• 15 August, 2026 - 5:32 PM

નવી ફોર્મ્યુલા મુજબ દવાના ભાવ નક્કી કરે તો રૂ.1ના ઉત્પાદન ખર્ચની દવાની છૂટક કિંમત આશરે રૂ. 30 થાય

નવી ફોર્મ્યુલા મુજબ દવાના ભાવ નક્કી કરે તો રૂ.1ના ઉત્પાદન ખર્ચની દવાની છૂટક કિંમત આશરે રૂ. 30 થાય

જૂની ફોર્મ્યુલા હેઠળ દવાના ભાવ નક્કી કરેલા રૂ.1ના ઉત્પાદન ખર્ચની દવાના છૂટક ભાવ આશરો રૂ. 116 થતા હતા.

સંસદીય સમિતીએ દવાના ભાવ નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને અમલમાં મૂકવા સંસદમાં ભલામણ કરી

અમદાવાદઃ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા નિયંત્રિત વર્તમાન માર્કેટ-આધારિત દવાની કિંમત નિર્ધારણ પદ્ધતિની મર્યાદાઓને ધ્યાનમાં લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિએ અમુક દવાઓ માટે એનપીપીએની કિંમત નિર્ધારણ માર્ગદર્શિકામાં હેલ્થ ટેકનોલોજી એસેસમેન્ટ (એચટીએ) આઉટપુટને જોડવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારની રસાયણ અને ખાતર સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના તાજેતરના અહેવાલમાં ખર્ચ-આધારિત કિંમત નિર્ધારણ પદ્ધતિ પુનઃશરૂ કરવાની ભલામણ બાદ આ અવલોકન આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં વર્તમાન બજાર-આધારિત કિંમતોની પદ્ધતિને કારણે કિંમતોમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. અતિશય નફો રળતી અથવા મોનોપોલી ધરાવતી દવાઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમાંય ખાસ કરીને કેન્સર, બાયોલોજીક્સ અને દુર્લભ બીમારીઓની દવાઓના ભાવમાં ખાસ્સો ઘટાડો થઈ જશે.  હવે દવાના ભાવ નક્કી કરવાના ત્રણ કાલ્પનિક મોડેલ જોઈએ.

દવાની કિંમત નક્કી કરવાની જૂની પદ્ધતિ

વર્તમાન નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી-એનપીપીએના નીતિ-નિયમો મુજબ દવાઓની કિંમત બજાર-આધારિત કિંમત પદ્ધતિથી નક્કી થાય છે. ચોક્કસ દવાના કુલ બજારમાં એક ટકા કે તેથી વધુ માર્કેટ શેર ધરાવતી તમામ બ્રાન્ડ્સના છૂટક વેપારીને આપવામાં આવતા સપ્લાયના ભાવની સરેરાશ કાઢવામાં આવે છે. ત્યારબાદ તેમાં રિટેઈલ વેપારીનું 16 ટકા માર્જિન ઉમેરવામાં આવે છે. આ રકમ જે આવે તેને છૂટક વેચાણ કિંમત ગણવામાં આવે છે. જોકે આ પદ્ધતિમાં ઉત્પાદન ખર્ચ ધ્યાનમાં લેવાતો નથી. જે બ્રાન્ડ્સનું વેચાણ વધુ હોય, તેમની ઊંચી કિંમતો પણ સરેરાશ વધારી દે છે.

અતિશય માર્જિન ધરાવતી સામાન્ય દવાનો એટલે કે બ્રાન્ડેડ જેનરિક ડ્રગનો ઉત્પાદન ખર્ચ રૂ. 10 આવતો હોય તો જૂની એટલે કે અત્યારે ભાવ નક્કી કરવાની જે પદ્ધતિ અમલમાં છે તે મુજબ મોટી કંપનીઓ આ દવા રૂ. 90થી રૂ. 110માં વેચે છે. આમ તેમનો સરેરાશ પ્રાઈસ ટુ રિટેઈલર રૂ. 100 આવે છે. તેના પર કેમિસ્ટના 16 ટકા માર્જિન ઉમેરવામાં આવે છે. તેથી તેમનો છૂટક વેચાણ ભાવ રૂ. 116ની આસપાસનો આવી શકે છે.

