આગામી કૃષિ ક્રાંતિ જૈવિક હશે અને તેનો પ્રારંભ લેબોરેટરીથી થશે
આગામી કૃષિ ક્રાંતિ જૈવિક હશે અને તેનો પ્રારંભ લેબોરેટરીથી થશે
છેલ્લી કૃષિ ક્રાંતિ થેલીમાં આવી હતી અને આગામી ક્રાંતિ કલ્ચર ફ્લાસ્કમાં (લેબોરેટરી પાત્રમાં) આવી રહી છે.
માઇક્રોબાયલ સાયન્સ (સૂક્ષ્મજીવ વિજ્ઞાન), ફોર્મ્યુલેશન, ક્વોલિટી એશ્યોરન્સ અને ખેડૂત શિક્ષણમાં સતત રોકાણ બાયોલોજિકલ્સને વિસ્તૃત કરવા અને લાંબા ગાળાનો વિશ્વાસ કેળવવા માટે નિર્ણાયક બનશે. ભારતની જમીનમાં એવી એકમાત્ર વસ્તુની અછત વર્તાઈ રહી છે જે થેલીમાં ખરીદી શકાતી નથી. સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ સરકારી પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે 64 ટકા નમૂનાઓમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હતું અને 48.5 ટકા નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હતું, જે જમીન પાણી જાળવી રાખે છે કે નહીં, પોષક તત્વોનું ચક્ર ચલાવે છે કે નહીં અને સૂક્ષ્મજીવોનું જીવન ટકાવી રાખે છે કે નહીં તે નક્કી કરે છે.
હરિયાળી ક્રાંતિ એ રસાયણ વિજ્ઞાનની એક સિદ્ધિ હતી, અને તેણે ખૂબ જ અદ્ભુત કામ કર્યું, જેણે એક જ પેઢીમાં અનાજની અછત ધરાવતા દેશને અનાજ ક્ષેત્રે સરપ્લસ (અતિરિક્ત) બનાવી દીધો. છ દાયકા પછી, પરિસ્થિતિ અલગ દેખાય છે. ઇસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના જણાવ્યા મુજબ 97.84 મિલિયન હેક્ટર જમીન ક્ષતિગ્રસ્ત અને રણ તરફ આગળ વધી રહી છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ 30 ટકા જેટલી છે.
તેનું એક નાણાકીય પાસું પણ છે. ભારતે 2026-27 માં ખાતર સબસિડી માટે આશરે રૂ. 1.71 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે, જે કુલ કેન્દ્રીય બજેટ ખર્ચના આશરે 3.2 ટકા છે. રાષ્ટ્રીય N:P:K વપરાશ ગુણોત્તર લગભગ 9.8:3.7:1 છે. નાઇટ્રોજન તરફ વપરાશ ભારે નમેલો રહે છે. જોકે પાક જમીન અને આબોહવા અનુસાર જરૂરિયાતો બદલાય છે. પડકાર માત્ર એક જ રાષ્ટ્રીય ગુણોત્તર પાછળ દોડવાનો નથી પરંતુ સંતુલિત, જમીન-પરીક્ષણ આધારિત, સંકલિત પોષક તત્વોના સંચાલનમાં સુધારો કરવાનો છે.
જમીનમાં છાંટવામાં આવેલા નાઈટ્રોજનનું બાષ્પી ભવન કે પછી ભૂગર્ભ જળમાં લીક થઈ જાય છે
જમીનને એક નિર્જીવ ઉછેર માધ્યમ તરીકે ગણો, અને ઘટતી ઉપજનો જવાબ હંમેશાં વધુ ઉમેરો કરવાનો જ રહેશે. પરંતુ તેને જીવંત પ્રણાલી તરીકે ગણો, અને નિદાન બદલાઈ જાય છે. ખાતર તરીકે ઉમેરાયેલું મોટાભાગનું ફોસ્ફરસ રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ જાય છે અને છોડને મળતું નથી. તેમાં ઉમેરાયેલું નાઇટ્રોજન બાષ્પીભવન થઈ જાય છે અથવા ભૂગર્ભ જળમાં લીક થઈ જાય છે. દાયકાઓ સુધી એક જ પાક લેવાની પદ્ધતિ, પાકના અવશેષો બાળવા અને રાસાયણિક બોજને કારણે તે સૂક્ષ્મજીવો ઓછા થઈ ગયા છે જે જમીનમાં બંધાયેલા પોષક તત્વોને મુક્ત કરે છે, રોગકારક જીવાણુઓને દબાવે છે અને ઓર્ગેનિક પદાર્થોનું નિર્માણ કરે છે. વાસ્તવિક અવરોધ એ છે કે ખેતરમાં કેટલું પોષણ પહોંચે છે તે નહીં, પરંતુ છોડ કેટલું ગ્રહણ કરી શકે છે. રસાયણશાસ્ત્રે પ્રમાણ વધારીને જવાબ આપ્યો. બાયોલોજીએ તે પ્રણાલીને પુનઃનિર્માણ કરીને જવાબ આપ્યો જે પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે. એક અભિગમ જમીન પર દબાણ કરે છે; બીજો અભિગમ તેનું સમારકામ કરે છે.
