દાહોદ બોગસ સરકારી કચેરી કૌભાંડ: ઇડીએ મુખ્ય સૂત્રધારની રૂ. 22.70 કરોડની મિલકત ટાંચ કરી
દાહોદ બોગસ સરકારી કચેરી કૌભાંડ: ઇડીએ મુખ્ય સૂત્રધારની રૂ. 22.70 કરોડની મિલકત ટાંચ કરી
સરકારી કચેરીઓના નામે બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવી સરકારી ગ્રાન્ટના નાણાં સેરવી લેવાના મહાકૌભાંડમાં ઇડીની મોટી કાર્યવાહી
અમદાવાદ: દાહોદના બહુચર્ચિત બોગસ સરકારી કચેરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અમદાવાદ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી કરી છે. સરકારી કચેરીઓના નામે બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવીને કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ પોતાના ખાતાઓમાં સેરવી લેવાના આ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મુખ્ય આરોપી અબુબકર ઝાકિરઅલી સૈયદ તથા તેના પરિવારના સભ્યો અને સહયોગીઓની રૂ. 22.70 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો કામચલાઉ ધોરણે ટાંચ (પ્રોવિઝનલી અટેચ) કરી લીધી છે. ટાંચમાં લેવાયેલી મિલકતોમાં જમીનના 7 પ્લોટ, મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલું રોકાણ અને વિવિધ બેન્ક ખાતાઓમાં જમા બેલેન્સનો સમાવેશ થાય છે.
સિંચાઈ વિભાગની 6 બોગસ ઓફિસો ઊભી કરી 121 કામોની ગ્રાન્ટ મેળવી લીધી
આ સમગ્ર કૌભાંડ અંગે દાહોદ ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઇડીએ મની લોન્ડરિંગ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓએ ષડયંત્ર રચીને સિંચાઈ અને જળસંપત્તિ વિભાગની 6 બોગસ સરકારી કચેરીઓ ઊભી કરી હતી. કૌભાંડીઓએ સરકારી અધિકારીઓ હોવાનો સ્વાંગ રચી, બોગસ સિક્કા અને નકલી સહીઓ કરીને સરકારી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી કાગળોના આધારે આરોપીઓએ કુલ 121 નકલી કામોની મંજૂરી મેળવી સરકારી ગ્રાન્ટની માતબર રકમ છેતરપિંડીથી હડપ કરી લીધી હતી.
9 બોગસ એકાઉન્ટ્સથી શરૂ કરી 118 ખાતાઓમાં નાણાંની હેરફેર કરી
ઇડીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સરકારી પૈસા સેરવી લેવા માટે આરોપીઓએ સૌપ્રથમ નકલી સરકારી કચેરીઓના નામે 9 બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલ્યા હતા. સરકારી ગ્રાન્ટના નાણાં સીધા આ ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નાણાંને રજૂઆતથી બચાવવા માટે 18 વચગાળાના (ઇન્ટરમીડિયરી) એકાઉન્ટ્સ મારફતે ટ્રાન્સફર કરી, અંતે આરોપીઓ અને તેમના મળતિયાઓ સાથે જોડાયેલા 118 જેટલા બેન્ક ખાતાઓમાં વહેંચી દેવાયા હતા. આ ગેરકાયદે નાણાંનો ઉપયોગ મિલકતો ખરીદવામાં, વિવિધ રોકાણો કરવામાં તેમજ અન્ય અંગત હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.
ઇડીની નાગરિકોને અપીલ: કમિશન કે લાલચમાં પોતાના બેન્ક એકાઉન્ટ્સ અન્યને વાપરવા ન આપવા
આ કેસના સંદર્ભમાં ઇડીએ સામાન્ય નાગરિકો માટે પણ એક મહત્વની ચેતવણી અને સલાહ જાહેર કરી છે. ઇડીએ જણાવ્યું છે કે, થોડા પૈસા, કમિશન કે આર્થિક લાભની લાલચમાં આવીને કોઈ પણ વ્યક્તિએ પોતાના બેન્ક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક, ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ, ઓટીપી (OTP) કે કેવાયસી (KYC) દસ્તાવેજો અજાણી કે અન્ય વ્યક્તિ સાથે શેર કરવા નહીં.
સાઇબર ફ્રોડ અને આર્થિક કૌભાંડો આચરનારા ગુનાહિત તત્વો આવા ખાતાઓનો ઉપયોગ ‘મ્યુલ એકાઉન્ટ’ (Mule Accounts) તરીકે કરીને ગુનાની કમાણી છુપાવવા માટે કરતા હોય છે. જો ખાતાધારક પોતે છેતરપિંડીમાં સીધો સામેલ ન હોય, તો પણ પોતાનું એકાઉન્ટ અન્યને વાપરવા દેવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તેથી નાગરિકોએ સતર્ક રહેવું અને બેન્ક એકાઉન્ટનો ગેરકાયદે ઉપયોગ કરવાની કોઈ પણ શંકાસ્પદ માંગણી જણાય તો તુરંત તેની જાણ સત્તાવાળાઓને કરવાની રહેશે. હાલમાં આ કૌભાંડમાં ઇડી દ્વારા આગળની વધુ તપાસ ચાલી રહી છે.