દવાની કિંમત નક્કી કરવાની નવી સૂચિત પદ્ધતિ

નવી સૂચિત પદ્ધતિએ દવાના ભાવ નક્કી કરવા સંસદીય સ્થાયી સમિતિએ બે મહત્વપૂર્ણ ફેરફારોની કરવાની ભલામણ કરી છે. એક, દવાના ઉત્પાદન ખર્ચ-આધારિત મોડેલમાં ઉત્પાદન ખર્ચ, કાચો માલ-દવાના ઘટકોનો ખર્ચ અને વાજબી નફાના ગાળાને આધારે કિંમત નક્કી કરવાની રહેશે. બીજી ફોર્મ્યુલામાં હેલ્થ ટેકનોલોજી એસેસમેન્ટને આધારે દવાની કિંમત નક્કી કરવા જણાવ્યું છે.  ઉત્પાદન કરેલી દવા ક્લિનિકલ રીતે કેટલી અસરકારક છે અને તેનાથી દર્દીને કેટલો વાસ્તવિક લાભ થાય છે તેના આધારે ભાવ નક્કી કરવા જણાવ્યું છે.

સંસદીય સમિતિએ સાત ઓગસ્ટ 2026ના સૂચવેલી નવી પદ્ધતિમાં દવાનો ઉત્પાદન ખર્ચ રૂ. 10 આવતો હોય અને તેમાં યોગ્ય નફો અને વિતરણ ખર્ચ રૂ. 15થી 20 ઉમેરવામાં આવે તો તે દવા ગ્રાહકોને રૂ. 25થી 30માં મળી શકે છે. આમ દરદીને મળતી છૂટક દવાના ભાવમાં 70 ટકાથી 75 ટકાનો ઘટાડો થઈ શકે છે.

જોકે મેડિકલ ફ્રેટર્નિટીના જાણકારો કહે છે કે ફાર્મા લોબી મજબૂત છે. આ નવી ફોર્મ્યુલાને લાગુ કરવા દેશે નહિ. તેને આવતી રોકવા આકાશ પાતાળ એક કરી દેશે.

કેન્સર અથવા બાયોલોજિક્સ દવાના ભાવ પર અસર

અત્યારે અમલમાં દવાના ભાવ નક્કી કરવાની બજાર આધારિત પદ્ધતિમાં દવાના ઉત્પાદનમાં મોનોપોલી અને મર્યાદિત ઉત્પાદકો હોવાને કારણે બજારમાં ઇન્જેક્શનનો એક ડોઝ ભાવ રૂ. 40,000થી 50,000 સુધી ઊંચો રાખવામાં આવે છે, કારણ કે સરેરાશ ભાવ જ ઊંચો આવે છે. નવી એચટીએ આધારિત મૂલ્ય નિર્ધારણ પદ્ધતિ હેઠળના મૂલ્યાંકન અને કાનૂની માળખા દ્વારા આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વાસ્તવિક ક્લિનિકલ અસરકારકતાના આધારે મહત્તમ કિંમત કરવામાં આવે છે. આ દવાઓ નીચલા સ્તરે લાવીને રૂ. 15,000 થી રૂ. 20,000 ની મર્યાદામાં આવી શકે છે. આમ દર્દીઓને એક ઇન્જેક્શનના ખર્ચમાં ૫૦થી 60 ટકા સુધીની રાહત મળી શકે છે.

રેર ડિસીઝ માટેની દવાના ભાવ પર અસર

દવાના ભાવ નિર્ધારણની વર્તમાન પદ્ધતિમાં બજારમાં સપ્લાય ચેઈન મોનોપોલીને કારણે પ્રાઈસ ટુ રિટેઈલર પર અતિશય નફો ચઢાવવામાં આવે છે. તેથી ગ્રાહકના હાથમાં તે દવા કેટલી કિંમત પહોંચશે તેના પર કોઈ જ નિયંત્રણ રહેતું નથી. નવી સૂચિત ભાવ નિર્ધારણ પદ્ધતિમાં  બેકવર્ડ વર્કિંગ’ અને કોસ્ટ-ઓડિટ ડેટાનો ઉપયોગ કરીને કંપનીનો વાસ્તવિક લેન્ડિંગ કોસ્ટ ચકાસવામાં આવશે. તેથી સપ્લાય ચેઈનમાં થતી અતિશય નફાખોરી અટકશે અને દરદીઓને તે દવા મળવાના ભાવમાં અત્યારની તુલનાએ ૩૦થી ૪૦ ટકા ઓછા થશે.

