માર્ચ મહિનાથી સલ્ફરની બેફામ નિકાસ થતાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તકલીફમાં

કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગના ઉત્પાદનો ખોરવાઈ ગયાઃ સલ્ફ્યુરિક એસિડના ભાવ રૃા. ૩૬૦૦૦થી ૧૯૫ ટકા વધી આઠ મહિનામાંરૃા. ૧.૦૪ લાખ થઈ ગયાઃ માસિક ૩ લાખ ટનની અછત
ડાયાબિટીસ, એન્ટિબાયોટિક્સ, પેપ્ટિક અલ્સરની દવાઓની લાંબા ગાળે અછત ઊભી થઈ શકે
માર્ચ મહિનાથી ભારતના મોટા ઉદ્યોગોએ સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડની આડેધડ નિકાસ કરી દેતા આજે ગુજરાત અને ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગોના ઉત્પાદન ઠપ થવા માંડયા છે. કેમિકલ માર્કેટમાં ડાઈઝ બનાવવામાં અને ફાર્માસ્યૂટિકલ માર્કેટમાં ડાયાબિટીસ સહિતની જીવનાવશ્યક દવાઓ બનાવવામાં તકલીફ પડી રહી છે. બીજીતરફ સલ્ફરના ભાવ છેલ્લા આઠ મહિનામાં ટનદીઠ રુ. ૩૬૦૦૦થી વધીને રૃા. ૧.૦૪ લાખને આંબી ગયા છે. સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવમાં નિરંકુશ વધારો થઈ રહ્યો હોવાથી ભારતના રાસાયણિક ખાતર, કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સની અછત સર્જાવાની ભીતિ વધી ગઈ છે.
દેશમાં બનતી હજારો એન્ટિબાયોટિક્સ દવાઓના ઉત્પાદન પર પણ બ્રેક લાગી જાય કે ઉત્પાદન ઓછું થઈ જાય તેવી સંભાવના રહેલી છે. પરિણામે સરકાર તેની નિકાસ પર સત્વર નિયત્રણ લાવે તેવી માગણી ઉદ્યોગો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર તરફથી નક્કર પગલાં ન લેવામાં આવે તો ડાયાબિટીસ, એન્ટિબાયોટિક્સ, પેપ્ટિક અલ્સરની દવાઓની લાંબા ગાળે અછત ઊભી થઈ શકે છે, એમ કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીઝના જાણકાર શૈલેશ પટવારીનું કહેવું છે.
હવે સરકાર સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડની નિકાસ ઘટાડવાના પગલાં નહિ લે તો આગામી દિવસો ફાર્માસ્યૂટિકલ અને કેમિકલ તથા રાસાયણિક ખાતર ઉદ્યોગ માટે કઠિન બની જવાની શક્યતા હોવાનું જાણકારોનું કહેવું છે. સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડમાંથી દવા અને ઇન્ટરમિડિયેટ્સ અને રાસાયણિક ખાતર જેવા મૂલ્ય વર્ધિત ઉત્પાદનો તૈયાર થાય છે. આ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો તૈયાર કરીને તેમાંથી આવક કરવાની તક ભારતના ઉત્પાદકોએ ગુમાવી દીધી છે. દરેક લાઈફ સેવિંગ ડ્રગ્સ બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. હવે તેની દર મહિને ૩ લાખ ટનની અછત ઊભી થઈ ગઈ છે. દરેક ઇન્ટરમિડિયેટ્સ બનાવવા માટે પણ સલ્ફ્યુરિક એસિડ વપરાય જ છે.
ઉદ્યોગોને જોઈતા કાચા માલની જ નિકાસ થઈ જતાં સ્થાનિક ઉદ્યોગોના ઉત્પાદન મંદ પડીને બંધ થવા માંડયા છે. પરિણામે બેરોજગારીની સમસ્યા પણ મોઢું ફાડીને અનેક નોકરીઓને આહિયા કરી જવા તત્પર બની ચૂકી છે. સલ્ફ્યુરિક એસિડની અછતને કારણે કેમિકલ ફેક્ટરીઓ બંધ થવા માંડી છે. તેથી કામદારો નોકરી ગુમાવવા માંડયા છે. કેમિકલમાંથી દરેક પ્રકારના ઇન્ટરમિડિયેટ્સ બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડની જરૃર પડે જ છે.


