• 3 July, 2026 - 3:40 AM

બોગસ બિલિંગ રોકવા કરેલા કાયદાઓથી નિર્દોષ વેપારીઓ પરેશાન, ગેરકાયદે બિલિંગ કરનારાઓ બેફામ

ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યા માટે અમુક અંશે કાનૂની જોગવાઈ જવાબદાર 

અમદાવાદઃ સપ્લાયરની ખામીઓ, ઇન્વોઇસની વિસંગતતાઓ અને પાલનના નિયમો ગુડ્સ એન્ડ સવસ ટેક્સમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનું વેપારીઓને રિફંડ આપવામાં આજની તારીખે પણ વિલંબ થઈ રહ્યો છે, પરિણામે વેપારીઓની કાર્યકારી મૂડી-વકગ કેપિટલ રોકાયેલી રહે છે. તેથી નવી મૂડી ઊભી કરવી પડી રહી છે. આ સમસ્યાના મૂળમાં જીએસટી એક્ટની કેટલીક જોગવાઈઓ પણ છે. બોગસ બિલિંગ રોકવા માટે સરકારે કરેલી કાનૂની જોગવાઈઓ સામાન્ય વેપારીઓની પરેશાની વધારી રહી છે. તેને પરિણામે સાચો બિઝનેસ કરનારા વેપારીઓની હાલાકી વધી રહી છે. જ્યારે બોગસ બિલિંગ કરનારાઓ બેફામ બન્યા છે. બોગસ બિલિંગ કરનારાઓને અંદર ખાતે સ્ટેટ જીએસટીના અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને સપોર્ટ પણ હોવાનું જોવા મળી રહ્યું છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ ૧૬(૨)(ગ) કહે છે કે માલ વેચનારે જો વેરો  ભર્યો હોય તો, ખરીદનાર ને એ માલ પર ચૂકવેલા વેરાની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મળશે, પરંતુ માલ ખરીદનાર – વેચનારે વેરો ભર્યો કે નહીં તે હકીકત ચકાસી લીધા બાદ જ તેની ચૂકવણી કરવામાં આવશે. બોગસ બિલિંગને રોકવા માટે સરકારે આ જોગવાઈ કરેલી છે.

તદુપરાંત કલમ ૧૬(૨)(ખ)માં જણાવવામાં આવ્યું છે કે કોઈ વેપારી માલ ખરીદ કરવાને સ્થાને વેચનાર પાસેથી માલ મેળવ્યા વગર માત્ર બિલ મેળવે તો તેઓને ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મળશે નહીં. પરંતુ વેપારીએ માલ મેળવ્યો છે તે સાબિત કરવા માટે ક્યાં ક્યાં પુરવાઓ નિભાવવા પડશે તે બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરિણામે સાચા બિલિંગ કરનારાઓની તકલીફ પણ વધી રહી છે, એમ જીએસટીના નિષ્ણાતોનું કહેવું છે.

જીએસટી એક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા નિયમ ૩૭ મુજબ જો કોઈ વેપારી પોતે ખરીદેલા માલનું પેમેન્ટ ૧૮૦ દિવસમાં ન ચૂકવે તો, તે માલ ખરીદીના સંદર્ભમાં જમા કરાવેલા જીએસટી સામે ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લેવા હક્કદાર રહેતો નથી. બીજી બાજુથી કોઈ નિયમ એવો નથી કે જેમાં જણાવવામાં આવ્યું હોય કે માલ વેચનારને માલ વેચાણ પેટેના પૈસા નથી મળ્યા તો તેણે વેરાનું પેમેન્ટ કરવાનું રહેશે નહિ. પરિણામે માલ વેચ્યાનું પેમેન્ટ ન આવ્યું હોય તેમ છતાં તેના પર જીએસટી ચૂકવવાની જવાબદારી વેપારીને માથે આવતા તેને બેવડો માર પડી રહ્યો છે. જોકે પેમેન્ટ આવે કે ન આવે તે જોવાની જવાબદારી સરકારની ગણાવીને તેના અનુસંધાનમાં વેરામુક્તિની માગણી કરવી ઉચિત પણ નથી.

