હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે

સરકારે બાકી વેરો ભરાય તેની રાહ જોવી પડશે નહિ અને રિફંડની રકમ પરત ખાતામાં જમા કરાવનાની જફામાંથી આવકવેરા કચેરીને મુક્તિ મળી જશે.
અમદાવાદ,બુધવારઃ નવા ફાઈનાન્સ એક્ટ 2026માં કરવામાં આવેલી નવી જોગવાઈને પરિણામે કરદાતાના બાકી વેરાની રકમ સામે રિફંડની રકમ સીધી એડજસ્ટ જ કરી લેવામાં આવશે. આમ સરકારે બાકી વેરો ભરાય તેની રાહ જોવી પડશે નહિ અને રિફંડની રકમ પરત ખાતામાં જમા કરાવનાની જફામાંથી આવકવેરા કચેરીને મુક્તિ મળી જશે.

નવી ફાઇનાન્સ એક્ટ 2026 અને નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અનુસાર પહેલી એપ્રિલ 2026થી ટેક્સ રિફંડ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે આવકવેરા ધારા 1961ની જોગવાઈ હેઠળ કરદાતાઓ જૂના કોઈ વર્ષનો આવકવેરો ભરવાનો બાકી હોય અને તેને નામે બાકી ડિમાન્ડ હોય તો તેવા કિસ્સામાં તેના રિફંડની રકમને બાકી રકમ સામે એડજસ્ટ કરી લેવામાં આવે છે.
આવકવેરા ધારો 2025 તૈયાર કરવામાં આવ્યો અને સંસદમાં રજૂ કરવામાં આવ્યો તેમાં લખવામાં આવ્યું હતું કે નવા વર્ષની ટેક્સ રિફંડની રકમને આવકવેરા ધારા 2025માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે એડજસ્ટ કરવામાં આવશે. પરંતુ જૂના અને નવા ટેક્સ હેઠળ એડજસ્ટમેન્ટ કરવામાં મુશ્કેલી પડે તેમ હોવાથી અને તેમાં બે અલગ અલગ રીતે રિફંડ કરવાની જવાબદારી આવતી હોવાથી 2025-26ના વર્ષનું બજેટ સંસદમાંથી પસાર કરાવતી વખતે એટલે કે છેલ્લી ઘડીએ તેમાં નવા સુધારાઓ કરવામાં આવ્યા હતા.
નવી જોગવાઈ પ્રમાણે 2021-22 કે 2022-23ના વર્ષની ડિમાન્ડને એડજસ્ટ કરવી મુશ્કેલ બની જતી હતી. તેમ કરવાથી જૂની ડિમાન્ડને એડજસ્ટ કરી શકાય તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. રિફંડની રકમ પર છ ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.હવે ટેક્સ રિફંડ અથવા બાકી રકમ પર મળતું વ્યાજ નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 મુજબ ગણવામાં આવશે, ભલે તે વ્યાજ અગાઉના વર્ષનું એટલે કે 2025-26 અથવા તે પહેલાંના વરસોનું હોય તો પણ તેની ગણતરી 2025ના નિયમ મુજબ જ કરવામાં આવશે. આમ જૂના કાયદા મુજબ નહીં પરંતુ નવા કાયદા મુજબ વ્યાજની ગણતરી થશે.
નવી જોગવાઈને પરિણામે આવકવેરાની સિસ્ટમ વધુ સરળ અને એકરૂપ બનશે. જૂના અને નવા કાયદા વચ્ચેના ગૂંચવણ ઘટી જશે. ટેક્સપેયર્સને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં સાવચેત રહેવું પડશે



