રોજબરોજના ખર્ચ માટે પણ ક્રેડિટ કાર્ડ પર મદાર બાંધી રહેલા લોકો ચેતી જાય
ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા ખર્ચમાં થઈ રહેલો વધારો શું સંકેત આપે છે? ભારતમાં ક્રેડિટ કાર્ડ પર ખર્ચ કરીને નભનારાઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારેઃ તહેવારોની મોસમમાં ક્રેડિટ કાર્ડથી કરાતી ખરીદીમાં જોવા મળી રહેલી વૃદ્ધિ
અર્થતંત્ર અને નોકરી બજારમાં નરમાઈ જોવા મળે અને બધું જ હચમચવા માંડે તો ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવેલા ધિરાણમાં ડિફોલ્ટ્સનું જોખમ ઘણું બધું વધી શકે છે.
સપ્ટેમ્બર 2025માં ભારતમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ રેકોર્ડ રૂ. 2.17 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. તહેવારોની સીઝનમાં GSTમાં કપાત અને બેન્કોની આક્રમક ઓફરોને કારણે આ આંકડો ગ્રાહકોએ કરેલી ખરીદી અને તેમના કોન્ફિડન્સનો અણસાર આપે છે. વાસ્તવમાં તેજી જેટલી ટકાઉ લાગે છે એટલી ખરેખર નથી. ભારતનું અર્થતંત્ર પડકારોનો સામનો કરે અને નોકરી બજારમાં નવી નોકરી નિર્માણ થવા પર બ્રેક લાગી જાય જાય ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરનારાઓ બેન્કને તેના પૈસા ચૂકવી શકશે નહિ.
સામાન્ય રીતે ભારતમાં તહેવારોના સમયમાં ક્રેડિટ કાર્ડ વપરાશમાં વધારો થાય છ તે સ્વાભાવિક ઘટના છે, કારણ કે ભારે ડિસ્કાઉન્ટ, કેશબેક ઓફરો અને દિવાળી શોપિંગનો આકર્ષણ લોકો રોકી શકતા નથી. તેમાંય વળી સપ્ટેમ્બર 2025થી જીએસટીના સ્લેબ ઘટાડી દેવાના અને જીએસટીના દરમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પરિણામે HDFC, SBI અને ICICI બેન્ક્સની પ્રમોશનલ ઓફરો સાથે આવતા ક્રેડિટ કાર્ડ ઘસીને ખરીદી કરવાના વલણમાં મજબૂત વધારો આવી ગયો હતો. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ ખર્ચમાં મહિના-દર-મહિને 14 ટકાનો વધારો થતી હોવાનું જોવા મળે છે.
એકલા સપ્ટેમ્બર 2025માં ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ રૂ. 2.17 લાખ કરોડને આંબી ગયો હતો. જે વાર્ષિક ધોરણે 23 ટકાનો વધારો દર્શાવે છે, એમ રિઝર્વ બેન્કના ઉદ્યોગ સાથે સંકળાયેલા આંકડાંઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2025માં પણ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલી ચૂકવણી રૂ. 2.15 લાખ કરોડની રહી હતી. જોકે સપ્ટેમ્બર 2025માં જોવા મળેલા વાર્ષિક 23 ટકાના વધારાની તુલનાએ ઓક્ટોબર 2025માં માત્ર છ ટકાનો વાર્ષિક તુલનામાં વધારો જોવા મળ્યો હતો. અલબત્ત સપ્ટેમ્બર 2025ની તુલનાએ તેમાં 1.1 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો.નવેમ્બર 2025માં ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ખરીદી ઘટીને 1.89 લાખ કરોડ પર આવી ગઈ હતી. આમ સપ્ટેમ્બર 2025ની તુલનાએ તેમાં 11.8 ટકાનો ઘટાડો આવી ગયો હતો. ડિસેમ્બર 2025માં ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલા ખર્ચના આંકડાં હજી રિઝર્વ બેન્કે જાહેર કર્યા નથી.
