• 14 July, 2026 - 2:55 PM

ભારત-બ્રિટનના FTA હેઠળ ડ્યૂટીમાં રાહત મેળવવા CBICએ નવી કાર્યપ્રણાલી જાહેર કરી

ભારત-યુકે FTA હેઠળ ડ્યૂટીમાં રાહત મેળવવા CBICએ નવી પ્રક્રિયા જાહેર કરી

15 જુલાઈથી અમલમાં આવશે નવી સ્વ-પ્રમાણન (Self-Certification) પદ્ધતિ, આયાતકારો માટે URN ફરજિયાત

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ-CBICએ સોમવારે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (Comprehensive Economic and Trade Agreement-CETA) હેઠળ Rules of Origin માટે સ્વ-પ્રમાણન (Self-Certification) પદ્ધતિ અમલમાં મૂકવા માટે વિગતવાર કામગીરી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ કરાર 15 જુલાઈ, 2026થી અમલમાં આવશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, યુકેના નિકાસકાર અથવા ઉત્પાદક પોતે જ જાહેર કરશે કે નિકાસ થતી ચીજવસ્તુઓ કરારમાં નક્કી કરાયેલા Rules of Originનું પાલન કરે છે અને તેથી ભારતમાં પ્રેફરન્શિયલ (રાહતી) કસ્ટમ્સ ડ્યૂટી મેળવવા માટે પાત્ર છે. આ નવી વ્યવસ્થા હેઠળ અગાઉની જેમ સરકાર દ્વારા નિયુક્ત સત્તાધિકારીઓ પાસેથી Certificate of Origin મેળવવાની ફરજ રહેશે નહીં. તેની જગ્યાએ Self-Declaration આધારિત પદ્ધતિ અમલમાં આવશે.

CBICએ જણાવ્યું છે કે ભારત અને યુકે બંને દેશોની કસ્ટમ્સ સત્તાઓ વચ્ચે માહિતીની આપ-લે અને ઓરિજિન ડિક્લેરેશનની ચકાસણી માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે, Self-Certification પસંદ કરનારા નિકાસકારોએ પોતાની જાહેરાતને સમર્થન આપતા તમામ દસ્તાવેજો સાચવી રાખવાના રહેશે. જો કસ્ટમ્સ સત્તા દ્વારા ચકાસણી કરવામાં આવે તો તેઓએ તે દસ્તાવેજો રજૂ કરવા પડશે. EY Indiaના ટ્રેડ પોલિસી લીડર અગ્નેશ્વર સેનના જણાવ્યા મુજબ, નિકાસકારોએ તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, કારણ કે તેમની સ્વ-ઘોષણાની ક્યારેય પણ ચકાસણી થઈ શકે છે.

Certificate of Originનો વિકલ્પ યથાવત

જો નિકાસકાર ઇચ્છે તો તેઓ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) અથવા સરકાર દ્વારા માન્ય Export Promotion Councils (EPCs) પાસેથી Certificate of Origin પણ મેળવી શકશે. બ્રિટન-યુકે પ્રેફરન્શિયલ ટેરિફ લાભ આપતી વખતે Origin Declaration અને Certificate of Origin – બંને સ્વીકારશે.

URN વગર નહીં મળે FTAનો લાભ

વેપારમાં સરળતા સાથે દુરુપયોગ અટકાવવા માટે ભારત અને યુકેએ નવી Authentication Framework તૈયાર કરી છે. આયાતકારને રાહતી કસ્ટમ્સ ડ્યૂટીનો લાભ મેળવવા પહેલાં યુકેના નિકાસકારે પોતાની Origin Declaration ઇલેક્ટ્રોનિક રીતે ભારતીય આયાતકાર તેમજ CBIC દ્વારા નિર્ધારિત ઇ-મેઇલ સરનામે મોકલવી પડશે. ત્યારબાદ યુકે કસ્ટમ્સ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે CBIC તેની ચકાસણી કરશે અને Unique Reference Number (URN) જારી કરશે. ભારતીય આયાતકારે Bill of Entry દાખલ કરતી વખતે આ URNનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે. ત્યાર પછી જ FTA હેઠળ ડ્યૂટીમાં રાહત મળશે.

CBICએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓથેન્માટિકેશન માત્ર એટલી જ ખાતરી આપે છે કે ડિક્લેરેશન સાચા યુકેના નિકાસકાર અથવા ઉત્પાદક દ્વારા જારી કરવામાં આવ્યું છે. જો જરૂરી લાગે તો કસ્ટમ્સ અધિકારીઓ પછીથી પણ ચકાસી શકશે કે આયાત કરાયેલ માલ ખરેખર Rules of Originનું પાલન કરે છે કે નહીં.

