ડૉક્ટરની દવાનો કોર્સ અધૂરો છોડીને વહેલા મૃત્યુને નોતરું આપી રહેલા દરદીઓ
– દવાનો કોર્સ અધૂરો છોડવાની વૃત્તિને નહિ બદલવામાં આવે તો ૨૦૫૦ સુધીમાં એન્ટી માયક્રોબ્રિયલ રેઝિસ્ટન્સ દર વર્ષે એક કરોડ લોકોને ભક્ષી જશે
– અગાઉ જે રોગો ચપટીમાં મટી જતા હતા તે જ રોગ હવે એમ્પિસિલિન, સિપ્રોફ્લોક્સાસીન અને લેવોફ્લોક્સાસીન જેવી સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટિક્સ આપવા છતાં મટતા જ નથી.
અમદાવાદ: તમે ડૉક્ટર પાસે જઈને તાવ કે ઇન્ફેક્શનની દવા લીધાના બે દિવસમાં સારું થઈ ગયું એટલે કોર્સ અધૂરો છોડી દીધો? જો હા, તો તમે પોતાના જ હાથે પોતાના મોતના પરવાના પર સહી કરી રહ્યા છો! ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલો દવાનો ડોઝ અધૂરો છોડી દેવાની આ ઘાતક આદત શરીરમાં રહેલા રોગના બેક્ટેરિયાને દવા સામે લડવાની રાક્ષસી તાકાત પૂરી પાડે છે. ત્યારબાદ તેના પર દવાની અસર થવાની ધીમે ધીમે બંધ થઈ જાય છે. સમય જતાં દુનિયામાં બનતી કોઈ પણ દવાની અસર તેના પર થતી જ નથી. પરિણામે રોગ ઊથલો મારે ત્યારે તે બેક્ટેરિયાને ખતમ કરવા લગભગ અશક્યવત બની જાય છે.
– દવાનો કોર્સ અધૂરો છોડવાથી દર્દીના શરીરમાંના બેક્ટેરિયામાં દવાનો પ્રતિકાર કરવાની શક્તિ એટલી ઝડપથી વધે છે કે ભવિષ્યમાં તે દરદીને બીમારી આવે ત્યાર તેનો પ્રતિકાર કરવા માટે બ્રહ્માસ્ત્ર બની શકે તેવી દવાઓ બચતી જ નથી.
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરત પટેલ કહે છે કે, “જ્યારે તમે અધૂરો ડોઝ લો છો, ત્યારે નબળા બેક્ટેરિયા મરી જાય છે પરંતુ અડધા જીવતા રહી ગયેલા શક્તિશાળી બેક્ટેરિયા તે એન્ટિબાયોટિક સામે લડવાનો તાકાત કેળવી લે છે અને દવાના આક્રમણ સામે અજેય બની જાય છે. પરિણામે, ત્યારબાદ તે દરદીને સામાન્ય ન્યુમોનિયા, યુરિન ઇન્ફેક્શન કે નાની ઈજા થશે, ત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી દવા પણ તેને બચાવી શકશે નહીં. આ કોઈ સામાન્ય ચેતવણી નથી, પરંતુ એક ભયાનક વાસ્તવિકતા છે જે ચૂપચાપ આપણી આસપાસ મોતનું જાળું ગૂંથી રહી છે.”
ઝડપી સાજાં થવાની લાયમાં ફોર્થ જનરેશનની દવાઓનો બિનજરૂરી ઓવરડોઝ!
આજે તબીબી ક્ષેત્રમાં પણ ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલાક જનરલ ફિઝિશિયન્સ પોતાની પ્રેક્ટિસ ઝડપથી વધારવા અને દર્દીને રાતોરાત સાજો કરી દેવાનો ભ્રમ ઊભો કરવા માટે જૂની દવાઓ તે દરદીના રોગ પર અસર કરતી હોવા છતાં તે દરદીને સીધી જ ‘ફોર્થ જનરેશન’ (અત્યંત શક્તિશાળી) એન્ટિબાયોટિક્સ આપી દે છે. તેથી દર્દીના શરીરમાંના બેક્ટેરિયામાં દવાનો પ્રતિકાર કરવાની શક્તિ (એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ-AMR) એટલી ઝડપથી વધે છે કે ભવિષ્યમાં તે દરદીને બીમારી આવે ત્યાર તેનો પ્રતિકાર કરવા માટે બ્રહ્માસ્ત્ર બની શકે તેવી દવાઓ બચતી જ નથી. આ પરિસ્થિતિ માટે મેડિકલ સ્ટોર્સ પરથી પ્રિસ્ક્રિપ્શન વિના ઓવર-ધ-કાઉન્ટર એન્ટિબાયોટિક્સનું બેફામ કરવામાં આવી રહેલા વેચાણ અને તેને કારણે ડૉક્ટર્સને પૂછ્યા વિના જ આડેધડ લેવામાં આવતી એન્ટિબાયોટિક્સની ગોળીઓ આ સાયલન્ટ કિલરને વધુ વેગ આપી રહી છે.
