• 10 August, 2026 - 11:15 AM

ઈ-કોમર્સ નિકાસ નીતિ આવતા ભારતના નાના વેપારીઓ માટે વિશ્વ વેપારમાં ફતેહ કરી શકશે ઝંઝટમુક્ત નિકાસ

ઈ-કોમર્સ નિકાસ નીતિ આવતા ભારતના નાના વેપારીઓ માટે વિશ્વ વેપારમાં ફતેહ કરી શકશે ઝંઝટમુક્ત નિકાસ: રેડ ટેપિઝમથી મુક્તિ અને સિંગલ-વિન્ડો ડિજિટલ ક્રાંતિ

નાના અને મધ્યમ ઉદ્યોગોનો સુવર્ણકાળ શરૂ થશે. સ્થાનિક કારીગરોથી લઈને D2C બ્રાન્ડ્સ હવે ગ્લોબલ બજારમાં

FDI ના નવા દ્વાર: વૈશ્વિક રોકાણ સાથે અદ્યતન લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ

૧૦૦ બિલિયન ડૉલરનો લક્ષ્યાંક: નિકાસમાં અબજો ડૉલરના ઉછાળાની તૈયારી

લાખો નવી નોકરીઓ: ટેકનોલોજી, પેકેજિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રોજગારીનો ધમધમાટ

આત્મનિર્ભર ભારતથી ગ્લોબલ ઇન્ડિયા: ‘મેડ ઇન ઇન્ડિયા’નો સમગ્ર વિશ્વમાં દબદબો

છ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે નવી ઇ-કોમર્સ નિકાસ નીતિની જાહેરાત કરી છે. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ડિજિટલ પ્લેટફોર્મ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ભારત સરકારે દેશના સ્થાનિક વેપારીઓ અને ઉત્પાદકોને વૈશ્વિક બજાર સાથે સીધા જોડવા માટે આ માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઈ-કોમર્સ નિકાસ ક્ષેત્રે રહેલી જટિલતાઓને દૂર કરી, વૈશ્વિક સ્તરે ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોનો દબદબો ઊભો કરવાનો છે.

સરળ શબ્દોમાં કહીએ તો, અત્યાર સુધી કોઈ ભારતીય વેપારીએ વિદેશમાં પોતાનો માલ વેચવો હોય તો તેણે સરકારી દફ્તરોમાં જઈને કાગળિયા કરવાની અત્યંત જટિલ વ્યવસ્થામાંથી પસાર થવું પડતું હતું. કસ્ટમ્સ ક્લિયરન્સ અને અનેક પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. નવી ઇ-કોમર્સ નિકાસ નીતિ આ સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ, ઝડપી અને અત્યંત સરળ બનાવે છે.

નવી ઇ કોમર્સ પોલીસી હેઠળ દેશભરમાં વિશેષ ઇ-કોમર્સ નિકાસ કેન્દ્રો સ્થાપવામાં આવશે. તેના થકી કરવામાં આવતી નિકાસના કન્સાઈનમેન્ટ માટે ડિજિટલ કસ્ટમ્સ ક્લિયરન્સ સિસ્ટમ દાખલ કરવામાં આવશે. કસ્ટમ્સ વિભાગની પ્રક્રિયાઓને પૂર્ણપણે ઓટોમેટિક અને ઝડપી બનાવવામાં આવી છે. તેની સાથે જ તેમના રિટર્ન ફાઈલ કરવાની સિસ્ટમને સરળ બનાવી દેવામાં આવી છે. વિદેશથી નાપસંદ થઈને પરત આવતા માલ પર લાગતી જટિલ ડ્યુટી અને નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે.

નિકાસ કઈ રીતે સરળ બનશે?

અત્યાર સુધી નાના વેપારીઓ નિકાસના નામથી જ ડરતા હતા. પરંતુ આ નવી નીતિથી નિકાસ પ્રક્રિયા નીચે મુજબ અત્યંત સરળ બની જશે. એક, ઇ-કોમર્સ કંપનીઓ થકી નિકાસ કરવા માટે સરકારી કચેરીઓમાં જઈને પેપર વર્ક કરવાની જફા એકદમ ઓછી કરી દેવામાં આવી છે. શિપમેન્ટ માટે જરૂરી દસ્તાવેજોની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. તમામ પ્રક્રિયાઓ સિંગલ-વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ પરથી થશે. અગાઉ ઈ-કોમર્સ દ્વારા નિકાસ કરવી નાના વેપારીઓ માટે અત્યંત જટિલ અને કંટાળાજનક હતી. કસ્ટમ્સ ક્લિયરન્સ માટે મલ્ટિપલ ફોર્મ્સ, એક્સપોર્ટ પ્રૂફ અને મ્યુઝિયમ જેવા કાગળિયાં સબમિટ કરવા પડતા હતા. નાના કુરિયર કે પારસલ માટે પણ શિપિંગ બિલ, એક્સપોર્ટ ગેરંટી અને બેંક કન્ફર્મેશન લેટર (BRC) મેળવવા માટે દિવસો સુધી સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડતા હતા. આ ઉપરાંત, વિદેશથી રિજેક્ટ થઈને પરત આવતા સામાન પર ભારે કસ્ટમ ડ્યુટી લાગતી અને રિટર્ન પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જતા, જેના કારણે નાની કંપનીઓ માટે સમય અને નાણાં બંનેનો મોટો બગાડ થતો હતો.

તેમ જ તેમના થકી કરવાની થતી નિકાસના મૂલ્યની અત્યાર સુધીની મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અગાઉ કુરિયર કે પોસ્ટેજ દ્વારા ઇ-કોમર્સ નિકાસ કરવા માટે શિપમેન્ટ દીઠ મહત્તમ રૂ. ૫ લાખ સુધીની મૂલ્ય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ મર્યાદાને કારણે મોંઘી અને કિંમતી વસ્તુઓની નિકાસમાં મોટી અડચણ આવતી હતી. હવે નવી ઇ-કોમર્સ નિકાસ નીતિ હેઠળ આ મર્યાદા વધારીને રૂ. ૧૦ લાખ સુધીની કરી દેવામાં આવી છે. દ્રષ્ટાંત આપીને વાત કરીએ તો સુરતનો કોઈ ઝવેરી કે જયપુરનો હસ્તકળાનો કારીગર વિદેશના ગ્રાહકને રૂ. ૮ લાખની કિંમતનો હીરાનો સેટ કે હાથસાળની કિંમતી સાડીઓ મોકલવા ઈચ્છતો હોય, તો અગાઉ રૂ. ૫ લાખની મર્યાદાને કારણે તેને કુરિયરથી સીધો મોકલી શકાતો નહોતો. પરંતુ હવે તે સરળતાથી ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા રૂ. ૧૦ લાખ સુધીનો સામાન એક જ શિપમેન્ટમાં નિકાસ કરી શકશે. . આમ નિકાસના મૂલ્યમાં વધારો કરવામાં આવતા અગાઉ કુરિયર કે પોસ્ટેજ દ્વારા નિકાસ કરવા માટેની મર્યાદાઓ ખૂબ ઓછી હતી, જેમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી મોંઘી વસ્તુઓ એટલે કે જ્વેલરી, હાથસાળની વસ્તુઓ પણ સરળતાથી મોકલી શકાશે.

ઝડપી કસ્ટમ ક્લિયરન્સ

એરપોર્ટ અને બંદરો પર ઇ-કોમર્સ પારસલો માટે અલગથી ગ્રીન ચેનલ કે ફાસ્ટ-ટ્રેક સુવિધા ઊભી કરાશે, જેથી સામાન અઠવાડિયાના બદલે કલાકોમાં ક્લિયર થઈ જશે. ગાઉ કસ્ટમ્સ ક્લિયરન્સ માટે દરેક પારસલની મેન્યુઅલ-હાથથી ચકાસણી, કાગળોનું ફિઝિકલ વેસિફિકેશન અને ડ્યૂટી ગણતરીની જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. અલગ-અલગ વિભાગોની મંજૂરી મેળવવામાં જ ૭ થી ૧૦ દિવસનો સમય બગડી જતો હતો. હવે નવી નીતિ હેઠળ સંપૂર્ણ પ્રક્રિયાને ડિજિટલ અને ઓટોમેટેડ બનાવવામાં આવી છે. ઇ-કોમર્સ પારસલો માટે એરપોર્ટ અને પોર્ટ પર ગ્રીન ચેનલ’ (ફાસ્ટ-ટ્રેક) સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા ઈન્ટિગ્રેશન દ્વારા દસ્તાવેજોનું ઓનલાઈન ત્વરિત વેરિફિકેશન થઈ જશે, જેથી સામાન રોકાયા વગર ૨ થી ૪ કલાકમાં જ કસ્ટમ્સ ક્લિયર થઈ જશે.

ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ્સ

ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ્સ એ એક એવું વિશેષ ડિજિટલ અને લોજિસ્ટિક્સ સેન્ટર છે, જ્યાં નિકાસકારોને એક જ છત હેઠળ તમામ સુવિધાઓ મળે છે. અહીં વિદેશ મોકલવાના સામાનનું વેરહાઉસિંગ, પેકેજિંગ, લેબલિંગ, ક્વોલિટી ચેકિંગ અને કસ્ટમ્સ ક્લિયરન્સ જેવી તમામ પ્રક્રિયાઓ એકસાથે પૂર્ણ થાય છે. આ હબ્સ એરપોર્ટ અને પોર્ટની નજીક સ્થાપવામાં આવશે, જેથી સામાનને વિદેશ રવાના કરવામાં વિલંબ ન થાય. નાના વેપારીઓ પોતાના નાના શિપમેન્ટ અહીં લાવીને જમા કરાવી શકે છે, જેને એકત્રિત કરીને ઝડપથી અને ઓછા ખર્ચે વિદેશ મોકલવામાં આવે છે. આ વ્યવસ્થાથી સપ્લાય ચેઈન અતિ ઝડપી અને કાર્યક્ષમ બનશે.

રિટર્ન નીતિ

અગાઉ ઇ-કોમર્સ વેપારમાં વિદેશી ગ્રાહક દ્વારા નાપસંદ કરીને પરત મોકલવામાં આવેલા માલ પર ભારતમાં ફરી પ્રવેશતી વખતે ભારે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડતી હતી અને તેની કાયદાકીય પ્રક્રિયા અત્યંત જટિલ હતી. નવી નીતિ હેઠળ આ રિટર્ન પ્રક્રિયાને અત્યંત સરળ અને આર્થિક રાહત આપનારી બનાવવામાં આવી છે. જો કોઈ સામાન વિદેશથી પરત આવે, તો વેપારીએ તેના પર વધારાની ડ્યુટી ચૂકવવી પડશે નહીં. તદુપરાંત, ડિજિટલ વેરિફિકેશન દ્વારા રી-ઈમ્પોર્ટના કાગળિયાં ઝડપથી ઉકેલાઈ જશે. આનાથી નાના નિકાસકારોને વિદેશી ગ્રાહકોને રિફંડ કે રિપ્લેસમેન્ટ આપવામાં થતું મોટું આર્થિક નુકસાન અને જોખમ ઘટી જશે.

૩. નાના અને મધ્યમ કદના ઉત્પાદકોને કેવી રીતે ફાયદો થશે?

આ નીતિનો સૌથી મોટો ફાયદો આપણા દેશના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો-એમએસએમઈને, કારીગરો, વણકરો અને સ્ટાર્ટઅપ્સ છે. એક, નાના અને મધ્યમ કદના ઉત્પાદકોના પ્રોડક્ટ્સ હવે વિશ્વ બજાર સુધી સરળતાથી પહોંચી જશે. ઉદાહરણ આપીને વાત કરીએ. હવે સુરતના કાપડ વેપારી, જયપુરના હસ્તકળા કારીગર કે આસામના ચા ઉત્પાદકને વિદેશમાં એજન્ટો રાખવાની જરૂર નથી. તેઓ સીધા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ગ્રાહકને માલ વેચી શકશે. પરિણામે એજન્ટ્સને આપવો પડતો કટ પણ આપવાની જફા રહેશે નહિ. તેથી તેમની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પણ ઓછી થશે. સમગ્ર સરળ પ્રક્રિયાઓને કારણે તેમનો સમય અને પૈસા બંને બચશે.

બીજું, તેમને સરકાર તરફથી પ્રોત્સાહન પણ મળશે. નિકાસકારોને નિકાસ પર મળતા ટેક્સ રિફંડ એટલે કે રોડટેપની જોગવાઈ હેઠળ મળતાં પ્રોત્સાહનો હવે સીધા અને ઝડપથી તેમના બેન્ક ખાતામાં જમા થશે. ભારત સરકાર દ્વારા નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ ચલાવવામાં આવે છે. નવી ઇ-કોમર્સ નીતિ હેઠળ આ યોજનાઓના નાણાકીય લાભો સીધા જ વેપારીઓના બેંક ખાતામાં ઝડપથી જમા થશે.

નિકાસ માટે પ્રોત્સાહન આપતી પહેલી યોજના રોડટેપ-રેમિશન ઓફ ડ્યૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ઉત્પાદન અને શિપમેન્ટ દરમિયાન લાગતા સ્થાનિક ટેક્સ (જેમ કે મંડી ટેક્સ, કોલસા પરની ડ્યુટી, બળતણ પરનો વેટ) પરત મળે છે. આ યોજના હેઠળ નિકાસ કરેલી વસ્તુની કિંમત એટલે કે ફ્રી ઓન બોર્ડ વેલ્યુના ૦.૫ ટકાથી માંડીને ૪.૩ ટકા સુધીનું રિફંડ મેળવી શકાય છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો કોઈ વેપારી રૂ. ૧૦ લાખના રેડીમેડ કપડાં વિદેશ મોકલે છે અને તેના પર રોડ ટેપનો દર ૩ ટકાનો છે. આમ રેડિમેડ કપડાંની નિકાસ કરનાર વેપારીને કે નિકાસકારને ખાતામાં સીધા રૂ. ૩૦,૦૦૦ ઈ-સ્ક્રીપ કે કેશ રિફંડ સ્વરૂપે જમા થઈ જશે.

આ પ્રકારની બીજી યોજના રીબેટ ઓપ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સિસ એન્ડ લેવીઝની છે. આ યોજના ખાસ કરીને ટેક્સટાઈલ સેક્ટરમાં કાપડ અને ગારમેન્ટ ક્ષેત્ર માટે છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના પરોક્ષ કર પરત આપવામાં આવે છે. આમ કાપડની નિકાસ પર ૫ ટકાથી માંડીને ૬.૦૫ ટકા સુધીનું વળતર મળે છે.

માર્કેટ એક્સેસ ઈનિશિયેટિવની યોજના પણ છે. નાના વેપારીઓને વિદેશી બજારમાં માર્કેટિંગ અને પ્રદર્શન માટે મદદ કરવામાં આવે છે. વિદેશી ટ્રેડ ફેરમાં સ્ટોલ ભાડાં પર ૫૦ ટકાથી ૭૫ ટકા સુધીની સબસિડી અને એર ફેર (વિમાન ભાડા) માં રાહત મળે છે. ડિજિટલ ટ્રાન્સફરના કારણે અગાઉ જે રિફંડ મેળવવામાં ૬ થી ૮ મહિના લાગતા હતા, તે હવે ઈ-કોમર્સ સિસ્ટમથી માત્ર થોડા દિવસોમાં સીધા વેપારીના ખાતામાં જમા થઈ જશે. અગાઉ ટેક્સ રિફંડ મેળવવા માટે નિકાસકારે મેન્યુઅલ દસ્તાવેજો, શિપિંગ બિલ અને બેંક પ્રમાણપત્રો (eBRC) સબમિટ કરીને અનેક સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડતા હતા. કાગળોની ફિઝિકલ ચકાસણી અને માનવ હસ્તક્ષેપને કારણે રિફંડ મંજૂર થવામાં ૬ થી ૮ મહિનાનો સમય નીકળી જતો હતો.

નવી નીતિમાં આ સમગ્ર સિસ્ટમને ડિજિટલ ડેટા ઈન્ટિગ્રેશન અને ઓટોમેટેડ પ્રોસેસિંગ સાથે જોડી દેવામાં આવી છે. હવે કસ્ટમ્સ, DGFT અને બેંકિંગ સિસ્ટમ એક જ પ્લેટફોર્મ પર સીધી જોડાયેલી હોવાથી માલ નિકાસ થતાં જ ડેટા ઓટો-વેરિફાય થઈ જશે. આથી કોઈ માનવીય વિલંબ વગર રિફંડના નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા વેપારીના બેંક ખાતામાં દિવસોમાં જમા થઈ જશે.

 ત્રીજું, ઇ-કોમર્સ કંપનીઓ અને ઓનલાઇન વેપારને ખાસ્સોસ લાભ થશે. આ નીતિ માત્ર ઉત્પાદકો માટે જ નહીં, પણ ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓ માટે પણ વરદાનરૂપ છે. નવી નીતિથી ઓનલાઈન પ્લેટફોર્મ ચલાવતી કંપનીઓ અને ડિજિટલ વેપારીઓને મોટો આર્થિક લાભ થશે. અમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા મોટા પ્લેટફોર્મ્સ તેમ જ શોપિફાય પર પોતાની વેબસાઇટ ચલાવતા ડાઇરેક્ટ-ટુ-કન્ઝ્યુમર બ્રાન્ડ્સ હવે ભારતીય ઉત્પાદનોને સીધા વિદેશી ગ્રાહકો સુધી પહોંચાડી શકશે.

કાગળકામ અને કસ્ટમ્સની જટિલતાઓ દૂર થતાં કંપનીઓનો ઓપરેશનલ ખર્ચ અને સમય બચશે. આ ઉપરાંત, વિદેશી ગ્રાહકો સુધી પહોંચવા માટે લોજિસ્ટિક્સ અને ડિલિવરી નેટવર્ક મજબૂત બનશે, જેથી ઓર્ડર કેન્સલેશનનું જોખમ ઘટશે. અંદાજે ૧ લાખથી વધુ ઓનલાઈન વેપારીઓ અને નાના અને મધ્યમ ઉદ્યોગોને આ નીતિના કારણે પોતાનો વૈશ્વિક વેપાર વિસ્તારવામાં સફળ રહેશે, જેનાથી તેમના ટર્નઓવર અને નફામાં મોટો ઉછાળો આવશે.

કઈ કંપનીઓને ફાયદો થશે?

અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવા મોટા વૈશ્વિક અને ભારતીય પ્લેટફોર્મ્સ ઉપરાંત શોપિફાય કે પોતાની સ્વતંત્ર વેબસાઇટ ચલાવતા હજારો નાના-મોટા ડી-ટુ-સી એટલે કે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ્સને આનો સીધો લાભ મળશે.

ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ એટલે એવા ઉત્પાદકો કે જેઓ કોઈ મધ્યસ્થી એટલે કે હોલસેલર, ડિસ્ટ્રિબ્યુટર કે મોટા મોલની મદદ વિના જ પોતાની વેબસાઈટ કે ઈ-કોમર્સ એપ દ્વારા સીધા જ ગ્રાહકોને સામાન વેચે છે. નવી ઈ-કોમર્સ નિકાસ નીતિથી આવી ભારતીય ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ માટે વિશ્વભરના ગ્રાહકો સુધી સીધા પહોંચવાના દ્વાર ખૂલી ગયા છે. અગાઉ વિદેશમાં માલ વેચવા માટે વિદેશી ડિસ્ટ્રિબ્યુટર્સ કે એજન્ટો રાખવા પડતા હતા, જેઓ મોટું કમિશન લેતા હતા. હવે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમરને કારણે  કંપનીઓ ભારતમાં બેઠા-બેઠા જ વિદેશી ગ્રાહકના ઘર સુધી સામાન પહોંચાડી શકશે. આમ વચેટિયાઓ દૂર થવાથી અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટવાથી ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ્સનો નફો સીધો વધી જશે. વિદેશ મોકલવામાં આવેલા માલને રિટર્ન કરવાના નિયમો પણ સરળ રાખવામાં આવ્યા છે. તેથી ગ્રાહકોને પણ સંતોષ થશે. જો વિદેશી ગ્રાહક સામાન પરત કરે, તો નવી સરળ રિટર્ન નીતિના કારણે બ્રાન્ડ્સને ભારે ડ્યુટી કે દંડ ભરવો નહીં પડે.

ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ્સ અને ફાસ્ટ-ટ્રેક કસ્ટમ ક્લિયરન્સને કારણે વિદેશી ગ્રાહકને અઠવાડિયાના બદલે ૨ થી ૪ દિવસમાં પારસલ મળી જશે, જેથી ગ્રાહકનો વિશ્વાસ વધશે. ધારો કે અમદાવાદની એક ડાયરેક્ટ ટુ કન્ઝ્યુરમ બ્રાન્ડ ગુજરાત હર્બલ્સ ઓર્ગેનિક આયુર્વેદિક સ્કિનકેર પ્રોડક્ટ્સ બનાવે છે અને પોતાની વેબસાઈટના માધ્યમથી તેનું વેચાણ કરે છે. જો યુનાઇટેડ સ્ટેટ્સ (USA) નો કોઈ ગ્રાહક તેમની વેબસાઈટ પરથી રૂ. ૪,૦૦૦ના મૂલ્યની ફેસ ક્રીમ ઓર્ડર કરે, તો કંપની માટે એક નાના પારસલ માટે શિપિંગ બિલ બનાવવું, કસ્ટમ્સ ક્લિયરન્સ મેળવવું અને ઈ-બેંક સર્ટિફિકેટ મેળવવું અત્યંત મોંઘું અને જટિલ હતું. જો ક્રીમ લીક થાય કે ગ્રાહક પરત કરે, તો રિટર્ન ચાર્જિસ પ્રોડક્ટની કિંમત કરતાં વધી જતા હતા. હવે “ગુજરાત હર્બલ્સ” પોતાનો સામાન નજીકના ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ પર જમા કરાવશે. ત્યાંથી ૨ થી ૪ કલાકમાં ઓટોમેટેડ કસ્ટમ ક્લિયરન્સ થઈ જશે અને પારસલ અમેરિકા રવાના થઈ જશે. કોઈ જટિલ કાગળિયાં વગર જ શિપમેન્ટ થઈ જશે અને સરકારી ટેક્સ રિફંડ-રોડટેપના નાણાં સીધા તેમના બેંક ખાતામાં આવી જશે. આ રીતે ભારતીય ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ હવે કોઈપણ આંતરરાષ્ટ્રીય જાયન્ટ કંપનીઓની સરખામણીએ પોતાના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે સરળતાથી અને વધુ નફા સાથે વેચી શકશે.

કેટલી કંપનીઓને અસર થશે?