ટ્રાન્ઝિટમાં રહેલા માલને પણ મળશે લાભ

CBICએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે 15 જુલાઈએ કરાર અમલમાં આવે ત્યારે જે માલ ટ્રાન્ઝિટમાં હશે અથવા કસ્ટમ્સના નિયંત્રણ હેઠળ હશે, તેને પણ પ્રેફરન્શિયલ ડ્યૂટીનો લાભ મળશે. જે માલ વેરહાઉસમાં રાખવામાં આવ્યો છે પરંતુ હજી ઘરેલુ વપરાશ માટે ક્લિયર થયો નથી, તે પણ આ રાહત માટે પાત્ર રહેશે. શરત એટલી છે કે કરાર અમલમાં આવ્યા પછી તેની પ્રમાણિત Origin Declaration રજૂ કરવી પડશે. આ સ્પષ્ટતાના કારણે કરાર અમલમાં આવે તે પહેલાં રવાના થયેલા માલને માત્ર સમયના કારણે FTAનો લાભ ગુમાવવો પડશે નહીં.

બંને દેશો કયા ક્ષેત્રો માટે બજાર ખોલશે?

આ કરાર હેઠળ યુકેએ પોતાની 99 ટકા ટેરિફ લાઇન્સ પર રાહત આપવાની સંમતિ આપી છે, જ્યારે ભારતે 89.5 ટકા ટેરિફ લાઇન્સ ખોલવા સ્વીકાર્યું છે. ભારતને ખાસ કરીને ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, ફૂટવેર, કાર્પેટ, સીફૂડ, ઓટોમોબાઇલ અને કેટલાક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં મોટો લાભ મળવાની અપેક્ષા છે. બીજી તરફ યુકેને ભારતના મોટા બજારમાં ઓટોમોબાઇલ, આલ્કોહોલિક પીણાં, ઔદ્યોગિક ઉત્પાદનો તથા સરકારી ખરીદી (Government Procurement) જેવા ક્ષેત્રોમાં વધુ પ્રવેશ મળશે.

અમલીકરણ સૌથી મોટી કસોટી

Global Trade Research Initiative (GTRI)ના સ્થાપક અજય શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ભારત-યુકે વેપાર કરારમાં દરેક ઉત્પાદન માટે કોઈ એકસરખો 30 ટકા અથવા 40 ટકા સ્થાનિક મૂલ્યવર્ધન (Local Content Rule) લાગુ પડતો નથી. તેમણે જણાવ્યું કે કરારની સાચી સફળતા તેના અસરકારક અમલીકરણ પર નિર્ભર રહેશે. ભારતીય નિકાસકારોએ નવા ટેરિફ લાભોનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે, વધુ કડક નિયમનકારી ધોરણોનું પાલન કરવું પડશે અને પોતાની સ્પર્ધાત્મકતા વધારવી પડશે. સાથે સાથે સરકારે Safeguard Measures, Carbon Rules અને અન્ય Non-Tariff Barriers જેવા પડકારોનો પણ સામનો કરવો પડશે, જેથી આ કરારથી નિકાસમાં વાસ્તવિક વધારો થઈ શકે. અગ્નેશ્વર સેને જણાવ્યું કે ભારત પ્રથમ દિવસથી જ આ વેપાર કરારની તમામ જોગવાઈઓ અમલમાં મૂકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને પ્રક્રિયાત્મક કોઈ મોટી મુશ્કેલી ઉભી થવાની શક્યતા નથી.

મુખ્ય મુદ્દા

  • CBICએ ભારત-યુકે CETA અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી.
  • Certificate of Originને બદલે Self-Certification પદ્ધતિ અમલમાં આવશે.
  • FTAનો લાભ મેળવવા Unique Reference Number (URN) ફરજિયાત રહેશે.
  • જરૂર પડે તો કસ્ટમ્સ અધિકારીઓ માલના મૂળની ચકાસણી કરી શકશે.
  • ટ્રાન્ઝિટ અને વેરહાઉસમાં રહેલા માલને પણ રાહતી ડ્યૂટીનો લાભ મળશે.
  • યુકેએ 99 ટકા અને ભારતે 89.5 ટકા ટેરિફ લાઇન્સ પર બજાર ખોલવાની સંમતિ આપી છે.

Read Previous

હાઇડ્રોજનથી ચાલતી ટ્રક અને બસોને પણ ઇલેક્ટ્રિક તથા ઇથેનોલ વાહનો જેવી 7 વર્ષની પરમિટમાંથી મુક્તિ

Read Next

એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની 2.5 ટકા આયાત જકાત દૂર કરવાની ખાણ મંત્રાલયની ભલામણ

Most Popular