સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ માટે ૧ જુલાઈ ૨૦૨૬થી અમલી બનેલા ૫ નવા નિયમો, સીધી અસર, ફાયદા અને ગેરફાયદા
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ માટે ૧ જુલાઈ ૨૦૨૬થી અમલી બનેલા ૫ નવા નિયમો, સીધી અસર, ફાયદા અને ગેરફાયદા
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા દેશના વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ બાદ સુરક્ષિત અને નિયમિત આવક પૂરી પાડવા માટે ચલાવવામાં આવતી ‘સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ’ (SCSS) હેઠળ ૧ જુલાઈ ૨૦૨૬થી ૫ મહત્વપૂર્ણ નિયમો અમલમાં આવ્યા છે. આ નવા નિયમોથી રોકાણકારો માટે ખાતું ચલાવવું, ટેક્સ પ્રોસેસ અને ખાતું એક્સટેન્ડ કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને લવચીક-સ્થિતિ સ્થાપક બની છે. વરિષ્ઠ નાગરિકો, નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો પર આ ફેરફારોની વ્યાપક અસર પડી રહી છે. અહીં આ પાંચેય નિયમોની અગાઉની સ્થિતિ, વર્તમાન ફેરફાર, ફાયદા અને ગેરફાયદાની વિગતવાર છણાવટ રજૂ કરવામાં આવી છે.
ખાતું એક્સટેન્ડ-લંબાવવાનો નિયમ
પહેલાની સ્થિતિ: ૫ વર્ષની મૂળ પરિપક્વતા પૂરી થયા પછી રોકાણકાર પોતાના ખાતાને માત્ર એક જ વાર ૩ વર્ષના બ્લોક માટે લંબાવી શકતા હતા.
નવો નિયમ: હવે રોકાણકાર ૫ વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ પોતાના ખાતાને ૩-૩ વર્ષના મલ્ટિપલ (અનેક) બ્લોકમાં ગમે તેટલી વાર લંબાવી શકે છે. દરેક એક્સટેન્શન વખતે જે તે સમયે અમલમાં હોય તે વ્યાજદર લાગુ પડશે.
અસર અને ફાયદા: વરિષ્ઠ નાગરિકોએ ૫ કે ૮ વર્ષ પછી ફરીથી નવું ખાતું ખોલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સુરક્ષિત રિટર્નનો લાભ સતત ચાલુ રહેશે.
ગેરફાયદો: જો એક્સટેન્શન સમયે બજારમાં વ્યાજદરો ઘટી ગયા હશે, તો નવા એક્સટેન્ડેડ સમયગાળા માટે ઓછું વ્યાજ મળશે.
મુદ્દત પૂરી થતાં પહેલાં ખાતું બંધ કરવા અંગેના દંડના નિયમો
પહેલાની સ્થિતિ: અગાઉ વહેલા ખાતું બંધ કરાવવાના નિયમોમાં એક્સટેન્શન પિરિયડ દરમિયાન કપાત અંગે અમુક અસ્પષ્ટતાઓ હતી.
નવો નિયમ હેટળ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું ખાતું ધરાવનાર એક વર્ષની અંદર જો ખાતું કરાવે તો કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. જો વ્યાજ ચૂકવાઈ ગયું હશે તો તે મૂળ રકમમાંથી કાપી લેવામાં આવશે.
બીજું, ૧ થી ૨ વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવવામાં આવશે તો મૂળ રકમના ૧.૫ ટકા જેટલી પેનલ્ટી કપાશે. તેમ જ ૨ થી ૫ વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવવામાં આવશે તો મુદ્દલના-મૂળ રકમના ૧ ટકા જેટલી પેનલ્ટી કપાશે.
ત્રીજું, એક્સટેન્શન પિરિયડમાં એક્સટેન્ડ કરેલા ખાતાને ૧ વર્ષ પછી બંધ કરવા પર કોઈ જ પેનલ્ટી લાગશે નહીં.
તેની અસર અને ફાયદાની વાત કરીએ તો ઇમરજન્સી કે તબીબી જરૂરિયાતના સમયે પૈસા ઉપાડવાના નિયમો એકદમ પારદર્શક બન્યા છે. એક્સટેન્ડેડ ખાતામાંથી ૧ વર્ષ પછી વગર દંડે નાણાં પાછા મેળવી શકાશે. તેનો ગેરફાયદો પણ થઈ શકે છે. પ્રથમ વર્ષમાં ખાતું બંધ કરવાથી વ્યાજનું સંપૂર્ણ નુકસાન થાય છે. એક વર્ષનું વ્યાજ આપવામાં આવશે જ નહિ.
મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના આધારિતો અને નિવૃત્ત જવાનો માટે પાત્રતા
પહેલાની સ્થિતિ: ૫૫ થી ૬૦ વર્ષની વયજૂથના નિવૃત્ત કર્મચારીઓ જ વિશિષ્ટ શરતો હેઠળ રોકાણ કરી શકતા હતા. સૈન્યના દળના નિવૃત્ત જવાનો માટે અલગ શરતો હતી.
નવો નિયમ: જો કોઈ સરકારી કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય અને તેમની ઉંમર ૫૦ વર્ષ કે તેથી વધુ હોય, તો તેમના જીવનસાથીને મળતી એક્સ-ગ્રેસિયા કે ડેથ કમ્પેન્સેશનની રકમ SCSS માં રોકી શકાશે. આ ઉપરાંત ૫૦ વર્ષ કે તેથી વધુ વયના નિવૃત્ત સંરક્ષણ દળોના જવાનો પણ રિટાયરમેન્ટ બેનિફિટ્સનું સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકશે.
અસર અને ફાયદા: શહીદ કે અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સુરક્ષા અને ત્રિમાસિક વ્યાજની નિયમિત આવકનો સહારા મળશે.
ગેરફાયદો: રોકાણની રકમ નિવૃત્તિ અથવા વળતરના મળેલા લાભો સુધી જ મર્યાદિત રહેશે.
આધાર અને પાનકાર્ડનું લિંકિંગ ફરજિયાત
પહેલાની સ્થિતિ: ખાતું ખોલાવતી વખતે પાન કે આધાર વગર પણ અમુક સમયગાળાની છૂટછાટ સાથે ખાતું ખોલાવી શકાતું હતું.
નવો નિયમ: SCSS ખાતું ખોલાવવા અથવા તેને સક્રિય રાખવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવું કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો નિયત સમયમાં લિંક નહીં કરવામાં આવે તો ખાતું ફ્રીઝ થઈ જશે.
અસર અને ફાયદા: નાણાકીય ગેરરીતિઓ અટકશે અને વ્યાજની રકમ સીધી ખાતાધારકના આધાર-લિંક્ડ બેંક એકાઉન્ટમાં સરળતાથી જમા થશે.
ગેરફાયદો: જો કોઈ વરિષ્ઠ નાગરિકના દસ્તાવેજોમાં ભૂલ હોય અથવા લિંકિંગ બાકી રહી જાય, તો તેમનું ત્રિમાસિક વ્યાજ અટકી શકે છે.
TDS-કરકપાતની મર્યાદા અને ડીક્લેરેશન ફોર્મમાં ફેરફાર
પહેલાની સ્થિતિ: વ્યાજની આવક પર TDS કાપવાની મર્યાદા ઓછી હતી અને વ્યાજ પર ટેક્સ કપાત બચાવવા ફોર્મ 15G/15H ભરવું પડતું હતું.
નવો નિયમ: વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર TDS માટેની મર્યાદા રૂ. ૧,૦૦૦,૦૦૦ (રૂ. ૧ લાખ) સુધીની સુધારવામાં આવી છે. આ ઉપરાંત શૂન્ય TDS મેળવવા માટે સુધારેલા ડીક્લેરેશન ફોર્મ ૧૨૧ (Form 121) ની જોગવાઈ અમલી બની છે.
અસર અને ફાયદા: મોટાભાગના નાના અને મધ્યમ રોકાણકારોને વ્યાજમાંથી સીધો TDS કપાતો અટકશે, જેથી હાથમાં વધુ રોકડ રકમ આવશે.
ગેરફાયદો: જો રોકાણકાર સમયસર ફોર્મ ૧૨૧ કે પાનકાર્ડ જમા નહીં કરાવે તો ૨૦ ટકા સુધીનો ઊંચો TDS કપાઈ શકે છે.
