અદાણી ગ્રુપના શેરોમાં તેજીનો તરવરાટ દેખાયોઃ 6 ટકાનો ઉછાળો

કાનૂની મુદ્દાઓ પર સ્પષ્ટતા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ફરી ઉછાળો આવ્યો, તેજીના આ ચાલ ટૂંકા ગાળાની છે કે પછી લાંબી ચાલશે.
અદાણી ગ્રુપના શેરોમાં આજે 27 જાન્યુઆરીએ ફરી ઉછાળો આવ્યો છે. પરિણામે ગયા અઠવાડિયાની તીવ્ર વેચવાલીથી થયેલા નુકસાનમાંથી ખાસ્સો બહાર આવવા માંડ્યા છે. શેરના ભાવમાં તાજેતરો ઉછાળો એ સમયે આવ્યો છે જ્યારે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્પષ્ટતા કરી કે તાજેતરના મીડિયા રિપોર્ટમાં જે કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની સાથે તેનો કોઈ સંબંધ નથી.
અદાણી એન્ટરપ્રાઇઝે તરફથી સ્પષ્ટતા
અદાણી એન્ટરપ્રાઇઝેઝે 24 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને નિવેદન આપી જણાવ્યું હતું કે કંપની સામે કોઈ આરોપ લગાવવામાં આવ્યા નથી અને તે કોઈ પણ ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં પક્ષકાર નથી. આ સ્પષ્ટતા તે મીડિયામાં કેટલાક અહેવાલો છપાયા તે પછી કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના-યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કાનૂની સમન્સ પાઠવવા માટે કોર્ટની મંજૂરી માગી રહ્યું છે. આ કાર્યવાહીના અનુસંધાનમાં કંપની સામે કોઈ આરોપ નથી અને કંપની તેમાં પક્ષકાર નથી, એમ અદાણી એન્ટરપ્રાઇઝેઝે સ્ટોક એક્સચેન્જને સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે.
રીકવરીમાં આગળ રહેલા સેક્ટર શેરો
ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝેના શેરના ભાવ લગભગ 5 ટકા વધ્યા છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને 3 ટકાનો વધારો નોંધાવ્યો છે. તેમ જ અદાણી ટોટલ ગેસના શેરના ભાવમાં 2 ટકાનો વધારો થયો છે.
અદાણી ગ્રુપના સિમેન્ટ શેરો જેમ કે અંબુજા સિમેન્ટ્સ અને ACCમાં પણ ક્રમશઃ 2 ટકા અને 0.64 ટકા જેટલો નજીવો વધારો થયો છે. રીકવરી પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ અને પેટ્રોલિયમ જેવા ક્ષેત્રોમાં જોવા મળી છે. આ ઉછાળો શુક્રવાર, 23 જાન્યુઆરીના ભારે નુકસાન બાદ આવ્યો છે. સંભવિત કાનૂની વિકાસ અંગેની અનિશ્ચિતતાએ શુક્રવારે વ્યાપક વેચવાલી કરાવી હતી.
અમેરિકામાં કાનૂની કેસ
બજારની અસ્થિરતા યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલી રહેલા કાનૂની મુદ્દાઓ સાથે જોડાયેલી છે. SEC ગૌતમ અને સાગર અદાણી સામે કાનૂની સમન્સ પાઠવવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યું છે, કારણ કે ભારતીય સત્તાવાળાઓ મારફતે કરાયેલા પરંપરાગત પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયે અગાઉ હસ્તાક્ષર અને પ્રક્રિયાત્મક નિયમોની અછત બતાવી વાંધો ઉઠાવ્યો હતો, જેને SECએ “નિરાધાર” ગણાવ્યો હતો.
આ કેસ અદાણી ગ્રીન એનર્જી સંબંધિત ભારતીય અધિકારીઓને કરાયેલી ચુકવણીઓ સાથે જોડાયેલા સિવિલ ફ્રોડના આરોપોનો છે, જે નવેમ્બર 2024માં દાખલ થયો હતો. આ સિવિલ કેસ અમેરિકા-યુએસના ન્યાય વિભાગ (DOJ)ના ક્રિમિનલ કેસથી અલગ છે. કેસ હજુ ચાલુ છે. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપો નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે કોર્ટમાં આ કેસ સામે લડતું રહેશે.