દર્દીઓના પેશાબ, લોહી અને પરુના લેબોરેટરી સેમ્પલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે ગુજરાતના રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એન્ટિ માઈક્રોબિયલ રેઝિસ્ટન્સના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે.
દૂધ અને ખોરાક દ્વારા શરીરમાં ઘૂસતું ઝેર
આ સમસ્યા માત્ર માણસો પૂરતી સીમિત નથી. પશુપાલકો દૂધનું વધુ ઉત્પાદન મેળવવવા માટે પશુઓને બેફામ એન્ટિબાયોટિક્સ આપી રહ્યા છે. પશુઓનું દૂધ અને ખોરાક જ્યારે સામાન્ય નાગરિકો લે છે, ત્યારે અજાણતા જ તેમના શરીરમાં એન્ટિમાઈક્રોબિયલ બેક્ટેરિયાની સેના મોટી થતી જાય છે. ફાર્મા કંપનીઓ દ્વારા આડેધડ જળ કે જમીનમાં ફેંકી દેવામાં આવતાં કેમિકલના કચરાંને કારણે પાણીના સ્રોતો પણ દૂષિત થઈ રહ્યા છે. આમ પર્યાવરણમાં દવાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા બેક્ટેરિયા ફેલાઈ રહ્યા છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ: સામાન્ય દવાઓ થઈ ફેઈલ!
દર્દીઓના પેશાબ, લોહી અને પરુના લેબોરેટરી સેમ્પલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે ગુજરાતના રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એન્ટિ માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)ના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. અગાઉ જે રોગો ચપટીમાં મટી જતા હતા તે જ રોગ હવે એમ્પિસિલિન, સિપ્રોફ્લોક્સાસીન અને લેવોફ્લોક્સાસીન જેવી સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટિક્સ આપવા છતાં મટતા જ નથી. જો આ જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં સામાન્ય ઓપરેશન કે સિઝેરિયન પછી થતા ઇન્ફેક્શનમાં દર્દીઓ સીધા મોતના મોંમાં ધકેલાઈ જશે.
‘સાયલન્ટ પેન્ડેમિક’: શરદી-તાવમાં આડેધડ એન્ટિબાયોટિક્સ લેવાની આદત હવે માનવજાતને દવાના મજબૂત વિકલ્પોથી દૂર કરીને મોત તરફ ધકેલી રહી છે
જો હવે ન જાગ્યા તો ‘પોસ્ટ-એન્ટિબાયોટિક યુગ’માં સામૂહિક મોત નિશ્ચિત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડા મુજબ, ૨૦૧૯માં જ દવાનો અધૂરો કોર્સ કરવાથી માનવ શરીરમાંના બેક્ટેરિયામાં આવી ગયેલી રોગપ્રતિકારક શક્તિને કારણે માનવ શરીરમાં પ્રવેશેલી બીમારીઓને કંટ્રોલ ન કરી શકાતા સાડા દસ લાખથી વધુ લોકોને તે બીમારીઓ ભરખી ગઈ હતી. કોરોના મહામારી પછી મેડિકલ સાયન્સમાં કોઈ નવી ક્રાંતિકારી એન્ટિબાયોટિક શોધાઈ નથી. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો સો વરસ પહેલા પ્લેગમાં મચ્છરની જેમ મરતાં લોકોની જેમ જ આવનારા વરસોમાં કરોડો લોકો એકસાથે મરી જશે. આ ખતરાને જોતા ભારત સરકારના વીસથી વધુ મંત્રાલયો હવે ‘નેશનલ એક્શન પ્લાન’ હેઠળ તમામ એન્ટિબાયોટિક્સને “નવી દવા” તરીકે વર્ગીકૃત કરી તેના વેચાણ પર કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. શિડ્યૂલ H1 હેઠળની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના વેચનાર કેમિસ્ટો સામે હવે સીધા ફોજદારી ગુના નોંધવાની ભલામણ કરવામાં આવી રહી છે.
