• 3 September, 2026 - 10:12 AM

મુન્દ્રા પોર્ટ પર ખાલી કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટરોની હડતાળ શરૂ

મુન્દ્રા પોર્ટ પર ખાલી કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટરોની હડતાળ શરૂ

પોર્ટમાં લોડ થયેલી ટ્રકને બહાર નીકળવા દીધી, બહાર આવેલી નવી ટ્રકોને પોર્ટમાં પ્રવેશવા જ  ન દીધી: ડેમરેજ કે પેનલ્ટી વિના હડતાલ પૂરી થયા પછી કામકાજ શરૃ કરવામાં આવે  ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિયેશન ઇન ઇન્ડિયાની માગણી

અમદાવાદઃ મુન્દ્રા પોર્ટ ખાતે ખાલી કન્ટેનર યાર્ડ એસોસિએશનના સભ્યોએ પહેલી સપ્ટેમ્બરના રાતના બાર વાગ્યાથી અચાનક કામગીરી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. પરિણામે એક મોટું ઓપરેશનલ સંકટ ઊભું થયું છે. પોર્ટ એરિયામાં લોડ થયેલી ટ્રકોને આજે બહાર નીકળવા દેવામાં આવી છે. પરંતુ પોર્ટની બહારથી નવી ટ્રકોને પોર્ટની અદર જવા દેવાનું પહેલી સપ્ટેમ્બરના રાતના બાર વાગ્યાથી અટકાવી દેવામાં આવ્યું છે. પરિણામે અનલોડિંગના કામકાજ ઠપ થવા માંડયા છે. મુન્દ્રા એમ્પ્ટી કન્ટેઈનર યાર્ડ એન્ડ એલાઈડ સર્વિસ પ્રોવાઈડર્સ તથા ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશને પણ આ હડતાળમાં જોડાઈને કન્ટેનરના પરિવહનને સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધું તેથી પરિસ્થિતિ વણસવા માંડી છે. પોર્ટની બહારના એમ્પ્ટી કન્ટેઈનર યાર્ડ અને ડેપો કોડને સ્થગિત કરી દેવાની મુદ્રા પોર્ટ એસઈઝેડની એડવાઈઝરી સામેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવી છે.

એક, ઈમ્પોર્ટ કન્ટેનર પરત કરવામાં અસમર્થતા તેમની મોટી સમસ્યા છે. નિયુક્ત ખાલી કન્ટેનર યાર્ડોમાં કામગીરી સ્થગિત હોવાને કારણે આયાત કરેલા કન્ટેનર ખાલી કરીને પરત આપવાનું અથવા નવા પિક-અપ લેવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. બીજું, ટ્રાફિક અને પોર્ટ પર ભારે જામ થઈ ગયો છે. ખાલી કન્ટેનર જમા કરાવવા માટે ચોક્કસ જગ્યાઓ ન મળવાના કારણે પોર્ટ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈનો લાગી છે અને મુદ્રા પોર્ટ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ત્રણ, માલસામાનની હેરફેર ઠપ્પ થઈ ગઈ છે.  ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણે કન્ટેનરની અવરજવર સંપૂર્ણપણે રોકાઈ ગઈ છે, જેનાથી સમગ્ર કસ્ટમ હાઉસ એજન્ટ્સ-સીએચએ ટ્રાન્સપોર્ટર્સ, આયાતકારો અને વેપારી સમુદાયને મોટું આર્થિક અને ઓપરેશનલ નુકસાન થઈ રહ્યું છે. ચાર, અનિયંત્રિત સંજોગોને પરિણામે તમામ પરિસ્થિતિ આયાતકારો, સીએચએ કે ગ્રાહકોના નિયંત્રણ બહારની છે, છતાં પણ તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે.

આ કટોકટીપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆર શિપિંગ દ્વારા ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સએસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને શિપિંગ લાઈન્સ સમક્ષ નીચે મુજબની રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી છે. એક, ડિલિવરી ઓર્ડરની મુદત વધારવી જણાવ્યું છે. જ્યાં સુધી પોર્ટ પર કામગીરી સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ ડિલિવરી ઓર્ડર્સની માન્યતા લંબાવવાની માગણી કરવામાં આવી છે. બે, ડિટેન્શન અને ડેમરેજ ચાર્જમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી છે. હડતાલ શરૃ થઈ તે સમયથી હડતાળના સમયગાળા દરમિયાન લાગેલા તમામ ‘ડિટેન્શન’ અને ‘ડેમરેજ’ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની પણ માગણી કરવામાં આવી છે.

