• 9 August, 2026 - 11:01 AM

ભગવાન જગન્નાથની રથયાત્રામાં રથ ખેંચતા ખલાસી સમાજમાં મોટી તિરાડ

રથયાત્રામાં રથ ખેંચતા ખલાસી સમાજના સભ્યોનો પ્રમુખ મહેન્દ્ર ખલાસ અને કૌશલ મહેન્દ્ર ખલાસ સામે વિરોધ

દર વરસે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી. બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો રથ ખેંચવાનું કામ કરતાં ખલાસી સમાજે રથયાત્રા માટે રચવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર મફતલાલ ખલાસની ઇજારાશાહી અને તાનાશાહી સામે વિરોધ વ્યક્ત કરતી એક ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી

ખલાસી સમાજના અમદાવાદ અને ગુજરાતના અંદાજે 225 સભ્યની સહી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ચેરિટી કમિશનર, કલેક્ટર અમદાવાદ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ કમિટીને પાઠવવામાં આવેલી એક ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જગન્નાથ મંદિરના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો રથ ખેંચવાની જવાબદારી દોઢસો વર્ષથી ખલાસી સમાજને સોંપેલી છે. આ રથ મફતલાલ મંગળદાસ ખલાસ કે તેમનો પરિવાર જ ત્રણેય રથ ખેંચશે કે ત્રણ રથનું સંચાલન કરશે તેવું કહેલું નથી. તેમ જ જગન્નાથ મંદિરના ટ્રસ્ટે પણ મહેન્દ્ર મફતલાલ ખલાસનો જ પરિવાર આ રથ ખેંચશે તેવો ઠરાવ કરેલો નથી. રથ ખેંચનારાઓના સમાજવતી જગન્નાથ મંદિરમાં રથ ખેંચનારાઓ ખલાસીઓના એક એસોસિયેશનના ટ્રસ્ટની રચના કરી દીધી છે. આ ટ્ર્સ્ટનું રજિસ્ટ્રેશન પણ કરાવેલું નથી.

ચેરિટેબલ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી

માત્ર ખલાસી સમાજના ભાઈઓ જ આ રથ ખેંચશે તેવું ઠરાવવામાં આવેલું છે. ખલાસી સમાજ દ્વારા જ ભગવાન જગન્નાથજીની યાત્રામાં રથ ખેંચવાની પરંપરાને 149 વર્ષથી અનુસરવામાં આવી રહી છે. પરંતુ રથ ખેંચનાર ખલાસી ભાઈઓની મંજૂરી વિના જ અને ચેરિટેબલ ટ્રસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ મહેન્દ્ર મફતલાલ ખલાસ ટ્રસ્ટના ટ્રસ્ટી બની બેઠાં છે અને રથયાત્રામાં પોતાના પરિવાર અને પરિચિતોને જ સ્થાન મળે તેવી પેરવી કરી રહ્યા છે. તેમ જ સમાજના અન્ય લોકો સામે દાદાગીરી કરીને તેમને રથ ખેંચવાની અને રથનું સંચાલન કરવાની જવાબદારીથી દૂર રાખી રહ્યા છે.   અમદાવાદની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાળ બળભદ્રજીનો રથ ખેંચવા માટે ખલાસી સમાજના મુંબઈ, અમદાવાદ, મહેમદાવાદ વડોદરા, સુરત, ખંભાત, ખેડા, નડિયાદ સહિતના વિવિધ વિસ્તારમાંથી લોકો આવે છે. તેઓ ખુલ્લા પગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીનો રથ ખેંચવાનું કામ કરે છે.

149મી રથયાત્રા દરમિયાન મહેન્દ્ર ખલાસના સાળા ભીખાભાઈ રંગવાળાને બળભદ્રજીના રથ ખેંચવાની કામગીરી ને સોંપવાની રજૂઆત ખલાસી સમાજે કરી હતી. સમાજના વિરોધ છતાં ભીખાભાઈને જ ભળભદ્રજીના રથ ખેંચવાની કામગીરી મહેન્દ્ર ખલાસે તેમના સાળા ભીખાભાઈને સોંપી હતી. તેથી પણ ખલાસી સમાજની નારાજગી વધી હતી અને મહેન્દ્ર ખલાસ પરિવાર વાદ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભીખાભાઈનો વિરોધ કરનારાઓને કૌશલ મહેન્દ્ર ખલાસે  પણ જાહેરમાં ધમકાવ્યા હતા. કૌશલ ખલાસે ખલાસી સમાજના અન્ય સભ્યોને ધમકાવતા કહ્યું હતું કે,મારા મામા રથ નંબર ત્રણના આગેવાન છે. જો હવે પછી કોઈ મારા મામાને બોલશે તો તેને આવતા વરસે 150મી રથયાત્રામાં મેમ્બરપદેથી કાઢી મૂકવામાં આવશે.

રથ ખેંચનારને રથયાત્રામાં ઇજા થાય તો સારવાર માટેનું ભંડોળ

ભગવાનની રથયાત્રામાં રથ ખેંચવાની કામગીરી દરમિયાન કોઈને ઇજા થાય તો તેમની સારવાર અને સારસંભાળ માટે સહાયક કમિટીનું એક વૉટ્સએપ ગ્રુપના માધ્યમથી ભંડોળ પણ ઊભું કરવામાં આવેલું છે. 148મી રથયાત્રા દરમિયાન ઇજા પામેલા લાલાભાઈ કાળીદાસ ખલાસીને ઇજા થઈ હતી, પરંતુ તેમને હોસ્પિટલમાં પહોંચાડવાની કે સારવાર કરાવવાની કોઈ જ કામગીરી ટ્રસ્ટના બની બેઠેલા પ્રમુખ મહેન્દ્ર ખલાસે કરી નહોતી. 14મી જુલાઈ 2026ના દિને 149મી રથયાત્રા પૂર્વે યોજાયેલી ખલાસી સમાજની  બેઠકમાં આ અંગે ફરિયાદ કરવામાં આવ હતી. તેથી ગિન્નાયેલા મહેન્દ્ર ખલાસ અને તેમના પુત્ર કૌશલ ખલાસે લાલાભાઈને મિટિંગમાંજ ખરુ ખોટું સંભળાવી દઈને રથયાત્રામાં ભાગ લેવા આ વખતે આવીશ તો તને રથમાંથી બહાર ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. સમાજની મિટિંગમાં જ તેની સાતે આ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજીના રથમાં હું અને મારા પપ્પા જે કહેશે તેમજ થશે. મહેન્દ્ર ખલાસનો પરિવાર આ રીતે રોફ જમાવતો હોવાની ઘટના  149મી રથયાત્રા સરસપુર મંદિરે જઈને પરત ફરી ત્યારે પણ બની હતી.

મહેન્દ્ર ખલાસે રથયાત્રામાં કૃષ્ણ ભજન ગાનારાઓને પણ ચૂપ કરી દીધા

જગન્નાથજીની 149મી રથયાત્રામાં  કૃષ્ણ ભજન ગાઈ રહેલા સમુહને પણ બની બેઠેલાં પ્રમુખ મહેન્દ્ર ખલાસે ગીતો ન ગાવાની સૂચના આપીને ધમકાવ્યા હતા. જો ગીતો ગાસે તો જગન્નાથજીની યાત્રામાં ભાગ લેવા માટે તેમને આપવામાં આવેલું ઓળખપત્ર તેમને આવતા વરસે આપવામાં આવશે નહિ તેનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીને કરવામાં આવલેી ફરિયાદમાં કરવામાં આવેલા છે. તેમને ધમકાવતા જણાવવામાં આવ્યું હતું કે જો તેઓ ભજન ગાશે તો તેમના આઈ-કાર્ડ  કાઢી નાખતા તેમને બે સેકન્ડ પણ લાગશે નહિ. તમને ઊંચકીને બહાર ફેંકી દેતા પણ બે મિનિટ લાગશે નહિ. આ રીતે લુખ્ખી દાદાગીરી મહેન્દ્ર ખલાસ અને તેમનો પુત્ર કૌશલ કરતા હોવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

149મી રથયાત્રા માટે ડિજિટલ આઈ-કાર્ડ બનાવવા માટે ગુજરાત ભરમાંથી અરજીઓ મંગાવવાની કામગીર પણ સમાજના કેટલાક આગેવાનોએ કરી હતી.  તેમણે મોકલેલી આઈ-કાર્ડ બનાવવા માટેની અરજીઓ મળી ગયા પછી કોને આઈકાર્ડ  આપવો કે ન આપવો તે મહેન્દ્ર ખલાસ જ નક્કી કરશે તેમ જણાવી દેવામાં આવ્યું હતું. આઈ-કાર્ડ  માટે અરજી મંગાવવાની પ્રક્રિયા વડોદરામાં નિખિલ ખારવા અને વડોદરામાં પંકજ ખલાસીએ કરી હતી. ખલાસી સમાજની અરજીઓને પ્રોસેસ કરવાને બદલે મહેન્દ્ર ખલાસે પોતાના પરિચિત સભ્યને જ આઈ-કાર્ડ આપીને સંખ્યાબંધ અરજીઓની અવગણના કરી હતી. આઈ-કાર્ડ  માટેની અરજીઓ એકત્રિત કરનારાઓને પણ જાહેરમાં ખખડાવવામાં આવ્યા હતા. હું કહીશ તેમને જ આઈ કાર્ડ બનશે તેમ મહેન્દ્ર ખલાસે સ્પષ્ટ  જાહેર કરી દીધું હતું. આ બાબતમાં કોઈપણ વ્યક્તિ મારી સામે (મહેન્દ્ર ખલાસ સામે) બોલશે તો તેમને રથયાત્રામાંથી કાઢી મૂકવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. આ પ્રકારની ઘટનાઓથી નારાજ થઈને ખલાસી સમાજના 225 જણાએ સહી કરીને તેમની ફરિયાદ મુખ્યમંત્રી અને અન્ય જવાબદારોને મોકલવામાં આવી છે.

Read Previous

મિરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડના નામે બોગસ વોટ્સએપ ગ્રૂપ અને મોબાઈલ એપ બનાવી ચાલી રહેલી ઠગાઈ

Most Popular