળશે, પરંતુ નોકરીદાતાઓ માટે પાલનનો ભાર પણ વધશે. નવા કાયદાને પરિણામે કર્મચારીઓને મળતા બોનસની ચુકવણીમાં પણ વધારો થશે.

નવા નિયમોની મોટા ઉદ્યોગો પર બહુ મોટી અસર આવશે નહિ. પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે આ પડકારજનક બની શકે છે. પગારની રચનામાં લવચીકતા ઘટશે અને સ્થિર ખર્ચમાં વધારો થશે. છતાં નવા સુધારાના ખાસ્સા પોઝિટિવ પાસાં પણ છે. હવે ઉદ્યોગોએ માત્ર ટૂંકાગાળાના ફેરફારો સુધી સીમિત ન રહેવું જોઈએ, પરંતુ પોતાના પગારના માળખા, રોજગારી માટેના કરારો અને માનવ સંસાધન માટેન નીતિઓમાં વ્યાપક સુધારા કરવો પડશે.  તમામ ભથ્થાઓ યોગ્ય, નીતિઆધારિત અને સમાન રીતે આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. આગામી સમયમાં કાયદાના અમલમાં કડકાઈ વધવાની શક્યતા છે, ખાસ કરીને ડિજિટલ સિસ્ટમોના વધતા ઉપયોગને કારણે. તેથી પાલનમાં ભૂલ થાય તો દંડ અને પ્રતિષ્ઠાને નુકસાન બંનેનો સામનો કરવો પડી શકે છે।

Read Previous

સરકારે કાર્બન ઉત્સર્જન નિયમોમાં રાહત આપી, પણ ઓટોમેકર્સને EV-હાઇબ્રિડ વાહનો બનાવવા તરફ ધકેલ્યા  

Read Next

સેબીએ શેરબજારમાં ચાલતી પોન્ઝી સ્કીમ જેવું નેટવર્કનો પર્દાફાશ કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular