• 3 July, 2026 - 11:20 AM

ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ: ૨૩૦૦થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્ર; ડિજિટલ સેવાઓથી સામાન્ય જનતાને મળશે મોટી રાહત

સામાન્ય લોકોને હવે કચેરીની સુવિધાઓ કે કર્મચારીઓના વર્તન અંગે પોતાના પ્રતિભાવો (ફીડબેક) ઘરબેઠા કે ત્યાંથી જ સ્કેન કરીને આપી શકશે.

ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ તંત્રમાં નવી ભરતી પામેલા ૨૩૦૦થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની સુવિધા માટે મહેસૂલ વિભાગની ક્રાંતિકારી અને અભિનવ ડિજિટલ સેવાઓનું લોંચીંગ કરી નવી કચેરીઓનું લોકાર્પણ પણ કર્યું હતું. મહેસૂલી વહીવટને વધુ સુદ્રઢ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક ગૌરવશાળી સમારોહ સંપન્ન થયો હતો.

સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “રેવન્યુ તલાટી એ મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગ્રામીણ વહીવટનો મુખ્ય આધારસ્તંભ છે.” તેમણે નવનિયુક્ત તલાટીઓને ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનો સ્થાનિક સ્તરે જ ત્વરિત નિકાલ લાવવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત-૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા માટે પારદર્શી કાર્યશૈલી અપનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને મુખ્ય સચિવ એમ.કે. દાસે પણ નવનિયુક્ત કર્મયોગીઓને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરાયેલી નવી સેવાઓ અને સામાન્ય જનતાને થનારા ફાયદા

મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ નવી ટેકનોલોજી આધારિત સેવાઓથી રાજ્યના સામાન્ય નાગરિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગના સમય અને નાણાંની મોટી બચત થશે.

  • REVA (Revenue Voice and Assistance) – QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ:

    સેવા: રાજ્યની તમામ કલેક્ટર, પ્રાંત, મામલતદાર, સબ-રજીસ્ટ્રાર અને DILR કચેરીઓમાં વિશિષ્ટ QR કોડ મૂકવામાં આવ્યા છે.

    નાગરિકોને ફાયદો: સરકારી કચેરીએ જતા સામાન્ય લોકોને હવે કચેરીની સુવિધાઓ કે કર્મચારીઓના વર્તન અંગે પોતાના પ્રતિભાવો (ફીડબેક) ઘરબેઠા કે ત્યાંથી જ સ્કેન કરીને આપી શકશે. આ સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી સરકારી બાબુઓની જવાબદારી નક્કી થશે અને વહીવટમાં સદવ્યવહાર વધશે.

  • IRCMS હેઠળ ઇ-ફાઇલીંગ (Integrated Revenue Court Case Management System):

    સેવા: અગા ઉ મહેસૂલી કચેરીઓમાં કેસ માત્ર મેન્યુઅલી જ દાખલ કરી શકાતા હતા, જેમાં હવે ડિજિટલ ફેરફાર કરીને ‘ઇ-ફાઇલીંગ’ સુવિધા શરૂ કરાઈ છે.

    નાગરિકોને ફાયદો: અરજદારો અને ખેડૂતોએ હવે જમીન સંબંધી કોર્ટ કેસ દાખલ કરવા કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. તેઓ ઘરે બેઠા ઓનલાઈન કેસ ફાઈલ કરી શકશે, કેસની સ્થિતિનું ‘રિયલ ટાઈમ ટ્રેકિંગ’ કરી શકશે અને કેસ પૂર્ણ થતાં જ ચુકાદાનો ઓનલાઈન ઓર્ડર ડાઉનલોડ કરી શકશે.

  • સિટી સર્વે નકશાઓનું જીઓ રેફરન્સિંગ (MOU વિથ સર્વે ઓફ ઇન્ડિયા):

    સેવા: ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર અને ભારત સરકારના સર્વે ઓફ ઇન્ડિયા વચ્ચે જમીન નકશાઓના જીઓ-રેફરન્સિંગ માટે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે.

    નાગરિકોને ફાયદો: જમીન અને પ્રોપર્ટીના નકશાઓ ડિજિટલ અને સેટેલાઇટ આધારિત સચોટ બનશે. પરિણામે જમીનની માપણીમાં થતી ભૂલો સુધરશે, સરકારી જમીન અને ગૌચર પર થતા ગેરકાયદેસર દબાણો અટકાવી શકાશે અને ભવિષ્યમાં જમીન વિવાદો નહિવત થઈ જશે.

આ વહીવટી સુધારાઓ અને મોટા પાયે થયેલી તલાટીઓની ભરતીથી ગ્રામ્ય સ્તર સુધી સરકારી સેવાઓ વધુ વ્યાપક, ઝડપી અને ભૂલરહિત બનશે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

ઇપીએફ સ્કીમ ૨૦૨૬: શું દર મહિને ₹૧,૮૦૦ નું રોકાણ ₹૧૯ લાખનું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકે?

Most Popular