બ્રાન્ડે-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટની લાલચ આપી દરદીઓને લૂંટી રહેલી કંપનીઓ, હોલસેલર્સ અને કેમિસ્ટ્સ

- પેકિંગ પર બેફામ કિંમત છાપી બિચારા બાપડાં દરદીઓને ખંખેરતા દવાનો વેપારીઓઃ
- બ્લડ પ્રેશરની દવા બાયોઝોસિન 5એક્સએલ કેમિસ્ટ તેના પર છાપેલી એમઆરપીથી વેચે તો તેનો કુલ નફો 1250 ટકા થાય
- દવા કંપની, હોલસેલર ને કેમિસ્ટના માર્જિન સાથે રૂ. 22માં સપ્લાય કરવામાં આવતી દવા પર મહત્તમ છૂટક કિંમત રૂ. 301ની છાપેલી છે
- પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રો ચાલુ કરીને લોકોને સસ્તી દવા મળે તેવા પ્રયાસ કરી રહી છે ત્યારે દવા કંપનીઓ, દવાના હોલસેલર્સ અને રિટેઈલર્સ તેમના પ્રયાસને નાકામિયાબ બનાવી રહ્યા છે
જેનરિક દવાના ભાવ નક્કી કરવા માટેની કોઈ જ ફોર્મ્યુલા ન હોવાથી તેના પર બેફામ છૂટક વેચાણ કિંમત છાપીને દવા બનાવતી કંપનીઓ, દવાના હોલસેલર્સ અને કેમિસ્ટ મળીને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. પરિણામે દવાના બજારમાં દરદીઓ લૂંટાઈ રહ્યા છે. સામાન્ય રીતે જેનરિક દવા બનાવતી કંપનીઓ તેમના ઉત્પાદન ખર્ચ સહિતના દરેક ખર્ચ ઉપર 100 ટકા માર્જિન ચઢાવીને તથા તેમાં હોલસેલર્સના 10 ટકા અને રિટેઈલર્સના 20 ટકા ગણીને મન ફાવે તે મહત્તમ છૂટક કિંમત છાપી દે છે. દવાના પેકિંગ પર છાપેલી છૂટક વેચાણ કિંમત પર પર 50થી 75 ટકા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ દરદીએ વાસ્તવમાં 50થી 200 ટકા વધુ કિંમત ચૂકવી રહ્યા છે. હવે તો આ ડિસ્કાઉન્ટ પણ ન આપવાનો ગુજરાતના કેમિસ્ટોએ નિર્ણય લઈને લોકોને સાવ જ ખંખેરી લેવાનો કારસો રચ્યો છે.
વાસ્તવમાં આ મહત્તમ છૂટક કિંમત કંપનીના ઉત્પાદન ખર્ચ, હોલસેલર્સ અને રિટેઈલર્સના અનુક્રમે દસ અને વીસ ટકા નફાના માર્જિન સહિતની હોવા છતાં કેમિસ્ટને સપ્લાય કરવાના ભાવ કરતાં 300થી 1000 ટકા ઊંચી હોય છે. તેમ છતાં ચાર દિવસ પહેલા ગુજરાત અને ભારતના કેમિસ્ટોએ દવા પર કોઈ જ ડિસ્કાઉન્ટ ન આપવાની જાહેરાત કરીને નફાખોરી કરવાનો વધુ મજબૂત રસ્તો બનાવ્યો છે. વાઈબ્રન્ટ ઉદ્યોગે આ સંદર્ભમાં કેટલાક બિલ એકત્રિત કરીને હકીકતની ખરાઈ કરી છે.
એપ્રિલ 2026ના એક હોલસેલરના બિલમાં હાઈબ્લડ પ્રેશરના દરદીઓ માટે ઉપયોગમાં લેવાતી બાયોઝોસિન 5એક્સએલ દવાની સ્ટ્રીપ કેમિસ્ટને હોલસેલર અને રિટેઈલરના માર્જિન સાથે રૂ. 22માં બિલથી એટલે કે જીએસટી સાથે કેમિસ્ટને સપ્લાય કરવામાં આવે છે. પરંતુ તમને સાંભળીને આંચકો લાગશે કે તેના પર છાપેલી મહત્તમ છૂટક કિંમત રૂ. 301 છે. આ સંજોગમાં કેમિસ્ટોએ લીધેલા નિર્ણય મુજબ તેના પર રિબેટ ન આપવામાં આવે અને મહત્તમ છૂટક કિંમતથી જ વેચવામાં આવે તો રિટેઈલ કેમિસ્ટને તેના પર રૂ.279નો નફો મળે છે. આ નફો 1250 ટકા છે.