રાજ્યસભામાં સાત ઓગસ્ટે શું રજૂઆત થઈ 

જાહેર અને ખાનગી ક્ષેત્રમાં આરોગ્ય સંભાળ સુવિધાઓની પરવડે તેવી ક્ષમતા અને સુલભતા અંગે રાજ્યસભામાં ૭ ઓગસ્ટે રજૂ કરાયેલા તેના ૧૭૬મા અહેવાલમાં સમિતિએ જણાવ્યું હતું કે તે ડ્રગ્સ (પ્રાઇસ કન્ટ્રોલ) ઓર્ડર (ડીપીસીઓ), ૨૦૧૩ હેઠળ એનપીપીએ દ્વારા સંચાલિત વર્તમાન માર્કેટ-આધારિત દવા કિંમત નિર્ધારણ પદ્ધતિની મર્યાદાઓને સમજે છે. તેમાંય ખાસ કરીને નવીન બાયોલોજિક્સ, બાયોસિમિલર્સ અને ઉચ્ચ ખર્ચ ધરાવતી ઉપચાર પદ્ધતિઓ અંગેની મર્યાદાઓને સમજે છે. સંસદ સભ્ય પ્રો. રામગોપાલ યાદવના નેતૃત્વ હેઠળની આ પેનલે જણાવ્યું હતું કે, “સમિતિનો એવો અભિપ્રાય છે કે સરેરાશ રિટેલર માર્જિન પર આધારિત કિંમત નિર્ધારણ નવીન સારવાર પદ્ધતિઓ માટે વાજબી અને ટકાઉ કિંમતો સક્ષમ કરવામાં નિષ્ફળ જાય છે.” દરદીઓને પરવડે તેવી કિંમત અને ફાર્મા ઉદ્યોગની ટકાઉપણા બંને સુનિશ્ચિત કરવા માટે કિંમત નિર્ધારણ સંચાલનમાં ખર્ચ-આધારિત મોડેલ અને મૂલ્ય-આધારિત મોડેલ વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક છે. આ સંદર્ભમાં સમિતિ ભલામણ કરે છે કે તમામ ઉચ્ચ-ખર્ચ ધરાવતી બાયોલોજિક્સ, ઓર્ફન ડ્રગ્સ અને બાયોસિમિલર્સ માટે ક્લિનિકલ અસરકારકતા, સામાજિક મૂલ્ય અને ખર્ચ-અસરકારકતા પરના હેલ્થ ટેકનોલોજી એસેસમેન્ટ આઉટપુટને એનપીપીએની કિંમત નિર્ધારણ માર્ગદર્શિકામાં ઔપચારિક રીતે શામેલ કરવામાં આવવી જોઈએ.

અન્ય ભલામણમાં સમિતિએ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચને કિંમત નિર્ધારણમાં મૂલ્ય-આધારિત મોડલ અને મેનેજ્ડ એન્ટ્રી એગ્રીમેન્ટ્સ માટે કાનૂની અને આર્થિક નીતિના માળખા સ્થાપિત કરવા એનપીપીએ સાથે સહયોગ કરવા જણાવ્યું છે. આ સાથે ગંભીર અને જીવરક્ષક સારવાર માટે બૌદ્ધિક સંપદા અધિકારોના વ્યાપાર સંબંધિત પાસાઓની સુગમતાનો ઉપયોગ કરવાની ક્ષમતા મજબૂત કરવા પણ સૂચવ્યું છે.

