SEBIએ પ્રોબેટને ફરજિયાત નહિ, મરજિયાત બનાવતા વારસદારોને શેર્સ-મ્યુચ્યુઅલ ફંડના રોકાણો ટ્રાન્સફર કરાવવામાં તકલીફ નહિ પડે
SEBIએ પ્રોબેટને ફરજિયાત નહિ, મરજિયાત બનાવતા વારસદારોને શેર્સ-મ્યુચ્યુઅલ ફંડના રોકાણો ટ્રાન્સફર કરાવવામાં તકલીફ નહિ પડે
ફિઝિકલ સિક્યોરિટીઝ માટે રૂ. ૧૦ લાખ સુધી અને ડીમેટ સ્વરૂપમાં રહેલી સિક્યોરિટીઝ માટે રૂ. ૩૦ લાખ સુધી સરળ દસ્તાવેજીકરણ માળખું લાગુ થશે.
સરળ દસ્તાવેજીકરણ શ્રેણી હેઠળના દાવાઓ માટે, કાયદેસર વારસદારો અલગ એફિડેવિટને બદલે પાત્ર કિસ્સાઓમાં વિધિવત પ્રમાણિત ‘ફેમિલી સેટલમેન્ટ ડીડ’ (પરિવાર કરારનામું) પણ સબમિટ કરી શકે છે
અમદાવાદઃ શેરબજારના નિયામક ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’એ સિક્યોરિટીઝના ટ્રાન્સમિશન (વારસાઈ ટ્રાન્સફર) માટેના સ્ટાન્ડર્ડ માળખા હેઠળ વસિયતનામાનું પ્રોબેટ મેળવવાની ફરજિયાત આવશ્યકતા દૂર કરી છે. આ સાથે જ વારસાના દાવાઓને ઝડપી અને સરળ બનાવવા માટે એક પ્રમાણિત પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે. સેબીએ બહાર પાડેલા પરિપત્રના માધ્યમથી આ સુધારેલું માળખું, લિસ્ટેડ કંપનીઓ, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ, ડિપોઝિટરીઝ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ વચ્ચે વારસાઈ પ્રક્રિયામાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો ૧૯ ઓગસ્ટ ૨૦૨૬થી અમલમાં આવશે.
નિયામકે જણાવ્યું હતું કે, રોકાણ અને વ્યવસાય કરવાની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને રોકાણકાર-સાનુકૂળ બનાવીને સરળતા (‘ઈઝ ઓફ ડુઈંગ ઈન્વેસ્ટમેન્ટ’ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’) વધારવાના તેના સતત પ્રયાસોના ભાગરૂપે આ સુધારેલું માળખું લાવવામાં આવ્યું છે. આ માળખું એકમાત્ર ખાતાધારક અથવા તમામ સંયુક્ત ખાતાધારકોના મૃત્યુ પછી લિસ્ટેડ સિક્યોરિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના વારસાઈ ટ્રાન્સફર માટે લાગુ પડે છે, પરંતુ જ્યાં કાયદેસરના વારસદારો વચ્ચે વિવાદો અથવા સામે સામે દાવાઓ હોય ત્યાં આ લાગુ પડશે નહીં.
પ્રોબેટ હવે ફરજિયાત નથી
સૌથી મોટા ફેરફારોમાંનો એક સ્ટાન્ડર્ડ ટ્રાન્સમિશન ફ્રેમવર્ક હેઠળ વસિયતનામાનું પ્રોબેટ રજૂ કરવાની ફરજિયાત જરૂરિયાતને દૂર કરવાનો છે, જે SEBIના નિયમોને ઉત્તરાધિકાર કાયદાના તાજેતરના સુધારાઓ સાથે સુસંગત બનાવે છે. જો કે દાવેદારો હજુ પણ કોર્ટ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો રજૂ કરી શકે છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો વારસદાર સક્સેશન સર્ટિફિકેટ (ઉત્તરાધિકાર પ્રમાણપત્ર), વિલનું પ્રોબેટ, લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન અથવા કોર્ટનો હુકમ રજૂ કરી શકે છે. પરંતુ આ સરળ માળખા હેઠળ હવે તમામ કિસ્સાઓમાં આ દસ્તાવેજો ફરજિયાત રહેશે નહીં.
નાના મૂલ્યના દાવાઓ માટે ઝડપી પ્રક્રિયા
સેબીએ નાના મૂલ્યના દાવાઓની ઝડપી પતાવટ સુનિશ્ચિત કરવા માટે ‘ક્વિક ટ્રાન્સમિશન પ્રોસેસિંગ’ નામની એક નવી શ્રેણી પણ બનાવી છે. ‘ક્વિક ટ્રાન્સમિશન પ્રોસેસિંગ’ની પ્રક્રિયા હેઠળ, ભૌતિક (ફિઝિકલ) સ્વરૂપમાં રૂ. ૧૦,૦૦૦ સુધીની અને ડીમટીરિયલાઈઝ્ડ (ડીમેટ) સ્વરૂપમાં રૂ. ૩૦,૦૦૦ સુધીની સિક્યોરિટીઝ માટે આ સરળ પ્રક્રિયા ઉપલબ્ધ રહેશે. મોટા રોકાણોમાં ફિઝિકલ સિક્યોરિટીઝ માટે રૂ. ૧૦ લાખ સુધી અને ડીમેટ સ્વરૂપમાં રહેલી સિક્યોરિટીઝ માટે રૂ. ૩૦ લાખ સુધી સરળ દસ્તાવેજીકરણ માળખું લાગુ થશે. નિયામકે લિસ્ટેડ કંપનીઓને ફિઝિકલ સિક્યોરિટીઝ માટે રૂ. ૧૦ લાખની મર્યાદા સ્વેચ્છાએ વધારવાની છૂટ પણ આપી છે.
તમામ મધ્યસ્થીઓ વચ્ચે સમાન દસ્તાવેજીકરણ
સેબીના આ સુધારેલા માળખાનો એક મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ બજાર મધ્યસ્થીઓ દ્વારા અપનાવવામાં આવતી દસ્તાવેજોની અલગ-અલગ જરૂરિયાતોને નાબૂદ કરવાનો છે. સેબીએ લિસ્ટેડ કંપનીઓ, RTAs, ડિપોઝિટરીઝ, DPs અને મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતની તમામ પ્રક્રિયા કરતી સંસ્થાઓ માટે સામાન્ય ફોર્મ્સ અને પ્રમાણિત દસ્તાવેજો નક્કી કર્યા છે. નિયામકે ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ, ઈન્ડેમનિટી બોન્ડ અને એફિડેવિટના ફોર્મેટને પણ સુમેળભર્યા બનાવ્યા છે, જે સંસ્થાઓએ ભૌતિક રીતે અને તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવાના રહેશે.
એક જ ‘એફિડેવિટ-કમ-NOC’ દસ્તાવેજોનું ભારણ ઘટાડશે
સુધારેલા નિયમો અલગ-અલગ એફિડેવિટ અને ના-વાંધા પ્રમાણપત્રો (NOC)ને બદલે એક જ ‘એફિડેવિટ-કમ-NOC’ લાવીને કાગળકામને સરળ બનાવે છે, જેથી કાયદેસરના વારસદારો પર દસ્તાવેજોનું ભારણ ઘટે છે. સરળ દસ્તાવેજીકરણ શ્રેણી હેઠળના દાવાઓ માટે, કાયદેસર વારસદારો અલગ એફિડેવિટને બદલે પાત્ર કિસ્સાઓમાં વિધિવત પ્રમાણિત ‘ફેમિલી સેટલમેન્ટ ડીડ’ (પરિવાર કરારનામું) પણ સબમિટ કરી શકે છે.
QR-કોડવાળા મૃત્યુ પ્રમાણપત્રો માન્ય
સેબીએ રોકાણકારના મૃત્યુ સાબિત કરવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોનો વ્યાપ વધાર્યો છે. મૃત્યુ પ્રમાણપત્રની મૂળ અથવા પ્રમાણિત નકલો ઉપરાંત, હવે પ્રક્રિયા કરતી સંસ્થાઓ QR કોડ ધરાવતા મૃત્યુ પ્રમાણપત્રો પણ સ્વીકારશે, જેથી ચકાસણી સરળ બને છે. વિદેશમાં મૃત્યુ પામેલા રોકાણકારો માટે, નિયામકે નોટરાઈઝેશન, કન્સ્યુલરાઈઝેશન અને એપોસ્ટિલ જેવી હાલની પદ્ધતિઓ ઉપરાંત ભારતીય શેડ્યૂલ કોમર્શિયલ બેંકોની વિદેશી શાખાઓ અને ભારતીય બેંકો સાથે સંબંધ ધરાવતી વિદેશી બેંકોની શાખાઓ દ્વારા પ્રમાણપત્ર મેળવવાની મંજૂરી આપીને વિદેશી ડેથ સર્ટિફિકેટ્સને પ્રમાણિત કરવાની પદ્ધતિઓનો વ્યાપ વધાર્યો છે.
‘ક્વિક ટ્રાન્સમિશન પ્રોસેસિંગ’ હેઠળ નજીકના સંબંધીઓ પાત્ર
જ્યાં કોઈ નોમિનેશન (નામાંકન) ન હોય, ત્યાં ‘ક્વિક ટ્રાન્સમિશન પ્રોસેસિંગ’ સુવિધા માત્ર મૃતક રોકાણકારના નજીકના સંબંધીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. તેમાં પતિ, પત્ની, માતાપિતા, બાળકો અને સાસુ-સસરાનો સમાવેશ થાય છે. આવા દાવેદારોએ મૃતક સિક્યોરિટી હોલ્ડર સાથેના તેમના સંબંધો દર્શાવતા પુરાવા સાથે ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ-કમ-અંડરટેકિંગ સબમિટ કરવાનું રહેશે.
એકવીસ દિવસની નિર્ધારિત સમયસીમા
વિલંબ ઘટાડવા માટે સેબીએ તમામ પ્રક્રિયા કરતી સંસ્થાઓને જરૂરી તમામ દસ્તાવેજો મળ્યાના ૨૧ કલેન્ડર દિવસોની અંદર ટ્રાન્સમિશન વિનંતીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. જો કોઈ વિનંતીમાં વિલંબ થાય કે અસ્વીકાર થાય, તો સંબંધિત સંસ્થાએ તેના કારણો દાવેદારને લેખિતમાં જણાવવાના રહેશે. સેબીએ એવી ચેતવણી પણ આપી છે કે જો વિલંબ માટે પ્રક્રિયા કરનાર સંસ્થા જવાબદાર હશે તો તે નિયમનકારી કાર્યવાહી શરૂ કરી શકે છે. ઉપરાંત, લિસ્ટેડ કંપનીઓ, RTAs, ડિપોઝિટરીઝ, DPs અને AMCs એ નવા ફ્રેમવર્ક હેઠળ મળેલી, મંજૂર થયેલી, અસ્વીકાર થયેલી અને પેન્ડિંગ ટ્રાન્સમિશન વિનંતીઓની વિગતો આપતા માસિક અહેવાલો છ મહિના સુધી SEBIને સબમિટ કરવા પડશે.
ફિઝિકલ સિક્યોરિટીઝનું ફરજિયાત ડીમટીરિયલાઈઝેશન
ફિઝિકલ સ્વરૂપમાં રહેલી સિક્યોરિટીઝ માટે સેબીએ વિનંતી મંજૂર થયા પછી સિક્યોરિટીઝને ડીમટીરિયલાઈઝ્ડ ફોર્મમાં રૂપાંતરિત કરીને સીધી દાવેદારના ડીમેટ ખાતામાં જમા કરવાનું ફરજિયાત બનાવ્યું છે. નિયામકે લોક-ઇન સિક્યોરિટીઝ અને સફળ ડીમટીરિયલાઈઝેશન પછી રદ કરાયેલા ફિઝિકલ સર્ટિફિકેટ્સને સુરક્ષિત રાખવા માટેની પ્રક્રિયાઓ પણ નક્કી કરી છે.
હયાત સંયુક્ત ધારકો માટે રાહત
સેબીના પરિપત્રમાં એ પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે જ્યાં સિક્યોરિટીઝ સંયુક્ત રીતે રાખવામાં આવી હોય, ત્યાં હયાત સંયુક્ત ધારકો ઉત્તરાધિકારના નિયમ (રૂલ ઓફ સરવાઈવરશિપ) હેઠળ સિક્યોરિટીઝ મેળવવાનું ચાલુ રાખશે. આ પ્રકારના કિસ્સાઓમાં, સંસ્થાઓ KYC, ઈન્ડેમનિટી કે અંડરટેકિંગ સહિતના વધારાના દસ્તાવેજોનો આગ્રહ રાખી શકશે નહીં અને તેઓ માત્ર મૃતક ધારકના મૃત્યુ પ્રમાણપત્રની નકલ માગી શકે છે. આ વ્યાપક ફેરફારથી દસ્તાવેજીકરણ નોંધપાત્ર રીતે ઘટવાની, મધ્યસ્થીઓમાં એકરૂપતા લાવવાની અને રોકાણકારના મૃત્યુ પછી પરિવારોને વારસાગત રોકાણ મેળવવામાં લાગતો સમય ખૂબ જ ઓછો થવાની અપેક્ષા છે.