શરીરના કોઈપણ અવયવ પર આવલા સોજા અને દુઃખાવાની સારવાર માટે વપરાતી દવા ચાયમોથલ ફોર્ટેની સ્ટ્રીપ પર દવાની કંપનીના 100 ટકા, હોલસેલરના 10 ટકા ને રિટેઈલરના 20 ટકા માર્જિન સાથે રૂ. 42માં 10 ગોળીને એક સ્ટ્રીપ કેમિસ્ટને સપ્લાય કરવામાં આવે છે. તેના પર મહત્તમ છૂટક કિંમત રૂ. 458ની છાપેલી છે. આમ તેના પર 900 ટકા કરતાંય વધુ ઊંચો છૂટક વેચાણ ભાવ છાપેલો છે .
માસિક બંધ થવાની ગોળી કેમિસ્ટને રૂ. 11માં વેચવામાં આવે છે. તેમાં કંપની, હોલસેલર અને રિટેઈલરનો અનુક્રમે 100 ટકા, 10 ટકા અને 20 ટકાનો નફો આવી જાય છે. તેના પર એમઆરપી રૂ. 57ની છાપેલી છે. જે કેમિસ્ટને અપાતી સપ્લાય કિંમત પર 400 ટકા વધુ મહત્તમ છૂટક કિંમત છાપેલી છે. તેમ જ જાતિય સુખ માણવા માટેની ચાર ગોળીના પેકની કેમિસ્ટને સપ્લાય કિંમત રૂ. 8 છે, પરંતુ તેના પર એમઆરપી 80ની છાપેલી છે. તેમાં 900 ટકાનો વધારો છે. હૃદયરોગની અને કોલેસ્ટ્રલની દવાઓમાં પણ 500થી 700 ટકાનો નફો ચઢાવીને મહત્તમ છૂટક કિંમત છાપવામાં આવી રહી છે.
આ પ્રકારે હજારો દવા પર બેફામ છૂટક કિંમત છપાય છે. આ સ્થિતિમાં તેના પર નફો લેવા માટે મહત્તમ છૂટક કિંમત નક્કી કરવા માટે અલગથી કાયદો બનાવવો જરૂરી છે. અત્યારે મહત્તમ છૂટક કિંમત છાપે છે તે ટેક્સ અને નફા સાથેની રકમ દર્શાવે છે. પરંતુ તે રકમ છાપવા પર કોઈ જ અંકુશ કે નિયંત્રણ નથી પ્રજા ઇચ્છે છે કે આ પ્રકાર મહત્તમ છૂટક કિંમત છાપવા પર નિયંત્રણ રાખતો કાયદો હોવો જોઈએ.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ પણ આ હકીકતને સમજીને તેમના કાર્યકાળ દરમિયાન સરકારને જેનરિક દવાઓમાં લેવાતા બેફામ નફાને અંકુશમાં રાખવા માટે પગલાં લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે આ અંગે એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ સરકારી ફાઈલમાં જ ક્યાંક ધરબાયેલો હોવાનું માનવામાં આવે છે. પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં સરકારને પણ રસ ન હોય તેવો નિર્દેશ મળે છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનઔષધી કેન્દ્ર ચાલુ કરીને લોકોને સસ્તી દવા મળે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે બીજીતરફ દવાની કંપનીઓ, દવાના હોલસેલર્સ અને દવાના રિટેઈલર્સ લોકોને બેફામ લૂંટી રહ્યા છે. દરદી બિચારો કચડાઈ રહ્યો છે અને કંપનીઓ બેફામ નફો રળી રહી છે.
