• 3 June, 2026 - 12:09 AM

બિલ્ડરોની સમસ્યા સરકાર ન ઉકેલે તો ૩૦ જૂનથી મિલકતના ભાવમાં ૨૦ ટકાનો વધારો થશે

બાંધકામના મજૂરોને ચૂકવાતા નાણાં પરનો જીએસટી સરકાર ઘટાડેઃ ટીપી સ્કીમમાં કરાતા ૪૦ ટકાની કપાત ઘટાડી આપે

સમગ્ર ગુજરાત અને ભારતના બિલ્ડરોને એક થવા માટે નારડેકોનું આવાહન

ટી.પી.માં આડેધડ કરાતી 40 ટકાની કપાત ઘટાડીને સરકાર 10 ટકા કરી આપેઃ ટીપી મંજૂર કરવામાં સરકાર દ્વારા કરાતો દસ દસ વર્ષનો વિલંબ અસહ્ય

અમદાવાદઃ ભારતના જીડીપીમાં સાડા સાત ટકાનો ફાળો આપતા બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી ૩૦મી જૂનથી દરેક કેટેગરીના બાંધકામની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો કરવાની ફરજ પડશે. પરિણામે  અત્યારે ૩૮ વર્ષની બચત પછી ફ્લેટ લઈ શકનારાઓ મધ્યમ વર્ગના લોકો માટે ફ્લેટ લેવા અત્યંત કઠિન બની જશે. આવનારા વરસોમાં ૪૦થી ૪૫ વર્ષની બચત પછી મધ્યમ વર્ગના લોકો  ઘર ખરીદી શકશે. આ સ્થિતિ ન આવે તે માટે સરકારે બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓને સત્વર ઉકેલ લાવવો જોઈએ, એવી આજે નારડેકોના સભાસદ બિલ્ડરો અને હોદ્દેદારોએ માગણી કરી છે.

આજે અમદાવાદમાં યોજાયેલી નારડેકોના સભાસદોની એક બેઠકમાં અંદાજે 500 માણસોને સંબોધન કરતાં ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું  હતું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ, ગ્લાસ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં ૨૦થી માંડીન ે૪૦ ટકા જેટલો વધારો થઈ ગયો હોવાથી તેમની પાસે મિલકતના વેચાણ ભાવ વધારવા સિવાય કોઈ જ  ચારો ન હોવાનું જણાવ્યું હતું. આ જ કારણોસર અત્યારે બાંધકામ માટેના ચાલુ પ્રોજેક્ટ વાયેબલ ન રહ્યા હોવાથી તેમને માટે પ્રોજેક્ટ આગળ ધપાવવા કઠિન બની ગયા છે.

બાંધકામ ઉદ્યોગના શ્રમિકોને કરવામાં આવતી ચૂકવણી પર લેવામાં આવતો ૧૮ ટકાનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડીને ૫ ટકા કે પછી શૂન્ય ટકા કરી દેવાની માગણી કરવામાં આવી હતી. સરકારે લેબર સેસના એકત્રિત કરેલા રૃા. ૬૭૦૦ કરોડમાંથી હજી ૫૦૦ કરોડ પણ વપરાયા નથી. આ પૈસા ન વપરાય ત્યાં સુધી લેબર સેસ લેવાનું બાકી રાખવી જોઈએ.

બીજું, ટી.પી જાહેર કરવામાં દસ દસ વરસનો કરાતો વિલંબ ન થવો જોઈએ તેમ જ ટીપી સ્કીમમાં કરવામાં આવતી કપાત ૪૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવાની માગણી કરવામાં આવી છે. નાના શહેરોમાં ૨૦ ટકા કપાતનો નિયમ હતો તે પણ બદલીને ૪૦ ટકા કરી દેવાનો નિર્ણય અનુચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું.  મંદીનો સમય હોય ત્યારે કપાતની ટકાવારી ઘટાડીને ૧૦ ટકા કરી દેવી જોઈએ. આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે દરેક બિલ્ડરોએ એકજૂઠ થવું જોઈએ. તેના સિવાય કોઈ વિકલ્પ જ નથી. એક બે જણની રજૂઆથી દહાડો વળવાનો નથી. સામુહિક રજૂઆત જ સરકાર પર દબાણ ઊભું કરી શકશે.

અત્યારે આપવામાં આવતી ૨.૭ની એફએસઆઈ વધારીને ૪ની કરી આપવી જોઈએ. બિલ્ડર કે પ્રોજેક્ટ ડેવલપરને આપવામાં આવતી એફએસઆઈ છેલ્લે ૧.૨થી ૧.૮ની જ થઈ જાય છે. આ બધાંમાં ઉદારતા દાખવશે તો મિલકતના ભાવ વધતા અટકાવી શકાશે. એફએસઆઈ ઓછી આપવા માટ ેતેઓ માળખાકીય સુવિધા પૂરી ન હોવાના કારણ આગળ કરે છે, પરંતુ માળખાકીય સુવિધા ન હોવા છતાંય પેઈડ એફએસઆઈ આપવામાં તેમને કોઈ જ છોછ નડતો નથી. આ બેવડા ધોરણો અધિકારીઓ બંધ કરી દેવા જોઈએ. બીજીતરફ ડેવલપમેન્ટ પ્લાન પણ જાહેર કરવામાં બહુ જ વિલંબ કરવામાં આવી રહ્યો છે.  તેનાથી બિલ્ડર ડેવલપર્સને બહુ જ નુકસાન થઈ રહ્યું હોવાનું તેમનું કહેવું છે.

 

Read Previous

માર્ચ મહિનાથી સલ્ફરની બેફામ નિકાસ થતાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તકલીફમાં

Most Popular