તદુપરાંત જીએસટી એક્ટની કલમ ૧૬(૪) મુજબ વર્ષ પૂરું થયા પછીના વર્ષના ૩૦ નવેમ્બર અથવા વાષક રિટર્ન  ફાઇલ કરવાની તારીખ, જે પહેલાં આવે તે પહેલા જો ક્લેમ ન કરવામાં આવે તો ખરીદનાર પોતાના ઇનપુટ ટેક્સ ક્રેડિટનો હક કાયમ માટે ગુમાવી દે છે. નિયમના માધ્યમથી કરવામાં આવેલી આ જોગવાઈ તર્કસંગત નથી.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જોગવાઈ હેઠળ હેઠળ કોઈ પણ વેપારી ગમે ત્યારે કોઈ પણ સમયે બોગસ સાબિત થાય, તો તેને પ્રથમ દિવસથી જ બોગસ માનવામાં આવે છે અને તેથી તે વેપારી પાસેથી માલની ખરીદી કરનારે જે તે સમયે ગમે તેટલી ખાતરી કરીને ગમે તેટલા કંપલાયન્સ કરીને માલ ખરીદ્યા પછી ઈનપુટ ટેક્ષ ક્રેડિટના રિફંડ માટે દાવો કર્યો હોય તેનો દાવો જે ગઈ કાલે કાયદેસરનો હતો તે આજે ગેરકાયદેસરનો બની જાય છે. તેથી ગુજરાતના કે દેશના કોઈ વેપારીની કોઈ ઈનપુટ ટેક્ષ ક્રેડિટ કાયમી રીતે સિક્યોર્ડ રહેતી જ નથી.

ઉપરોક્ત કાયદાકીય જોગવાઈને કારણે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો મામલો સતત વેપારીઓ અને જીએસટીના સત્તાવાળાઓ વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. હવે નિયમ-આધારિત પ્રક્રિયામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આધાર માત્ર કંપનીના પોતાના કાર્યો પર જ નહીં, પરંતુ સપ્લાયરના વ્યવહાર, ઇન્વોઇસના મેચિંગ અને પોર્ટલ-આધારિત વેરિફિકેશન પર પણ રહેલો છે. સપ્લાયરના વર્તન પર ખરીદનાર વેપારીનો કોઈ જ અંકુશ નથી. પરિણામે વેપારીઓની હાલાકી વધી રહી છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ શા માટે વ્યવસાયિક જોખમ બની ગયું છે

વ્યવસાયો માટે, વિલંબિત અથવા નકારવામાં આવેલી ક્રેડિટ સીધી રીતે વેપારીના રોકડના પ્રવાહ પર અવળી અસર કરે છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ, કંપનીઓએ માલ ખરીદ્યો હોઈ શકે છે, સપ્લાયર્સને પૈસાની ચૂકવણી કરી હોઈ શકે છે અને પોતાની જવાબદારીઓ પૂરી કરી હોઈ શકે છે, છતાં જો સપ્લાયરના ફાઇલિંગ યોગ્ય રીતે ન દેખાય તો તેઓ વિલંબનો સામનો કરવો પડે છે. સપ્લાયર જીએસટીઆર-૨માં બરાબર વિગત ન ભરે તો ખરીદનાર વેપારી ભેરવાઈ જાય છે.

ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રક્ચરથી ચાર સેક્ટર તકલીફમાં

ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્રચરમાં કાચા માલ પર ભરવામાં આવેલો જીએસટી વધારે થાય છે. તેની સામે તૈયાર માલ વેચવાથી લેવાનો થતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓછો હોય છે. તેથી ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરમાં આવતા ટેક્સટાઈલ, ફાસ્ટમુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ફર્ટિલાઈઝર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જમા પડી રહે છે. તેમને ગમે ત્યારે નવી મૂડી ઊભી કરવાની ફરજ પડી રહી છે

Read Previous

પ્રોવિડન્ટ ફંડમાંથી કર્મચારીઓ હવે ૭૫ ટકાથી વધુનો ઉપાડ નહિ કરી શકે

Read Next

થાઈલેન્ડે ભારતીયો માટેની ‘વિઝા-ફ્રી’ (વિઝા વગર પ્રવેશ) સુવિધા બંધ કરી દીધી છે

Most Popular