• 3 July, 2026 - 3:40 AM

પ્રોવિડન્ટ ફંડમાંથી કર્મચારીઓ હવે ૭૫ ટકાથી વધુનો ઉપાડ નહિ કરી શકે

પરિવારના સભ્યની ગંભીર બીમારીના કિસ્સામાં જ ૭૫ ટકા પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની છૂટ મળશે

નિયમિત પણે કપાતા ૧૨ ટકાના પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત વોલ્યુન્ટરી પ્રોવિડન્ટ ફંડનો વધારાનો ફાળો કર્મચારી કપાવી શકશે

પ્રોવિડન્ટ ફંડની જમા રકમ પર વ્યાજનો દર ૮.૨૫ રાખવાનું નિશ્ચિત કરવામાં આવ્યું

પ્રોવિડન્ટ ફંડમાંથી ૫ વાર ઉપાડ કરવાની છૂટ મળશે, પરંતુ ૨૫ ટકા બેલેન્સ કાયમ રાખવું પડશે

અમદાવાદ:  કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીનેકર્મચારીઓની સામાજિક સુરક્ષાને સંગીન બનાવવા પર ફોકસ કરતી નવી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ૨૦૨૬ બહાર પાડી છે. પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાંનો ઉપાડ માત્ર ત્રણ કેટેગરીમાં નિર્ધારિત કરેલા સંજોગોમાં જ કરી શકાશે. એક, ગંભીર બીમારી, શિક્ષણ કે લગ્નના ખર્ચ માટે નાણાંનો ઉપાડ કરી શકાશે. બીજું, આવાસની ખરીદી કરવા માટે પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ કરી શકાશે. જોકે પ્રોવિડન્ટ ફંડના ૧૦૦ ટકાના ઉપાડની મનાઈ ફરમાવી દઈને ૨૫ ટકા બેલેન્સ રાખવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.હા, કર્મચારી એક વર્ષ સુધી બેરોજગાર રહે તો તેવા સંજોગોમાં તેને ૧૦૦ ટકા રકમનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે પ્રોવિડન્ટ ફંડની રકમ પર ચૂકવવામાં આવતા વ્યાજના દરને ૮.૨૫ ટકા પર ફિક્સ રાખવામાં આવ્યો છે.

પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી જીવન દરમિયાન પાંચ વાર આંશિક ઉપાડ કરવાની છૂટ આપવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડના સભ્યએ પોતાના તરફથી જમા કરાવેલી રકમના ૧૦૦ ટકાનો ઉપાડ કરી શકાશે. પરંતુ માલિક તરફથી જમા કરાવવામાં આવેલી અને તેના પર મળેલા વ્યાજની ૧૦૦ ટકા રકમનો ઉપાડ કરી શકાશે નહિ. હોમ લોનની ચૂકવણી માટે પણ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ ફ્લેટના રિનોવેશન માટે પણ નાણાંનો ઉપાડ કરવાની નવી યોજનામાં છૂટ આપવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના સબ્ય બન્યાના ૧૨ મહિના બાદ જ ઉપાડ શક્ય બનશે.

૧૯૫૨ની પ્રોવિડન્ટ ફંડની સ્કીમ રદ કરી દીધી છે. તેની સાથે જ સમગ્ર  યોજનાના ગવર્નન્સ, કોમ્પ્લાયન્સ તથા ડિજિટલ પ્રોસેસ પર ફોકસ કરતી જોગવાઈ દાખલ કરી છે. નવી યોજનાને તત્કાળ લાગુ કરી દેવામાં આવી છે. ૧૯૫૨ની પ્રોવિડન્ટ ફંડની સ્કીમના કામદારો કે કર્મચારીઓ નવી સ્કીમમાં પણ પ્રોવિડન્ટ ફંડના સભ્ય તરીક ેચાલુ રહેશે.  તેમ જ કંપનીના દરેક કર્મચારીને આ યોજના અમલમાં આવ્યા તારીખથી તેના સભ્ય બનાવવાના રહેશે. નોકરીમાં જોડાવાની તારીખથી તેમને પ્રોવિડન્ટ ફંડની સ્કીમના સભ્ય બનાવવાના રહેશે.

પ્રોવિડન્ટ ફંડની વર્તમાન યોજનામાં કર્મચારીના પગારમાંથી અને માલિક તરફથી ૧૨-૧૨ ટકા ફાળો આપવામાં આવે છે. હા, કર્મચારીના ૧૨ ટકા વત્તા માલિકના ૧૨ ટકાના ફાળા ઉપરાંત કર્મચારી વોલ્યુન્ટરી પ્રોવિડન્ટ ફંડ તરીકે વધારાની રકમ કપાવી શકે છે. જોકે વોલ્યુન્ટરી પ્રોવિડન્ટ ફંડના મેચિંગ હિસ્સો કંપનીના માલિકો માટે જમા કરાવવાનો ફરજિયાત નથી. કંપની ઇચ્છે તો વોલ્યુન્ટરી પ્રોવિડન્ટ ફંડ સામે પોતે પણ તેટલો હિસ્સો આપી શકે છે. સમય જતાં તેમાં ઘટાડો કરવાનો કે બંધ કરવાનો વિકલ્પ કર્મચારી કે કંપનીના માલિક બંનેને આપવામાં આવ્યો છે. તેનાથી ટેક હોમ સેલરીમાં વધારો થઈ શકશે.

પ્રોવિડન્ટ ફંડની નવી યોજનામાં આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ૧૯૫૨ની યોજના હેઠળ પ્રોવિડન્ટ ફંડના સભ્ય બનેલા આંતરરાષ્ટ્રીય કર્મચારી નવી ૨૦૨૬ની યોજનામાં પણ સભ્ય બની શકશે.

રૃા. ૧૫૦૦૦ સુધીની માસિક આવક ધરાવતા કામદારોને પણ તેમના પગારમાંથી કપાતા ૧૨ ટકાના પ્રોવિડન્ટ ફંડ અને કંપનીના માલિકના ૧૨ ટકાના પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત વોલ્યુન્ટરી પ્રોવિડન્ટ ફંડ તરીકે વધારાની રકમ કપાવવાની છૂટ આપવાનું જણાવી દીધું છે. અત્યાર સુધીના નિયમ મુજબ રૃા. ૧૫૦૦૦ના પગારદારના પગારમાંથી ૧૨ ટકા નાણાં પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત ૧૨ ટકા ફાળો કંપનીના માલિક તરફથી જમા કરાવવામાં આવતો હતો. પરંતુ કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને ૧૨ ટકા વત્તા ૧૨ ટકા રકમ ઉપરાંત વધારાની રકમ કામદાર ઇચ્છે તો પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવા દેવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ વ્યવસ્થા કામદારીની ઇચ્છાને આધીન જ રાખવામાં આવી છે. નવી જાહેરા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ૨૦૨૬ હેઠળ કરવામાં આવી છે.

Read Previous

જૂન 2026ના અંત સુધીમાં થિયેટરમાં સ્ક્રિન થતી ફિલ્મોની આવકમાં 21 ટકાનો વધારો થયો

Read Next

બોગસ બિલિંગ રોકવા કરેલા કાયદાઓથી નિર્દોષ વેપારીઓ પરેશાન, ગેરકાયદે બિલિંગ કરનારાઓ બેફામ

Most Popular