અગાઉ, એપ્લિકેશન પદ્ધતિ, સમય અને ડોઝમાં ભિન્નતાને કારણે અસંગતતાઓ ઊભી થઈ હતી, તેથી સરૂઆતી શંકાસ્પદતા સમજી શકાય તેવી હતી. ત્રણ બાબતો બદલાઈ છે. સ્ટ્રેઇન સાયન્સ સામાન્ય કલ્ચર્સથી આગળ વધીને વિશિષ્ટ જમીન, પાક અને વાતાવરણના દબાણ માટે પસંદ કરાયેલા જેનોમિકલી કેરેક્ટરાઇઝ્ડ સૂક્ષ્મજીવો તરફ આગળ વધ્યું છે. નવું ફોર્મ્યુલેશન અને કન્સોર્ટિયમ ટેકનોલોજી ભારતીય સંગ્રહ પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે. અને સુસંગતતામાં સુધારો થયો છે, તેથી ઘણા આધુનિક બાયોલોજિકલ્સ પ્રસ્થાપિત બિયારણ-ઉપચાર (સીડ ટ્રિટમેન્ટ), ડ્રિપ અને સ્પ્રે સિસ્ટમ્સમાં ભળી જાય છે. આ ઉત્પાદનો હવે વૈચારિક કારણોસર નહીં પણ દેખાવ (પરફોર્મન્સ) સુધારતા સાધન તરીકે ખરીદવામાં આવે છે.
બજારો નિયમો કરતાં આગળ વધી રહ્યા છે
નિકાસ માંગ એ એક મુખ્ય ચાલક બળ છે. યુરોપ અને જાપાનમાં અવશેષ મર્યાદાઓ (રેસિડ્યુ લિમિટ્સ) એ મહત્તમ અવશેષ સ્તરના પાલનને ભારતીય દ્રાક્ષ, બાસમતી, મસાલા અને પ્રોસેસ્ડ-ફૂડ નિકાસકારો માટે અસ્તિત્વનો પ્રશ્ન બનાવી દીધો છે, અને માલ અસ્વીકાર થવો એ મોંઘી શીખ સાબિત થાય છે. તે ખરીદદારોને સેવા આપતા ઉત્પાદકોએ વૈચારિક રીતે નહીં પરંતુ આંકડાકીય ગણતરીથી સંકલિત અને જૈવિક અભિગમોની આસપાસ પાક સંરક્ષણનું પુનઃનિર્માણ કર્યું છે. નીતિ પણ આ દિશાને બળ આપે છે. ચૌદ રાજ્યોએ પ્રધાનમંત્રી પ્રણામ યોજના હેઠળ તેમના ત્રણ વર્ષના સરેરાશ સામે 2023-24 માં 15.14 લાખ મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડ્યો છે, જે બચાવેલી સબસિડીનો અડધો ભાગ રાજ્યને ગ્રાન્ટ તરીકે પરત કરે છે. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ 7.5 લાખ હેક્ટરને આવરી લેતા 15,000 ક્લસ્ટરોને લક્ષ્ય બનાવે છે. સંસ્થાકીય માંગ જાણી જોઈને ઊભી કરવામાં આવી રહી છે.
વિસ્તરણ કરતા પહેલા શું ઠીક કરવું જરૂરી છે
ઝડપી વૃદ્ધિ તેના પોતાના પડકારો લાવે છે. માઇક્રોબાયલ સાયન્સ, ફોર્મ્યુલેશન, ક્વોલિટી એશ્યોરન્સ અને ખેડૂત શિક્ષણમાં સતત રોકાણ બાયોલોજિકલ્સને વિસ્તૃત કરવા અને લાંબા ગાળાનો વિશ્વાસ કેળવવા માટે નિર્ણાયક બનશે. રસાયણશાસ્ત્ર વિરુદ્ધ બાયોલોજીની સરખામણીને હવે નિવૃત્ત કરવી જોઈએ. સાચો માર્ગ સંકલિત પાક પોષણ અને સંરક્ષણનો છે, જ્યાં જૈવિક ઇનપુટ્સ ઘટાડેલા રાસાયણિક બોજની કાર્યક્ષમતામાં વધારો કરે છે, તેને બદલતા નથી. કોઈપણ ખેડૂતને કોઈ એક તરફની કટ્ટર માનસિકતાથી ફાયદો થતો નથી.
2050 સુધીમાં લગભગ દસ અબજ એટલે કે 1000 કરોડ લોકોને અન્ન પૂરું પાડવું મુશ્કેલ બનશે. તેમાંય પણ વધુ ગરમ અને ઘટી રહેલી જમીન પર ખેતી કરીને તેમને માટે અનાજ પકવવું મુશ્કેલ છે. છેલ્લી કૃષિ ક્રાંતિ રાસાયણિક ખાતરની થેલી થકી આવી હતી. આગામી ક્રાંતિ કલ્ચર ફ્લાસ્કમાં આવશે તેમાં બેમત નથી.
