• 4 September, 2026 - 10:41 AM

જીએસટીનું નિલ રિટર્ન ફાઈલ કરતા હોવાથી વેપારીનું રજિસ્ટ્રેશન રદ ન કરી શકાય

જીએસટીનું નિલ રિટર્ન ફાઈલ કરતા હોવાથી વેપારીનું રજિસ્ટ્રેશન રદ ન કરી શકાય
સીઝનલ ધંધો કરનાર કે નવો ધંધો કરનારાઓને શરૂઆતમાં નિલ રિટર્ન ફાઈલ કરવાની ફરજ પડી શકે છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
વર્ષના ચોક્કસ મહિનાઓ દરમિયાન વેપારીની ખરીદ-વેચાણ ન થઈ હોય કે ટેક્સની કોઈ જવાબદારી ઊભી ન થતી હોય તેવા સંજોગોમાં તે નિલ રિટર્ન ફાઈલ કરે તો તેના જીએસટી નંબરને રદ કરી દેવાનું અધિકારીઓનું પગલું ઊચિત નથી. કોઈ વેપારીએ જીએસટી નંબર લઈ લીધો હોય, પરંતુ શોપિંગ, સેટઅપ કે સ્ટોક આવવામાં સમય લાગતો હોય અને પહેલા ૧-૨ મહિના કોઈ વેચાણ જ ન થયું હોય તો પણ તે નિલ રિટર્ન ફાઈલ કરી શકે છે. તેવી જ રીતે સીઝનલ ધંધો હોય એટલે કે દિવાળીમાં ફટાકડાનો કે પછી ચોમાસામાં છત્રીનો કે પછી હોળીના તહેવારોની આસપાસ રંગ-બલૂનનો ધંધો કરે તો વર્ષના બાકીના મહિનાઓમાં તેનું નિલ રિટર્ન ભરાય તેવી શક્યતા વધારે હોય છે. આ જ રીતે કોઈનો ધંધો કામચલાઉ ધોરણે ઠપ થઈ ગયો હોય તો પણ કે પછી દુકાનનું રિનોવેશન ચાલતું હોય કે મંદીના કારણો સર આખા મહિનામાં એક પણ બિલ ન ફાટ્યું હોય તો પણ નિલ રિટર્ન ફાઈલ કરવાનું આવી શકે છે.
માલની ખરીદી કે વેચાણ ન થયું હોય તો પણ નિલ રિટર્ન ફાઈલ કરવું પડે

મહિના દરમિયાન માલ ખરીદ્યો ન હોય કે વેચ્યો ન હોય, છતાં રજીસ્ટ્રેશન ચાલુ રાખવા માટે નિલ રિટર્ન ભરવું ફરજિયાત હોવાથી નિલ રિટર્ન ફાઈલ કરી દે છે. જીએસટી કાયદા મુજબ જો તમારો વેપાર એક મહિના માટે બંધ પણ રહે, તો પણ જીએસટીઆર-૩બી રિટર્ન તો ભરવું જ પડે છે. રિટર્ન ન ભરો તો પેનલ્ટી કે લેટ ફી લાગે છે. આ સંજોગોમાં જીએસટી અધિકારીઓ તરફથી સતત નિલ રિટર્ન ભરતા વેપારીઓને રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસ આપી દેવામાં આવે છે. અધિકારીઓને શંકા હોય છે કે જે તે વ્યક્તિએ માત્ર કાગળ પર જ કંપની બનાવી છે અને ભવિષ્યમાં ફેક બિલિંગ (બોગસ બિલ બનાવીને ટેક્સ ચોરી) કરવા માટે જીએસટી નંબર એક્ટિવ રાખ્યો છે. બીજું, કોઈ વેપારી લાંબા સમય સુધી કોઈ ધંધો જ નથી કરતો, તો તે જીએસટી સિસ્ટમ પર માત્ર એક બોજ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે તેમ માનીને તે રજિસ્ટ્રેશન રદ કરી દેવાનું પગલું લે છે. ત્રીજું, કેટલાક અસામાજિક તત્વો નિલ રિટર્ન ભરીને નંબર ચાલુ રાખે છે અને અચાનક કરોડોના બોગસ ટ્રાન્ઝેક્શન કરીને ગાયબ થઈ જાય છે. આ રોકવા માટે અધિકારીઓ કડક વલણ અપનાવે છે.