ખરીદી માટે ક્રેડિટ કાર્ડ પર નભનારામાં થઈ રહેલો વધારો
અમે ક્રેડિટ પર વધતી નિર્ભરતાની સંસ્કૃતિ જોઈ રહ્યા છીએ. ગ્રાહકો હવે માત્ર મોટા ખર્ચ માટે નહીં પરંતુ રોજિંદા ખર્ચ માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. ચલણમાં રહેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 113.4 મિલિયન એટલે કે 11.34 કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષની તુલનામાં ક્રેડિટ કાર્ડ વાપરનારાઓની સંખ્યામાં સ્થિર વૃદ્ધિ દર્શાવે છે. આ વાસ્તવમાં ભારતીયોના પેમેન્ટ વર્તનમાં આવેલા ફેરફારનો પણ સંકેત આપે છે. આ ફેરફારનો બેન્ક ભરપૂર લાભ ઊઠાવી રહી છે. ગ્રાહકોને સતત નવી નવી ઓફર આપીને બેન્કો ક્રેડિટ કાર્ડનો વપરાશ કરનારાઓને લલચાવતી જ રહે છે. તેનુંય કારણ છે. કારણ કે ક્રેડિટ કાર્ડના વપરાશકારો થકી વપરાતા નાણાં પર બેન્કને તગડું વ્યાજ મળે છે. આ વ્યાજને કારણે તેમની વાર્ષિક આવકમાં વધારો થાય છે. ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો થાય છે.
પરંતુ અહીં જ ખતરો છુપાયેલો છે. ક્રેડિટ જેટલું અનુકૂળ છે, એટલું જ તે ટાઈમ બોમ્બ સમાન છે. કાર્ડ વપરાશમાં વધારો મુખ્યત્વે શહેરી સમૃદ્ધ મધ્યવર્ગ દ્વારા થઈ રહ્યો છે, જેમની ડિસ્પોઝેબલ આવક તેમને વૈકલ્પિક ખર્ચ કરવાની છૂટ આપે છે. પરંતુ અર્થતંત્ર ધીમું પડશે ત્યારે શું થશે તે એક મૂંઝવતો સવાલ છે. નવી નોકરી નિર્માણ થવાન ગતિ મંદ પડશે તેયારે શું થશે? આ બબલની અંદરની નાજુક સ્થિતિ સહેલાઈથી નજરમાંથી ચૂકી જાય છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં નબળાઈના સંકેતો જોવા મળ્યા છે. રિઝર્વ બેન્કના 21મી જાન્યુઆરી 2026ના અહેવાલમાં તેનો સંકેત આપવામાં આવ્યો છે.
તહેવારોની સિઝને વપરાશને તાત્કાલિક ટેકો આપ્યો છે, પરંતુ સ્પષ્ટ સંકેતો છે કે વૃદ્ધિ હાલની ગતિએ ટકી શકશે નહીં. નોકરી બજાર અનિશ્ચિતતા વધી રહી છે. તેમાંય ખાસ કરીને વધી રહેલા ઓટોમેશન અને વૈશ્વિક માંગમાં ફેરફારને કારણે નોકરી નિર્માણની ગતિ મંદ પડી છે. આ સંજોગોમાં બિઝનેસ છટણી શરૂ કરે અથવા નવી તકો ઊભી ન કરે, તો પહેલેથી જ નાજુક ઘરેલુ નાણાં પર દબાણ વધશે.
ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરનારાએ શું ધ્યાન રાખવું જોઈએ?
ક્રેડિટ કાર્ડનો મહત્તમ વપરાશ કરનાર મધ્યવર્ગે પોતાની ક્ષમતા કરતાં અને જીવનશૈલી ગર્ભ શ્રીમંતો જેવી હોવાનો દેખાવ કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ઘટાડી દેવું જોઈએ. અર્થતંત્રની મંદીનો પ્રભાવ વધશે તો ક્રેડિટ કાર્ડ વાપરનારાઓને માથે ખર્ચની ચૂકવણીનું ભારણ વધી જશે. તેમાંય નોકરી પર કોઈ અસર આવી તો ડિફોલ્ટર બની શકે છે. ડિફોલ્ટર થશો તો વાર્ષિક 36થી 48 ટક વ્યાજના ચક્કરમાં ફસાઈ જવાની શક્યતા રહેશે. કારણ કે દરેક ક્રેડિટ કાર્ડ વપરાશકારની આવકમાં વ્યાજ ખર્ચના બોજો જેટલો વધારો થવાની સંભાવના નથી. ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવું મુશ્કેલ બની શકે છે. તેમાંથી બહાર આવવું મુશ્કેલ છે.
