આયુર્વેદ પ્રમાણિત ઓછી ખર્ચાળ વિરેચનની પદ્ધતિનો આશરો લઈને મોંઘીદાટ આઈવીએફ વિના સંતાન પ્રાપ્તિ હવે શક્ય બની

- અમદાવાદની એસજીવીપી હોસ્પિટલના વૈદ્ય પ્રવીણ હીરપરા અને હિતિષા વોરાએ 24થી વધુ વિરેચનની પદ્ધતિથી સંતાનહીન દંપતિને સંતાન પ્રાપ્તિ કરાવવામાં મદદ કરી સફળતા હાંસલ કરી
- 47 વર્ષની વયે પરણેલા મણિનગરના એક બહેન વિરેચનની સારવાર લીધા પછી 50 વર્ષની ઉંમરે આઈવીએફની પદ્ધતિથી માતા બનવામાં સફળ થયાઃ તેમનુ પહેલું આઈવીએફ નિષ્ફળ ગયુ હતું.
અમદાવાદઃ આયુર્વેદના ગ્રંથોએ સૈકાઓથી સૂચવેલી વિરેચનની સસ્તી અને અસરકારક પદ્ધતિને અનુસરીને સંતાનવિહીન દંપતિઓને આઈવીએફ જેવી મોંઘી દાટ કે અત્યંત ખર્ચાળ પદ્ધતિથી બચાવીને સંતાન પ્રાપ્તિનું સુખ આપી શકે છે. આઈવીએફની બે ત્રણ કે તેનાથી વધુ સાઈકલ કરીને દેવાના ડુંગર તળે કચડાઈ જતાં સંતાનઇચ્છુક દંપતિ માટે આયુર્વેદ પ્રમાણિત વિરેચનની પદ્ધતિ અસરકારક સાબિત થઈ રહી હોવાના અને 80-85 ટકાથી વધુ કિસ્સાઓમાં ત્વરિત પરિણામ આપનાર સાબિત થઈ રહ્યું હોવાનું અમદાવાદના જાણીતા વૈદ્ય પ્રવીણ હીરપરા અને તેમના સાથી વૈદ્ય હિતિષા વોરાનું કહેવું છે.
એસજીવીપી હોસ્પિટલના વૈદ્ય પ્રવીણ હીરપરા અને હિતિષા વોરાએ મેળવેલી સફળતાનું સૌથી મોટું ઉદાહરણ 38 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગરિમા પટેલનું(નામ બદલ્યું છે.) ગરિમા પટેલ કહે છે, “મારા લગ્ન મોડી ઉંમરે થયા હતા. મારાં અંડાશયમાં બહુ જ ઓછા સ્ત્રી બીજ બચ્યા હોવાથી ડૉક્ટરોએ મને આઈવીએફ-ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન કરાવવા જણાવ્યું. કારણ કે કુદરતી રીતે ગર્ભધારણ થવાની સંભાવના બહુ જ ઓછી હતી. મારા અંડાશયમાં સ્ત્રી બીજ માત્ર 0.03 ટકા જ હતા. તેને વિજ્ઞાનની ભાષામાં એન્ટિ મૂલેરિયન હોર્મોન-એએચએમની ક્ષતિ તરીકે ઓળખાવવામાં આવે છે. પહેલા આઈવીએફ દરમિયાન ત્રણ ઉત્તમ ક્વોલિટીના ગર્ભ તૈયાર થયા હતા. પરંતુ તે ગર્ભ મારા ગર્ભાશયમાં ચોંટી શક્યા નહોતા. આમ આઈવીએફ કરાવ્યા બાદ પણ સંતાન પ્રાપ્તિ નહોતી થઈ. તેથી હું અને મારા પતિ હતાશ થઈ ગયા હતા. ડૉક્ટર્સને પણ આઘાત લાગ્યો હતો.સારી ગુણવત્તાના એમ્બ્રિયો હોવા છતાંય ગર્ભધારણ થયું નહિ. મારા પતિના શુક્રાણું પણ સારી ગુણવત્તાના હતા. છતાં પરિણામ ન મળ્યું.”
“ત્યારબાદ મને એસજીવીપીના પ્રોગ્રામની ઇન્સ્ટાગ્રામ પર જાણ થઈ. અમે અમારું નામ તેને માટે નોંધાવ્યું. વૈદ્ય પ્રવીણ હીરપરા અને વૈદ્ય હિતિષા વોરાએ મારી સારવાર શરૂ કરી. મારું નાડી પરીક્ષણ કરવામાં આવ્યુ. તેમાંય સંતાન થવાની બહુ જ ઓછી આશા જણાતી હતી. તેમ છતાંય બીજ શુદ્ધિ અને પ્રજનન સ્વાસ્થ્ય માટે શરીરમાંથી વિષારી તત્વો દૂર કરવાની બસ્તિ, પંચકર્મ અને એક મહિના માટે આયુર્વેદિક ઔષધીઓ લેવા જણાવ્યું અને મને એક મહિનો રાહ જોવાની સલાહ આપી. મારી માસિકની સાઈકલ માર્ચ 2023માં ચાલુ જ થવાની હતી. તેથી મેં યુપીટી-યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો. તેમાં પરિણામ પોઝિટીવ આવ્યું. આમ ગર્ભસંસ્કાર સહિત વિરેચનની અને યોગની આયુર્વેદિક સારવાર મને એક જ મહિનામાં સંતાન અપાવવામાં સફળ થઈ. કારણ કે આયુર્વેદિક સારવાર પછી કુદરતી રીતે જ મને ગર્ભધારણ થઈ ગયો. તે મારે માટે એક ચમત્કારથી ઓછું નહોતું. આજે મારો પુત્ર ત્રણ મહિનાનો થઈ ગયો છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી પ્રેગન્સી દરમિયાન પણ મેં આઠ માસ સુધી નોર્મલ કામકાજ ચાલુ રાખ્યું હતું. મને કોઈ જ તકલીફ પડી નહોતી.”
આયુર્વેદિક પદ્ધતિનો આશરો લઈને સંતાન પ્રાપ્તી કરવાનો આ કોઈ છૂટોછવાયો કિસ્સો નથી. વૈદ્ય પ્રવીણ હીરપરા કહે છે કે, “અમારી પાસેની જાણકારી મુજબ આઈવીએફનો સક્સેસ રેશિયો 28-29 ટકાનો જ છે. આયુર્વેદની પંચકર્મની સારવાર પછી ગર્ભાધાન થઈ જવાનો રેશિયો 80Lr 90 ટકાથી ઉપરનો છે. તેને માટે અમે પતિ-પત્ની બંનેને પંચકર્મ કરાવવા સમજાવીએ છીએ. તેને માટેનું પેકેજ રૂ. 30,000નું જ છે. તેમાં બીજ શુદ્ધિ પર ફોકસ કરવામાં આવે છે. સ્રી બીજ અને પુરુષના શુક્રાણુઓ બંનેની શુદ્ધિ પર ફોકસ કરવામાં આવે છે. દૂષિત શુક્રાણું કે દૂષિત સ્રી બીજ હોય તો તેમની સંતતીને વંશ પરંપરાગત રોગ થવાની શક્યતા રહે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેમનામાં સેક્સ્ચ્યુઅલ ડિસઓર્ડર પણ આવી જ શકે છે. આ સંતતીનું આયુષ્ય ટૂંકું પણ રહી શકે છે. દૂષિત સ્પર્મ કે સ્ત્રીબીજ હોય તેવા કિસ્સામાં ગર્ભધારણ થયા પછી અઢી-ત્રણ મહિને ધબકારા આવવા જોઈએ તે આવતા નથી. આગલી પેઢીમાં પણ તે ખામીઓ જઈ શકે છે. બે ત્રણ મહિને ગર્ભપાત થઈ જવાની સંભાવના પણ રહેલી જ છે. આ તકલીફો ન આવે તે માટે જ પંચ કર્મ કરાવવામાં આવે છે. પંચકર્મથી આખા શરીરનું શુદ્ધિ કરણ થાય છે. શરીરના બધાં જ તંત્રોની માફક પતિ-પત્નીનું પ્રજનન તંત્ર પણ શુદ્ધ થાય છે.”
