ઈ-વેરીફિકેશનમાં વિલંબ થયો હોય તો પણ આવકવેરા અધિકારી કરદાતાનું રિફંડ અટકાવી ન શકે
આઈટીએટી (ITAT) એ આઈટીઆર (ITR) ઈ-વેરિફિકેશનમાં વિલંબ છતાં 17 લાખ રૂપિયાના ટેક્સ રિફંડની મંજૂરી આપી
સમાચારનો સારાંશ
ITR ઈ-વેરિફિકેશનમાં વિલંબ થયો હોવા છતાં, ITAT એ 17 લાખ રૂપિયાનું રિફંડ મંજૂર કર્યું છે.
પિતાની લાંબી માંદગીને વિલંબ માટેના માન્ય કારણ તરીકે સ્વીકારવામાં આવી હતી.
ટ્રિબ્યુનલે જણાવ્યું કે પ્રક્રિયાગત ભૂલો અથવા મોડું થવાના કારણે કાયદેસરના ટેક્સ રિફંડના દાવાને નકારી શકાય નહીં.
દિલ્હી ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ એક મોટો ચુકાદો આપ્યો છે. નિયત સમયમાં ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ઈ-વેરિફાય ન કરવાને કારણે જે કરદાતાએ 17 લાખ રૂપિયાથી વધુના ટેક્સ રિફંડનો દાવો ગુમાવ્યો હતો, તેમને હવે મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે કે એકવાર ઈ-વેરિફિકેશનમાં થયેલા વિલંબને માફ કરી દેવામાં આવે, તે પછી આવકવેરા વિભાગ માત્ર ડેડલાઇન પૂરી થઈ ગઈ હોવાના બહાને રિફંડ આપવાનો ઇનકાર કરી શકે નહીં.
ઈ-વેરિફિકેશનમાં વિલંબનું કારણ
આ કેસ આકારણી વર્ષ 2015-16 નો છે. કરદાતાએ 3 સપ્ટેમ્બર 2015 ના રોજ પોતાનું ITR ફાઇલ કર્યું હતું, જેમાં વિવિધ પ્રોપર્ટીમાંથી આશરે રૂ. 1.42 કરોડની ભાડાંની આવક દર્શાવી હતી. ચાલુ વર્ષના નુકસાન અને અગાઉના નુકસાનને એડજસ્ટ કર્યા પછી, તેમની કોઈ ટેક્સેબલ આવક નહોતી અને તેમણે રૂ. 17.08 લાખના રિફંડનો દાવો કર્યો હતો. આ રકમ એડવાન્સ ટેક્સ અને ભાડાની આવક પર કપાયેલા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ-ટીડીએસ ની હતી.
રિટર્ન સમયસર ફાઇલ કરવામાં આવ્યું હતું, પરંતુ કરદાતા નક્કી કરેલા સમયમાં તેનું ઈ-વેરિફિકેશન કરી શક્યા ન હતા. તેમણે પાછળથી આનું કારણ આપતા જણાવ્યું કે, તેઓ તેમના 83 વર્ષના પિતાની સંભાળ રાખી રહ્યા હતા, જેઓ ગંભીર રીતે બીમાર હતા અને તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારબાદ તેમણે સેન્ટ્રલાઇઝડ પ્રોસેસિંગ સેન્ટર સમક્ષ વિલંબ માફી માટે વિનંતી કરી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. આખરે 16 ફેબ્રુઆરી 2018 ના રોજ રિટર્ન ઈ-વેરિફાય થયું હતું. પરંતુ, તેમ છતાં આવકવેરા વિભાગના એસેસિંગ ઓફિસરે સમયમર્યાદા ચૂકી જવાનું કારણ આપીને રિફંડનો દાવો નકારી કાઢ્યો હતો.
ITAT નો મહત્વનો નિર્ણય
ટ્રિબ્યુનલે નોંધ્યું કે કરદાતાનો ટીડીએસ પહેલેથી જ કપાઈ ચૂક્યો હતો અને તે વિભાગના રેકોર્ડમાં પણ દેખાતો હતો. ઉપરાંત સીપીસી-CPC દ્વારા વિલંબને પહેલેથી જ માફ કરી દેવામાં આવ્યો હતો. તેથી વિભાગ ફરીથી એ જ પ્રક્રિયાગત કારણ આગળ ધરીને રિફંડ રોકી શકે નહીં. બંધારણની કલમ 265 નો ઉલ્લેખ કરતા ITAT એ કહ્યું કે કાયદાકીય સત્તા વિના કોઈ ટેક્સ વસૂલી શકાતો નથી. જો કરદાતાની કોઈ ટેક્સ જવાબદારી બનતી ન હોય, તો તેનું રિફંડ રોકી રાખવું એ ગેરકાયદેસર રીતે પૈસા રાખવા બરાબર છે. ટેક્સ સત્તાવાળાઓએ માત્ર કાયદેસરનો ટેક્સ જ વસૂલવો જોઈએ અને માત્ર નાની પ્રક્રિયાગત ભૂલના કારણે કાયદેસરના રિફંડનો અસ્વીકાર કરવો જોઈએ નહીં.