બેન્કો આ જોખમથી પરિચિત છે. બેન્કોની પાસે સુરક્ષા વ્યવસ્થાઓ છે, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ્સ વધતા ચિંતાનો વિષય બની રહ્યા છે અને ભારત પણ અપવાદ નથી. ચલણમાં રહેલા કાર્ડની સંખ્યા વધતી રહેશે તેમ તેમ લોન ચૂકવવામાં ચૂક થવાનું જોખમ પણ વધશે. ક્રેડિટ બૂમ ઉપરથી ચમકદાર લાગે છે, પરંતુ જો નોકરીઓ ધીમી પડે અને આવક નબળી પડે, તો તેની અસર ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે.
ભારતના અર્થતંત્રની વર્તમાન સ્થિતિ (2025-26)
2025-26ના ટૂંકા સમયગાળામાં ભારતનું અર્થતંત્ર સમગ્ર વૈશ્વિક મંદી વચ્ચે પણ ટકાઉ દેખાઇ રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના મતાનુસાર ભારતનો જીડીપી-GDP વિકાસ દર સારી સ્થિતિમાં છે. છતાં તેની સામે કેટલાક સંદર્ભોમાં અવરોધો અને જોખમો પણ જોવા મળી રહ્યા છે. RBIના State of the Economy રિપોર્ટ મુજબ 2025-26 માટે GDP વૃદ્ધિ આશરે 7.3 ટકાની આસપાસ રહેશે. તેમાં ગ્રામિણ વિસ્તારની ડિમાન્ડ, ઓટોમોબાઇલના વેચાણ અને સર્વિસ સેક્ટરના મજબૂત યોગદાનનો ફાળો રહેશે. તેની સાથે સાથે જ GSTની આવક અને e-way જનરેટ કરવામાં સતત થઈ રહેલો વધારો પણ અર્થતંત્રની સ્થિરતાનો સંકેત આપે છે.
બીજા એક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ ભારતના જીડીપીનો વૃદ્ધિદર FY2026-27માં 6.5 ટકાથી 7 ટકા સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે. આ દર્શાવે છે કે યથાવત વિકાસ જારી રહેવાની શક્યતા છે. જોકે અત્યારે વૈશ્વિકસ્તરે જોવા મળી રહેલી મંદીની અવગણના કરી શકાય તેમ નથી. જાહેર સરકારી સ્રોતો પરથી પણ જાણવા મળી રહ્યું છ કે ચાલુ કેલેન્ડર વર્ષ-જાન્યુઆરીથી ડિસેમ્બર 2026માં GDP વૃદ્ધિનો દર 6.5 ટકાથી 7.3 ટકા વચ્ચે રહે તેવી શક્યતા છે, જે વિશ્વના ઘણાં મોટા અર્થતંત્રોની તુલનામાં વધુ મજબૂત છે. અમેરિકાના ટેરિફ વ઼ૉર સહિતના અન્ય પરિબળોને જોતાં એક્સપોર્ટની ડિમાન્ડમાં ઘટાડો આવી શકે છે. મનોરંજન પછીની ખર્ચ ઘટે એવી સંભાવના જણાય છે. મધ્યમવર્ગમાં ખર્ચ કરવાનો ઉત્સાહ સીમિત થઈ શકે છે. તેનાથી પણ અર્થતંત્રમાં મંદી આવી શકે છે. બીજીતરફ વિશ્વના અર્થતંત્ર સાથે સંકળાયેલા સંખ્યાબંદ જોખમો ડોકિયા કરી રહ્યા છે. આ જોખમોમાં મુસાફરીમાં વિલંબ, વ્યાજ દર ઘટાડો, નાણાંકીય પ્રવાહમાં ફેરફારો જેવી બાબતો ભારતની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. તેની સીધી અસર નોકરી નિર્માણ પર થશે. નોકરી નિર્માણ-જોબ જનરેશન ઘટશે તો મધ્યમ વર્ગના દરેક ગણિતો ખોરવાઈ શકે છે. તેથી ક્રેડિટ કાર્ડ પર ખર્ચ માટે નિર્ભર રહેનારાઓ અત્યારથી જ ચેતી જાય તે જરૂરી છે.





