કર્મચારીઓનો PF-ESIનો હિસ્સો રિટર્ન ફાઈલ કરતાં પહેલા ભરી દે તો ખર્ચ તરીકે હવે બાદ મળશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટના માધ્યમથી કંપનીઓ અને ભાગીદારી પેઢીઓને ફાયદો કરાવ્યો
જૂની વ્યવસ્થામાં ESI-PFનો માલિક આપવાનો હિસ્સો 15મી તારીખે જમા કરાવે તો જ ખર્ચ તરીકે બાદ આપવામાં આવતો હતો
અમદાવાદઃ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કે પછી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પેટે જમા કરાવવાના થતાં માલિકના હિસ્સાના નાણાં હવે આવકવેરાનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરતાં પહેલા જ જમા કરાવી દે તો તે રકમ માલિકોને રિટર્નમાં ખર્ચ તરીકે બાદ આપી દેવામાં આવશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ આજે વાઈબ્રન્ટ ઉદ્યોગ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.
આવકવેરા ધારાની કલમ 263માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ પ્રોવિડન્ટ ફંડના કે પછી એમ્પ્લોયિ સ્ટેટ ઇન્સ્યોરન્સ-ઈએસઆઈના નાણાં ડ્યૂ ડેટ પહેલા જમા કરાવી દેવા ફરજિયાત હતા. જૂની વ્યવસ્થા હેઠળ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કે પછી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પેટે જમા કરાવવાના થતાં માલિકના હિસ્સાના નાણાં પછીના મહિનાની 15મી તારીખ પછી જમા કરાવે તો કાયમને માટે આવકવેરાના રિટર્નમાં ખર્ચ તરીકે બાદ મળતા નહોતા. આ નિયમમાં પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટના માધ્યમથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પરિણામે કંપનીના માલિકો કે પ્રમોટર્સને ખાસ્સી રાહત મળી છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જ આ એક હિસ્સો છે.
કરીમ લાખાણીનું કહેવું છે કે વર્તમાન સમયમાં સંજોગવશાત કે પછી કોઈક અણધાર્યા કારણોસર કંપનીના માલિકો ઇએસઆઈ કે પ્રોવિડન્ટ ફંડના નાણાં જમા કરાવવાની કાયદાકીય જોગવાઈ મુજબની દર મહિનાની પંદરમી તારીખની ડેડલાઈન ચૂકી જાય તો તેમને તે રકમ ખર્ચ તરીકે કાયમને માટે બાદ ન મળતી હોવાથી તેમણે કોર્ટ કેસ કરવા પડે છે. આ પ્રકારના હજારો કેસો આજે કોર્ટમાં પડ્યા છે. આ કેસના વિવાદોને પણ આ નવી જોગવાઈ સાથે ઉકેલ આવી જશે. બીજું, નવા કેસો થવાની સંભાવનાઓ પરથી પડદો પડી જશે.
આમ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લીધેલું આ એક અત્યંત મહત્વનું પગલું છે. કારણ કે પહેલી ફેબ્રુઆરી 2026ના સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે જે તે નાણાંકીય વર્ષનું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતાં પહેલા તે રકમ જમા કરાવી દે તો તેમને રિટર્નમાં તે ખર્ચ બાદ આપી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં લેવામાં આવેલા નિર્ણયને પરિણામે કંપનીઓ, ભાગીદારી પેઢીઓ તે રકમ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પહેલા તે રકમ જમા કરાવી દઈને તે ખર્ચ તરીકે રિટર્નમાં બાદ લઈ શકશે. પહેલા તેમને આ ખર્ચ બાદ આપવામાં આવતો નહોતો. તેથી તેમને માથે આવકવેરાની જવાબદારી પણ વધી જતી હતી. તે રકમ જમા કરાવી હોવા છતાંય કાયદાની જડતાને કારણે તેમને ખર્ચ તરીકે બાદ મળતી નહોતી
પ્રોવિડન્ટ ફંડના નિષ્ણાત શરદ જૈનનું કહેવું છે કે 2026-27ના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈને કારણે તેઓ ડિફોલ્ટની રકમ પર નિયમ પ્રમાણે ડેમેજ-નુકસાની ભરીને તે રકમ ઉપર બાર ટકા વ્યાજ પણ જમા કરાવવું પડશે. નીચેના ટેબલમાં પૈસા કેવી રીતે ભરવા તેની વિગતો આપવામાં આવી છે.
શરદ જૈનનું કહેવું છે કે પ્રોવિડન્ટ ફંડમાં માસિક એક ટકો ડેમેજ અને માસિક 1 ટકો વ્યાજ ચૂકવવું પડે છે. આમ વરસે બાકી રકમ પર 12 ટકા વ્યાજ અને 12 ટકા ડેમેજ ચૂકવવું પડે છે.
ઈએસઆઈના પૈસા ભરવામાં ડિફોલ્ટ થાય તો
ડિફોલ્ટનો ગાળો ડેમેજની ટકાવારી
બે મહિના સુધી મૂળ રકમ ઉપરાંત 5 ટકા ડેમેજ વત્તા વ્યાજ
ચાર મહિના સુધી મૂળ રકમ ઉપરાંત 10 ટકા ડેમેજ વત્તા વ્યાજ
છ મહિના સુધી મૂળ રકમ ઉપરાંત 15 ટકા ડેમેજ વત્તા વ્યાજ
છ મહિનાથી વધુ મૂળ રકમ ઉપરાંત 25 ટકા ડેમેજ વત્તા વ્યાજ