ડૉક્ટરોએ આડેધડ પ્રિસ્ક્રિપ્શન લખવાનું બંધ કરવું પડશે: ફાર્મસી કાઉન્સિલ
“અમે સેલ્ફ-મેડિકેશન (જાતે દવા લેવી) પર સંપૂર્ણ પ્રતિબંધ અને શિડ્યૂલ H તથા H-1 નિયમોના ચુસ્ત પાલન માટે કટિબદ્ધ છીએ. ડૉક્ટરોએ પણ કલ્ચર ટેસ્ટ (લેબ રિપોર્ટ) કરાવ્યા વિના અખતરા તરીકે ટ્રાયલ એન્ડ એરર બેઝ પર હાઈ-એન્ડ એન્ટિબાયોટિક્સ લખવાનું તાત્કાલિક બંધ કરવું પડશે.” — ભરત પટેલ, પ્રમુખ, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ
“કોરોના કાળ પછી નવી એન્ટિબાયોટિક્સનું સંશોધન ઠપ છે. લોકો બે ગોળી ખાઈને કોર્સ અધૂરો મૂકે છે તે સૌથી મોટું આત્મઘાતી પગલું છે. જો જનતા જાગૃત નહીં થાય તો આગામી મહામારીમાં માનવજાત લાચાર બની જશે.” — કશ્યપ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ
બચવા માટે શું કરશો?
૧. માંદગીની અસર ઓછી થઈ જાય કે સારું થઈ જાય તો પણ, દવાનો કોર્સ પૂરો કરો. ડૉક્ટરે કહેલા દિવસો સુધી દવા લઈને કોર્સ પૂરો કરો
૨. મેડિકલ સ્ટોર પરથી જાતે માગીને ક્યારેય એન્ટિબાયોટિક ન લો. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન લો
૩. સામાન્ય શરદી, ઉધરસ કે વાયરલ તાવમાં એન્ટિબાયોટિકની જરૂર હોતી નથી, વહેલા સાજાં થવા માટે દરદીઓએ ડૉક્ટર પર દબાણ ન લાવવું જોઈએ. તમારી જ નવી પેઢીને તમે રોગના મુખમાં હોમવાની આ પ્રક્રિયા છે.
સારવાર વિના માનવજાતનું સામૂહિક નિકંદન!
૨૦૫૦નુંમાં જોવા મળી શકે છે મોતનું તાંડવ: સામાન્ય ઈજા પણ સ્મશાન સુધી દોરી જશે!
- કરોડોના મોતની આશંકા: જો આ જ ગતિએ બેક્ટેરિયા દવાઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવતા રહેશે તો ૨૦૫૦ સુધીમાં વિશ્વભરમાં દર વર્ષે એક કરોડ લોકો સારવારના અભાવે તરફડીને મરી જશે. આ આંકડો કોઈપણ મોટા યુદ્ધ કે કેન્સર કરતાં પણ વધુ ભયાનક હશે.
- પ્લેગ જેવો સામૂહિક સંહાર: કોરોનાકાળ પછી મેડિકલ સાયન્સમાં નવી એન્ટિબાયોટિક્સનું સંશોધન તદ્દન ઠપ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં જો કોઈ નવો બેક્ટેરિયા કુદરતી રીતે જ તૈયાર થઈ ગયો તો ભૂતકાળમાં જેમ પ્લેગ અને મહામારીમાં આખેઆખા ગામ સાફ થઈ જતા હતા, તેમ લાખો-કરોડો માનવો એકસાથે મોતને શરણ થશે અને વિજ્ઞાન લાચાર બનીને જોતું રહેશે.
- ઓપરેશન થિયેટરો બનશે ડેથ ઝોન: આજે જે ઓપરેશનો સામાન્ય લાગે છે, તે ભવિષ્યમાં અશક્ય બની જશે. સિઝેરિયન (ડિલિવરી), હાર્ટ સર્જરી કે નાનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યા બાદ થતા સામાન્ય ઈન્ફેક્શનને મટાડવા માટે પણ કોઈ દવા કામ કરશે નહીં. નાની સરખી ઈજા કે વાગવું એ સીધા મોતનું કારણ બનશે!
- પોસ્ટ-એન્ટિબાયોટિક બ્લેક એજ: દવાનો કોર્સ પૂરો ન કરીને દરદીઓ માનવજાતને અંધકારમય યુગમાં ધકેલી રહ્યા છે. જ્યાં સારવાર અસાધ્ય થઈ જશે, દર્દીના બચવાના ચાન્સ શૂન્ય થઈ જશે અને સામાન્ય હોસ્પિટલો પણ મોતના કૂવામાં ફેરવાઈ જશે.
અજેય બની રહેલા જંતુઓ: આ રોગો લાગુ પડ્યા તો કોઈ દવા કામ નહીં કરે!
- ૧. coli (યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન – UTI):
- ક્યાં રોગમાં અસર: પેશાબનો ગંભીર ચેપ, કિડનીનું ઈન્ફેક્શન અને પેટના રોગો.
- કઈ દવાઓ ફેઈલ: Levofloxacin, Ciprofloxacin, અને આ બેક્ટેરિયા શરીરમાં એટલા મજબૂત થઈ ગયા છે કે આ દવાઓ લેવા છતાં પેશાબ અને કિડનીનું ઈન્ફેક્શન મટશે જ નહીં અને અંગો ફેલ થવા લાગશે.
- ૨. aureus (લોહી અને પરુનું ઘાતક ઈન્ફેક્શન):
- ક્યાં રોગમાં અસર: ઓપરેશન પછીના ઘામાં પરુ થવું, ત્વચાના ગંભીર રોગો અને લોહીનું ઝેર (Sepsis) બનવું એટલે કે સેપ્ટિક થવાની સમસ્યા.
- કઈ દવાઓ ફેઈલ: Penicillin, Amoxicillin, અને ચામડી પરનો સામાન્ય ઘા કે પરુ આ દવાઓથી નહીં મટે અને છેલ્લે લોહીમાં ઝેર ફેલાઈ જતાં દર્દીનું મોત નિશ્ચિત બનશે.
- ૩. Klebsiella pneumoniae–ફેફસાંનો રોગ જીવલેણ બની જશે
- ક્યાં રોગમાં અસર: ન્યુમોનિયા, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ અને ફેફસાં ક્ષીણ થઈ જવા.
- કઈ દવાઓ ફેઈલ: Ceftriaxone અને અત્યાર સુધી જેને બ્રહ્માસ્ત્ર માનવામાં આવતી હતી તેવી આ શક્તિશાળી એન્ટિબાયોટિક્સ સામે પણ આ બેક્ટેરિયા અડીખમ ઊભા રહે છે, જેથી ન્યુમોનિયા થતાં જ શ્વાસ રૂંધાવાથી દર્દી મરી જશે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ‘મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્સ‘: લેબોરેટરીના કલ્ચર ટેસ્ટમાં સાબિત થયું છે કે દર્દીઓના શરીરમાં એવા દવા પ્રતિકારક બેક્ટેરિયાઓ ઘર કરી ગયા છે જે એકસાથે ૧૦થી વધુ દવાઓની અસરને ચપટીમાં નાબૂદ કરી દે છે!
અધૂરા ડોઝનું પાપ: કયા બેક્ટેરિયા કઈ દવાને ગળી ગયા?
- coli (યુરિન ઇન્ફેક્શનના બેક્ટેરિયા): પેશાબના ગંભીર ચેપ માટે જવાબદાર આ જંતુઓ હવે એટલા પાવરફુલ થઈ ગયા છે કે તેમના પર Levofloxacin, Ciprofloxacin, અને Ampicillin જેવી જાણીતી દવાઓ બિલકુલ બેઅસર સાબિત થઈ રહી છે.
- aureus (લોહી અને પરુના બેક્ટેરિયા): શરીરમાં પરુ અને લોહીનું ઈન્ફેક્શન ફેલાવતાં આ બેક્ટેરિયા પર હવે Penicillin, Amoxicillin, અને Cefazolin જેવી તમામ મૂળભૂત એન્ટિબાયોટિક્સ અસર કરતાં નથી, તેમાં દવાનો પ્રતિકાર કરવાની ક્ષમતા આવી ગઈ છે.
- Klebsiella pneumoniae (ન્યુમોનિયાના બેક્ટેરિયા): ફેફસાંને ચાળણી કરી નાખતા આ જંતુઓ હવે Ceftriaxone અને Cefotaxime જેવી અત્યંત હાઈ-એન્ડ એન્ટિબાયોટિક્સ સામે પણ અડીખમ ઊભા રહે છે.
આમ ગુજરાતમાં ‘મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્સ’ એટલી હદે વધી ગયું છે કે એક જ બેક્ટેરિયા સામે એકસાથે ૧૦-૧૨ દવાઓ ફેઈલ થઈ રહી છે!