કેમિસ્ટની સપ્લાયકિંમત અને છૂટક વેચાણ કિંમત વચ્ચે અધધધ1200 ટકાનો ગાળો
દવાનું નામ બીમારી કેમિસ્ટને કેમિસ્ટે ગ્રાહકને વાસ્તવિક કિંમત
સપ્લાય કિંમત વેચવાનો ભાવ કરતાં વધુ
ડાયક્લોજેસિક ટેબ્લેટ પેઈનકીલર રૂ.9.00 રૂ. 58.73 450 ટકા
ઝિન્સેટ ટેબ્લેટ એલર્જીની દવા રૂ. 4.00 રૂ. 19.73 450 ટકા
પાનસ્પેડ 40 ટેબ્લેટ એસિડિટી રૂ.13.00 રૂ. 156 1100 ટકા
આર ઝોલ ડીએસર કેપ. પાચનતંત્ર રૂ. 17.50 રૂ. 159.82 800 ટકા
ટ્રેડસ 100 કેપ્સૂલ ફંગલ ઇન્ફેક્શન રૂ.45.00 રૂ.178.08 300 ટકા
સોર જેલ મોઢાના છાલા રૂ. 10.50 રૂ.70.31 575 ટકા
કેડકેલ જોઈન્ટ રોઝ સાંધાના દુખાવા રૂ.44.00 રૂ.328 625 ટકા
સિપકલ 500 ટેબ્લેટ વિટામિન ડી-3 રૂ.18.80 રૂ.98.11 450 ટકા
ટેલિસ્ટાર એએમ હાયબ્લડપ્રેશર રૂ.13.00 રૂ.88.50 575 ટકા
લોપોક્સ ટેબ્લેટ ઝાડાની તકલીફ રૂ.88.00 રૂ. 1150 1150 ટકા
બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ વચ્ચે તફાવત
- જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 85% સુધી સસ્તી હોઈ શકે છે.
- બ્રાન્ડેડ દવાઓ બનાવવા માટે શરૂઆતમાં મોંઘા સંશોધનો કરવા પડે છે, જ્યારે જેનરિક દવાઓ તે પહેલેથી બનેલા ફોર્મ્યુલાની નકલ કરીને બનાવાય છે.
- ટ્રેડમાર્ક (કાનૂની) નિયમોના કારણે બંનેના રંગ, આકાર, કદ અને પેકિંગ અલગ-અલગ હોય છે.
- બ્રાન્ડેડ દવાઓ આકર્ષક વ્યાપારી નામનો ઉપયોગ કરે છે, જ્યારે જેનરિક દવાઓ સામાન્ય રીતે તેના મૂળ રાસાયણિક (કેમિકલ) નામથી ઓળખાય છે.
- દવામાં વપરાતા બાઈન્ડર્સ, ફિલર્સ અને ફ્લેવર (સ્વાદ/સુગંધ) બંનેમાં અલગ હોઈ શકે છે.
- બ્રાન્ડેડ ને જેનરિક દવામાં મુખ્ય ઘટક કે તત્વ અથવા બીમારી મટાડતું અસલી કેમિકલ બંનેમાં બિલકુલ એકસરખું હોય છે.
- બ્રાન્ડેડ અ જેનરિક પાવરની તાકાત-ક્ષમતા સરખી હોય છે. બંનેમાં દવાનો ડોઝ (માત્રા) સમાન હોય છે.
- બ્રાન્ડેડ અ જેનરિક બંને દવાઓએ સરકારના ગુણવત્તાના કડક નિયમોનું એકસરખું પાલન કરવાનું હોય છે.
- બ્રાન્ડેડ અને જેનરિક બંને દવાઓ શરીરમાં એકસરખી ઝડપ અને ક્ષમતાથી કામ કરે છે.
- બ્રાન્ડેડ દવા બનાવવા સંશોધ ન કરવાનો ખર્ચ કર્યો હોવાથી તેની કિંમત વધારે હોય છે
- જેનરિક દવા પેટન્ટની મુદત પૂરી થયા પછી તેના ઘટકો જાણીને બનાવવામાં આવતી હોવાથી તે બ્રાન્ડેડ કરતાં સસ્તી જ હોય છે.

