NCLT દ્વારા રિઝોલ્યુશન પ્લાન મંજૂરીમાં વિલંબ મુદ્દે સુપ્રીમે સુઓ મોટો પિટીશન કરી

વિલંબ થવાને પરિણામે સમગ્ર વ્યવસ્થા જ પડી ભાંગે તેવી દહેશત સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથેને વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે બુધવારે કંપનીઓના ઇન્સોલ્વન્સી કેસોમાં રિઝોલ્યુશન પ્લાન મંજૂરીમાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી રહેલા વિલંબ માટે સુઓ મોટો પિટીશન કરીને કેસમાં હસ્તક્ષેપ કરવાનું પગલું લીધું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાઓ અને કે.વી. વિશ્વનાથનની ડિવિઝન બેન્ચે ચેતવણી આપી છે કે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલી આ સ્થિતિ ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ-2016-આઈબીસીની રચના પાછળના મૂળ હેતુને જ નિષ્ફળ બનાવી શકે છે.
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે અમે જાહેર હિતમાં સુઓ મોટો અરજી દાખલ કરી રહ્યા છીએ. આ મુદ્દાઓને યુદ્ધના ધોરણે ઉકેલવાની જરૂર છે, નહીં તો IBC નો હેતુ નિષ્ફળ જશે. સુપ્રીમ કોર્ટે મામલો આગળની કાર્યવાહી માટે સૂર્ય કાન્ત સમક્ષ મૂકવાનો આદેશ આપ્યો છે.
ચિંતાજનક આંકડા
NCLTના પ્રિન્સિપલ બેન્ચના રજીસ્ટ્રારના રિપોર્ટ મુજબ કુલ 383 રિઝોલ્યુશન પ્લાન મંજૂરી અરજીઓ પેન્ડિંગ છે તેમાં 48 દિવસથી લઈને 738 દિવસ સુધીનો વિલંબ થયો છે. કેટલાક કેસોમાં 4 વર્ષ સુધીનો વિલંબ થયેલો છે. આમ સ્થિતિ અત્યંત ગંભીર અને નિરાશાજનક છે.
વિલંબના કારણોમાં ઊંડા ઉતરતા કોર્ટે જણાવ્યું છે કે માળખાકીય સુવિધાનો અભાવ તેને માટે જવાપદાર છે. તેમ જ બેન્ચમાં વારંવાર ફેરફાર, જેના કારણે અડધા દિવસની સુનાવણી જ થાય છે. તેમ જ સ્ટેકહોલ્ડર્સ દ્વારા મોટી સંખ્યામાં ઓબ્જેક્શન લેવામાં આવતો હોવાથી પણ વિલંબ થઈ રહ્યો છે. કેસના સંદર્ભમાં આપવામાં આવતા વચગાળાના આદેશ-ઇન્ટરિમ ઓર્ડરનો ઓછો ઉપયોગ કરવામાં આવતો હોવાથી પણ વિલંબ થઈ રહ્યો છે.
અગાઉની સુનાવણીનો સંદર્ભમાં પણ કેટલાક વિવાદો થયા છે. આ મુદ્દો પહેલા પણ એપ્રિલમાં એ.વી.આઈ. ડેવલપર્સના કેસ દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો. 16 એપ્રિલે સુપ્રીમ કોર્ટએ એનસીએલટીના વિલંબને ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો અને જણાવ્યું હતુ કે કેટલાક કેસોમાં કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા મંજૂર કરી દેવામાં આવેલા પ્લાન બે વર્ષથી વધુ સમય સુધી અટકેલા છે. કોર્ટે એનસીએલટીને દેશભરના આંકડા રજૂ કરવા કહ્યું હતું અને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાને પણ આ પ્રક્રિયામાં જોડ્યું હતું.
સ્ટાફ અને સમગ્ર બેન્ચની રચનાની સમસ્યા પણ છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે એનસીએલટીમાં કુલ મંજૂર થયેલી જગ્યા 63ની છે. તેની સામે હાલમાં કાર્યરત જ્યુડિશિયલ સભ્યોને સંખ્યા માત્ર 28ની જ છે. તેની સાથે 26 ટેકનિકલ સભ્યો છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે 10 સભ્યોની ગંભીર અછત છે, જેના કારણે કેસ સમયસર નિકાલમાં મુશ્કેલી થાય છે..
ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાએ વધુમાં કહ્યું હતુ કે રજીસ્ટ્રારની પોસ્ટ કોન્ટ્રાક્ટ આધારિત છે. મોટા ભાગના સ્ટાફ પણ તાત્કાલિક નિમણૂક પર છે. પગાર અને ભથ્થાં ચૂકવણી મુદ્દાઓ પણ સામે આવ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટ આઈબીસીની પ્રક્રિયાની સમયમર્યાદા જાળવવા માટે ગંભીર છે. જો વિલંબ ચાલુ રહેશે તો તણાવ હેઠળની કંપનીઓને-ડિસ્ટ્રેસ્ડ કંપનીઓને ફરીથી ધબકતી કરવાની કાર્યવાહીમાં મોડું થશે. તેથી કંપનીઓમાંનો રોકાણકારોનો વિશ્વાસ ઘટશે. સમગ્ર ઇન્સોલ્વન્સી સિસ્ટમ પર અસર પડશે. આ સુઓ મોટે કેસ ઇન્સોલ્વન્સી સિસ્ટમમાં સુધારા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.