ત્રણ, પેનલ્ટી કે દંડ ન લાદવાની માગણી પણ કરવામાં આવી છે. હડતાળના કારણે થયેલા વિલંબ માટે આયાતકારો, સીએચએ કે ટ્રાન્સપોર્ટરો પર કોઈપણ પ્રકારનો પેનલ ચાર્જ કે દંડ ન લાદવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. બે, વેપાર પર વધારાના બોજ વગર કામગીરી પુનઃ શરૃ કરાવવાની માગણી કરવામાં આવી છે. આ સ્થિતિ સંપૂર્ણપણે ઉકેલાઈ ગયા પછી જ વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ નાખ્યા વિના સામાન્ય કામગીરી શરૃ કરવામાં આવે તે જરૃરી છે.

મુદ્રા પોર્ટ પરની આ હડતાળને કારણે આયાત-નિકાસ વેપારને મોટો ફટકો પડયો છે. વેપારી સમુદાયના હિતોનું રક્ષણ કરવા અને બિનજરૃરી નાણાકીય નુકસાન અટકાવવા માટે ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને શિપિંગ લાઈન્સના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત જરૃરી છે.

ખેતીની જમીન ગેરકાયદે પડયા રહેતા કન્ટેઈનરઃ અદાણી પોર્ટ

એમ્પ્ટી કન્ટેઈનર યાર્ડમાં ચાલતી અનિયમિતતાની વાત કરતાં જણાવ્યું હતું કે કેટલાક કન્ટેઈનર બિનખેતીની જમીન અથવા ઔદ્યોગિક વપરાશની મંજૂરી ન ધરાવતી જમીન પર પડી રહે છે. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈ હેઠળ ખેતીની જમીનને વ્યાપારિક હેતુ માટે ઉપયોગ કરવા યોગ્ય મંજૂરી મેળવવી ફરજિયાત છે. આ કાયદાકીય જોગવાઈનો ભંગ થાય છે. લીઝ પર આયાત કરેલા કન્ટેઈનર છ માસમાં એક્સપોર્ટ કરી દેવા પડે છે. આ સ્થિતિમાં બહારના યાર્ડ્સમાં કન્ટેઈનર લાંબા સમય સુધી પડયા રહે છે. તેથી કસ્ટમ્સની નિર્ધારિત સમય મર્યાદાનો ભંગ થાય છે. કન્ટેઈનરની ટ્રેસેબિલિટી રહેતી નથી.

મુન્દ્રા પોર્ટની આસપાસમાં કાર્યરત એમ્પ્ટી કન્ટેઈનર યાર્ડ્સને વધુ સંગઠિત, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે અદાણી પોર્ટ્સ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ેતનાથી કન્ટેઈનરની મુવમેન્ટ ઝડપી થશે. ટ્રકના ટર્નએરાઉન્ડ ટાઈમમાં ઘટાડો થશે. આયાતકારો-નિકાસકારોને વધુ સારી સેવાઓ મળતી થશે. તેનાથી ભારતના વધતા વિદેશ વ્યાપારને ગતિ મળશે. મુન્દ્રા પોર્ટ્સના નિર્ણયથી ભારતને વિશ્વ વેપારનું કેન્દ્ર બનાવવામાં મદદ મળશે.એમ્પ્ટી કન્ટેઈનર યાર્ડને મુન્દ્રા પોર્ટના એસઈઝેડ વિસ્તારમાં લાવવામાં આવે તો રસ્તા પરની ભીડમાં ઘટાડો થશે. ટ્રાફિકની સમસ્યાા હળવી થશે. વાહનોનો ટર્નએરાઉન્ડ ટાઈમ ઘટતા લોજિસ્ટિકના ખર્ચમાં ઘટાડો થશે. ઇંધણ ખર્ચ અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે. સમય બચશે અને કાર્બન ઉત્સર્જન ઘટશે.

Read Previous

SEBI એ આઇપીઓ ફંડ ટ્રાન્સફર બદલ વીરકૃપા જ્વેલર્સના એમડી ચિરાગ શાહ, ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલને ૧૬ લાખનો દંડ કર્યો 

Read Next

દીકરીના લગ્ન માટે બચાવેલા ₹1.2 કરોડ, વ્યક્તિએ ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડમાં ગુમાવ્યા

Most Popular