નાણાં ન ચૂકવનાર વિદેશી ખરીદદારને લીધે નિકાસ ટેક્સ રિબેટ રદ ન થવી જોઈએ
નિકાસના માલનું પેમેન્ટ ન આવે તેમ છતાં તે નિકાસકારને વેપારી નુકસાન ઉપરાંત વધારાનું નુકસાન કરાવે છે
અસલી વિદેશી ખરીદદારો જ્યારે નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે પણ નિકાસ પર મલથી કરમુક્તિની વસૂલી થવી જોઈએ નહીં, કારણ કે માલ ભારત છોડી ચૂક્યો છે અને તેમાં સમાવિષ્ટ ડ્યુટી તથા કર ચૂકવાઈ ચૂક્યા છે.નિકાસની કમાણી વસૂલવામાં આવેલી ખાધને કારણે નિકાસ રિબેટ અને રિફંડની પ્રમાણસર વસૂલી (રિકવરી) થવી જોઈએ કે નહિ તે નિકાસકારો માટે એક અત્યંત મહત્વનો મુદ્દો છે. ડ્યુટી ડ્રોબેક, નિકાસિત ઉત્પાદનો પર ડ્યુટી અને ટેક્સની મુક્તિ-રોડટેપ અને સ્ટેટ અને સેન્ટ્રલ ટેક્સ અને લેવીની રિબેટની યોજનાઓ હેઠળ ડ્યુટી ક્રેડિટ, અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિફંડ નિકાસ કર્યા પછી આપવામાં આવે છે.
નિયમો મુજબ જે નિકાસની કમાણી-આવકના નાણાં નિકાસકારના બેન્ક ખાતામાં જમા થતાં નથી તેવા કિસ્સામાં (અમુક અપવાદો સિવાય) આ લાભો પરત કરવા પડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ પણ અધિકૃત ડીલર બેંકોએ, જ્યારે ચોક્કસ કપાત કે રાઇટ-ઓફની મંજૂરી આપે, ત્યારે પ્રમાણસર નિકાસ પ્રોત્સાહનો સમર્પિત કરવાની સલાહ આપવી પડે છે અથવા સમર્પણના પુરાવા મેળવવા પડે છે.
મુખ્ય મુદ્દો એ નથી કે આ જોગવાઈઓ કેવી રીતે કામ કરે છે, પરંતુ એ છે કે તેમનો મૂળ આધાર યોગ્ય છે કે નહીં. આ યોજનાઓ ભૌતિક રીતે નિકાસ કરાયેલા માલ અને તેના ઉત્પાદનમાં વપરાયેલા ઇનપુટ્સ પર લાદવામાં આવેલા દરો અને કરની મુક્તિ દર્શાવે છે. તે વિદેશી ખરીદદાર પાસેથી દેવું વસૂલવા બદલ મળતું ઈનામ નથી. તેથી, નિકાસની રકમ એકત્રિત કરવામાં નિષ્ફળ જવાથી આ કરમુક્તિની રિકવરી થવી જોઈએ નહીં.
સરકારે લાંબા સમયથી એ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે કે ‘માલની નિકાસ થવી જોઈએ, કર અને લેવીની નહીં’. જીએએસટી, ડ્યૂટી ડ્રો બેક, રોડટેપ અને આરઓએસસીએલટીના વિવિધ મિકેનિઝમ્સ દ્વારા તે સિદ્ધાંતને અમલમાં મૂકે છે. જીએસટી નિકાસને ઝીરો-રેટ કરે છે અને નિકાસ કરેલા માલ અને ઇનપુટ્સ પરના જીએસટીને ન્યુટ્રલ કરે છે. ડ્રો બેક નિકાસ કરેલ માલ બનાવવા માટે વપરાતી સામગ્રી પરની કસ્ટમ ડ્યુટી પર રિબેટ આપે છે. રોડટેપ અને આરઓએસસીએલટી નિકાસ કરેલા ઉત્પાદનો અને તેમના ઉત્પાદન અથવા વિતરણ શૃંખલામાં સમાવિષ્ટ કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક કર અને લેવીઓને માફ કરે છે.
આ બધાનો સામાન્ય હેતુ નિકાસને સ્થાનિક નાણાકીય બોજમાંથી મુક્ત કરવાનો છે. એકવાર માલ ભારત છોડી દે પછી, ન તો માલ કે ન તો તેમાં વપરાયેલ ઇનપુટ સ્થાનિક વપરાશ માટે ઉપલબ્ધ રહે છે. તેથી કરમુક્તિનો આર્થિક તર્ક પૂર્ણ થાય છે. વિદેશી ખરીદદારની નિષ્ફળતા એ હકીકતને બદલતી નથી કે માલ, તેમાં સમાવિષ્ટ ડ્યુટી અને ટેક્સ સાથે, સ્થાનિક અર્થતંત્રની સરહદ વટાવી ચૂક્યો છે.
નાણાં વસૂલ ન થવા એ એક વ્યાપારી લેણાં એકત્રિત કરવાની નિષ્ફળતા છે. તે માલના ગંતવ્ય કે ટેક્સના સ્વરૂપને બદલતું નથી. છતાં, જે નિકાસકારે વેચાણની રકમ ગુમાવી છે, તેને એવા માલ પર કર ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે જે ભારતે ન તો જાળવી રાખ્યો છે કે ન તો વપરાશ કર્યો છે. આમ, આ જોગવાઈઓ નિકાસકારને વેપારી નુકસાનની સાથે નાણાકીય નુકસાન પણ ઉમેરી આપે છે.
આ કરમુક્તિઓને નિકાસ પ્રોત્સાહનો કહેવાથી તેમનું સાચું સ્વરૂપ છુપાઈ જાય છે. પ્રોત્સાહન એ કોઈ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે વધારાનો લાભ આપે છે. જ્યારે કરમુક્તિ તો ફક્ત સ્થાનિક નાણાકીય બોજને દૂર કરે છે જે નિકાસ પર પડવો જોઈએ નહીં. તે સ્વીકૃત સિદ્ધાંતને અમલમાં મૂકે છે કે કરની નિકાસ ન થવી જોઈએ.
નિકાસ મૂલ્ય ફુગાવીને બતાવવામાં આવ્યું હોય, ત્યાં કરમુક્તિ વધુ પડતી હોવાના પ્રમાણમાં વસૂલી ન્યાયી હોઈ શકે છે.
હા, નિકાસમાં થતાં ફ્રોડ , ઓવર-ઈનવોઈસિંગ, મિલીભગત, કમાણીનો દુરુપયોગ અને નિકાસ લેણાં વસૂલ કરવા માટે યોગ્ય પગલાં લેવામાં મુશ્કેલી અથવા વારંવારની નિષ્ફળતા ચોક્કસપણે રિકવરી અને દંડનીય કાર્યવાહી માટે પાત્ર હોવી જોઈએ. જ્યાં નિકાસ મૂલ્ય ફુગાવીને બતાવવામાં આવ્યું હોય, ત્યાં કરમુક્તિ વધુ પડતી હોવાના પ્રમાણમાં વસૂલી ન્યાયી હોઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓને વિદેશી ખરીદદાર નાણાં ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે થયેલા અસલી વ્યાપારી નુકસાનથી અલગ પાડવા જોઈએ.
તેથી, સરકારે કરમુક્તિને નાણાંની વસૂલાત સાથેથી અલગ કરવી જોઈએ. કરના પરિણામો માલની વાસ્તવિક હિલચાલ અને ગંતવ્ય પર આધારિત હોવા જોઈએ; વિદેશી હૂંડિયામણના પરિણામો નિકાસકાર દ્વારા ચુકવણી મેળવવા માટે કરવામાં આવેલા વર્તન અને પ્રયાસો પર આધારિત હોવા જોઈએ. જો ભારતની નીતિ કરની નહીં પણ માલની નિકાસ કરવાની હોય, તો માત્ર વિદેશી ખરીદદાર નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તેટલા માત્રાથી માલ અને તેના ઇનપુટ્સ પરની ડ્યુટી અને ટેક્સની કરમુક્તિ રદ થવી જોઈએ નહીં.