વિરેચનમાં શું કરાવે છે: વૈદ્ય પ્રવીણ હીરપરા અને હિતિષા વોરા કહે છે કે વિરેચનનો 33 દિવસનો પ્રોગ્રામ હોય છે. તેમાં એક દિવસ માટે અન્ડર ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં રાત્રિ રોકાણ કરવું પડે છે. પંદર દિવસ યોગ માટે આવવાનું હોય છે. પંદર દિવસ સુધી ડાયટ પ્લાનને અનુસરવાની સાથે સાથે યોગ પણ કરાવવામાં આવે છે. તેમાં આખો દિવસ ઔષધયુક્ત પાણી પીવડાવવામાં આવે છે. તેમાં સાત દિવસ ઘી પીવાનું આવે છે. પહેલા દિવસે 30 ગ્રામ, બીજા દિવસે 60 ગ્રામ, ત્રીજા દિવસે 90 ગ્રામ, ચોથા દિવસે 120 ગ્રામ, પાંચમા દિવસે 150 ગ્રામ, છઠ્ઠા દિવસે 180 ગ્રામ તથા સાતમા દિવસે 210 ગ્રામ ઘી પીવાનું આવે છે. હા, ઘણાં દંપતિના શરીરમાં ચરબી વધારે હોય છે. તેથી તેમને ઘી પીવાથી ચરબી વધી જવાનો ભય લાગે છે. પરંતુ સામાન્ય રીતે આપણે જે ઘી ખાઈએ છે તે કોઈ વસ્તુમાં એટલ કે ઘઉં. ચોખાના લોટમાં મિક્સ કરીને ખાઈએ છીએ. હા, તેનાથી ચરબી વધી જાય છે. પરંતુ અહીં કરાવવામાં આવતા પંચ કર્મમાં ટેકનિક અલગ છે. તેમાં માત્ર ઘી પીવાનુ હોય છે. આ ઘી માનવના શરીરમાં પચી ન જાય અને તેને કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી તેને કોઈ જ આહાર આપવામાં આવતો નથી. આમ કરવાથી ઘી ફેટ બર્નર – ચરબી વધારનારને બદલે ચરબી ઘટાડનાર બની જાય છે. ઘી પીધા પછીય પંચકર્મમાં વજન ઘટે છે. ત્યારબાદ ત્રણ દિવસ ફૂલ બોડી મસાજ કરવામાં આવે છે. આ મસાજ કરવાથી બ્લડ સરક્યુલેશન સારુ થાય છે. તેમને વરાળનું સ્નાન કરાવવામાં આવે છે. તેનાથી તેમના શરીરમાંના પીગળેલા દોષ શરીરમાંથી નીકળવા માંડે છે. ત્યારબાદ 26માં દિવસે મસાજ કરવા ઉપરાંત આયુર્વેદિક ઉકાળાઓ આપવામાં આવે છે. તેથી શરીરમાંથી મળ બહાર નીકળવાની શરૂઆત થઈ જાય છે. આયુર્વેદિક ઉકાળા આવ્યા પછીના ગાળામાં પંદરથી સત્તર વખત મળ નીકળે છે. તેને ઘણાં અતિસાર કે ડાયેરિયા માની લે છે. વાસ્તવમાં તે ઝાડાં-અતિસાર નથી. પરંતુ વિરેચન છે. શરીરમાંથી અશુદ્ધિઓ નીકળવાની પ્રક્રિયા છે. ડાયેરિયામાં થાક લાગે, અશક્તિ લાગે, ચક્કર આવે છે. વિરેચનની આ પ્રક્રિયા દરમિયાન થાક લાગવો કે ચક્કર આવવાની સમસ્યા થતી જ નથી. કારણ કે શરીરમાંનો બગાડ બહાર નીકળે છે. તેના પછી રજા આપી દેવામાં આવે છે. તેની સાથે જ ડાયટ પ્લાન પણ આપવામાં આવે છે. આ ડાયટ પ્લાનમાં પહેલા દિવસે ચોખાનું પાણી, ત્યારબાદ મગનું પાણી આપીને ધીમે ધીમે ખોરાક વધારવામાં આવે છે. સાતમાં દિવસ પછી તેમને રૂટિન ફૂડ આપવામાં આવે છે. ખાસ કરીને પતિ-પત્ની બંનેની ઉંમર વધારે ન હોય તો તેવા સંજોગોમાં તેમને બંનેને વિરેચન કરવા જણાવામાં આવે છે. તેથી પુરુષના સ્પર્મ-શુક્રાણુ અને સ્ત્રી બીજ બંને શુદ્ધ થઈ જાય છે.
બસ્તિ કોને કરાવવામાં આવે છે
પાંત્રીસથી વધુ વયના લોકોને બસ્તી કરાવવાનું કહેવામાં આવે છે. હિતિષા વોરા કહે છે કે, બસ્તીમાં દીપન અને પાચન સુધારવા પર ફોકસ કરવામાં આવે છે. સાતથી પંદર દિવસ સુધી દીપન અને પાચન કરાવવામાં આવે છે. દીપન-પાચનમાં મેડિકેટેડ પાણી આપીને શરીરની અંદરના દોષોને પકાવવામાં આવે છે. તેની સાથે યોગ પણ કરાવવામાં આવે છે. આ યોગથી ફર્ટિલીટીમાં સુધારો આવે છે. સ્રી બિજને મજબૂત બનાવે છે. તેમાં પ્રાણાયમ અને મેડિકેશન કરાવીને વ્યક્તિના મનની શુદ્ધિ પણ કરવામાં આવે છે.
બસ્તિમાં થેરાપુટિક એનિમા આપવામાં આવે છે. મળમાર્ગથી દવા ઇન્સર્ટ કરવામાં આવે છે. તેમાં ફર્ટીલીટી સુધરે તેવા ઓસડિયાના લિક્વિડ પણ આપવામાં આવે છે. વ્યક્તિની પ્રકૃતિને પારખીને આ ઓસિડિયા આપવામાં આવે છે. તેની સાથે જ મેડિકેટેડ ઘી કે તેલ આધારિત 30થી 40 મિલીલિટરનો ડોઝ આપે છે. આ ડોઝ બેથી માંડીને બાર કલાક સુધી શરીરમાં ટકી રહે છે. આ દ્રવ્ય શરીરમાં શોષવા માંડશે. તેનાથી દોષ ઓછા થવા માંડશે. શરીરના દરેક અવયવને લુબ્રિકેટ કરશે. આ તેલ આધારિત દ્રવ્યો બીજા દિવસ સુધીમાં શરીરમાંથી બહાર આવી જશે. શરીરના બધાં જ અવયવોનું લુબ્રિકેશન કરશે. આ મેડિકેટેડ ઘી કે ઓઈલ 12 કલાકમાં તેનું કામ કરીને શરીરની બહાર નીકળી જશે. ત્યારબાદ મેડિકેટેડ ડિકોક્શન કરવામાં આવે છે. દૂધ આધારિત બસ્તી આપવામાં આવે છે. તેમાં મધ, ઓઈલ અને સોલ્ટનું કોમ્બિનેશન હોય છે. આ બસ્તી શરીરમાંથી નીકળેલા ટોક્સિન્સના ફ્લસ આઉટ એટલે કે શરીરની બહાર ફેંકી દેવાનું કામ કરે છે. આ જ રીતે સોળ દિવસ સુધી અલ્ડનાઈન કરવામાં આવે છે.
આયુર્વેદમાં ગર્ભધારણ કરવા માટે ચાર વસ્તુ મુખ્ય ગણાય છે. એક, સારુ બીજ જોઈએ છે. બે, બીજને વાવવા માટે સારી જમીન જોઈએ છે. બીજને પોષણ આપવા માટેના ઘટકો જોઈએ છે. ત્રણ, સ્ત્રીબીજ આવવાનુ હોય ત્યારે જ પુરુષ બીજની વાવણી થવી જોઈએ. અત્યારે સ્ત્રીને જ ઇનફર્ટિલિટી માટે જવાબદાર ગણવામાં આવે છે. પુરુષ બીજને જવાબદાર ગણવાની માનસિકતા અત્યારે લોકોમાં નથી. તેથી બંને જણની ટ્રીટમેન્ટ કરવાનું પસંદ કરીએ છીએ. બંનેને ડિટોક્સિફિકેશન કરાવાય છે. બંનેના વિરેચન-બસ્તી કરીને યોગ્ય આહાર આપીને તમને માર્ગદર્શન આપવામાં આવે છે. આમ 33 દિવસમાં પતિપત્ની બંનેનો મળીને રૂ. 60,000ની આસપાસનો ખર્ચ થાય છે. વિરેચન કે બસ્તી બંને બધાંને કરાવવામાં આવતા નથી. અપવાદરૂપ કિસ્સામાં જ બંને કરાવવામાં આવે છે. બહુધા બસ્તી કે વિરેચન બેમાંથી એક જ કરાવવામાં આવે છે.
