• 6 July, 2026 - 12:52 AM

ઇન્કમ ટેક્સ રિફંડ: આઈટીઆર (ITR) માં કરેલા દાવા કરતાં ઓછું રિફંડ કેમ મળી શકે?

ITR માં દેખાતી રિફંડની રકમ માત્ર એક દાવો છે, CPC પ્રોસેસિંગ પછી જ તે ફાઇનલ થાય છે.

ફોર્મ 26AS માં TDS ની વિસંગતતા (Mismatch) ને કારણે ટેક્સ રિફંડ ઘટી શકે છે.

AIS માં આવકનો તફાવત અથવા જૂની ટેક્સ ડિમાન્ડ રિફંડની રકમમાં ફેરફાર લાવી શકે છે.

કરદાતાઓએ કોઈપણ જવાબ આપતા પહેલા કલમ 143(1) હેઠળ મળેલી ઇન્ટિમેશન નોટિસ વાંચવી જોઈએ.

આઈટીઆર (ITR) ફાઇલ કરતી વખતે જ્યારે કરદાતા પોતાનો ટીડીએસ (TDS), એડવાન્સ ટેક્સ અને કપાતનો હિસાબ જોડે છે, ત્યારે અંદાજિત રિફંડ જોઈને રાહત થાય તે સ્વાભાવિક છે. પરંતુ, રિટર્નમાં દેખાતી આ રકમ માત્ર એક ‘દાવો’  છે. તે ત્યારે જ ચૂકવવાપાત્ર બને છે જ્યારે આવકવેરા વિભાગ તમારા રિટર્નને સંપૂર્ણ રીતે પ્રોસેસ કરે છે.

બેંક ખાતામાં ઓછું રિફંડ જમા થવાનો અર્થ એવો નથી કે વિભાગે ખોટી રીતે પૈસા રોકી રાખ્યા છે. સેન્ટ્રલાઇઝડ પ્રોસેસિંગ સેન્ટર પોતાના સિસ્ટમ રેકોર્ડના આધારે ટેક્સની ફરીથી ગણતરી કરે છે અને કાયદા હેઠળ જરૂરી ફેરફારો કે એડજસ્ટમેન્ટ કરી શકે છે.

ITR માં દર્શાવેલી રકમ એ આખરી રિફંડ નથી

કલમ 143(1) હેઠળ રિટર્ન પ્રોસેસ કરતી વખતે, આવકવેરા વિભાગ કરદાતા દ્વારા જાહેર કરાયેલી આવક, કપાત અને ટેક્સ ક્રેડિટની સરખામણી ફોર્મ 26AS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS), ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી (TIS) અને ચલાન રેકોર્ડ સાથે કરે છે.

રિફંડ ઓછું આવવાનું સૌથી મોટું અને સામાન્ય કારણ TDS નું મિસમેચ (તફાવત) છે. જો કોઈ કર્મચારી કે બેંક ડિપોઝિટર તેના એમ્પ્લોયર અથવા બેન્ક દ્વારા કપાયેલા TDS-ટીડીએસનો દાવો કરે, પરંતુ તે ક્રેડિટ ફોર્મ 26AS માં દેખાતી ન હોય, ઓછી હોય અથવા ખોટી રીતે દર્શાવેલી હોય, તો CPC માત્ર એટલું જ રિફંડ મંજૂર કરશે જે તેના રેકોર્ડમાં દેખાતું હોય. ઉપરાંત, જો વ્યાજની આવક, કેપિટલ ગેઇન્સ કે અન્ય કોઈ ટેક્સેબલ આવક ITR માં દર્શાવવાની રહી ગઈ હોય પરંતુ  તે AIS માં દેખાતી હોય, તો પણ રિફંડની રકમ બદલાઈ શકે છે. ગણતરીની ભૂલો અથવા આવકવેરાના કાયદા હેઠળ લાગતું વ્યાજ પણ રિફંડ ઘટાડી શકે છે.

બીજું એક મહત્વનું કારણ જૂની ટેક્સ ડિમાન્ડ હોઈ શકે છે. જો અગાઉના કોઈ વર્ષનો ટેક્સ બાકી હોય, તો વિભાગ નિયત પ્રક્રિયા પૂરી કરીને ચાલુ વર્ષના રિફંડને તેની સામે એડજસ્ટ (મજરે) કરી શકે છે અને જો કોઈ બાકી રકમ વધે તો જ કરદાતાને ચૂકવે છે.

સૌથી પહેલા પ્રોસેસિંગ ઇન્ટિમેશન નોટિસ વાંચો

કોઈપણ પગલું ભરતા પહેલા કલમ 143(1) હેઠળ મળેલી ઇન્ટિમેશન નોટિસ તપાસો. આ નોટિસમાં તમારા આઈટીઆર (ITR) ના આંકડા અને વિભાગની ગણતરીની સામસામે સરખામણી આપેલી હોય છે. તેનાથી ખબર પડશે કે રિફંડ કયા કારણે ઓછું થયું છે—આવક, કપાત, ટેક્સ ક્રેડિટ, વ્યાજ કે પછી જૂની ડિમાન્ડના લીધે તેની સમજણ મળી જાય છે. આ ઇન્ટિમેશનને તમારા ફોર્મ 26AS, AIS, TIS, સેલેરી સ્લિપ અને બેન્ક વ્યાજના સર્ટિફિકેટ સાથે મેળવી જુઓ. જો ભૂલ TDS એન્ટ્રીમાં હોય, તો તમારે ટેક્સ કાપનાર સંસ્થા (જેમ કે બેંક કે કંપની) નો સંપર્ક કરીને તેને સુધારવા કહેવું પડશે.

સમસ્યા મુજબ યોગ્ય પગલાં લો

રેક્ટિફિકેશન રિકવેસ્ટ-સુધારાની વિનંતી: જો આવકવેરા વિભાગની ગણતરીમાં રેકોર્ડ પર દેખાતી કોઈ સ્પષ્ટ ભૂલ હોય, તો રિટર્ન પ્રોસેસ થયા પછી ‘રેક્ટિફિકેશન રિકવેસ્ટ’ ફાઇલ કરી શકાય છે. યાદ રાખો, આ માત્ર પ્રોસેસિંગની ભૂલ સુધારવા માટે છે, આના દ્વારા કોઈ નવી કપાત કે નવો દાવો ઉમેરી શકાતો નથી.

જૂની ડિમાન્ડનો જવાબ: જો રિફંડને જૂના ટેક્સ સામે એડજસ્ટ કરવામાં આવ્યું હોય અને તમે તેની સાથે અસહમત હોવ, તો ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને તમારો વાંધો (Disagreement) નોંધાવી શકો છો. આ માટે તમારા જૂના ચલણ અને ઓર્ડરની કોપી તૈયાર રાખવી પડે છે.

સૌથી સારો ઉપાય એ છે કે ITR ફાઇલ કરતા પહેલા જ દરેક આવક અને ટેક્સ ક્રેડિટને બરાબર મેળવણુ કરી લો. શરૂઆતમાં થોડો સમય વધુ લાગશે, પરંતુ અંતે રિફંડ આવતી વખતે તમને કોઈ જ આંચકો લાગશે નહીં.

Read Previous

ઈ-વેરીફિકેશનમાં વિલંબ થયો હોય તો પણ આવકવેરા અધિકારી કરદાતાનું રિફંડ અટકાવી ન શકે

Most Popular