ભારત અને ગુજારતની અંદાજે ૧ લાખથી વધુ નાની-મોટી ઈ-કોમર્સ નિર્મતા અને વિતરણ કંપનીઓ આ નીતિથી સીધી રીતે સશક્ત બનશે.તેની સાથે સાથે જ બ્લુ ડાર્ટ, દિલ્હીવેરી અને ઈન્ડિયા પોસ્ટ જેવી લોજિસ્ટિક્સ અને કુરિયર કંપનીઓના બિઝનેસમાં મોટો ઉછાળો આવશે. નવી ઇ-કોમર્સ નિકાસ નીતિથી ઈન્ડિયા પોસ્ટ તેમ જ બ્લુ ડાર્ટ અને દિલિવરી જેવી કુરિયર કંપનીઓના બિઝનેસમાં અદભૂત ઉછાળો આવશે.

અત્યાર સુધી નાના પારસલ વિદેશ મોકલવા કાગળિયાં અને કસ્ટમ્સની જટિલતાઓને કારણે મોંઘા અને સમય લેનારા હતા. હવે કુરિયર દ્વારા નિકાસની મૂલ્ય મર્યાદા વધારીને રૂ. ૧૦ લાખ કરાતાં અને ફાસ્ટ-ટ્રેક કસ્ટમ્સ ક્લિયરન્સ શરૂ થતાં, દેશભરના લાખો નાના વેપારીઓ આ કુરિયર સેવાઓનો ઉપયોગ કરશે. ઈન્ડિયા પોસ્ટનું દેશના ખૂણે-ખૂણે વિસ્તરેલું નેટવર્ક ગ્રામીણ કારીગરો અને નાના અને મધ્ય ઉદ્યોગોને વૈશ્વિક લોજિસ્ટિક્સ સાથે જોડશે. શિપમેન્ટની સંખ્યામાં અનેકગણો વધારો થવાથી લોજિસ્ટિક્સ કંપનીઓની આવક, વેરહાઉસિંગ અને ડિલિવરી નેટવર્કમાં મોટો ગ્રોથ જોવા મળશે.

ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ને લગતા નિયમો અને તેના લાભ

નવી નીતિમાં સીધા વિદેશી રોકાણ અંગે સ્પષ્ટતા અને છૂટછાટો આપવામાં આવી છે: ઈ-કોમર્સ નિકાસ હબ અને બેક-એન્ડ લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. ભારતની વિશાળ સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં સુરક્ષિત રોકાણ કરી શકશે. અદ્યતન ટેકનોલોજી ધરાવતા વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને સોર્સિંગ સેન્ટર્સ તૈયાર થશે. વેરહાઉસિંગ, પેકેજિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે લાખો નવી નોકરીઓ ઊભી થશે.

દેશના અર્થતંત્ર અને વેપાર વૃદ્ધિ પર તેની અસરો

છ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી નવી ઇ-કોમર્સ નિકાસ નીતિ ભારતીય અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવશે. ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડૉલરના એટલે કે એક લાખ કરોડ ડૉલરની નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માસ્ટરપ્લાન બનાવ્યો છે, તેમાં આ નીતિ મુખ્ય ઈંધણ તરીકે કામ કરશે. અત્યાર સુધી દેશની કુલ નિકાસમાં ઈ-કોમર્સનો હિસ્સો અત્યંત મર્યાદિત હતો. નવી સરળ કસ્ટમ્સ પ્રક્રિયા અને રૂ. ૧૦ લાખ સુધીની ઉચ્ચ શિપિંગ મર્યાદાને કારણે આગામી ૩ થી ૫ વર્ષમાં ઈ-કોમર્સ નિકાસ $૨૦ બિલિયન-20 અબજ ડૉલરથી વધીને $૧૦૦ બિલિય સો અબજ ડૉલર  પર પહોંચવાની ધારણા છે. તેનાથી ક્રોસ-બોર્ડર (સરહદ પારના) વેપારમાં વાર્ષિક ૩૦ ટકાથી વધુનો વૃદ્ધિ દર જોવા મળશે.

