૧૫ ઓગસ્ટથી ગુજરાતમાં ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરશે
સમગ્ર ગુજરાતના ૧૮,૧૯૭ ગામોના ૯૫ લાખથી વધુ પ્લોટનો સચોટ સર્વે થશે
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખરીફ-૨૦૨૬ માટે ૪૫ દિવસીય સર્વે ઝુંબેશ
‘ફાર્મર રજિસ્ટ્રી’માં નોંધાયેલા ખેડૂતો મોબાઈલ એપથી જાતે જ કરી શકશે પાકની નોંધણી
૩૦ સપ્ટેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરવા રાજ્યના ખેતી નિયામકની ખેડૂતોને ભાવભરી અપીલ
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં ડિજિટલ કૃષિ ક્રાંતિ તરફ એક વધુ વિઝનરી અને મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫થી શરૂ થયેલી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીને આગળ ધપાવતાં, ચાલુ ખરીફ-૨૦૨૬ સીઝન માટે આગામી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં ૪૫ દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
૧૮,૧૯૭ ગામોના ૯૫ લાખથી વધુ પ્લોટનો જીઓ-ટેગ્ડ સર્વે આ રાજ્યવ્યાપી મહા-અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓના કુલ ૧૮,૧૯૭ ગામોને સાંકળી લેવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં આવેલા ખેતીલાયક વિસ્તારના આશરે ૯૫ લાખથી વધુ સર્વે પ્લોટને આવરી લેવામાં આવશે. આ કામગીરી માટે નિયુક્ત કરાયેલા સત્તાવાર સર્વેયરો રૂબરૂ દરેક ખેતર/સર્વે નંબર પર પહોંચશે અને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ (Geo-tagged) ફોટોગ્રાફ્સ સાથેની સચોટ વિગતો ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરશે.
ખેડૂતો હવે જાતે પણ કરી શકશે પાકની નોંધણી આ સર્વે અભિયાનની સૌથી મોટી ખાસિયત એ છે કે ‘ફાર્મર રજિસ્ટ્રી’ (Farmer Registry) માં નોંધાયેલા ખેડૂતોએ સર્વેયરની રાહ જોવી પડશે નહીં. ખેડૂતો પોતાના સ્માર્ટફોનમાં ‘ડિજિટલ ક્રોપ સર્વે’ (Digital Crop Survey) એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના ખેતરના પાકની સચોટ માહિતી અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકશે.
૧૫ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત ૪૫ દિવસ ચાલશે કામગીરી આ અંગે વધુ માહિતી આપતાં રાજ્યના કૃષિ વિભાગે જણાવ્યું હતું કે આ ડિજિટલ સર્વે કામગીરી આગામી તા. ૧૫ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સતત ૪૫ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં પૂર્ણ જોશથી હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારનો ખેડૂતોને મહત્વનો અનુરોધ રાજ્યના તમામ ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા વિનંતી સાથે અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના ગામના નિયુક્ત સર્વેયર મારફત અથવા જાતે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આગામી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં પોતાના તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય પૂર્ણ કરાવશે કે કરશે. જેથી ભવિષ્યમાં સરકારી યોજનાઓ, પાક વીમો અને કૃષિ સહાય મેળવવામાં કોઈ પણ વિલંબ થશે નહિ કે જરાય મુશ્કેલી પડશે નહિ.



