• 15 May, 2026 - 3:19 PM

DGFTએ નિકાસ માટે જ્વેલર્સ દ્વારા થતા ગોલ્ડ ઇનપુટ આયાતના નિયમો કડક બનાવ્યા

100 કિલો સુધી મર્યાદા, પ્રથમ વખત અરજી કરનાર માટે મેન્યુફેક્ચરિંગ યુનિટની ફરજિયાત સ્થળ તપાસ કરવામાં આવશે

કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેજ જનરલ ઓફ ફોરેન ટ્રેડ-DGFTએ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે ડ્યુટી-ફ્રી ગોલ્ડ આયાત સંબંધિત નિયમોને વધુ કડક બનાવ્યા છે. આ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા સોનાની આયાત પર કસ્ટમ ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા કરાયા પછી લેવામાં આવ્યો છે, જેથી સોનાની વધતી આયાતને નિયંત્રિત કરી શકાશે.

DGFTએ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ (SION) હેઠળ પાંચ નવા પ્રતિબંધાત્મક નિયમો ઉમેર્યા છે. આ નિયમો મુજબ નિકાસ માટે વપરાતા સોનાના ડ્યુટી-ફ્રી આયાત પર વધુ બારીક નજર રાખી શકાશે. તેમ જ નિયંત્રણ પણ રાખી શકાશે.

એડવાન્સ ઓથોરાઇઝેશન (AA) યોજના શું છે?

એડવાન્સ ઓથોરાઇઝેશન યોજના હેઠળ જ્વેલરી નિકાસકારોને ડ્યુટી-ફ્રી સોનાની આયાત કરવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ આ સોનાનો ઉપયોગ માત્ર નિકાસ માટેના આભૂષણોના ઉત્પાદન માટે જ કરી શકાય છે. SION નોર્મ્સ નક્કી કરે છે કે ચોક્કસ માત્રામાં જ્વેલરી બનાવવા માટે કેટલું સોનું જરૂરી રહેશે.

નવા નિયમોમાં શું બદલાયું?

એક સોનાની આયાત પર 100 કિલોની મર્યાદા મૂકી દેવામાં આવી છે. હવે ગોલ્ડ આયાત માટેની એડવાન્સ ઓથોરાઇઝેશનને મહત્તમ 100 કિલો સુધી મર્યાદિત કરવામાં આવી છે. બે, પ્રથમ વખત અરજી કરનારના એકમની સ્થળ તપાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે નિકાસકારો પ્રથમ વખત અરજી કરશે, તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટન પર જઈને તેની ફરજિયાત તપાસ કરવામાં આવશે. આ દ્વારા તેમની ઉત્પાદન ક્ષમતા અને વાસ્તવિક કામગીરીની ચકાસણી થશે.

ત્રણ નવા લાઇસન્સ માટે અરજી કરનારાઓએ 50 ટકા નિકાસ ફરજ પૂર્ણ કરવી જરૂરી છે. આગામી ઓથોરાઇઝેશન મેળવવા પહેલાં અગાઉની મંજૂરી હેઠળની ઓછામાં ઓછી 50 ટકા નિકાસ ફરજ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. ચાર, દર પંદર દિવસે કામગીરી અહેવાલ આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ઓથોરાઇઝેશન ધારકોએ હવે દર પંદર દિવસે એક કામગીરી અહેવાલ સબમિટ કરવો પડશે, જે સ્વતંત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત કરાયેલો હોવો જરૂરી રહેશે.

પાંચ, DGFT મુખ્યાલયને માસિક અહેવાલ ફરજિયાત આપવો પડશે. પ્રાદેશિક કચેરીઓએ હવે દર મહિને DGFT મુખ્યાલયને ગોલ્ડ આયાત-નિકાસ અને એડવાન્સ ઓથોરાઇઝેશન સંબંધિત સંકલિત અહેવાલ મોકલવો પડશે, જેથી કેન્દ્રીય સ્તરે દેખરેખ વધુ મજબૂત બની શકશે.

સરકાર આ પગલાં કેમ લઈ રહી છે?

સરકારે સોનાની આયાત પર ડ્યૂટી વધારી અને નિયમો કડક બનાવ્યા છે કારણ કે દેશની ટ્રેડ ડેફિસિટ-વેપાર ખાધ એટલે કે નિકાસ કરતાં આયાતનો ખર્ચ વધી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. ભારતીય રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. તેથી આયાત માટેની ડૉલરની ડિમાન્ડ ઓછી કરી શકાશે. તેમ જ ભારતીય રૂપિયાને ગગડતો અટકાવી શકાશે.

વિદેશી ચલણનો જથ્થો જરૂરી ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો પૂરી માટે જાળવવો જરૂરી બન્યો છે. આ પગલાં દ્વારા સરકાર ગોલ્ડ આયાતમાં ઘટાડો કરી વિદેશી ચલણની બચત કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

Read Previous

આજે બજારમાં શું કરશો ?

Most Popular