કુલ રાષ્ટ્રીય ઉપજ અને વિદેશી હૂંડિયામણ પર અસર

વિદેશી હૂંડિયામણ: વિદેશી ગ્રાહકો પાસેથી સીધું ચૂકવણું ભારતમાં આવવાથી દેશના વિદેશી ચલણના ભંડારમાં મોટો વધારો થશે, જેનાથી ભારતીય રૂપિયો મજબૂત બનશે. બીજું, જીડીપીમાં યોગદાન વધશે. નાના અને મધ્યમ ઉદ્યોગો સશક્ત બનતા દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્રનો જીડીપીમાં હિસ્સો વધશે. આ નીતિ માત્ર મોટા શહેરો પૂરતી સીમિત ન રહેતાં ગામડાઓ અને નાના શહેરોના સ્થાનિક કારીગરોને જોડશે. લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, પેકેજિંગ, સોફ્ટવેર અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં ૨૦ થી ૨૫ લાખ નવી નોકરીઓ ઊભી થશે, જે દેશના સર્વાંગી આર્થિક વિકાસને વેગ આપશે. ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ ૧ ટ્રિલિયન ડોલરની ગુડ્સ એક્સપોર્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ નીતિ તે લક્ષ્યાંકને પૂરું કરવામાં ઈંધણનું કામ કરશે.

ક્ષેત્ર અંદાજિત અસરો / લાભ
નિકાસ વૃદ્ધિ આગામી ૩ થી ૫ વર્ષમાં ઈ-કોમર્સ નિકાસ $૨૦ બિલિયનથી વધીને $૧૦૦ બિલિયન પર પહોંચવાની શક્યતા.
વેપારમાં વૃદ્ધિ બોર્ડર-પારના (Cross-border) વેપારમાં વાર્ષિક ૩૦% થી વધુનો ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર (CAGR) જોવા મળી શકે છે.
રોજગારીનું સર્જન ઉત્પાદન, ટેકનોલોજી, સપ્લાય ચેઈન અને પેકેજિંગમાં ૨૦ થી ૨૫ લાખ નવી નોકરીઓ ઊભી થશે.
રૂપિયાની મજબૂતી વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) ભારતમાં આવશે, જેથી ભારતીય રૂપિયો મજબૂત થશે.

દેશને થનારો એકંદર ફાયદો

૬ ઓગસ્ટ, ૨૦૨૬ની નવી ઇ-કોમર્સ નીતિ માત્ર વેપાર વધારવાનું સાધન નથી, પણ આ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ ના સંકલ્પને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું શક્તિશાળી માધ્યમ છે. એક તેનાથી ભારતના નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારના ઉત્પાદનો (જેમ કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હવે વિશ્વના ખૂણે-ખૂણે પહોંચશે. બે, ભારતીય ચીજવસ્તુઓ ચીન અને વિયેતનામ જેવા દેશોના ઉત્પાદનો સામે કિંમત અને પહોંચની દ્રષ્ટિએ વધુ સ્પર્ધાત્મક બનશે. ત્રણ, જીડીપી-કુલ રાષ્ટ્રીય ઉપજમાં નિકાસ ક્ષેત્રનો હિસ્સો વધશે, જેનાથી દેશની આર્થિક પાયાની સ્થિતિ વધુ મજબૂત બનશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ઇ-કોમર્સ પોલીસી ભારતીય વેપારના ઇતિહાસમાં એક માઇલસ્ટોન સાબિત થશે. તેણે વિદેશી વેપારના દરવાજા માત્ર મોટા કોર્પોરેટ ગૃહો માટે જ નહીં, પરંતુ દેશના ખૂણે-ખૂણે બેઠેલા નાના વેપારીઓ અને કારીગરો માટે પણ ખોલી દીધા છે. જો આ નીતિનું અમલીકરણ યોગ્ય રીતે થશે, તો આવનારા દિવસોમાં “મેડ ઇન ઇન્ડિયા” ના ટેગ વાળા પારસલો વિશ્વના દરેક દેશના ઘર સુધી પહોંચતા જોવા મળશે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ માટે ૧ જુલાઈ ૨૦૨૬થી અમલી બનેલા ૫ નવા નિયમો, સીધી અસર, ફાયદા અને ગેરફાયદા

Most Popular