• 9 July, 2026 - 2:26 AM

મોટો ઝાટકો: ગુજરાતની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ‘મોન્ટેકાર્લો’ને નાદારીમાં ધકેલવા NCLTનો મોટો આદેશ!

ટ્રાન્સપોર્ટ કંપનીના ₹૧.૪૭ કરોડ ન ચૂકવતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સસ્પેન્ડ; હવે માત્ર ‘સમાધાન’નો જ એકમાત્ર વિકલ્પ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, બુધવાર

ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મોટું નામ ધરાવતી અગ્રણી કંપની ‘મોન્ટેકાર્લો’ (Montecarlo) મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના મેમ્બર ડૉ. વી.જી. વેંકટાચલપતિ અને ચિત્રા હાનકરેની બેન્ચે કંપનીને સેવા આપનાર વેન્ડરનું પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ મોન્ટેકાર્લોને નાદારી (Insolvency)માં લઈ જવાનો આકરો ઓર્ડર કર્યો છે.

આ આદેશની સાથે જ કંપનીના ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજય શાહની નિમણૂક કરી દેવામાં આવી છે. NCLTના આ કડક વલણને કારણે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું અસ્તિત્વ હાલ પૂરતું મટી ગયું છે અને કંપનીના પ્રમોટર્સ તમામ સત્તાઓ ગુમાવી બેઠા છે.

શું છે વિવાદ? કેમ આવી નાદારીની નોબત?

કનુભાઈ મફતલાલ પટેલ, મૃણાલ કનુભાઈ પટેલ અને બ્રિજેશ કનુભાઈ પટેલ સહિતના પ્રમોટર્સ દ્વારા સંચાલિત મોન્ટેકાર્લો કંપનીએ નવેમ્બર ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૪ દરમિયાન અમદાવાદના નિલેશ ઠક્કરની માલિકીની ‘વંશિતા ટ્રાન્સપોર્ટ’ પાસેથી માલની હેરફેર માટે મોટા પાયે ટ્રાન્સપોર્ટ સેવાઓ લીધી હતી.

આ સેવાઓના બદલામાં મોન્ટેકાર્લો કંપનીએ વંશિતા ટ્રાન્સપોર્ટને રૂા. ૧,૪૭,૮૩,૫૦૩ (આશરે પોણા બે કરોડ રૂપિયા) ચૂકવવાના થતા હતા. આ રકમ લાંબા સમયથી વસૂલ ન થતાં, ટ્રાન્સપોર્ટ કંપનીએ મોન્ટેકાર્લોને કાયદાકીય નોટિસ ફટકારી હતી. જોકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આ નોટિસનો જવાબ આપવાની કે નાણાં ચૂકવવાની કોઈ દરકાર ન કરતા, આખરે વંશિતા ટ્રાન્સપોર્ટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ NCLTમાં પિટિશન દાખલ કરી હતી.

NCLTનો ચુકાદો: પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ પાવરલેસ

બંને પક્ષોની સુનાવણી બાદ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ૬ જુલાઈના રોજ મોન્ટેકાર્લોને નાદારી પ્રક્રિયા હેઠળ લાવવાનો આદેશ આપ્યો હતો.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભૂમિકા ખતમ: આ ઓર્ડર લાગુ થતાંની સાથે જ કંપનીનું વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સસ્પેન્ડ થઈ ગયું છે. હવે પ્રમોટર્સ કે ડિરેક્ટર્સ કંપનીના મેનેજમેન્ટ અથવા નાણાકીય બાબતો અંગે કોઈ જ નિર્ણય લઈ શકશે નહીં. કંપનીની તમામ સત્તાઓ અને બેંક એકાઉન્ટ્સનો અંકુશ હવે ઓફિશિયલ રેઝોલ્યુશન પ્રોફેશનલ સંજય શાહ હસ્તક આવી ગયો છે.

હવે કંપની બચાવવા માટે માત્ર એક જ રસ્તો

બજારના નિષ્ણાતો અને કાનૂની વર્તુળોના જણાવ્યા અનુસાર, મોન્ટેકાર્લો કંપની પાસે હવે પોતાની શાખ અને અસ્તિત્વ બચાવવા માટે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે. કંપનીના પ્રમોટર્સે વંશિતા ટ્રાન્સપોર્ટ સાથે કોર્ટની બહાર અથવા આઇબીસીના નિયમો હેઠળ તાત્કાલિક ઓફિશિયલ ‘સેટલમેન્ટ’ (સમાધાન) કરવું પડશે. જો કંપની વંશિતા ટ્રાન્સપોર્ટની બાકી નીકળતી તમામ રકમ વ્યાજ સહિત ચૂકવીને સમાધાન કરી લે, તો જ આ નાદારીની પ્રક્રિયામાંથી કંપની મુક્ત થઈ શકે તેમ છે, અન્યથા કંપનીની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધુ વકરી શકે છે.

Read Previous

હાઈકોર્ટનો આદેશ ‘૬ વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટી ન વસૂલાય તો ભૂલી જાવ’, છતાં GIDCના ઉદ્યોગકારોને ૩૦ વર્ષ જૂની નોટિસો ફટકારી કનડગત!

Most Popular