કેન્દ્ર સરકાર 32 કરોડ અસંગઠિત, ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે ઈન્શ્યોરન્સ સાથે સોશિયલ સિક્યુરિટી વધારવાની તૈયારીમાં

- એક જ યોજના હેઠળ કામદારને જીવન વીમા, આરોગ્ય વીમા અને અકસ્માત વીમાનો લાભ મળે તેવું આયોજન કરી રહેલી સરકાર
કેન્દ્ર સરકારનું શ્રમ અને રોજગાર ખાતું અસંગઠિત, ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સોશિયલ સિક્યુરિટી (સામાજિક સુરક્ષા) અને ઈન્શ્યોરન્સ કવર વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ પગલું ચાર નવા મજૂર કાયદાઓ-શ્રમિક સંહિતા-લેબર કોડ્સના અમલ માટે લેવામાં આવી રહ્યું છે.
ESIC દ્વારા યોજના પર કામ
એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન-Employees’ State Insurance Corporation (ESIC) વિવિધ દેશોના મોડલ્સનું અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસને અંતે યોગ્ય યોજના બનાવીને અમલમાં મૂકવામાં આવશે. હવે સવાલ એ થાય છે કે નવી યોજના ખરેખર કેવી હશે?
સરકાર એક વર્કરનું સ્વૈચ્છિક યોગદાન વત્તા સરકારની સબસિડીના મોડલ પર વિચાર કરી રહી છે. તેમાં વર્કર પોતે થોડું યોગદાન આપશે. તેના ઉપર સરકાર તરફથી સહાય-subsidy આપવામાં આવશે. આ યોજનામાં વધુ લોકો જોડાતા જશે તો અસંગઠિત ક્ષેત્રના કામદારોએ પ્રીમિયમ તરીકે બહુ જ ઓછી રકમ ચૂકવવી પડશે. હાલ અસંગઠિત કામદારો માટે યોજનાઓ સ્વૈચ્છિક છે.
અત્યારે અમલમાં આવી ચૂકેલી યોજનાઓ
ભારતમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ છે, પરંતુ તે અલગ-અલગ છે. તેમાં પ્રધાનમંત્રી બીમા સુરક્ષા યોજનાનો સમાવેશ થાય છે. તેમાં માત્ર રૂ. 20ના પ્રીમિયમ પર રૂ. 2 લાખના મૂલ્યનો એક્સિડન્ટ વીમો-અકસ્માતમાં કંઈક થાય તો તેનું જોખમ કરી આપતો વીમો આપવામાં આવે છે. આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના પણ ચાલું જ છે. તેમાં વર્ષે રૂ. 436નું પ્રીમિયમ ભરવાથી રૂ. 2 લાખના મૂલ્યનો જીવન વીમો મળી રહે છે. ત્રીજી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ આરોગ્ય સારવા માટે મોટી સહાય આપવામાં આવે છે. ચોથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધનની યોજના છે. તેમાં વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમ છતાં તમામ અસંગઠિત અને ગિગ વર્કર્સ માટે એકસમાન ઈન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ નથી
સરકાર સામેનો મોટો પડકાર
ભારતમાં લગભગ 32 કરોડ કામદારો સક્રિય છે. તેમના પરિવારના સભ્ય સાથે મળીને લગભગ 128 કરોડ લોકો પર આ આયોજનની અસર આવી શકે છે. અસંગઠિત ક્ષેત્ર બહુ મોટું અને જટિલ છે. આ માટે એક મજબૂત અને વ્યાપક યોજના બનાવવી મુશ્કેલ છે
કાયદાકીય આધાર
સામાજિક સુરક્ષા માટેની સંહિતા-Code on Social Security 2020માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કેન્દ્ર સરકારને નીચેની સુવિધાઓ માટે યોજના બનાવવાની જવાબદારી છે. જીવન અને અકસ્માત વીમાનું રક્ષણ આપવાની યોજના ઉપરાંત આરોગ્ય સુરક્ષા માટે વીમા સુરક્ષાનું કવચ ઊભું કરવાની જવાબદારી કેન્દર સરકારની છે. તેમ જ માતૃત્વના સમયે માતાઓને લાભ આપવાની યોજના તૈયાર કરવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે. તદુપરાંત વૃદ્ધાવસ્થામાં સુરક્ષા આપવાની તથા શિક્ષણ અને અન્ય લાભ આપવાની જવાબદારી પણ કેન્દ્ર સરકારની જ છે. તેને માટે રાજ્ય સરકારો પણ પોત પોતાના નિયમો બનાવી શકે છે.
વિશ્વના ઘણા દેશોમાં અસંગઠિત કામદારો માટે આરોગ્ય-જીવન વીમા, પેન્શન ઈન્શ્યોરન્સ માટે સરકારના ફાળા અને કામદારોના યોગદાન આધારિત સિસ્ટમ તૈયાર કરીને અમલમાં મૂકવામાં આવેલી છે. આ સંદર્ભમાં ખાસ કરીને થાઈલેન્ડના મોડલને નોંધપાત્ર ઉદાહરણ તરીકે જોવામાં આવે છે
ટૂંકમાં ભારત સરકાર 32 કરોડ કામદારો માટે સુરક્ષા કવચ લાવવા માંગે છે. તેને માટે નવું મોડેલ લાવીને કામદારોનો ફાળો અને સરકારની સબસિડીના મિશ્રણ સાથેનું મોડેલ તૈયાર કરવા માગે છે. હાલની યોજનાઓ છે, પણ એક સાથે તમામ સુરક્ષા કવચ મળતા નથી. આ યોજના લાગુ કરવી ભારત સરકાર માટે મોટો પડકાર છે. છતાં ભારત સરકાર કમર કસી રહી છે.
ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ કોને ગણે છે
ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ કામચાલઉ કામ કરીને આવક મેળવે છે. તેમને તેમના કામના પ્રમાણ અને પ્રકાર પ્રમાણે વળતર આપવામાં આવે છે. તેમની વચ્ચે એટલે કે કામ કરાવનાર વ્યક્તિ કે સંસ્થા કે પછી કંપનીના માલિક અને કામ કરી આપનાર વ્યક્તિ, કામદાર કે પછી કર્મચારી વચ્ચે માલિક અને નોકર જેવા કોઈ જ સંબંધ હોતા નથી. તેમાં ફ્રી લાન્સર, ઓલા અને ઉબર જેવી રાઈડ ચલાવનારાઓ કે પછી ફૂડ ડિલીવરી એજન્ટ્સ-સ્વિગી અને ઝોમેટોના ડિલીવરી બૉય જેવા કામ કરનારાઓનો સમાવેશ થાય છે. તેઓ સ્વતંત્ર કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેઓ ડિજિટલ પ્લેટફોર્મથી કસ્ટમર્સને સર્વિસ આપવાની વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે.



