• 4 September, 2026 - 12:54 PM

વિદેશ વ્યાપાર કાયદા હેઠળની યોજના જૂની તારીખથી સરકાર નિકાસ યોજનાના લાભ બંધ ન કરી શકે

વિદેશ વ્યાપાર કાયદા હેઠળની યોજના જૂની તારીખથી સરકાર નિકાસ યોજનાના લાભ બંધ ન કરી શકે 

કલમ 5 (FTDR Act) અંગે હાઈકોર્ટની લાલઆંખ: નિકાસકારોના મળવાપાત્ર હકો પાછા ખેંચી શકાય નહીં

દેશના નિકાસ ક્ષેત્ર અને નિકાસકારો માટે વડી અદાલત તરફથી આપવામાં આવેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ચુકાદામાં ફોરેન ટ્રેડ -ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન- એક્ટ એટલે કે એફટીડીઆર એક્ટની કલમ ૫માં સરકાર જૂની તારીખથી અમલમાં આવે તે પ્નેરકારના કોઈ નીતિગત સુધારા કરવાની કે ચાલી રહેલી પ્રોત્સાહક યોજનાઓને પાછલી તારીખથી બંધ કરવાની સત્તા આપતી નથી. અદાલતના આ નિર્દેશથી જે નિકાસકારોને યોજના હેઠળ અગાઉથી જ લાભો કે હકો મળવાપાત્ર થઈ ચૂક્યા હોય, તેને પાછલી તારીખથી આદેશ બહાર પાડીને છીનવી શકાય નહીં.

નીતિગત ફેરફારોથી નિકાસકારોને પડતી મુશ્કેલીઓ

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને વાણિજ્ય મંત્રાલય દ્વારા વિવિધ નિકાસ પ્રોત્સાહક યોજનાઓ-એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમમાંઅચાનક કરવામાં આવતા સુધારાને કારણે નિકાસકારોને મોટું નુકસાન સહન કરવું પડતું હતું. તેમ જ નિકાસકારો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોદા કરે છે, ત્યારે તેઓ સરકારની પ્રવર્તમાન યોજનાઓ અને સબસિડી/ઇન્સેન્ટિવને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરતા હોય છે. પરંતુ જો સરકાર પાછલી તારીખથી યોજના બંધ કરે અથવા લાભો ઘટાડી દે, તો નિકાસકારોનું ગણિત ખોરવાઈ જાય છે.
ભૂતકાળમાં પૂરી કરેલી નિકાસ સામે મળવાપાત્ર ક્રેડિટ કે ઇન્સેન્ટિવ્સ અચાનક રદ થવાથી નિકાસકારોની કાર્યકારી મૂડી ધોવાઈ જતી હતી. સરકારના આ પ્રકારના જૂની તારીખથી અમલમાં મૂકી દેવાના નિર્ણયોના કારણે નિકાસકારોને પોતાના હક માટે અદાલતોના દરવાજા ખટખટાવવા પડતા હતા, જેનાથી સમય અને નાણાં બંનેનો વેડફાટ થતો હતો. હાઈકોર્ટના આ ચૂકાદાનો ખાસ્સો લાભ મળી શકે તેમ છે. હાઈકોર્ટના આ નિર્ણયથી નિકાસકારોને એક મોટું કાનૂની રક્ષણ મળ્યું છે. હવે કોઈ પણ નિકાસકાર જ્યારે વ્યાપારિક આયોજન કરશે, ત્યારે તેને પાછલી તારીખથી નીતિ બદલાઈ જવાનો ડર રહેશે નહીં. બીજું, કલમ ૫નું ખોટું અર્થઘટન કરીને નોટિફિકેશન બહાર પાડવાની સરકારની સત્તા પર અદાલતે મર્યાદાઓ સ્પષ્ટ કરી દીધી છે. કાયદામાં જ્યાં સુધી સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યાં સુધી ભૂતલક્ષી સુધારા કરી શકાય નહીં.
આ ચુકાદાથી વૈશ્વિક બજારમાં ભારતીય નિકાસકારોની સ્થિરતા વધશે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે વિદેશી ખરીદદારો સાથે લાંબા ગાળાના કરારો કરી શકશે.
સરકાર ઘણીવાર આર્થિક મર્યાદાઓ અથવા બજેટની અછતને કારણે યોજનાઓ ટૂંકાવતી હોય છે. અદાલતના આ આદેશથી સરકાર પર જૂની યોજનાઓના નાણાકીય લાભો ચૂકવવાનું મોટું ભારણ આવી શકે છે. સરકાર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે આ વિવાદનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી કેટલીક યોજનાઓના નાણાકીય ચૂકવણાંમાં વિલંબ થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં વ્યાપાર જગત અને નીતિ નિર્માતાઓ માટે નીચે મુજબના પગલાં ભરવા જરૂરી બને છે. કેન્દ્ર સરકારે ભવિષ્યમાં કોઈ પણ યોજના બંધ કરવી હોય કે તેમાં સુધારા કરવા હોય, તો તેની અમલવારી હંમેશા ‘ભવિષ્યની તારીખથી’ જ કરવી જોઈએ. કોઈ પણ પ્રોત્સાહક યોજના બંધ કરતી વખતે નિકાસકારોને અગાઉથી પૂરતો સમય આપવો જોઈએ જેથી તેઓ પોતાના બાકી રહેલા સોદાઓ પૂર્ણ કરી શકશે. વાણિજ્ય મંત્રાલયે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ મારફતે આ અંગે સ્પષ્ટ પરિપત્ર બહાર પાડીને અદાલતના ચુકાદાનું સન્માન કરવું જોઈએ.
હાઈકોર્ટનો આ નિર્ણય વ્યાપારિક ન્યાયની દ્રષ્ટિએ એક ઐતિહાસિક કદમ છે. આ આદેશ સ્પષ્ટ કરે છે કે કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને વ્યાપારીઓના કાયદેસરના હકો છીનવી શકાય નહીં. આ નિર્ણાયક ચુકાદાથી દેશના નિકાસ ક્ષેત્રમાં નવી ઊર્જા અને વિશ્વાસનો સંચાર થશે.
ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિયેશન ઇન ઇન્ડિયાના પ્રમુખ
ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિયેશન ઇન ઇન્ડિયાના પ્રમુખ પાર્થિવ દવેનું કહેવું છે કે  સરકાર દ્વારા અમલમાં આવેલી આયાતકાર/નિર્યાતકારો ને અપાતા કોઈ પણ લાભો પાછલી કે અમલી તારીખ થી રદ ન જ થઈ શકવા જોઈએ. તેનાથી  આયાતકાર/નિર્યાતકારો માટે નાણાંકીય તકલીફમાં આવી જાય છે. તેમને બિઝનેસના ગણિતો ખોરવાઈ જાય છે. બીજું, સરકાર પાસેથી લઈ લીધેલા અને વાપરી નાખેલા લાભો પાછા કેવી રીતે અને કયા સંજોગો માં લેવા એ પેચીદો પ્રશ્ન છે. આ પ્રકારની બાબતોને અમલમાં મુકવી એ સરકાર માટે અકાર્યક્ષમ વ્યક્તિ ઓ નો સરકાર માં જમાવડો છે એવું પણ સાબિત કરે છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular