ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પરિણામે યુરોપિયન સંઘના દેશોમાં ભારતની દવાની નિકાસ ચાર વર્ષમાં 15 અબજ ડૉલરની થઈ જશે

ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ-મેડિકલ ડિવાઈઝ ઉદ્યોગને લાભ મળશે
યુરોપિયન સંઘના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાને પરિણામે ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગનો મોટો લાભ મળવાની સંભાવના છે. તેની સાથે જ મેડિકલ ડિવાઈઝના મેન્યુફેક્ચરર્સ માટે પણ નવો દરવાજો ખૂલી ગયો છે.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન-ગુજરાતના પૂર્વ પ્રમુખ ભરત દેસાઈનું કહેવું છે કે દવા પર 11 ટકા ટેરિફ લાગતું હતું પરંતુ હવે ભારતના નિકાસકારોની યુરોપિયન સંઘના દેશોમાં જતી દવાઓ પર 11 ટકા ટેરિફ લાગુ પડશે નહિ. પરિણામે ભારતની દવાઓ યુરોપિયન સંઘના દેશોમાં સસ્તી થશે.
તેમનું કહેવું છે કે ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સની નિકાસમાં અમેરિકા પછીનું ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર યુરોપ છે. આ ફ્રી ટ્ર્ડ એગ્રીમેન્ટને પરિણામે ભારતમાંથી દવાની યુરોપમાં થતી નિકાસમાં અંદાજે 50 ટકાનો વધારો થઈ જશે. યુરોપના દેશોમાં ભારતની દવાઓની નિકાસ અંદાજે 8થી 10 બિલયન ડૉલરની નિકાસ થાય છે. આગામી ચાર વર્ષમાં આ નિકાસ વધીને 12થી 15 અબજ ડૉલરની સપાટીને વળોટી જશે.
મેડિકલ ડિવાઈઝના ઉત્પાદન અને વેચાણના ખાસ્સા એકમો અમદાવાદ અને વડોદરામાં આવેલા છે. મેડિકલ ડિવાઈઝની યુરોપિયન સંઘના દેશોમાંથી ખાસ્સી આયાત થાય છે. મેડિકલ ડિવાઈઝના ઉત્પાદકોના ઓલ ઇન્ડિયા લેવલના એસોસિયેશન એઆઈએમઈડી ફોરમ કોઓર્ડિનેટર રાજીવનાથનું કહેવું છે કે યુરોપિયન સંઘના દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ભારતના મેડિકલ ડિવાઈઝના મેન્યુફેક્ચરર્સની નિકાસની વસ્તુઓ પરની આયાત ડ્યૂટી હટી જતાં તેમને લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળી જશે.
હાલમાં યુરોપ ભારતીય દવાઓ માટે મોટું છે, પરંતુ તેનો પૂરતો લાભ ભારતીય ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓ લઈ ન શકતી હોવાનું જણાય છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા-Pharmexcilના આંકડાઓ મુજબ ભારતમાંથી યુરોપિયન યુનિયન દેશોમાં નિકાસનો હિસ્સો કુલ નિકાસના અંદાજે ૧૯ ટકા છે. જ્યારે ભારત વિશ્વમાં જેનરિક દવાઓનો અગ્રણી પુરવઠો આપતો દેશ છે. ઊંચા ટેરિફને કારણે, નિયમોની જટિલતા અને નિયમના પાલન માટેના ઊંચા ખર્ચને કારણે યુરોપમાં ભારતીય દવાઓનો પ્રવેશ અત્યાર સુધી મર્યાદિત રહ્યો છે.
FTA અંતર્ગત યુરોપિયન યુનિયન ફાર્માસ્યુટિકલ્સ પર લાગતા ૧૧ ટકા સુધીના ટેરિફ સંપૂર્ણપણે દૂર કરશે. સાથે સાથે, મેડિકલ ડિવાઇસના લગભગ ૯૦ ટકા ઉત્પાદનો પર હાલ ૨૭.૫ ટકા સુધી લાગતા શુલ્કને તબક્કાવાર રીતે શૂન્ય કરવામાં આવશે. ટેરિફ ઘટાડા ઉપરાંત, આ કરાર નિયમનકારી સહયોગ, કસ્ટમ્સ પ્રક્રિયાની સરળતા અને બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR)ના રક્ષણ પર પણ ભાર મૂકે છે, જે નિકાસકારો માટે ખર્ચ, સમય અને વ્યાપારી સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે.
આ કરાર લાઈફ સાયન્સ કંપનીઓને વ્યવહારુ લાભ આપે તેવો છે, ખાસ કરીને નિયમોના પાલનની પ્રક્રિયાની સરળતા અને નિયમનકારી સુસંગતતાને કારણે આ કંપનીઓ લાભ મળશે. જો કે, યુરોપિયન બજારમાં પ્રવેશ કરનારાઓને પર્યાવરણ, બાળમજૂરી અને કાર્બન ઉત્સર્જન સહિતની સમસ્યાઓ નડી રહી છે. પરિણામે ધીમો પાડતા બિન-ટેરિફ અવરોધો દૂર કરવા માટે પણ કંપનીઓએ સતત પ્રયત્નો કરવા પડશે.
ફાર્મેક્સિલના ચેરમેન નમિત જોશી કહે છે કે, “આ FTA ભારતીય ફોર્મ્યુલેશન, API અને મૂલ્યવર્ધિત દવાઓને યુરોપમાં મજબૂત સ્થાન અપાવશે. ખાસ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન ક્ષમતા ધરાવતા પરંતુ ખર્ચ અને બજાર પ્રવેશમાં મુશ્કેલી અનુભવનારા ફાર્મા MSMEને તેનો મોટો લાભ મળશે.”
આ કરારમાં બૌદ્ધિક સંપત્તિ અધિકારો બાબતે પણ સ્પષ્ટતા લાવવામાં આવી છે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના સેક્રેટરી જનરલ સુદર્શન જૈન કહે છે કે, “આ કરાર TRIPSના કરારોમાં કરવામાં આવેલી સમજૂતી હેઠળ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી-IP સુરક્ષા જાળવી રાખે છે. તેની સાથે સાથે જનરિક દવાઓ અને જાહેર આરોગ્યમાં ભારતની તાકાતને સુરક્ષિત રાખે છે, તેથી લાંબા ગાળાના રોકાણ માટે નિયમનકારી વિશ્વાસ વધશે.
FTAનો લાભ ભારતના દર્દીઓ સુધી પણ પહોંચે તેવી શક્યતા છે. યુરોપથી આયાત થતી કેન્સર અને દુર્લભ રોગોની અદ્યતન દવાઓ પર લાગતો ટેરિફ શૂન્ય થતાં, આવી દવાઓ વધુ સસ્તી અને સુલભ બનશે. ન્યુટ્રાસ્યુટિકલ્સ અને પ્રિવેન્ટિવ હેલ્થકેર ક્ષેત્રમાં લાંબા ગાળે લાભ મળવાની અપેક્ષા છે. ઓમ્નિએક્ટિવ હેલ્થ ટેકનોલોજીઝના સંજય મરીવાલા જણાવે છે કે, યુરોપના કડક વૈજ્ઞાનિક નિયમનથી ભારતીય ઉત્પાદનોની વિશ્વસનીયતા અને વૈશ્વિક ગ્રાહક વિશ્વાસ વધશે.
જો કે, યુરોપિયન બજારમાં પ્રવેશ માટે ઊંચી ગુણવત્તા, દસ્તાવેજીકરણ, ટ્રેસેબિલિટી અને ફાર્માકોવિજિલન્સમાં સતત રોકાણ જરૂરી રહેશે. યુરોપિયન સંઘના દેશો સાથેના FTAનો પૂરો લાભ લેવા માટે ભારતે પરીક્ષણ ક્ષમતા, R&D માળખું અને કુશળ માનવ સંસાધન વિકસાવવું પડશે.
મેડિકલ ડિવાઈઝમાં શું થઈ શકે
એફટીએને કારણે મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે પણ સકારાત્મક અસર થવાની શક્યતા છે. મેડિકલ ટેકનોલોજી એસોસિએશન ઓફ ઈન્ડિયાના ચેરમેન પવન ચૌધરી મુજબ, આ કરારથી સર્જિકલ સાધનો, મેડિકલ ટેક્સટાઇલ્સ અને ડિસ્પોઝેબલ ઉત્પાદનોની નિકાસ વધશે અને સાથે સાથે ભારતમાં અદ્યતન સારવાર વધુ સસ્તી બનશે.
યુરોપિયન સંઘ સાથેના કરારને પરિણામે હાઈ વેલ્યુ મેડિકલ ડિવાઈઝના પ્રોડક્શન માટેના કોલેબોરેશન-સહયોગમાં વધારો થશે. મેડિટેકના મેન્યુફેક્ચરિંગમાં વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન લેવાનું ભારતનું ટાર્ગેટ છે. યુરોપિયન સંઘ સાથેના કરારને પરિણામે આ દિશામાં ખાસ્સી આગેકૂચ કરી શકાશે. તેને પરિણામે સ્થાનિક સ્તરે થતાં મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. ભારતના ઉદ્યોગને ખતમ ન કરી નાખે તે પ્રકારે યુરોપિયન સંઘના દેશોમાંથી આયાત થાય તેનું ધ્યાન રાખવું પડશે. ભારતમાં બનતી મેડિકલ ડિવાઈઝની ગુણવત્તામાં સુધારો આવશે. ભારતનો વિકાસ દરદીઓની સલામતીને કેન્દ્રમાં રાખતી ડિવાઈઝના ઉત્પાદનમાં થવો જોઈએ.