અહેવાલ તૈયાર કરતી વખતે ડીએચઆરએ સમિતિને માહિતી આપી હતી કે જ્યારે એનપીપીએ ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાની કિંમતોનું નિયમન કરે છે, ત્યારે કિંમત અંગેના નિર્ણયોમાં એચટીએનો સમાવેશ કરીને વધુ પારદર્શિતા અને ન્યાયીપણું મેળવી શકાય છે. પરવડે તેવી ક્ષમતા અને નવીનતા વચ્ચે સંતુલન જાળવવા માટે ડીએચઆર મૂલ્ય-આધારિત કિંમત નિર્ધારણ, નવીન સારવાર પદ્ધતિઓ માટેના પ્રાઇસિંગ મોડલ્સ પર સંશોધન અને હેલ્થ ઇકોનોમિક્સ, કિંમતની પારદર્શિતા અને નિયામક માળખામાં સક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ડીએચઆરે સમિતિને એ પણ જાણ કરી કે તે ભારતીય આરોગ્ય સંભાળ જરૂરિયાતો માટે પરવડે તેવી ક્ષમતા અને અનુકૂળતા સુધારવા હાલની દવાઓ અને સારવાર પદ્ધતિઓનું શ્રેષ્ઠીકરણ કરી રહ્યું છે. મુખ્ય પહેલોમાં એચટીએ-આધારિત સારવાર પદ્ધતિઓનું ઓપ્ટિમાઇઝેશન શામેલ છે, જેમ કે ક્લિનિકલ અસરકારકતા જાળવી રાખીને ટ્રાસ્ટુઝુમેબ ઉપચારનો સમયગાળો ઘટાડવો, ખર્ચ-અસરકારક સારવાર અને વિતરણ મોડલ્સનું મૂલ્યાંકન, અને ‘ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ ચેલેન્જ’ સ્ટેજ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે રસાયણ અને ખાતર સંબંધિત સંસદીય સ્થાયી સમિતિએ પણ રસાયણ અને ખાતર મંત્રાલયને યોગ્ય વૈધાનિક સુધારાના માધ્યમથી ખર્ચ-આધારિત કિંમત નિર્ધારણ પદ્ધતિ પુનઃશરૂ કરવાની શક્યતા તપાસવા ભલામણ કરી છે, કારણ કે કેટલાક કિસ્સાઓમાં વર્તમાન બજાર-આધારિત કિંમતો મોટી અસમાનતા તરફ દોરી જાય છે. દેશમાં દવાઓની કિંમતમાં થયેલા વધારાના સંદર્ભમાં એનપીપીએની ભૂમિકા, કાર્યો અને ફરજોની સમીક્ષા કરતા પોતાના ૩૩મા અહેવાલમાં સમિતિએ અવલોકન કર્યું હતું કે કેવળ બજારના ડેટા પર નિર્ભર રહેવાથી, એટલે કે કિંમત નિર્ધારણ માટે પ્રાઇસ ટુ રિટેલર-પીટીઆર પર આધાર રાખવાથી, બજારની મોનોપોલી અને બહુ-સ્તરીય ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈનના વિવિધ સ્તરો પર થતા અયોગ્ય કે અતિશય નફાખોરીને શોધવામાં અસમર્થતા બની શકે છે.

આ બાબત ધ્યાને રાખીને, સંસદ સભ્ય કીર્તિ આઝાદ ઝાના નેતૃત્વ હેઠળની પેનલે ઉમેર્યું કે, “જે કિસ્સાઓમાં કિંમતોમાં નોંધપાત્ર તફાવત અથવા અસામાન્ય રીતે વધુ નફો જોવા મળે અથવા વિભાગના ધ્યાને લાવવામાં આવે, ત્યાં સમિતિ ભલામણ કરે છે કે મંત્રાલય યોગ્ય વૈધાનિક સુધારાઓ દ્વારા ખર્ચ-આધારિત કિંમત નિર્ધારણ પદ્ધતિને ફરીથી દાખલ કરવાની વ્યાવહારિકતા ચકાસી શકે છે.”

ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર-૨૦૧૩ એ ખર્ચ-આધારિત કિંમત નિર્ધારણમાંથી બજાર-આધારિત કિંમત નિર્ધારણ તરફ ફેરફાર સૂચવ્યો હતો. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ પોલિસી, ૨૦૧૨ના હાલના માળખા મુજબ, ફોર્મ્યુલેશનની કિંમતો બજારના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં એક ટકા કે તેથી વધુ બજાર હિસ્સો ધરાવતી તમામ બ્રાન્ડ્સના સરેરાશ પીટીઆરને ધ્યાનમાં રાખીને તેમાં ૧૬ ટકાનું માર્જિન ઉમેરવામાં આવે છે. પેનલે અવલોકન કર્યું કે કિંમત નિર્ધારણની પદ્ધતિ ડીપીસીઓ-૨૦૧૩ માં નાખવામાં આવી છે અને ડીપીસીઓ-૨૦૧૩માં ‘બેકવર્ડ વર્કિંગ’ની કોઈ વિભાવના નથી. કિંમત નિર્ધારણ માટે કોસ્ટ-ઓડિટ-આધારિત ડેટા ધ્યાનમાં લેવાની પણ ડીપીસીઓ ૨૦૧૩ માં કોઈ  પણ જોગવાઈ નથી.

 

Read Previous

ITR માં પ્રોપર્ટી વેચાણના ખર્ચાઓ ક્લેમ કરવાના રહી ગયા છે? મુંબઈ ITAT દ્વારા કરદાતાને મોટી રાહત

Read Next

ફિક્સ્ડ ઇન્કમથી આગળ વિચાર કરી રહ્યા છો? આ ફંડે સતત સારું પ્રદર્શન કર્યું છે

Most Popular