• 6 September, 2026 - 4:06 PM

LIC હાઉસિંગ ફાઇનાન્સ રૂ. ૧,૩૨૨ કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઇએ એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સામે ગુનો નોંધ્યો

LIC હાઉસિંગ ફાઇનાન્સ રૂ. ૧,૩૨૨ કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઇએ એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સામે ગુનો નોંધ્યો
હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી લેવામાં આવેલી રૂ. ૧,૩૨૨ કરોડની લોનની ઉચાપત કરવાના આરોપસર સુભાષચંદ્ર સામે કેસ નોંધાવ્યો
ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અને એસેલ ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રની કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓનો અંત આવતો નથી. હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી લેવામાં આવેલી રૂ. ૧,૩૨૨ કરોડની લોનની ઉચાપત કરવાના આરોપસર તેમની અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
સીબીઆઈએ આ વર્ષે ૩૧ ઓગસ્ટે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ તરફથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં લોન ડિફોલ્ટના સંબંધમાં સુભાષ ચંદ્રા અને અન્ય લોકો પર છેતરપિંડી, ફોજદારી કાવતરું અને વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુભાષ ચંદ્રા તરફથી ૨૮ માર્ચ, ૨૦૧૮ ના રોજ ‘લેટર ઓફ કન્ટિન્યુઇંગ ગેરંટી’ મળ્યા બાદ વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને પેન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને વ્યાપાર વિસ્તરણ માટે રૂ. ૫૦૦ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. ચંદ્રાએ ડીજેએમ એન્ડ કંપની દ્વારા જારી કરાયેલું એક પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું, જેમાં ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં તેમની નેટવર્થ રૂ. ૫૯,૧૧૩.૨૧ કરોડ હોવાનું દર્શાવાયું હતું.
ડિજિટલ સબ્સ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટિવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને ‘સ્કીમ ઓફ રેન્ટલ સિક્યુરિટીલાઇઝેશન’ હેઠળ “રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ ફેસિલિટી” તરીકે રૂ. ૪૮૦ કરોડની અન્ય લોન આપવામાં આવી હતી. આ લોન પણ ૧૦ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ સુભાષ ચંદ્રા પાસેથી લેટર ઓફ કન્ટિન્યુઇંગ ગેરંટી મેળવ્યા બાદ મંજૂર કરાઈ હતી. આ કિસ્સામાં, ચંદ્રા દ્વારા રજૂ કરાયેલા એમપીજે એન્ડ કંપનીના પ્રમાણપત્રના આધારે લોન મંજૂર કરવામાં આવી હતી, જેમાં તેમની નેટવર્થ રૂ. ૪૦,૫૬૨ કરોડ દર્શાવાઈ હતી.
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર વસંત સાગર લોન ફેસિલિટી અને ડિજિટલ લોન ફેસિલિટીમાં ડિફોલ્ટ (ચૂકવણી ન થવી) થવાનો પ્રશ્ન ત્યારબાદ ઊભો થયો છે. તપાસ એજન્સી સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ હેઠળની પછીની કાર્યવાહી દરમિયાન સુભાષ ચંદ્રાએ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડને લોન મંજૂરી માટે રજૂ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલ નેટવર્થ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.”
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ચંદ્રાએ ઉધાર લેનારાઓ વસંત સાગર પ્રોપર્ટીઝ, પેન ઇન્ડિયા ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, ડિજિટલ સબ્સ્ક્રાઇબર મેનેજમેન્ટ, સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટિવેન્ચર્સ અને તેમના અધિકારીઓ તથા નિયામકો સાથે મિલીભગત કરીને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ સાથે છેતરપિંડી કરી હતી અને બાદમાં એ રકમની ઉચાપત કરી હતી.
તેમણે  એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડને ગેરમાર્ગે દોરીને ફંડ મેળવવા માટે વાસ્તવિક કરતાં વધારે અને ખોટી નેટવર્થ દર્શાવતા નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આક્ષેપ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ પર્સનલ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસિડિંગ્સ હેઠળ, ચંદ્રાએ કુલ માન્ય ધિરાણકર્તાઓના રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુના દાવા સામે રૂ. ૬.૨૫ કરોડની ચુકવણીની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જોકે યોજનાને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની શરૂઆતી મંજૂરી મળી હતી, પણ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ જેવી નાણાકીય સંસ્થાઓ તરફથી તેનો સખત વિરોધ થયો હતો. સુભાષ ચંદ્રાના કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે મોટા દાવાની રકમ કોર્પોરેટ લોન પર્સનલ ગેરંટીમાંથી ઉદ્ભવી છે, સીધી વ્યક્તિગત લોનમાંથી નહીં.

Read Previous

ભારતીય ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગે યુરોપમાં નવા બજારો શોધવા પ્રયાસો તેજ કર્યા

Read Next

એપ્રિલ-જૂન 2026માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૩.૬ ટકા રહ્યો

Most Popular