• 20 June, 2026 - 10:18 AM

બ્રાન્ડે-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટની લાલચ આપી દરદીઓને લૂંટી રહેલી કંપનીઓ, હોલસેલર્સ અને કેમિસ્ટ્સ

  • પેકિંગ પર બેફામ કિંમત છાપી બિચારા બાપડાં દરદીઓને ખંખેરતા દવાનો વેપારીઓઃ
  • દવા કંપની, હોલસેલર ને કેમિસ્ટના માર્જિન સાથે રૂ. 22માં સપ્લાય કરવામાં આવતી દવા પર મહત્તમ છૂટક કિંમત રૂ. 301ની છાપેલી છે

અમદાવાદઃ જેનરિક દવાના ભાવ નક્કી કરવા માટેની કોDcઈ જ ફોર્મ્યુલા ન હોવાથી તેના પર બેફામ છૂટક વેચાણ કિંમત છાપીને દવા બનાવતી કંપનીઓ, દવાના હોલસેલર્સ અને કેમિસ્ટ મળીને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. પરિણામે દવાના બજારમાં દરદીઓ લૂંટાઈ રહ્યા છે. સામાન્ય રીતે જેનરિક દવા બનાવતી કંપનીઓ તેમના ઉત્પાદન ખર્ચ સહિતના દરેક ખર્ચ ઉપર 100 ટકા માર્જિન ચઢાવીને તથા તેમાં હોલસેલર્સેના 10 ટકા અને રિટેઈલર્સના 20 ટકા ગણીને મન ફાવે તે મહત્તમ છૂટક કિંમત છાપી દે છે. દવાના પેકિંગ પર છાપેલી છૂટક વેચાણ કિંમત પર પર 50થી 75 ટકા ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ દરદીએ વાસ્તવમાં 50થી 200 ટકા વધુ કિંમત ચૂકવી રહ્યા છે. હવે તો આ ડિસ્કાઉન્ટ પણ ન આપવાનો ગુજરાતના કેમિસ્ટોએ નિર્ણય લઈને લોકોને સાવ જ ખંખેરી લેવાનો કારસો રચ્યો છે.

વાસ્તવમાં આ મહત્તમ છૂટક કિંમત કંપનીના ઉત્પાદન ખર્ચ, હોલસેલર્સ અને રિટેઈલર્સના અનુક્રમે દસ અને વીસ ટકા નફાના માર્જિન સહિતની હોવા છતાં કેમિસ્ટને સપ્લાય કરવાના ભાવ કરતાં 300થી 1000 ટકા ઊંચી હોય છે. તેમ છતાં ચાર દિવસ પહેલા ગુજરાત અને ભારતના કેમિસ્ટોએ દવા પર કોઈ જ ડિસ્કાઉન્ટ ન આપવાની જાહેરાત કરીને નફાખોરી કરવાનો વધુ મજબૂત રસ્તો બનાવ્યો છે. ગુજરાત સમાચારે આ સંદર્ભમાં કેટલાક બિલ એકત્રિત કરીને હકીકતની ખરાઈ કરી છે.

બ્લડ પ્રેશરની દવા બાયોઝોસિન 5એક્સએલ કેમિસ્ટ તેના પર છાપેલી એમઆરપીથી વેચે તો તેનો કુલ નફો 1250 ટકા થાય

એપ્રિલ 2026ના એક હોલસેલરના બિલમાં હાઈબ્લડ પ્રેશરના દરદીઓ માટે ઉપયોગમાં લેવાતી બાયોઝોસિન 5એક્સએલ દવાની સ્ટ્રીપ કેમિસ્ટને હોલસેલર અને રિટેઈલરના માર્જિન સાથે રૂ. 22માં બિલથી એટલે કે જીએસટી સાથે કેમિસ્ટને સપ્લાય કરવામાં આવે છે. પરંતુ તમને સાંભળીને આંચકો લાગશે કે તેના પર છાપેલી મહત્તમ છૂટક કિંમત રૂ. 301 છે. આ સંજોગમાં કેમિસ્ટોએ લીધેલા નિર્ણય મુજબ તેના પર રિબેટ ન આપવામાં આવે અને મહત્તમ છૂટક કિંમતથી જ વેચવામાં આવે તો રિટેઈલ કેમિસ્ટને તેના પર રૂ.279નો નફો મળે છે. આ નફો 1250 ટકા છે.

શરીરના કોઈપણ અવયવ પર આવલા સોજા અને દુઃખાવાની સારવાર માટે વપરાતી દવા ચાયમોથલ ફોર્ટેની સ્ટ્રીપ પર દવાની કંપનીના 100 ટકા, હોલસેલરના 10 ટકા ને રિટેઈલરના 20 ટકા માર્જિન સાથે રૂ. 42માં 10 ગોળીને એક સ્ટ્રીપ કેમિસ્ટને સપ્લાય કરવામાં આવે છે. તેના પર મહત્તમ છૂટક કિંમત રૂ. 458ની છાપેલી છે. આમ તેના પર 900 ટકા કરતાંય વધુ ઊંચો છૂટક વેચાણ ભાવ છાપેલો છે .

માસિક બંધ થવાની ગોળી કેમિસ્ટને રૂ. 11માં વેચવામાં આવે છે. તેમાં કંપની, હોલસેલર અને રિટેઈલરનો અનુક્રમે 100 ટકા, 10 ટકા અને 20 ટકાનો નફો આવી જાય છે. તેના પર એમઆરપી રૂ. 57ની છાપેલી છે. જે કેમિસ્ટને અપાતી સપ્લાય કિંમત પર 400 ટકા વધુ મહત્તમ છૂટક કિંમત છાપેલી છે. તેમ જ જાતિય સુખ માણવા માટેની ચાર ગોળીના પેકની કેમિસ્ટને સપ્લાય કિંમત રૂ. 8 છે, પરંતુ તેના પર એમઆરપી 80ની છાપેલી છે. તેમાં 900 ટકાનો વધારો છે. હૃદયરોગની અને કોલેસ્ટ્રલની દવાઓમાં પણ 500થી 700 ટકાનો નફો ચઢાવીને મહત્તમ છૂટક કિંમત છાપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રો ચાલુ કરીને લોકોને સસ્તી દવા મળે તેવા પ્રયાસ કરી રહી છે ત્યારે દવા કંપનીઓ, દવાના હોલસેલર્સ અને રિટેઈલર્સ તેમના પ્રયાસને નાકામિયાબ બનાવી રહ્યા છે

આ પ્રકારે હજારો દવા પર બેફામ છૂટક કિંમત છપાય છે. આ સ્થિતિમાં તેના પર નફો લેવા માટે મહત્તમ છૂટક કિંમત નક્કી કરવા માટે અલગથી કાયદો બનાવવો જરૂરી છે. અત્યારે મહત્તમ છૂટક કિંમત છાપે છે તે ટેક્સ અને નફા સાથેની રકમ દર્શાવે છે. પરંતુ તે રકમ છાપવા પર કોઈ જ અંકુશ કે નિયંત્રણ નથી પ્રજા ઇચ્છે છે કે આ પ્રકાર મહત્તમ છૂટક કિંમત છાપવા પર નિયંત્રણ રાખતો કાયદો હોવો જોઈએ.

પૂર્વ ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે લખેલો પત્ર ફાઈલોમાં અટવાયો

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ પણ આ હકીકતને સમજીને તેમના કાર્યકાળ દરમિયાન સરકારને જેનરિક  દવાઓમાં લેવાતા બેફામ નફાને અંકુશમાં રાખવા માટે પગલાં લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે આ અંગે એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ સરકારી ફાઈલમાં જ ક્યાંક ધરબાયેલો હોવાનું માનવામાં આવે છે. પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં સરકારને પણ રસ ન હોય તેવો નિર્દેશ મળે છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનઔષધી કેન્દ્ર ચાલુ કરીને લોકોને સસ્તી દવા મળે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે બીજીતરફ દવાની કંપનીઓ, દવાના હોલસેલર્સ અને દવાના રિટેઈલર્સ લોકોને બેફામ લૂંટી રહ્યા છે. દરદી બિચારો કચડાઈ રહ્યો છે અને કંપનીઓ બેફામ નફો રળી રહી છે.

બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ વચ્ચે તફાવત

  • જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 85% સુધી સસ્તી હોઈ શકે છે.
  • બ્રાન્ડેડ દવાઓ બનાવવા માટે શરૂઆતમાં મોંઘા સંશોધનો કરવા પડે છે, જ્યારે જેનરિક દવાઓ તે પહેલેથી બનેલા ફોર્મ્યુલાની નકલ કરીને બનાવાય છે.
  • ટ્રેડમાર્ક (કાનૂની) નિયમોના કારણે બંનેના રંગ, આકાર, કદ અને પેકિંગ અલગ-અલગ હોય છે.
  • બ્રાન્ડેડ દવાઓ આકર્ષક વ્યાપારી નામનો ઉપયોગ કરે છે, જ્યારે જેનરિક દવાઓ સામાન્ય રીતે તેના મૂળ રાસાયણિક (કેમિકલ) નામથી ઓળખાય છે.
  • દવામાં વપરાતા બાઈન્ડર્સ, ફિલર્સ અને ફ્લેવર (સ્વાદ/સુગંધ) બંનેમાં અલગ હોઈ શકે છે.
  • બ્રાન્ડેડ ને જેનરિક દવામાં મુખ્ય ઘટક કે તત્વ અથવા બીમારી મટાડતું અસલી કેમિકલ બંનેમાં બિલકુલ એકસરખું હોય છે.
  • બ્રાન્ડેડ અ જેનરિક પાવરની તાકાત-ક્ષમતા સરખી હોય છે. બંનેમાં દવાનો ડોઝ (માત્રા) સમાન હોય છે.
  • બ્રાન્ડેડ અ જેનરિક બંને દવાઓએ સરકારના ગુણવત્તાના કડક નિયમોનું એકસરખું પાલન કરવાનું હોય છે.
  • બ્રાન્ડેડ અને જેનરિક બંને દવાઓ શરીરમાં એકસરખી ઝડપ અને ક્ષમતાથી કામ કરે છે.
  • બ્રાન્ડેડ દવા બનાવવા સંશોધ ન કરવાનો ખર્ચ કર્યો હોવાથી તેની કિંમત વધારે હોય છે
  • જેનરિક દવા પેટન્ટની મુદત પૂરી થયા પછી તેના ઘટકો જાણીને બનાવવામાં આવતી હોવાથી તે બ્રાન્ડેડ કરતાં સસ્તી જ હોય છે.

કેમિસ્ટની સપ્લાય કિંમત અને છૂટક વેચાણ કિંમત વચ્ચેનો તફાવત

દવાનું નામબીમારી / ઉપયોગકેમિસ્ટને વેચવાનો ભાવ (સપ્લાય કિંમત)છાપેલી છૂટક વેચાણ કિંમત (MRP)કેમિસ્ટ સપ્લાય કિંમત કરતાં વધુ (%)ગ્રાહક પાસેથી વસૂલાતો કુલ વધારાનો નફો (રૂપિયામાં)
ડાયક્લોજેસિક ટેબ્લેટપેઈનકીલરરૂ. 9.00રૂ. 58.73450 ટકારૂ. 49.73
ઝિન્સેટ ટેબ્લેટએલર્જીની દવારૂ. 4.00રૂ. 19.73450 ટકારૂ. 15.73
પાનસ્પેડ 40 ટેબ્લેટએસિડિટીરૂ. 13.00રૂ. 156.001100 ટકારૂ. 143.00
આર ઝોલ ડીએસર કેપ.પાચનતંત્રરૂ. 17.50રૂ. 159.82800 ટકારૂ. 142.32
ટ્રેડસ 100 કેપ્સૂલફંગલ ઇન્ફેક્શનરૂ. 45.00રૂ. 178.08300 ટકારૂ. 133.08
સોર જેલમોઢાના છાલારૂ. 10.50રૂ. 70.31575 ટકારૂ. 59.81
કેડકેલ જોઈન્ટ રોઝસાંધાના દુખાવારૂ. 44.00રૂ. 328.00625 ટકારૂ. 284.00
સિપકલ 500 ટેબ્લેટવિટામિન ડી-3રૂ. 18.80રૂ. 98.11450 ટકારૂ. 79.31
ટેલિસ્ટાર એએમહાયબ્લડપ્રેશરરૂ. 13.00રૂ. 88.50575 ટકારૂ. 75.50
લોપોક્સ ટેબ્લેટઝાડાની તકલીફરૂ. 88.00રૂ. 1150.001150 ટકારૂ. 1062.00

 

Read Previous

બેન્ક ફિક્સ ડિપોઝિટમાં કેવી રીતે નાણાં રોકવાથી લાભ થઈ શકે કે પછી મલ્ટીપલ સ્કીમમાં રોકાણ કરવાથી લાભ થાય?

Most Popular