• 3 July, 2026 - 3:40 AM

થાઈલેન્ડે ભારતીયો માટેની ‘વિઝા-ફ્રી’ (વિઝા વગર પ્રવેશ) સુવિધા બંધ કરી દીધી છે

થાઈલેન્ડ દ્વારા ભારતીયો માટે વિઝા નિયમો કડક: આગામી પ્રવાસ પહેલાં આટલી વસ્તુઓ સાથે રાખવી ફરજિયાત

અમદાવાદઃ તમે થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો, તો હવે વિઝાની ચિંતા વગર ત્યાં પહોંચી જવાના દિવસો પૂરા થઈ ગયા છે. હવે મન થાય એટલે થાઈલેન્ડ જવા નીકળી પડવાનું શક્ય બનશે નહિ. કારણ કે થાઈલેન્ડની સરકારે ભારતીયો માટેની ‘વિઝા-ફ્રી’ (વિઝા વગર પ્રવેશ) સુવિધા બંધ કરી દીધી છે અને ઈમિગ્રેશનના નવા નિયમો જાહેર કર્યા છે. નવી એડવાઈઝરી મુજબ, ‘વિઝા ઓન અરાઈવલ’ (VoA) અથવા અન્ય કોઈ સ્કીમ હેઠળ પ્રવાસ કરનારાઓએ તમામ દસ્તાવેજો, રહેઠાણનો પુરાવો, રિટર્ન ટિકિટ અને જરૂર પડે તો રોકડા પૈસા પણ બતાવવા પડશે. ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે થાઈલેન્ડે ગયા વર્ષે નિયમો હળવા કર્યા હતા, પરંતુ હવે સરહદ સુરક્ષા અને ઈમિગ્રેશન નિયમોને મજબૂત કરવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે.

શું બદલાયું છે?

  • વિઝા-ફ્રી એન્ટ્રી બંધ: ભારતીયોને ૨૦૨૪થી મળતી વિઝા વગર પ્રવેશની સુવિધા સત્તાવાર રીતે બંધ કરવામાં આવી છે. ૧૯ મેના રોજ થાઈ કેબિનેટે લીધેલા નિર્ણય મુજબ, હવે ભારતીય નાગરિકોએ ‘વિઝા ઓન અરાઈવલ’ (VoA) નિયમ હેઠળ જ પ્રવાસ કરવો પડશે.

  • ભારત ચોથા સ્થાને: થાઈલેન્ડે ભારત સહિત માત્ર ચાર દેશોને (અઝરબૈજાન, બેલારુસ અને સર્બિયા) આ નવી ‘વિઝા ઓન અરાઈવલ’ કેટેગરીમાં રાખ્યા છે. જ્યારે ૫૪ દેશો માટે હજુ પણ ૩૦ દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી ચાલુ રાખવામાં આવી છે.

ભારતીય પ્રવાસીઓએ સાથે રાખવાની વસ્તુઓની યાદી:

જો તમે થાઈલેન્ડ જઈ રહ્યા હોવ, તો એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર પર માગવામાં આવે ત્યારે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. તેમ નહિ થાય તો તમારી મુશ્કેલી વધી જવાની સંભાવના છે.

  • પાસપોર્ટ: થાઈલેન્ડ પહોંચવાની તારીખથી ઓછામાં ઓછી ૬ મહિનાની વેલિડિટી હોવી જોઈએ.

  • રિટર્ન ટિકિટ: પાછા આવવાની અથવા આગળના પ્રવાસની કન્ફર્મ ટિકિટ.

  • હોટેલ બુકિંગ: કન્ફર્મ હોટેલ રિઝર્વેશન અથવા રહેવાના સ્થળની વિગતો.

  • ટ્રાવેલ પ્લાન: પ્રવાસનું સ્પષ્ટ આયોજન (Itinerary).

  • TDAC કાર્ડ: થાઈલેન્ડ ડિજિટલ અરાઈવલ કાર્ડ (TDAC), જે પ્રવાસના ૭૨ કલાક પહેલાં ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.

  • રોકડ રકમ (Cash): ‘વિઝા ઓન અરાઈવલ’ મેળવનારા દરેક પ્રવાસી પાસે પૂરતા ફંડના પુરાવા તરીકે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ થાઈ બાહ્ટ (Thai Baht) રોકડા હોવા જરૂરી છે.

  • ગ્રૂપ ટ્રાવેલર્સ માટે: જો તમે ગ્રૂપમાં પ્રવાસ કરી રહ્યા છો, તો એક વ્યક્તિ પર નિર્ભર રહેવાને બદલે દરેક પ્રવાસીએ પોતાના દસ્તાવેજો પોતાની પાસે અલગ રાખવા.

  • રોજગાર/નોકરી માટે: જો તમારી પાસે નોકરીની ઓફર હોય, તો વિઝા વેરિયર કે VoA રૂટનો ઉપયોગ ન કરવો, પરંતુ પ્રોપર વર્ક વિઝા મેળવવો.

નવા નિયમોનો અર્થ એ નથી કે ભારતીયો થાઈલેન્ડ ન જઈ શકે, પરંતુ હવે ઈમિગ્રેશન પર કડક તપાસ થશે. તેથી પ્રવાસ શરૂ કરતા પહેલાં તમામ તૈયારીઓ પૂરી રાખવી હિતાવહ છે.

Read Previous

બોગસ બિલિંગ રોકવા કરેલા કાયદાઓથી નિર્દોષ વેપારીઓ પરેશાન, ગેરકાયદે બિલિંગ કરનારાઓ બેફામ

Most Popular