જૂના અને નવા નિયમોની સરખામણી
| મુદ્દો / નિયમ | અગાઉની સ્થિતિ (૧ જુલાઈ ૨૦૨૬ પહેલાં) | વર્તમાન સ્થિતિ (૧ જુલાઈ ૨૦૨૬થી) |
| ખાતું એક્સટેન્શન | ૫ વર્ષ પછી માત્ર ૧ વાર (૩ વર્ષ માટે) લંબાવી શકાતું. | ૩-૩ વર્ષના અનેક બ્લોકમાં ગમે તેટલી વાર લંબાવી શકાશે. |
| ૧ વર્ષમાં ખાતું બંધ કરવા પર | વ્યાજ કપાત અંગે જટિલ પ્રક્રિયા હતી. | કોઈ વ્યાજ મળશે નહીં; ચૂકવાયેલું વ્યાજ મૂળ રકમમાંથી વસૂલાશે. |
| એક્સટેન્શનમાં પ્રી-મેચ્યોર ક્લોઝર | દંડ અંગે કોઈ સ્પષ્ટ સુવિધા નહોતી. | એક્સટેન્શનના ૧ વર્ષ પછી ખાતું બંધ કરવા પર ૦ ટકા દંડ. |
| મૃતક સરકારી કર્મચારીના સ્પાઉસ | રોકાણ માટે વધુ કડક વયમર્યાદાના નિયમો હતા. | ૫૦+ વયના મૃતક સરકારી કર્મચારીના જીવનસાથી વળતરની રકમ રોકી શકાશે. |
| દસ્તાવેજો અને ટેક્સ (TDS) | આધાર/પાનમાં સમયગાળાની છૂટ અને ફોર્મ 15H. | આધાર-પાન લિંકિંગ ફરજિયાત, રૂ. ૧ લાખ TDS થ્રેશોલ્ડ અને ફોર્મ ૧૨૧. |
વરિષ્ઠ નાગરિકો માટે એકંદર નિષ્કર્ષ
સિનિયર સિટીઝન સેવિંક સ્નાકી આ પાંચ નવા નિયમોથી સરકારનો હેતુ વરિષ્ઠ નાગરિકોને વધુ નાણાકીય સુરક્ષા આપવાનો અને સિસ્ટમને પારદર્શક બનાવવાનો છે. રોકાણકારોએ પોતાના આધાર-પાન લિંક કરાવી લેવા જોઈએ અને ૫ વર્ષ પૂર્ણ થતાં જ ખાતું એક્સટેન્ડ કરવું કે નહિ તેનો નિર્ણય સમયસર લઈ લેવો જોઈએ જેથી મળતા ૮.૨ ટકા આસપાસના વ્યાજનો લાભ સતત મળતો રહેશે.
બીજું સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ફેમિલી પેન્શનના લાભ અને પેન્શનના લાભ ઘણાં કર્મચારીઓને રૂ. 1000થી રૂ. 5000ના માંડ મળે છે. તેમાં ફુગાવાની અસર આપવી જોઈએ કે નહિ તે અંગે સહુ સિનિયર સિટિઝને વિચાર કરીને તેમનો મત અભિવ્યક્ત કરવો જોઈએ. પેન્શનની વ્યવસ્થિત યોજનાને અભાવે અસંખ્ય કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે. સરકારે તેમને ધ્યાનમાં રાખીને પણ તેમના અંગે વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. સરકાર મત મેળવવા માટે ઘણી ખેરાતો કરે છે. પરંતુ કર્મચારીઓ ખેરાત નથી માગતા. કાયદાકીય કોર્ટની સૂચના પછી પણ કેટલીક પેન્શનની, સન્માનનીય પેન્શનની યોજના અમલમાં આવી નથી. આ સંજોગોમાં દરેકને રિસ્પેક્ટેબલ પેન્શન મળે તે જોવું સરકારની જવાબદારી બને છે. મેડિક્લેઈમના પ્રીમિયમ પણ સિનિયર સિટિઝન ભરી શકે તેમ ન હોવાથી આ મુદ્દે નવેસરથી વિચાર થવો જોઈએ. પેન્શનને પણ ફુગાવા સાથે લિન્ક કરવું જોઈએ.
