ભારતે 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન (1 mt) ડ્યુટી-ફ્રી રો-શુગરની આયાતને મંજૂરી આપી

ભારતે 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન (1 mt) ડ્યુટી-ફ્રી રો-શુગરની આયાતને મંજૂરી આપી
લગભગ 10 વર્ષ પછી લેવાયેલા આ પગલાનો હેતુ સ્થાનિક બજારમાં ખાંડના ભાવને નિયંત્રણમાં લાવવાનો છે; અગ્રણી બજારોમાં હાજર ભાવ 16 વર્ષની ટોચે પહોંચ્યા
સ્થાનિક બજારમાં ખાંડના ભાવ ઘટાડવાના હેતુથી કેન્દ્ર સરકારે ગુરુવારે શૂન્ય ડ્યુટી પર 10 લાખ ટન (1 મિલિયન ટન) કાચી ખાંડ (રો-શુગર) ની આયાત કરવાની મંજૂરી આપી છે. લગભગ 10 વર્ષ પછી સરકારે આ પ્રકારનું પગલું ભર્યું છે.NCDEX દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર અગ્રણી કોલ્હાપુર માર્કેટમાં 19 ઓગસ્ટના રોજ ખાંડના હાજર ભાવ રૂ. 5,530 પ્રતિ ક્વિન્ટલની 16 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા.
ગુરુવારે મોડી રાત્રે જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, આ આયાત 31 ઓક્ટોબર સુધી માન્ય રહેશે, જે બે મહિનાથી વધુના સમયગાળાને આવરી લેશે અને તહેવારોની ઉચ્ચ વપરાશ વાળી સિઝનની શરૂઆત સાથે મેળ ખાશે. ભારતમાં સામાન્ય રીતે શેરડીનું પિલાણ નવેમ્બરમાં શરૂ થાય છે. હાલમાં ભારત કાચી ખાંડની આયાત પર 100 ટકા ડ્યુટી લાદે છે.
ગુરુવારે ભારતે ડ્યુટી-ફ્રી આયાતની મંજૂરી આપવાની યોજના જાહેર કર્યા પછી લંડનમાં બેન્ચમાર્ક વ્હાઇટ શુગર ફ્યુચર્સ અને ન્યૂ યોર્કમાં રો-શુગર ફ્યુચર્સના ભાવમાં 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, વેપાર અને ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું કે આ નોટિફિકેશન એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત કરાયેલી ખાંડને ટેરિફ રેટ ક્વોટા સ્કીમ હેઠળ કન્વર્ટ કરવાની ‘વન-ટાઇમ છૂટછાટ’ પણ આપે છે.
આ પગલું લીધું હોવાથી સુગર મિલો આયાતી કાચી ખાંડને સફેદ ખાંડમાં રિફાઇન કર્યા પછી સ્થાનિક બજારમાં વેચી શકશે, જેની સામાન્ય રીતે એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ મનાઈ હોય છે. આ સ્કીમ હેઠળ સુગર મિલોએ ભારતમાં આયાત કરેલી કાચી ખાંડ જેટલી જ માત્રામાં સફેદ કે રિફાઈન્ડ ખાંડ ચોક્કસ સમયગાળામાં નિકાસ કરવી ફરજિયાત હોય છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે સુગર મિલો આયાતી કાચી ખાંડ સ્થાનિક બજારમાં વેચી શકે છે અને કોઈપણ દંડકીય જોગવાઈઓ વિના ખાંડની ઉપલબ્ધતા વધારી શકે છે. આયાત ક્વોટામાં 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની બાંયધરી આપનારાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
ઇન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીના સૂત્રોનું કહેવું છે કે ટૂંકા ગાળાની નીતિ સ્થાનિક ખાંડનો પુરવઠો વધારવા અને બજારના ભાવ સ્થિર કરવા માટે તૈયાર કરવામાં આવી હોય તેમ લાગે છે. આ પગલું આયાત ડ્યુટીના નુકસાનને જીએસટી સંગ્રહ સાથે સંતુલિત કરે છે અને સાથે સાથે આખરી ઉત્પાદન દેશમાં જ રહે તેની ખાતરી કરે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા મુજબ, 18 ઓગસ્ટ સુધીમાં ખાંડના છૂટક ભાવ પણ વાર્ષિક ધોરણે આશરે 13 ટકા વધીને રૂ. 52.30 પ્રતિ કિલો થયા છે, જે એક વર્ષ અગાઉ રૂ. 46.34 હતા. ભારતમાં ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારોની ઉજવણી દરમિયાન ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે સામાન્ય રીતે ખાંડની માંગ વધે છે.
કાળાબજારી સામે કડક કાર્યવાહી
દિવસની શરૂઆતમાં, કેન્દ્ર સરકારે ખાંડના સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક વલણ અપનાવતાં મહિનામાં 10 ટનથી વધુ ખાંડનો વપરાશ કરતા જથ્થાબંધ ગ્રાહકોને 15 દિવસના વપરાશ કરતાં વધુ સ્ટોક રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે તમામ મિલોને 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વેચાયેલી ખાંડની મિલ-વાર અને ખરીદનાર-વાર વિગતો રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ખાદ્ય મંત્રાલયે ‘સુગર (સ્ટોકહોલ્ડિંગ લિમિટ ઓફ બલ્ક કન્ઝ્યુમર્સ) ઓર્ડર, 2026′ સૂચિત કર્યો છે, જેમાં કન્ફેક્શનરી ઉત્પાદકો, સોફ્ટડ્રિંક ઉત્પાદકો, ફૂડ પ્રોસેસિંગ એકમો, મીઠાઈ વેચનારાઓ અને અન્ય સંસ્થાકીય ખરીદદારોનો સમાવેશ થાય છે. આ આદેશ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી કડક સ્ટોકહોલ્ડિંગ લિમિટ, આયાતની મંજૂરી આપવાનો નિર્ણય અને સ્થાનિક તેમજ વૈશ્વિક ભાવોમાં થયેલા રેકોર્ડ વધારાને પગલે ખાંડની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. એક દાયકા પછી આયાતની મંજૂરી આપવાનું પ્રાથમિક કારણ સ્થાનિક ભાવોમાં થયેલો વધારો હોવા છતાં, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે પુરવઠો મર્યાદિત હોવા છતાં અને ઉત્પાદન અંદાજો ખોટા સાબિત થયા હોવા છતાં 1.5 થી 2 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની પરવાનગી આપવાના અગાઉના નિર્ણયોએ પણ વર્તમાન પરિસ્થિતિ ઊભી કરવામાં ફાળો આપ્યો છે.
