• 18 July, 2026 - 2:09 PM

કેમિસ્ટ્સ હવે આલ્કોહોલ યુક્ત સિરપ પર પ્રિસ્ક્રિપ્શન વિના વેચી નહિ શકે 

શરદી-ઉધરસની દવાઓનો નશો કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી શિડ્યુલ-કે ને બદલે શિડ્યુલ-એચવનમાં શિફ્ટ કરી દેવામાં આવતા તે બનાવવા માટે લાયસન્સ અને વેચવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં ડ્રગ્સ રૂલ્સ હેઠળ એક અત્યંત કડક અને ઐતિહાસિક સુધારો કરીને ૩૦ મિલીલિટરથી વધુ માત્રાની અને તેમાં ૧૨ ટકાથી વધુ ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ ધરાવતા તમામ ફોર્મ્યુલેશન પરથી શેડ્યૂલ કે‘ (Schedule K) હેઠળ મળતી લાયસન્સિંગ મુક્તિ નાબૂદ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, આ તમામ દવાઓને હવે શેડ્યૂલ એચ-૧‘ (Schedule H1) કેટેગરીમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ એક સામાન્ય લાગતો સુધારો વાસ્તવમાં ફાર્મા ઉદ્યોગ, મેડિકલ સ્ટોર સંચાલકો અને સામાન્ય દર્દીઓના ખિસ્સા તથા આદતો પર વ્યાપક અસર કરનારો સાબિત થશે.

નિયમન પાછળનું મુખ્ય કારણ: હર્બલ દવાઓના નામે થતો નશો

અત્યાર સુધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના શેડ્યૂલ K’ હેઠળ એલચી, આદુના ટિંકચર, સુગંધિત પ્રવાહી અને અમુક આયુર્વેદિક કે હર્બલ કફ સિરપ જેવી પ્રોડક્ટ્સને કડક લાયસન્સિંગ અને પ્રિસ્ક્રિપ્શનના નિયમોમાંથી મુક્તિ મળેલી હતી. આ છટકબારીનો લાભ લઈને બજારમાં એવી દવાઓમાં ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ ૮૦ થી ૯૦ ટકા જેટલું ઊંચું હોવાથી તે બજારમાં ટપોટપ વેચાવા માંડી હતી. વાસ્તવમાં, આ દવાઓનો ઉપયોગ રોગ મટાડવા માટે નહીં, પરંતુ નશો કરવા માટે થતો હતો. ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવાથી તેનું વેચાણ નશો શોધતા મજૂર વર્ગ અને યુવાનોમાં વધી ગયું હતું. દારૂ મોઘો પડતો હોય તેવા વિસ્તારોમાં પણ આ દવાનું વેચાણ વધી ગયું હતું. કારણ કે આ પ્રકારની આલ્કોહોલ યુક્ત દવાઓ મેડિકલ સ્ટોર પરથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચાતી હતી. દેશની ઘણી રાજ્ય સરકારોએ દવાના આ દુરુપયોગ અંગે કેન્દ્ર સરકારને પુરાવા સાથે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી. તેથી આરોગ્ય મંત્રાલયે આ કડક પગલું ભર્યું છે.

કેમિસ્ટો માટે રેકોર્ડ રાખવાની નવી જફા અને મુશ્કેલીઓ

આ દવાઓને શિડ્યૂલ-એચમાં મૂકવાને કારણે દેશભરના મેડિકલ સ્ટોર્સ (કેમિસ્ટો)ની મુશ્કેલીઓમાં રાતોરાત મોટો વધારો થયો છે. હવે કેમિસ્ટો આવી દવાઓ ગ્રાહકને સીધી કાઉન્ટર પર વેચી શકશે નહીં. તેમણે નીચે મુજબની સખત કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. કેમિસ્ટે ગ્રાહક પાસે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર-એલોપેથિક કે માન્ય ડૉક્ટરનું અસલી પ્રિસ્ક્રિપ્શન હોવું ફરજિયાત છે.

ત્રણથી થી સાત વર્ષ સુધી રેકોર્ડની જાળવણી

કેમિસ્ટોએ પોતાના સ્પેશિયલ રજિસ્ટરમાં કયા ડૉક્ટરે દવા લખી આપી, કયા દર્દીએ તે ખરીદી, દર્દીનું સરનામું અને કેટલી માત્રામાં ખરીદી તેના સહિતની તમામ વિગતો તારીખવાર નોંધવી પડશે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની તપાસ માટે આ રેકોર્ડ ઓછામાં ઓછો ત્રણ વર્ષ (અને અગાઉના અમુક પરિપત્રો મુજબ મહત્તમ સાત વર્ષ) સુધી સુરક્ષિત સાચવવો પડશે. આના કારણે નાના કેમિસ્ટોનું કાગળિયાંનું કામ અને કોમ્પ્લાયન્સનો બોજો અસહ્ય બની જશે. ગ્રાહકો સાથે કટોકટી કે બોલાચાલી થવાની સંભાવના પણ વધશે.

સામાન્ય દર્દીઓ પર પડનારી વ્યાપક અસરો

આ નિર્ણયથી જેન્યુઈન દર્દીઓ, ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટી હાલાકી ભોગવવી પડશે. સેલ્ફ-મેડિકેશન-જાતે દવા લેવી પર અંકુશ આવી જશે. ભારતમાં સામાન્ય શરદી, ઉધરસ કે પેટની નાની-મોટી તકલીફોમાં લોકો ડૉક્ટર પાસે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર પરથી આદુ-એલચીના અર્ક કે કફ સિરપ લઈ લેતા હતા. હવે સામાન્ય ઉધરસની દવા માટે પણ ડૉક્ટર પાસે જવું પડશે.