ગર્ભાશયની દિવાલ પર ગાંઠ
ગર્ભાશયને પણ મજબૂત બનાવવાની પ્રક્રિયા આ સાથી જ થાય છે. ગર્ભાશયની દિવાલ પર ગાંઠ કે ફાઈબ્ર ન હોવા જોવામાં આવે છે. ત્યારબાદ બીજ છૂંટું પડવાની પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવે છે. પ્રેગ્નન્સી પહેલા માતા પિતાની તન્દુરસ્તી અને પ્રેગ્નન્ટ રહ્યા બાદ માતાની તન્દુરસ્તી પર ફોકસ કરવામાં આવે છે. હિતિષા વોરા કહે છે કે 85 ટકા કેસોમાં પતિપત્નીના બધાં જ રિપોર્ટ નોર્મલ હોવા છતાંય કન્સીવ-ગર્ભધારણ નથી થતો. તેવા કિસ્સામાં મનની પ્રફુલ્લિતતા વધારવા પર ફોકસ કરવામાં આવે છે. તેને મોડર્ન સાયન્સ અનનોન રીઝન તરીકે ઓળખાવે છે. અત્યારે લેટ મેરેજ અને લેટ કન્સીવ કરવાની માનસિકતા પણ નિસંતાન રહેવા માટે જવાબદાર છે.
હવે તો 25થી 35 વર્ષની વયમાં પણ પીસીઓડી કે સ્ટ્રેસની સમસ્યા જોવા મળે છે. ઓબેસિટી-મેદસ્વિતા પણ તેમને કન્સીવ કરવામાં અવરોધ પેદા કરી શકે છે. લાઈફ સ્ટાઈલ પણ સંતાન ન થવા માટે જવાબદાર છે. મોડા સૂવું અને મોડા ઊઠવું તથા શરીરને કસરત ન મળે તેવું જીવન જીવવું એ પણ સંતાન ન થવાની સમસ્યા માટે જવાબદાર છે. સ્ટ્રેસ-માનસિક તાણ પણ તેને માટે જવાબદાર બને છે. ખાનપાનની આદતમાં ગમે ત્યારે જમવાની આદત પણ નડે જ છે. રાત્રે મોડા જમવાની આદત પણ ગર્ભધારણ ન થવા માટે જવાબદાર બને છે. વધુ પડતો મોબાઈલ સ્ક્રિન ટાઈમ પણ તેને માટે જવાબદાર છે. હિતિષા વોરા કહે છે કે વિરેચન અને બસ્તી આપ્યા પછી 60 ટકા કેસમાં ગર્ભધારણ કરવામાં સફળતા મળી જ જાય છે. આ રહ્યો તેનો દાખલો.
50 વર્ષની ઉંમરે ગર્ભધારણ કર્યો
મણિનગરમાં રહેતા 49 વર્ષના નમ્રતા બહેનનો(નામ બદલ્યું છે.) તેમણે 47ની ઉંમરે મેરેજ કર્યા હતા. તેમણે સંતાન પ્લાન કર્યું. એલોપથી અને આયુર્વેદના ડૉક્ટર બહુ કંઈ કરી શકે તેમ નહોતા. કારણ કે તેમના એએમએચ-હોર્મોનનું લેવલ 0.03નું હતું. એએમએસનું નોર્મલ લેવલ 2થી 5નું હોય છે. તેમ જ યુટેરાઇન ફાઇબ્રોઇડની તકલીફ હતી. તેથી તેમને સમજાવવામાં આવ્યું કે આ ઉંમરે તેમના બીજની સંખ્યા ઓછી થઈ ગઈ હોવાથી કન્સીવ કરવું અઘરું છે. છતાં તેમણે દેવું કરીને આઈવીએફ પણ કરાવ્યું હતું. તેમણે ડોનર એગ લેવાની ના પાડી દીધી હતી. તેથી તેમને કન્સીવ નહોતું થયું. ત્યારબાદ તેમણે વિરેચન કરાવ્યું અને વિરેચન પછી આઈવીએફ કરાવ્યું તો પહેલી જ વારમાં સંતાન થઈ ગયું. આજે તેઓ 51 વર્ષે માતા બન્યા છે.
ત્રીસ વર્ષની વયના કચ્છ જિલ્લાના રમેશભાઈ અને પ્રમીલાબેન(નામ બદલ્યા છે.)ને સંતાન પ્રાપ્તિની ઇચ્છા હતી. છતાં કન્સીવ થતું નહોતું. દંપતિ આ સમસ્યા માટે સારવાર લઈ રહ્યું હતું. તપાસ દરમિયાન પતિમાં સ્પર્મ કાઉન્ટ 15 મિલિયન કરતાં ઓછો હોવાનું અને મહિલામાં ફોલિકલ્સનું કદ નાનું હોવાનું નિદાન થયું હતું. આ કારણોસર તેમને IUI-ઇન્ટ્રા યુટેરાઈન ઇન્સેમિનેશન એટલે કે પુરુષના શુક્રાણુને સીધા સ્ત્રીના ગર્ભાશયમાં જ સ્ત્રી બીજ છૂંટું પડવાને સમયે મૂકી દેવાની સારવાર લેવા જણાવવામાં આવ્યું હતું. આ દંપતિએ એસજીવીપી હોસ્પિટલના આયુર્વેદ વિભાગનો સંપર્ક કર્યો હતો. આયુર્વેદિક નિદાન અને નાડી પરીક્ષા બાદ બંનેને વિરેચન પંચકર્મ, આયુર્વેદિક ઔષધિઓ, થેરાપ્યુટિક યોગ તથા યોગ્ય આહાર-વિહારની સલાહ આપવામાં આવી હતી. માત્ર ત્રણ જ મહિનાની આયુર્વેદિક સારવાર બાદ મહિલાએ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કર્યું હતું. હાલમાં દંપતી 10 મહિનાની સ્વસ્થ બાળકીના માતા-પિતા છે.
વિરેચન અને બસ્તિ પછી સંતાન પ્રાપ્તિ શક્ય બની
આ પ્રકારે સંતાન પ્રાપ્ત કરનારાઓના ઉદાહરણ ઘણા છે. અમદાવાદના જ 27 વર્ષીય દંપતી સંતાનપ્રાપ્તિ માટે એસજીવીપી હોસ્પિ ટલના આયુર્વેદ વિભાગમાં બીજ શુદ્ધિ માટે આવ્યા હતા. આયુર્વેદિક નાડી પરીક્ષા અને જરૂરી તપાસોમાં મહિલામાં PCOS તેમજ પતિના સીમેન રિપોર્ટમાં શુક્રાણુની ગતિ, આકાર અને જીવંતતામાં ખામી હોવાનું નિદાન થયું હતું. આયુર્વેદિક નિદાનના આધારે દંપતીને વિરેચન પંચકર્મ, આયુર્વેદિક ઔષધિઓ અને થેરાપ્યુટિક યોગની સારવાર આપવામાં આવી. સારવાર પૂર્ણ થયા બાદ લગભગ બે મહિનામાં જ મહિલાએ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કર્યું હતું. હાલમાં માતા અને શિશુ બંને સ્વસ્થ છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી નિધિ અને તેના પતિ વિસ્મય(નામ બદલ્યા છે.) સંતાન ઝંખતા હતા. પરંતુ વિધિનું એએમએચ માત્ર 0.87 હતી. તેથી તેમને આઈવીએફ-ઇનવિટ્રો ફર્ટિલાઈઝેશનની સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી હતી. દંપતીએ એસજીવીપી હોસ્પિટલના આયુર્વેદ વિભાગમાં સારવાર લીધી. નાડી પરીક્ષા અને આયુર્વેદિક મૂલ્યાંકન બાદ મહિલાને વિરેચન પંચકર્મ તથા તેમના પતિને બસ્તિ સારવાર સાથે આયુર્વેદિક ઔષધિઓ અને યોગ્ય આહાર-વિહારની સલાહ સાથે સારવાર આપવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ માત્ર બે મહિનામાં જ મહિલાએ કુદરતી રીતે ગર્ભધારણ શક્ય બની ગયું હતું.
હિતિષા વોરા અને પ્રવીણ હીરપરાને તેમની સારવાર હેઠળના 23 કેસમાંથી 12થી 15 કેસમાં ગર્ભધારણ કરાવવામાં સંપૂર્ણ સફળતા મળી હતી. ગાંધીનગરમાં સરઘાસણમાં રહેતા પ્રતિમા પટેલ અને મહિમ્ન પટેલ (નામ બદલ્યા છે.)ને પણ એએમએચ ઓછું હોવાથી આઈવીએફની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમએ આયુર્વેદની પદ્ધતિને અનુસરવાનું પસંદ કર્યું હતું. તેમને કુદરતી રીતે જ ગર્ભધારણ થઈ ગયો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહાબેનની સંકોચાઈ ગયેલી ફેલોપિયન ટ્યૂબમાંના અવરોધને આયુર્વેદિક સારવારથી દૂર કરવામાં સફળતા મળી હતી. તેમને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, દંપતીએ આયુર્વેદિક સારવારનો માર્ગ પસંદ કરતાં પ્રાકૃતિક દોષ દૂર કરવા પંચકર્મ અંતર્ગત વિરેચન અને બસ્તિ સારવાર સાથે આયુર્વેદિક ઔષધિઓ શરૂ કરી હતી. તેમને પણ કુદરતી રીતે સંતાન પ્રાપ્તિ થઈ છે.
ગર્ભધારણ કરવામાં યોગની મહત્વની ભૂમિકા:
સંતાન પ્રાપ્તીમાં જૂની પદ્ધતિથી ઘરકામ કરવાથી પણણ મદદ મળી રહે છે. દોહાસન એટલે કે ગાય દોહવા માટે બેસવાની મુદ્રા અને આજ મુદ્રામાં બેસીને ઘરમાં ઝાડું મારવાની કામગીરી કરવાથી પણ ગર્ભધારણ કરવાના સ્ત્રીઓના તમામ અવયવોને સક્રિય અને સાબૂત રાખતું હોવાનું યોગના નિષ્ણાતોનું માનવું છે. એસજીવીપી હોસ્પિટલના યોગ વિભાગના વડાં હેતલ દેસાઈ કહે છે કે, “ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય તે માટે અમે સાધનો સાથે યોગ કરાવીએ છીએ. તેમાં સૌથી પહેલા જે મહિલાનું એએમએચ લેવલ ઓચું હોય તેમને વજ્રાસન બેન્ચ પર માલાસન કરાવીએ છીએ. વજ્રાસન બેન્ચ પર લગભગ દસથી બાર મિનિટ માટે બેસાડીએ છીએ. હોર્મોન્સને બેલેન્સ કરવા માટે સર્વાંગાસનના લાકડાના સાધન પર પાંચ મિનિટ સુધી સર્વાંગાસન કરાવીએ છીએ. ત્યારબાદ તકિયા સાથે પાંચ મિનિટ સુધી મત્સ્યાસન કરાવીએ છીએ. આ બધુ જ સાધનો સાથે એટલે કરાવવામાં આવે છે કે તે કરનાર વ્યક્તિ તે મુદ્રામાં લાંબા સમય સુધી રહી શકે છે. તેની સાથે નાભિની નીચેના ભાગ માટે ખુરશી સાથે સર્પોસન કરાવીએ છીએ. ત્યારબાદ ખુરશી પણ હલાસન કરાવવામાં આવે છે. આ સિવાયની તકલીફ માટે બીજા આસન કરાવીએ છીએ. તેમ જ તેમને માનસિક સ્વસ્થતા વધે તે માટે બેડ અને તકિયા તથા સ્પેસિફિક લાકડી સાથે પ્રાણાયમ કરાવીએ છીએ. તેનાથી તેમનું સ્ટ્રેસ લેવલ નીચે આવે છે”
