• 17 April, 2026 - 2:27 AM

એચડીએફસી બેન્કનો વિવાદઃ પુરાવાઓ ન હોય તો કોઈપણ આક્ષેપ કરતાં પહેલા બે વાર વિચાર કરો

HDFC બેંક ઘટનાને પગલે SEBI ચીફ તુહિન કાન્તા પાંડેની  કંપનીઓના સ્વતંત્ર ડિરેક્ટરોને ચેતવણી

ભારતની અને ભારતમાં રજિસ્ટર્ડ કંપનીઓના સ્વતંત્ર ડિરેક્ટરોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ, કારણ કે તેમણએ કરેલી કોઈપણ ટિપ્પણીનો અસર નાની હિસ્સેદારો-માઈનોરીટી શેરહોલ્ડર્સના હિત પર પડી શકે છે, એમ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ના અધ્યક્ષ તુહિન કાંતા પાંડે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે સ્વતંત્ર ડિરેક્ટરો પાસે કંપનીને પ્રશ્ન પૂછવાના અધિકાર જરૂર હોય છે, પરંતુ તેમણે નાના હિસ્સેદારો એટલે કે માઈનોરીટી શેરહોલ્ડર્સના હિતોના રક્ષક તરીકે પણ કામ કરવું જરૂરી છે. “કોઈ પણ વ્યક્તિએ યોગ્ય પુરાવા વગર કોઈ સંકેત ન આપવો જોઈએ કે પણ કોઈપણ જાતનો આક્ષેપ ન કરવો જોઈએ,

આ નિવેદન HDFC બેંકના ચેરમેન અતાનુ ચક્રવર્તીના અચાનક રાજીનામા બાદ આવ્યું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં બેન્કની કેટલીક પ્રવૃત્તિઓ અને પ્રથાઓ પોતાની મૂલ્યો અને નૈતિકતાઓ સાથે સુસંગત નથી એમ જણાવ્યું હતું, જોકે તેમણે વિગતવાર માહિતી આપી નહોતી. તેમણે અચાનક રાજીનામું આપી દીધું હોવાને કારણે HDFC બેન્કના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો છે. તેમાંય ખાસ કરીને ત્યારે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે શેરબજારમાં પહેલાથી જ અસ્થિરતા હતી ત્યારે રાજીનામું આવી પડ્યું હોવાથી શેર્સના ભાવ ખાસ્સા ગગડી ગયા છે.

SEBI અધ્યક્ષે જણાવ્યું કે જો સ્વતંત્ર ડિરેક્ટરોને કંપનીના સંચાલન અથવા કોઈ નિર્ણય અંગે ચિંતા હોય તો તેઓએ તે મુદ્દાઓ બોર્ડ મીટિંગમાં ઉઠાવવા જોઈએ અને જો તે મુદ્દાઓ ઉકેલાતા ન હોય તો તે બાબતોને મિનિટ્સમાં નોંધાવવી જરૂરી છે. દરમિયાન HDFC બેન્કે ઝડપી પગલાં લઈને કેકી મિસ્ત્રીને વચગાળાના ચેરમેન તરીકે નિમ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બોર્ડ સમક્ષ કોઈ મોટી ચિંતા અથવા ગેરરીતિઓ રજૂ કરવામાં આવી નહોતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સ્પષ્ટતા કરી કે બેન્કની નાણાકીય સ્થિતિ મજબૂત છે અને ગવર્નન્સ અંગે કોઈ ગંભીર ચિંતા કરવા જેવી બાબતો બની નથી.

SEBIએ તેની બોર્ડ મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રસ્તાવો મંજૂર કર્યા છે, જેમાં વિદેશી રોકાણકારોને (FPI) ટ્રાન્ઝેક્શન માટે નેટ સેટલમેન્ટની મંજૂરી અને વૈકલ્પિક રોકાણ માટેના ફંડ માટે વધુ લવચીકતા-સ્થિતિસ્થાપક વ્યવસ્થા ઊભી કરવાની બાબતનો સમાવેશ થાય છે.

તેની સાથે સાથે પાત્રતા ધરાવતી યોગ્ય વ્યક્તિને લગતા નિયમોમાં ફેરફારો તથા SEBIના બોર્ડ સભ્યો અને કર્મચારીઓ માટે હિતોના સંઘર્ષ-conflict of interest અંગેના નિયમોમાં સુધારા કરવાની ભલામણો પણ મંજૂર કરવામાં આવી છે.

 

 

Read Previous

પેટ્રોલ-ડીઝલની તંગીની શક્યતાને ધ્યાનમાં લઈ ટેક્સ વિભાગ ઓનલાઈન હિયરિંગ કરે

Read Next

નવો અને સરળ ઇન્કમ ટેક્સ એક્ટ 2025: પહેલી એપ્રિલથી વ્યક્તિગત કરદાતાઓ માટે શું બદલાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular