સહકારી સંસ્થાઓને હવે સ્ટાર્ટ અપ ઇન્ડિયાના ફ્રેમવર્ક હેઠળ સત્તાવાર સમાવેશ કરાયો
– પ્રાઇવેટ લિમિટેડ કંપની, પાર્ટનરશિપ ફર્મ, એલએલપી, મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી કે પછી રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશના સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સહકારી સંસ્થા પણ “સ્ટાર્ટઅપ” તરીકે માન્યતા મેળવી શકશે
ભારત સરકારે “સ્ટાર્ટઅપ”ની વ્યાખ્યા બદલતી નવી સૂચના જાહેર કરી છે અને સાથે “ડીપ ટેક સ્ટાર્ટઅપ” નામની નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. આ પગલાથી સહકારી સંસ્થાઓને પણ હવે સત્તાવાર રીતે સ્ટાર્ટ અપ ઇન્ડિયા રેકગ્નિશન ફ્રેમવર્ક હેઠળ સામેલ કરવામાં આવી છે.
આ સૂચના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ-ડીપીઆઈઆઈટી દ્વારા બહાર પાડવામાં આવી છે, જે 19 ફેબ્રુઆરી 2019ની જૂની સૂચનાના વિકલ્પ રૂપે બહાર પાડવામાં આવી છે. નવી સૂચના અનુસાર, ભારતમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની, પાર્ટનરશિપ ફર્મ, એલએલપી, મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી (MSCS) અથવા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના સહકારી કાયદા હેઠળ નોંધાયેલ સહકારી સંસ્થા પણ હવે “સ્ટાર્ટઅપ” તરીકે માન્યતા મેળવી શકશે.
સ્ટાર્ટઅપ બનવા માટે સંસ્થાનું નોંધણી પછીનું સમયગાળું 10 વર્ષથી વધુ ન હોવું જોઈએ અને કોઈપણ નાણાકીય વર્ષમાં ટર્નઓવર રૂ.200 કરોડથી વધુ ન હોવો જોઈએ. સંસ્થા નવીનતા, ઉત્પાદન/સેવામાં સુધારા અથવા રોજગાર સર્જન અને સંપત્તિ સર્જનની ક્ષમતા ધરાવતું સ્કેલેબલ બિઝનેસ મોડેલ ધરાવતી હોવી જરૂરી છે. પહેલેથી ચાલતા બિઝનેસને તોડી કે પુનઃરચના કરીને બનાવેલી સંસ્થાઓ પાત્ર નહીં ગણાય.
નવી સૂચનામાં “ડીપ ટેક સ્ટાર્ટઅપ” કેટેગરી પણ ઉમેરાઈ છે. તેમાં પાત્રતાનો સમયગાળો 20 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે અને ટર્નઓવર મર્યાદા રૂ.300 કરોડ રાખવામાં આવી છે. ડીપ ટેક સ્ટાર્ટઅપ એવી સંસ્થા હશે જે વૈજ્ઞાનિક અથવા એન્જિનિયરિંગ આધારિત ઉકેલો પર કામ કરે, R&Dમાં વધુ ખર્ચ કરે, બૌદ્ધિક સંપત્તિ (IP) બનાવે અથવા ધરાવે, અને જેમાં વિકાસ સમય લાંબો તથા ટેકનિકલ અનિશ્ચિતતા વધુ હોય.
સ્ટાર્ટઅપ માન્યતા મેળવવા માટે સંસ્થાએ ડીપીઆઈઆઈટીના પોર્ટલ પર નોંધણી પ્રમાણપત્ર અને બિઝનેસ પ્રવૃત્તિઓની વિગત સાથે અરજી કરવી પડશે. ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે વધારાના દસ્તાવેજો જરૂરી રહેશે. તેની સાથે જ માન્યતા દરમિયાન ફંડના ઉપયોગ અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તથા કેટલીક પ્રકારની રોકાણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને માન્યતા મેળવવામાં આવે તો તે રદ કરવાની જોગવાઈ પણ છે.
આ સૂચનામાં આવકવેરા કાયદાની કલમ 80-આઈએસી હેઠળ ટેક્સ લાભ માટેનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર પ્રાઇવેટ લિમિટેડ કંપની અને LLP માટે લાગુ પડશે. સુધારેલા સ્ટાર્ટઅપ ફ્રેમવર્કે અધિકૃત ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.





