• 6 September, 2026 - 11:32 AM

ભારતીય ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગે યુરોપમાં નવા બજારો શોધવા પ્રયાસો તેજ કર્યા

ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગે યુરોપમાં નવા બજારો શોધવા પ્રયાસો તેજ કર્યા
મિલાનમાં એક ‘ઈમર્શન સેન્ટર’ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે, જે ભારતીય નિકાસકારોને યુરોપિયન ખરીદદારો સાથે જોડશે.
ભારત-યુરોપિયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ટૂંક સમયમાં અમલમાં આવવાની ધારણા સાથે, ભારતીય ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગે યુરોપમાં નવા બજારો શોધવા અને હાલના ખરીદદારો સાથે સંબંધો વધુ મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. ટેક્સટાઇલ મંત્રાલયના અધિકારીઓ અને અગ્રણી વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરતા એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશને ફ્રાન્સ અને ઇટાલીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મુખ્ય પ્રદર્શનોમાં ભાગ લીધો હતો અને મોટા રિટેલર્સ, ફેશન બ્રાન્ડ્સ અને ઉદ્યોગ મંચો સાથે ચર્ચા કરી હતી.
આ ડેલિગેશનમાં ટેક્સટાઇલ સેક્રેટરી નીલમ શમી રાવ, એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ. શક્તિવેલ, હેન્ડલૂમ્સના ડેવલપમેન્ટ કમિશનર એમ. બીના અને અન્ય અધિકારીઓ સામેલ હતા. પેરિસમાં ડેલિગેશને મોનોપ્રિક્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જે ફ્રાન્સમાં 500 થી વધુ સ્ટોર્સનું નેટવર્ક ધરાવતી એક મોટી રિટેલ ચેઇન છે. ડેલિગેશને ઓકાઇડીના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી, જે ઇડકિડ્સ ગ્રૂપ હેઠળની એક અગ્રણી ચાઇલ્ડ ફેશન બ્રાન્ડ છે અને 51 દેશોમાં લગભગ 890 સ્ટોર્સ ચલાવે છે. એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ. શક્તિવેલે જણાવ્યું હતું કે લક્ઝરી ફેશન હાઉસ ‘શાનેલ’ અને વિશ્વના સૌથી મોટા લક્ઝરી ગ્રૂપ ‘LVMH’ સાથે પણ બેઠકો યોજાઈ હતી.
પેરિસ મુલાકાત દરમિયાન, ભારત ટેક્સ ટ્રેડ ફેડરેશન અને પ્રીમિયર વિઝન એસ.એ. વચ્ચે બીજી સપ્ટેમ્બરે એક એમઓયુ-સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારનો હેતુ વૈશ્વિક ફેશન અને ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ સાથે ભારતની ભાગીદારીને મજબૂત કરવાનો છે. ભારત- યુરોપિયન સંઘ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આ પ્રયાસો ખૂબ મહત્વના માનવામાં આવે છે.
આ કરારથી ભારતીય નિકાસને યુરોપમાં ખાસ પ્રવેશ મળશે, જેમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટ પ્રોડક્ટ્સ મુખ્ય લાભાર્થી રહેશે. 2025 માં યુરોપિયન સંઘની આયાત લગભગ $292.8 બિલિયન હતી, જ્યારે ભારતની EU માં ટેક્સટાઇલ નિકાસ $10.4 બિલિયન હતી. શૂન્ય-ડ્યુટી મુક્ત પ્રવેશથી ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા વધશે. તિરુક્કુમરન નટરાજને જણાવ્યું હતું કે મિલાનમાં એક ‘ઈમર્શન સેન્ટર’ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે, જે ભારતીય નિકાસકારોને યુરોપિયન ખરીદદારો સાથે પણ જોડશે.

Read Previous

ટેક્સટાઈલના કચરામાંથી બનતી મૂલ્ય વાન વસ્તુઓ હવે GEMના સરકારે પોર્ટલ પર વેચી શકાશે

Read Next

LIC હાઉસિંગ ફાઇનાન્સ રૂ. ૧,૩૨૨ કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઇએ એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સામે ગુનો નોંધ્યો

Most Popular