પરિણામે તેમના પર આર્થિક બોજો વધી જશે. આજે સામાન્ય ડૉક્ટર પણ માત્ર બાળક કે દર્દીને તપાસીને પ્રિસ્ક્રિપ્શન લખવાના ૩૦૦ થી ૫૦૦ સુધીની ફી લે છે. દર્દીઓ ઘણીવાર ડૉક્ટરની ફી બચાવવા જૂના પ્રિસ્ક્રિપ્શન પરથી કે જાતે જ દવા ખરીદતા હતા. હવે દર્દીએ દર વખતે ફી ચૂકવવી પડશે, જેનાથી સામાન્ય સારવાર પણ મોંઘી બનશે. ડૉક્ટરોની ઓપીડી-આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં પણ માત્ર સામાન્ય ખાંસી-શરદીના દર્દીઓનો ધસારો વધશે. બીજા શબ્દોમાં ડૉક્ટરની પ્રેક્ટિશમાં વધારો થશે.

ફાર્મા કંપનીઓ માટે પડકાર: ફોર્મ્યુલા બદલવાની ફરજ

જે કંપનીઓ માત્ર નિયમોની છટકબારીનો ઉપયોગ કરીને અથવા નશાખોરીના બજારને ટાર્ગેટ કરીને ૮૦-૯૦ ટકા આલ્કોહોલ વાળી દવાઓ બનાવતી હતી, તેમનો ધંધો હવે સંપૂર્ણપણે બંધ થઈ જશે. પરંતુ જે પ્રમાણિક કંપનીઓ છે, તેમણે પણ આ કડક નિયમો અને લાયસન્સની લાંબી ઝંઝટમાંથી બચવા માટે પોતાની દવાની ફોર્મ્યુલામાં મોટા ફેરફારો કરવાનો વિચાર કરવો પડશે. કંપનીઓ પાસે હવે બે જ રસ્તા બચશે. એક, કંપનીઓએ પોતાની દવામાં ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ ઘટાડીને સત્તાવાર રીતે ૧૨ ટકાની અંદર લાવી દેવું પડશે. બીજું, ફોર્મ્યુલેશનમાં ઇથિલ આલ્કોહોલના સ્થાને અન્ય સુરક્ષિત સોલ્વન્ટ્સ અથવા આલ્કોહોલમુક્ત વિકલ્પોનો ઉપયોગ શરૂ કરવો પડશે.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ખર્ચ થશે

નવા રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવા માટે અને તેમની દવા લાયસન્સ મુક્તિની કેટેગરીમાં જળવાઈ રહેશે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓટીસી-ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ તરીકે વેચી શકાશે. જો કે, આ નવી ફોર્મ્યુલા શોધવા અને તેના સ્ટેબિલિટી ટેસ્ટિંગ પાછળ કંપનીઓનો રિસર્ચ ખર્ચ વધશે.

પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત કરવાના લાંબા ગાળાના ફાયદા

તમામ તકલીફો હોવા છતાં, સરકારના આ કડક નિર્ણય પાછળ સમાજ અને આરોગ્ય ક્ષેત્રનું મોટું હિત છુપાયેલું છે. ડૉક્ટરના નિયંત્રણ હેઠળ આવવાથી દર્દીને દવાનો એટલો જ ડોઝ મળશે જેટલો તેના શરીર માટે જરૂરી છે. નશો કરવા માટે આ દવાઓનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવે છે તેના પર અંકુશ આવી જશે. સમગ્ર સપ્લાય ચેઈન (ઉત્પાદકથી લઈને હોલસેલર અને રિટેલર સુધી) પર સરકારની ઓનલાઇન કે ઓફલાઇન કડક નજર રહેશે, જેથી દવાઓ નશાના અડ્ડાઓ પર ડાયવર્ટ થતી અટકશે. બીજું, બજારમાંથી નકલી, બિનધોરણસરની અને માત્ર નશા માટે બનતી આયુર્વેદિક કે હર્બલ સિરપો ગાયબ થઈ જશે. જે જેન્યુઈન ફાર્મા કંપનીઓ પ્રમાણિકતાથી કામ કરે છે, તેમને લાંબા ગાળે મોટો ફાયદો થશે.

સરકારનો આ નિર્ણય સ્વાસ્થ્ય સુરક્ષાની દ્રષ્ટિએ આવકારદાયક છે, પરંતુ અમલીકરણના પ્રારંભિક તબક્કામાં સામાન્ય ગ્રાહકોને આર્થિક અને કેમિસ્ટોને વહીવટી મુશ્કેલીઓ જરૂર પડશે. ફાર્મા ઉદ્યોગે હવે ગ્રાહકોની સુવિધા માટે ઓછા આલ્કોહોલ વાળા અથવા આલ્કોહોલ-મુક્ત વિકલ્પો ઝડપથી બજારમાં લાવવા પડશે, જેથી કરીને સાચી સારવાર માટે દવાઓની કટોકટી ઊભી ન થાય તેની કાળજી લેવામાં આવી છે.

Read Previous

ડીવીઝ લેબોરેટરીઝના શેર્સમાં રોકાણકારોએ શું કરવું જોઈએ?

Most Popular