નિલ રિટર્ન ફાઈલ કરનારનું રજિસ્ટ્રેશન રદ ન  કરી શકાય

જોકે કોર્ટનું માનવું છે કે નિલ રિટર્ન ફાઈલ કરવું તે ગુનો નથી. વેપારી કાયદા મુજબ નિયમિત નિલ રિટર્ન ભરે છે, તો તેનો અર્થ એ છે કે તે કાયદાનું પાલન કરે છે. તેથી માત્ર શંકાના આધારે કે ટર્નઓવર શૂન્ય હોવાના કારણે ટેક્સ અધિકારીઓ કાયદાની કલમ ૨૯(૧) હેઠળ સીધું રજીસ્ટ્રેશન રદ કરી શકે નહીં. કોર્ટ કહે છે કે નિલ જીએસટીઆર-3બી ફાઈલ કરવું તે જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવા માટેનું યોગ્ય કારણ નથી. આ એક કારણસર જીએસટી કાયદાની કલમ ૨૯(૧) હેઠળ જીએસટી રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસ આપી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદાથી જીએસટી વિભાગ દ્વારા વિના કારણે રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસોથી પરેશાન નાના અને નવા વેપારીઓને મોટી રાહત મળશે.

જીએસટી કાયદાની કલમ ૨૯(૧) હેઠળ રજીસ્ટ્રેશન રદ કરવા માટે અમુક ચોક્કસ અને નિર્ધારિત પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘નીલ’ રિટર્ન દાખલ કરવું એ આ પરિસ્થિતિઓમાં આવતું નથી. જો કોઈ કરદાતા નિયમિતપણે રિટર્ન ભરી રહ્યો હોય, ભલે તેમાં ટર્નઓવર શૂન્ય દર્શાવેલ હોય, તો તેને રિટર્ન ન ભરનાર કે કાયદાનો ભંગ કરનાર ગણી શકાય નહીં. જીએસટી અધિકારીઓ કાયદાકીય જોગવાઈઓ બહાર જઈને પોતાની મરજી મુજબ રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસ ફટકારી શકે નહીં.

નાના અને નવા વેપારીઓેને ફાયદો થશે
એક, ઘણીવાર કોઈ નવો વ્યવસાય શરૂ થયો હોય અથવા મંદીના કારણે અમુક મહિનાઓ સુધી કોઈ વેચાણ કે ટર્નઓવર ન થયું હોય, છતાં વ્યવસાય ચાલુ હોય છે. આવા કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ થવાનો ભય દૂર થશે. બે, અધિકારીઓની મનમાની અને બિનજરૂરી કાયદાકીય ગુંચવણોમાંથી મુક્તિ મળશે, જેથી વેપારીઓ ભય વગર કામકાજ ચાલુ રાખી શકશે. ત્રણ, અચાનક રજીસ્ટ્રેશન રદ થવાથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને બેંકિંગ વ્યવહારો અટકી જતા હોવાની સમસ્યામાંથી પણ વેપારીઓને મુક્તિ મળશે. સ્ટાર્ટ અપને કે શરૂઆતના તબક્કામાં જે બિઝનેસમાં તરત વેચાણ શરૂ નથી થતું, તેમને પોતાનું રજીસ્ટ્રેશન જાળવી રાખવામાં પૂરો ફાયદો થશે. સીઝનલ ધંધો કરનારાઓને રાહત મળી જશે. 

જીએસટી અધિકારીઓ સામે નવો પડકાર ઊભો થશે

જીએસટી અધિકારીઓએ બોગસ પેઢીઓ પર નજર રાખવાના પડકારનો સામનો કરવો પડશે.  જીએસટી વિભાગ માટે શૂન્ય ટર્નઓવર દર્શાવીને સક્રિય રહેતી શંકાસ્પદ કે શેલ એટલે કે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓ પર નજર રાખવી થોડી જટિલ બની શકે છે.
બીજું, કરચોરી રોકવા માટે જીએસટી વિભાગે હવે માત્ર ‘નીલ’ રિટર્નના આધારે પગલાં લેવાને બદલે અન્ય નક્કર પુરાવાઓ એકઠા કરવા પડશે, જેનાથી વિભાગની કામગીરી પણ વધશે.

Read Previous

એક્સપાયરી ડેટવાળા ઇન્ફન્ટ ફૂડ વેચતી બ્રિટીશ લાઈફ સાયન્સિસને પકડીઃ ૩.૭ મેટ્રિક ટન જથ્થો નાશ કર્યો

Read Next

ઘસારાની અસ્વીકૃતિ બાદ પણ જો કરપાત્ર આવક ન થાય તો ચેરિટેબલ ટ્રસ્ટોને દં ડ ન થઈ શકેઃ ITAT

Most Popular